યમદંડ

કડવું ૧૫

પૂર્વછાયો

વળી અભાગી જીવને, સૂઝે જ અવળાં કામ ॥

અઘમગમાં1 ચાલતાં, ક્યાંથી સુખને વિશ્રામ ॥ ૧ ॥

ડોડા ભૂંડા ખાધાં ખરા, ધાંખે કરી ધંતૂરાતણા ॥

ચડ્યો કેફ તેનો ચિત્તને, કહો કાંઈ રહે મણા? ॥ ૨ ॥

સુણો સહું આ લોકમાં, કરે નરનારી મળી પાપ ॥

કાળી ભૈરવ દેવ તામસી, જે જે નર પશુ મારી આપ ॥ ૩ ॥

માંસ ખાઈ પશુ મનુષ્યનું, થાય નર નારી પ્રસન્ન ॥

તેહ જાય જમપુરીએ, પડે રક્ષોગણ ભોજન ॥ ૪ ॥

માર્યા નર પશુ અવતરી, ત્યાં રાક્ષસના ગણ થાય ॥

જેમ ખાધું’તું માંસ એહનું, તેમ તેનું એહ જ ખાય ॥ ૫ ॥

જેમ એ નરનારીએ, કર્યું હતું નૃત્ય ને ગાન ॥

તેમનું તેમ રાક્ષસ કરે, ખાઈ માંસ કરી લોહીપાન ॥ ૬ ॥

ચોપાઈ

વળી આ લોકમાં અપરાધી રે, કરે પાપ ન કરે પારાધી2 રે ॥

આવે શરણ જીવવાને જન રે, આણી અતિ વિશ્વાસ મન રે ॥ ૭ ॥

એવા વન ગામના જીવ જેહ રે, આવે જીવવા આશરે તેહ રે ॥

તેને શૂળ કે સૂત્રની3 ફાંસી રે, તેણે કરીને માર્યાં વિશ્વાસી રે ॥ ૮ ॥

પછી મરી જમપુર જાય રે, તેને જમદૂત પ્રોવીને ખાય રે ॥

આપે દુઃખ નાપે અન્નપાણી રે, આવે મૂરછા બંધાય વાણી રે ॥ ૯ ॥

પડે પૃથવી ઉપર આપ રે, ત્યારે સંભારે પોતાનાં પાપ રે ॥

ભાયો4 ક્યાંથી કર્મ આવાં કીધાં રે, ક્યાંથી જેને તેને દુઃખ દીધાં રે ॥૧૦॥

એમ કહી પોકારે છે પ્રેત રે, પછી પડે ભૂમિએ અચેત રે ॥

પડ્યો જાણી આવે પંખી ઝટ રે, લોહ ચાંચવાળાં કંક5 બટ6 રે ॥૧૧॥

તે તો તોડી તોડી તન ખાય રે, પાપી પીડાય પ્રાણ ન જાય રે ॥

એમ બહુ ભાતે દુઃખ ભોગવે રે, નોખા કષ્ટ કુંડ નવાનવે રે ॥૧૨॥

નાવે અંત અત્યંત દુઃખનો રે, નહિ લવલેશ ત્યાં સુખનો રે ॥

વળી આ લોકે નર જે તીખા રે, સ્વભાવ છે સર્પના સરીખા રે ॥૧૩॥

જેને તેને દિયે બહુ દુઃખ રે, જેથી ન હોય કોઈને સુખ રે ॥

પછી મરી જમપુર જાય રે, પડે દંદશૂક નરક માંય રે ॥૧૪॥

સુણો ભાઈ એ નરકની વાત રે, મુખ જંતુનાં પાંચ વા સાત રે ॥

અતિ કરડકણાં કરાળ રે, જાણું પાપી પ્રાણી તણો કાળ રે ॥૧૫॥

ખાઉં ખાઉં ખાઉં એમ કરે રે, વણ વપુએ વડચકાં7 ભરે રે ॥

તીખી દાઢો દીસે દુઃખદાઈ રે, એવા જંતુ એ નરકની માંઈ રે ॥૧૬॥

ઉગ્ર સ્વભાવવાળાને એહ રે, તર્ત ગળી જાય જંતુ તેહ રે ॥

પામે પીડા અતિ તિયાં ભારી રે, માટે કરવાં કર્મ વિચારી રે ॥૧૭॥

વળી આ લોકમાં જે અભાગી રે, દિયે પરને દુઃખ દયા ત્યાગી રે ॥

