કલ્યાણ નિર્ણય

નિર્ણયઃ ૧૧

દોહા

મુમુક્ષુ કહે મુક્તને, જ્યારે જમ એ પર કરે રોષ ॥

ત્યારે માયાગુરુને મર મારતા, પણ શિષ્યનો શિયો દોષ ॥ ૧ ॥

કલ્યાણ કરવા કારણે, આવ્યો એવા ગુરુની પાસ ॥

તન મન ધન દઈ તેહને, થયા દિલ સાચે એના દાસ ॥ ૨ ॥

ઓળખી ન શક્યા અસત ગુરુ, સમજ્યા વિના થયા શિષ્ય ॥

અજાણ્યા ઉપર એવડી, રાખી ન ઘટે ધર્મને1 રીસ ॥ ૩ ॥

એમ કહ્યું કર જોડીને, તમે સાંભળો મારા શ્યામ ॥

એ સંશય મારો સમાવિયે, સનેહી સુખના ધામ ॥ ૪ ॥

ચોપાઈ

એવું સાંભળી મુક્ત મહાજન રે, પછી બોલિયા પરમ પાવન રે ॥

કહે સાંભળ્ય તું જિજ્ઞાસુ રે, ખરું પ્રશ્ન તેં પૂછિયું ખાસું2 રે ॥ ૫ ॥

એનો ઉત્તર આપિયે અમે રે, સાવધાન થઈ સુણો તમે રે ॥

હોય જૂઠું સાચું બેઉ જોડ્યે રે, રાત દિવસ બે તડોવડ્યે3 રે ॥ ૬ ॥

હોય બક તિયાં હંસ હોય રે, જ્યાં કાગ ત્યાં કોયલ શું નો’ય રે ॥

હોય ચોર તિયાં શાહુકાર રે, હોય રવિ4 ત્યાં રાકેશ5 ત્યાર રે ॥ ૭ ॥

હોય પાપી ત્યાં પુણ્યવાન રે, હોય મૃત્યુ ત્યાં અમૃતપાન રે ॥

હોય સાચું ત્યાં ખોટું ખરું રે, તેનું કહેતાં કહેતાં નાવે સરું રે ॥ ૮ ॥

તેમ સત્ય અસત્ય ગુરુ છે રે, તે પણ ખોટું મા માનો ખરું છે રે ॥

તે તો કહે છે વેદ પુરાણ રે, સત્ય અસત્યની ઓળખાણ રે ॥ ૯ ॥

સતશાસ્ત્રનું એ જ સિદ્ધાંત રે, કપટી ગુરુ તે જ કૃતાંત6 રે ॥

જમપુરીના જમાન ખરા રે, જાવા ન દિયે જીવ અરાપરા7 રે ॥૧૦॥

ઝાલી આપશે જમને હાથ રે, માર્યો જાશે બિચારો અનાથ રે ॥

વણ ગુહ્ને ગુહ્નેગાર થાશે રે, વણ વાંકે મોટો માર ખાશે રે ॥૧૧॥

પડશે દુઃખના દરિયા માંઈ રે, તેની નથી ખબર એને કાંઈ રે ॥

એમ સાચા સંત સહુ કે’ છે રે, તોય શઠને શઠપણું રહે છે રે ॥૧૨॥

ત્યારે કે’તલનો8 શિયો વાંક રે, કહી કહી વાળ્યો આડો આંક9 રે ॥

તોય માન્યું નહિ જો મૂરખે રે, ખાધુ હળાહળ10 જઈ હરખે રે ॥૧૩॥

મેલી તરી11 તુંબડાં તરવા રે, બાંધ્યા કોટે પાણા બૂડી મરવા રે ॥

કરી હંસ મેના શુક12 ત્યાગ રે, સેવ્યા ઘુડ કપોત ને કાગ રે ॥૧૪॥

મેલી ગજ બાજ ગવા13 ગાય રે, વો’ર્યા14 વાઘ નાગ ને બલાય15 રે ॥

એમ અવળો કર્યો ઉદ્યમ રે, તેની ન પડી ગાફલને ગમ રે ॥૧૫॥

એવી અવળી અકલવાળા રે, તે તો ક્યાં થકી થાય સુખાળા રે ॥

મેલી સુખ લીધું દુઃખ માથે રે, પોતે પોતાનું બગાડ્યું હાથે રે ॥૧૬॥

નથી વાંક એમાં કેનો વળી રે, ખાધી મા’જમ16 મિસરી17 મેલી રે ॥

