કલ્યાણ નિર્ણય

નિર્ણયઃ ૨

દોહા

મુક્ત કહે સુણ્ય મુમુક્ષુ, સારા પૂછ્યા તેં પ્રશ્ન ॥

ઉત્તર એનો આપિયે, કાપિયે સંશય સઘન1 ॥ ૧ ॥

કલ્યાણ છે કૈક ભાત્યનાં, તેની જૂજવી જૂજવી જાત ॥

સર્વે કલ્યાણ સરખાં નહિ, તેની સાંભળી લે હવે વાત ॥ ૨ ॥

સાચું કે’તાં સંતાપ છે, ખોટું કહ્યામાં સઈ ખાટ્ય2

બેઉ પ્રકારે બાધ છે, મને વિચારું છું તેહ માટ્ય ॥ ૩ ॥

પણ જ્યારે પૂછ્યું તેં પ્રીતશું, ત્યારે આપશું ઉત્તર અનુપ ॥

કે’શું કલ્યાણની વારતા, સાચા સાચી શુદ્ધ સ્વરૂપ ॥ ૪ ॥

ચોપાઈ

ભેખ3 ભક્ત આ ભવમાં4 ઘણે રે, માન્યું કલ્યાણ પુણ્ય આપણે રે ॥

જે જે કરે છે જગમાં જન રે, વ્રત દાને માને શ્રેય મન રે ॥ ૫ ॥

કેને ચપટી ચૂર્ણ5 દેવાય રે, તેને પણ કલ્યાણ કે’વાય રે ॥

કેને પોષ6 ભરી પાય પાણી રે, તે પણ કલ્યાણ થવાનું જાણી રે ॥ ૬ ॥

કોઈ ભૂખ્યાને આપે ભોજન રે, તે પણ કલ્યાણ માનીને મન રે ॥

કોઈ વસન ભૂષણ આપે ગર્થ7 રે, તે પણ કલ્યાણ થાવાને અર્થ રે ॥ ૭ ॥

સોનું રૂપું આપે ત્રાંબા દાન રે, તે પણ કલ્યાણ કાજે નિદાન રે ॥

ગાય મહિષી8 ને ગજ9 બાજ10 રે, ધામ ધરાદિ કલ્યાણ કાજ રે ॥ ૮ ॥

કાશીએ જઈ લિયે કરવત11 રે, તે પણ કલ્યાણ થાવા તરત રે ॥

હિમાળે જઈ હાડને ગાળે રે, ગડે12 પૃથ્વીએ પિંડ પ્રજાળે13 રે ॥ ૯ ॥

કમળપૂજા14 ભૈરવ જપ15 ખાય રે, તે પણ કલ્યાણ સારુ કે’વાય રે ॥

કોઈ કરે તીર્થ વ્રત સ્નાન રે, કોઈ આપે છે સર્વસ્વ દાન રે ॥૧૦॥

કોઈ ધર્મ નીમ ટેક ધારે રે, જ્યારે કલ્યાણ કરવા વિચારે રે ॥

કોઈ કઠણ તપ કરે છે રે, થઈ ઉદાસી વન ફરે છે રે ॥૧૧॥

ફળ દળ કરે જળ આહાર રે, કરવા કલ્યાણનો નિરધાર રે ॥

એહ વિના ઉપાય હજારું રે, કરે છે સહુ કલ્યાણ સારુ રે ॥૧૨॥

પણ જેનો જેવો પરિશ્રમ રે, પામે કલ્યાણ માનો એ મર્મ રે ॥

કોઈ પામે અન્ન ધન ધામ રે, કોઈ પામે ગરાસ ને ગામ રે ॥૧૩॥

કોઈ પામે રાજ્ય સાજ સુખ રે, સુત કલત્ર16 નહિ દેહે દુઃખ રે ॥

એ પણ કલ્યાણ એક કે’વાય રે, સુખ માની રહ્યાં છે એમાંય રે ॥૧૪॥

કોઈ પામે અમરાવતી17 રે, તે પણ પૂર્ણ માને છે પ્રાપતી રે ॥

શિવ બ્રહ્માની પુરીને પામી રે, માન્યું પામ્યા પૂરણ ભાંગી ખામી રે ॥૧૫॥

એહ વિના બીજા બહુ લોક રે, પામી સમાવી બેઠા છે શોક રે ॥

પણ આત્યંતિક જે કલ્યાણ રે, તેની રીત ભાત જુદી જાણ રે ॥૧૬॥

તે તો હરિ હરિજનથી થાય રે, સાચું કલ્યાણ જેને કે’વાય રે ॥

સમજી લેજે તું એટલું સાર રે, નથી બીજો નિશ્ચે નિરધાર રે ॥૧૭॥

મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે18 કલ્યાણ રે ॥

તેહ વિના તો કોટિ ઉપાયે રે, આત્યંતિક કલ્યાણ ન થાયે રે ॥૧૮॥

જેમ રવિ વિનાની રાત રે, ન જાય ન થાય પ્રભાત રે ॥

તેમ પ્રગટ પ્રભુ મળ્યા પખી19 રે, નોય કલ્યાણ લેવું એ લખી રે ॥૧૯॥

તેહ વિના જો થાય કલ્યાણ રે, પડે જૂઠાં તો સર્વે પુરાણ રે ॥

ભવે ભેખ ભગત છે બહુ રે, સાવધાન થઈ મંડ્યા સહું રે ॥૨૦॥

મત20 પોતાને પુષ્ટિને અરથ રે, નવા નવા નિપજાવ્યા ગ્રંથ રે ॥

સર્વે પોતાનું કર્યું છે સાચું રે, કેણે રાખ્યું નથી વળી કાચું રે ॥૨૧॥

પણ કલ્યાણ પ્રભુની પાસ રે, તેહ વિના વલોવે છે છાસ રે ॥

એ છે સર્વે શાસ્ત્રનો મત રે, તે તો ન થાય કે દી અસત રે ॥૨૨॥

એમ સંત શાણા કહે છે રે, શ્રેય પ્રગટ પાસળે રહે છે રે ॥

એમ સર્વેનું છે સિદ્ધાંત રે, મો’રે મોટા ભાંગી ગયા ભ્રાંત રે ॥૨૩॥

જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે ॥

તેહ વિના તો કલ્યાણ કાચું રે, પામી પડવું પડે છે પાછું રે ॥૨૪॥

કૈક આ લોક સુખથી પડ્યા રે, કૈક પડ્યા સ્વર્ગ લોકે ચડ્યા રે ॥

કૈક હરપુરીથી21 હણાણા રે, કૈક ચંદ્રલોકથી પછડાણા રે ॥૨૫॥

કિયાં રહ્યું થયું એ કલ્યાણ રે, ભાગ્યું વચ્ચે વારિધિયે22 વા’ણ રે ॥

એ કલ્યાણ કામ ન આવે રે, જેને કાળ માયા મળી ચાવે23 રે ॥૨૬॥

જેને માથે છે મોટાં વિઘન રે, એવું કલ્યાણ મ માનો મન રે ॥

તન મનમાં વાત તોળીને24 રે, કરવું કલ્યાણ ખરું ખોળીને રે ॥૨૭॥

ભેખ લીધે ભલાઈ મ ભાળો રે, એહ ભૂલ્ય ભીંતરથી ટાળો રે ॥

મત મમતે રહ્યાં જે બંધાઈ રે, તેમાં કલ્યાણ ન મળે કાંઈ રે ॥૨૮॥

પરઘર મારી25 પેટ ભરે રે, પરસુત વિત્ત દારા હરે રે ॥

એમાં કે દિ’ મ માનો કલ્યાણ રે, જેમાં ખરી ખુવારી26 છે જાણ રે ॥૨૯॥

કહ્યું તમે જે પૂછ્યું’તું તેહ રે, એહ વાતમાં નથી સંદેહ રે ॥

સાચું માની લેજ્યે સાક્ષાત રે, કહી કલ્યાણની તને વાત રે ॥૩૦॥

 

ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે દ્વિતીયો નિર્ણયઃ ॥૨॥

 

 

Summary

  1. There are many types of kalyan attained through various means. One achieves higher realms, such as Kailas, Brahma-lok, Chandra-lok, etc. But people have fallen from these eventually. If, after reaching these realms, one can still fall, that cannot be called [atyantik] kalyan.
  2. Atyantik kalyan is permanent kalyan, from which one does not fall. This can only be achieved by the manifest God or a Sant who has met God (ભગવાનને મળેલા). It is important to know what મળેલા means. Brahmaswarup Yogiji Maharaj says in the Yogi Gita: What is meant by one who has met God? It means that he has attained communion with God. None of the paramhansas from 200 years ago (who had “met” Shriji Maharaj) are present today. If that were the case, then there would be no manifest God today since they are no longer alive. One who continues to spread the principles of Shriji Maharaj today can be said to still have “met” God, even if thousands of generations pass… the Gunatit Satpurush can be called ભગવાનને મળેલા.
  3. The diversity in philosophies and scriptures have occurred because people have spread what they believe to be kalyan and had scriptures written promoting these beliefs. However, the original scriptures (Ved, Puran, Gita, etc.) only promote that kalyan is possible through the manifest God.
  4. Kalyan is not necessarily through those who renounce (ભેખ, ત્યાગી) and one should not be deceived by them because they can be charlatans who simply wander to fill their stomach.
નિર્ણય 🏠 home ગ્રંથ મહિમા નિર્ણયઃ ૧ ★ નિર્ણયઃ ૨ ★ નિર્ણયઃ ૩ ★ નિર્ણયઃ ૪ ★ નિર્ણયઃ ૫ ★ નિર્ણયઃ ૬ ★ નિર્ણયઃ ૭ ★ નિર્ણયઃ ૮ ★ નિર્ણયઃ ૯ નિર્ણયઃ ૧૦ નિર્ણયઃ ૧૧ નિર્ણયઃ ૧૨ નિર્ણયઃ ૧૩ નિર્ણયઃ ૧૪ નિર્ણયઃ ૧૫ નિર્ણયઃ ૧૬ નિર્ણયઃ ૧૭ નિર્ણયઃ ૧૮ ★