ખાડા કોઠલા ગુફા અંધારી રે, બીલ8 ભોમ જેમાં તમ ભારી રે ॥૧૮॥

ઘર દર માંહી જીવ રૂંધી રે, મૂકે આગ્ય ધૂમ ત્યાં કુબુદ્ધિ રે ॥

પછી તે પાપી પરલોક પામી રે, પડે અવટરોધને હરામી રે ॥૧૯॥

ઝેર સહિત અગ્ન ધૂમાડે રે, રોકી એવે સ્થળે રોળ પાડે રે ॥

ઈયાં જીવે કર્યાં પાપ જેમ રે, દિયે દંડ ત્યાં તેમનો તેમ રે ॥૨૦॥

નથી અધિક ઓછું કરતા રે, રહે છે પ્રભુના ડરથી ડરતા રે ॥

નથી ડરતો એ નર અભાગી રે, દુઃખ લિયે છે મુખથી જો માગી રે ॥૨૧॥

વળી આ લોકે અભાગી નર રે, બાંધી બેઠા છે આશ્રમ ઘર રે ॥

આવે આંગણે અતિથિ રાજ રે,અભ્યાગત અન્ન જળ કાજ રે ॥૨૨॥

તે શું ક્રોધ કરી તતકાળ રે, કરે કરડી દૃષ્ટ કરાળ રે ॥

અન્ન જળ જરાય ન આપે રે, સામું ક્રોધ કરીને સંતાપે રે ॥૨૩॥

પછી જ્યારે પામે પાપી મૃત્ય રે, પડે નરકે નામ પર્યાવ્રત રે ॥

તિયાં વજ્ર જેવાં ચાંચવાળાં રે, ગીધ કંક બટ જે રિસાળાં રે ॥૨૪॥

ઝાલી બળે મારી ચાંચો પાંખો રે, કાઢી લિયે છે પાપીની આંખ્યો રે ॥

ડોળા કાઢી લિયે દિયે માર રે, તેણે ચાલે છે રુધિરધાર રે ॥૨૫॥

તેણે ભીંજાય મુખ શરીર રે, એવે દુઃખે રહે કેમ ધીર રે ॥

એમ દિયે છે દંડ અપાર રે, સહે એવા પાપ કરનાર રે ॥૨૬॥

સારું સુંદર નરતન પામી રે, કર્યાં પાપ રાખી નહિ ખામી રે ॥

આવ્યા સમૂહ તેના સામટા રે, જેમ આવે ઘન ચડી ઘટા રે ॥૨૭॥

વળી આલોકે કરી અનર્થ રે, બહુ પાપે કરી મેળ્યું ગર્થ9 રે ॥

પામે ધન વાધે અભિમાન રે, જાણે નહિ કોય મુજ સમાન રે ॥૨૮॥

ધનમદે બોલે વાંકાં વેણ રે, થયો દુર્બળને દુઃખદેણ રે ॥

ધન ખરચતાં ખરખરો ઘણો રે, રાખે ભય રાજા ચોર તણો રે ॥૨૯॥

મેળ્યું ધન જક્ષના10 સમાન રે, નાપ્યું તેમાંથી કોડી દાન રે ॥

અભ્યાગત વિપ્ર ને કલોઈ11 રે, તેને અર્થે નાવ્યો દામ કોઈ રે ॥૩૦॥

મેળ્યું ધન કેવળ કરી પાપ રે, તે ન ખરચ્યું ન ખાધું આપ રે ॥

પછી ધન તન તજી તેહ રે, જાય જમપુરીમાંહી એહ રે ॥૩૧॥

તેને નાખે સૂચિમુખ નરકે રે, પામે દુઃખ પાપી બહુ બરકે12 રે ॥

જમદૂત દરજીની પેઠ્યે રે, એનું તન સીવી બહુ ગંઠ્યે રે ॥૩૨॥

ચીરી ચામડી સોએ સીવે છે રે, મુવા સરીખો થઈ જીવે છે રે ॥

સર્વે લોભનો લાભ દેખાડી રે, એક સીવે બીજો નાખે ફાડી રે ॥૩૩॥

એમ બહુવિધિ આપે છે દુઃખ રે, તેહ ન કહેવાય ભાઈ મુખ રે ॥

સુણી સર્વે પુરાણે અશેષ રે, કહ્યાં નરક એમ અઠ્ઠાવીશ રે ॥૩૪॥