મૃત્યુમોદક18 અમૃત જાણી રે, પીધું સર્પલાળપય19 પાણી રે ॥૧૭॥

હોરે20 હેડ્યમાં21 પગ દેવાણો રે,વણ ચોરે તે ચોર કે’વાણો રે ॥

ભળ્યો ભરાડીમાં22 શાહુકાર રે, ધણી મળ્યે મળે વળી માર રે ॥૧૮॥

એમ અસત્ય ગુરુને આશરી રે, જીવ જાય છે તે જમપુરી રે ॥

તિયાં કષ્ટ પામે છે કુબુદ્ધિ રે, જેની અતિ સમજણ છે ઊંધી રે ॥૧૯॥

નથી સૂઝતું સાર અસાર રે, તેણે કરી ખાય જમમાર રે ॥

સાચી વાત સાંભળે છે કાને રે, તોય ચઢ્યો છે ખોટાને તાને રે ॥૨૦॥

ખોટા ગુરુના ખાધા છે ખતા23 રે, નથી છાના એ છે જગ છતા રે ॥

પંચ વિષય શું પોષણ કરી રે, લીધું અન્ન ધન આયુષ હરી રે ॥૨૧॥

ખરાખરો કીધો ગુરુએ ખાલી રે, પછી આપ્યો છે જમને ઝાલી રે ॥

એમ ચેલો ચાલ્યો જમ સાથે રે, અણકર્યું આવી પડ્યું માથે રે ॥૨૨॥

ફાંસીગરે ફાંસી નાખી કોટે રે, લીધો જમપુરે દડીદોટે રે ॥

શાહુકાર જાણી કર્યો સંગ રે, ખરો નીસર્યો દોંગાનો દંગ24 રે ॥૨૩॥

સમજ્યા વિના કર્યો સંગાથ રે, તેણે લૂંટાણો જાણો અનાથ રે ॥

કહ્યા જેવું તે કેને ન રહ્યું રે, એવું મંદભાગીને માથે થયું રે ॥૨૪॥

એમ ખબર વિના ખોટ્ય ખાધી રે, વણ વાંકે વળગી વરાધી25 રે ॥

મતિ હીણ તે મહાદુઃખ પામે રે, જે કોઈ ભ્રમી ચઢે ભૂર ભામે26 રે ॥૨૫॥

માટે મતિ પોતાની હોય થોડી રે, તો મળવું મોટાને માન મોડી27 રે ॥

પૂછી જોવી પંચને વારતા રે, મેલી મત પંથની મમતા રે ॥૨૬॥

સાચી વાત સાથે છે જો કામ રે, જેણે કરી જાય હરિધામ રે ॥

ખોટી વાતમાંહિ ખોટ્ય આવે રે, તે તો ભૂર28 વિના કેને ભાવે રે ॥૨૭॥

માટે સાચાને શોધવું સાચું રે, કલ્યાણમાં ન રાખવું કાચું રે ॥

સાચા સદ્‌ગુરુ સંતને સેવી રે, સર્વે વાતને સુધારી લેવી રે ॥૨૮॥

ફરી ફરી ન પડે ફરવું રે, એટલું તો અવશ્ય કરવું રે ॥

એ છે પોતાના હિતની વાત રે, સહુને સમજવું એ સાક્ષાત રે ॥૨૯॥

જેણે કરીને થાય જો જ્યાન29 રે, એવો સંગ ન કરવો નિદાન રે ॥

એમ કહ્યું મુક્તે મુમુક્ષુને રે, હોય સંશય તો પૂછજ્યે મુને રે ॥૩૦॥

 

ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે એકાદશો નિર્ણયઃ ॥૧૧॥

નિર્ણય 🏠 home ગ્રંથ મહિમા નિર્ણયઃ ૧ ★ નિર્ણયઃ ૨ ★ નિર્ણયઃ ૩ ★ નિર્ણયઃ ૪ ★ નિર્ણયઃ ૫ ★ નિર્ણયઃ ૬ ★ નિર્ણયઃ ૭ ★ નિર્ણયઃ ૮ ★ નિર્ણયઃ ૯ નિર્ણયઃ ૧૦ નિર્ણયઃ ૧૧ નિર્ણયઃ ૧૨ નિર્ણયઃ ૧૩ નિર્ણયઃ ૧૪ નિર્ણયઃ ૧૫ નિર્ણયઃ ૧૬ નિર્ણયઃ ૧૭ નિર્ણયઃ ૧૮ ★