એહ વિના બીજા છે અપાર રે, સોએ સો ને હજારે હજાર રે ॥

પાપી જીવને પીડવા કાજે રે, ધર્મરાયને રાખ્યા મહારાજે રે ॥૩૫॥

જેણે જેવી કરી છે કમાણી રે, તેને ભોગવાવે તેવી જાણી રે ॥

સંયમિનીને દક્ષિણ દ્વાર રે, નરક અગણિત છે અપાર રે ॥૩૬॥

જેણે જેવાં કર્યાં હોય પાપ રે, તેવે નરક પડે પ્રાણી આપ રે ॥

પડે સર્વે નરકે અધર્મી રે, હોય નર વા નારી વિકર્મી રે ॥૩૭॥

નથી વાત જૂઠી એહ જાણો રે, સર્વે સાચી પુરાણે પ્રમાણો રે ॥

તેને અર્થે કરે છે ઉપાય રે, દાન પુણ્ય વ્રત કહેવાય રે ॥૩૮॥

એહ દુઃખને ટાળવા કાજ રે, કરે ઉપાય રંક ને રાજ રે ॥

પણ પાપીનો સંગ નડે છે રે, તેણે કરી નરકમાં પડે છે રે ॥૩૯॥

ખોટી દિશના દેખાડનાર રે, છે આ જગમાંઈ અપાર રે ॥

તેના સંગને નથી તજતા રે, શુદ્ધ થઈ નથી હરિ ભજતા રે ॥૪૦॥

આપ પાપે કરી નરક એહ રે, ભોગવે છે અનુક્રમે તેહ રે ॥

તેમ ધર્મ અનુક્રમે જીવ રે, જાય સ્વર્ગાદિ લોકે સદૈવ રે ॥૪૧॥

કેટલાક નરકેથી નીસરે રે, કેટલાક નરક માંય ગરે રે ॥

એમ કૈક સ્વર્ગથી પડે છે રે, કૈક સ્વર્ગાદિ લોકે ચડે છે રે ॥૪૨॥

એમ કરતાં વધે પુણ્ય પાપ રે, તેણે ફરે ચોરાશીમાં આપ રે ॥

એમ રચી રહ્યો છે અખાડો રે, પ્રભુ ભજ્યા વિના છે પવાડો13 રે ॥૪૩॥

ભજો હરિ તજી બીજી વાત રે, તો ટળે માથેથી જમઘાત રે ॥

પ્રભુ ભજ્યા વિના એનો પાર રે, નથી આવતો જાણો નિરધાર રે ॥૪૪॥

સાચા સંતનો સંગ કરીને રે, ભજો ભાવે કરીને હરિને રે ॥

જો કોઈ ઇચ્છો એ ટાળવા દુઃખ રે, રહો શ્રીહરિને સનમુખ રે ॥૪૫॥

જે એ દુઃખ કહ્યાં કથી કથી રે, તે તો હરિજન પર નથી રે ॥

માટે હરિજન સહુ થાઓ રે, શીદ જમપુરીમાંહી જાઓ રે ॥૪૬॥

મો’રે મોટા મોટા જો વિચારી રે, થયા ભકત પ્રભુજીના ભારી રે ॥

રાજ સાજ સુખ ને સંપત્તિ રે, તજી ભજ્યા પ્રભુ પ્રાણપતિ રે ॥૪૭॥

તે તો એ દુઃખ ટાળવા કાજ રે, મેલ્યો સર્વ સુખનો સમાજ રે ॥

સુખ મૂકીને દુઃખને લેવું રે, તે તો ન ગમે કોઈને એવું રે ॥૪૮॥

પણ જમપુરીનાં દુઃખ જાણી રે, ખરી પ્રતીત મનમાં આણી રે ॥

તૈયે મેલી દીધો એ મારગ રે, પછી સુખમારગે ભર્યા પગ રે ॥૪૯॥

માટે સહુને જોવું તપાસી રે, નથી આગળ ખેલ14 ને હાંસી રે ॥

કહે નિષ્કુળાનંદ નિરધાર રે, કરવો સહુને એનો વિચાર રે ॥૫૦॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