યમદંડ

કડવું ૧૮

પૂર્વછાયો

સદમતિ સહુ સાંભળો, મેં કહ્યું કુસંગનું રૂપ ॥

અસત્ય નથી એમાં અણુ, છે તેમ જ તે તદરૂપ ॥ ૧ ॥

વિષ વ્યાળ વેરી થકી, કહો સુખ પામે કુણ ॥

અનેક જુગ વીત્યા વીતશે, તોય તેમાં તેના તે ગુણ ॥ ૨ ॥

તેમ કૃતઘની નરથી, પ્રાણી પામે દુઃખ અપાર ॥

તેનું આશ્ચર્ય નહિ કશું, નિશ્ચય જાણો નિરધાર ॥ ૩ ॥

વળી કહ્યું મેં સતસંગથી, મટી જાય છે મહાદુઃખ ॥

કહુ રૂપ હવે તેહનું, જેથી જીવને થાય છે સુખ ॥ ૪ ॥

ચોપાઈ

સુણો સર્વે હવે નર નાર, કહું સત્સંગનું રૂપ સાર ॥

અતિ મહિમા જેનો છે અપાર, કહેતાં કોઈ પામે નહિ પાર ॥ ૫ ॥

શેષ મહેશ ને સરસ્વતી, ગુણ ગાય જેના ગણપતિ ॥

વળી શ્રીહરિ શ્રીમુખે કરી, ગાય સંતના જશ શ્રીહરિ ॥ ૬ ॥

શોધી જોતાં સંતની સમાન, નથી ત્રિલોકે વસ્તુ નિદાન ॥

કલ્પતરુ કામધેનુ જેહ, શુદ્ધ પારસ ચિંતામણિ તેહ ॥ ૭ ॥

નવ નિધિ સિદ્ધિ સર્વે મળી, એહ આદિ સમૃદ્ધિ સઘળી ॥

શોધી જોતાં એ સર્વેનું સાર, સુખ અલ્પ ને દુઃખ અપાર ॥ ૮ ॥

તે તો સંત સમ તોલ નાવે, જેના જશ નિગમ નિત્ય ગાવે ॥

એવા સંત સહુના સુખકારી, જેના હૃદામાં રહ્યા મુરારી ॥ ૯ ॥

શુભ ગુણના સદન સંત, તેનો મહિમા મોટો છે અત્યંત ॥

પરમારથી પુણ્ય પવિત્ર, નહિ શત્રુતા સહુના મિત્ર ॥૧૦॥

કહિયે દિલના દયાળુ એને, ક્ષમા કરવાનો સ્વભાવ જેને ॥

સર્વે જીવના છે હિતકારી, શીત ઉષ્ણ સહે દુઃખ ભારી ॥૧૧॥

કેના ગુણમાં અવગુણ ન ગોતે, શાંત સ્વભાવવાળા છે પોતે ॥

નથી શત્રુ જેને જગમાંય, વળી વર્તે છે વણ ઈરષાય ॥૧૨॥

નથી કેને ઉપર જેને વેર, માને રહિત મને અતિ મે’ર ॥

મત્સર નહિ સહુનું સહેવું, ઘટે બીજાને તેમ માન દેવું ॥૧૩॥

સત્યરૂપ સૌને લાગે પ્યારી, એવી વાણી બોલે છે વિચારી ॥

કામ ક્રોધ લોભ મોહ જીતી, નથી કોય મદપર પ્રીતિ ॥૧૪॥

વળી દેહમાંહી અહંબુદ્ધિ, પદારથ જે દેહના સંબંધી ॥

તેમાંથી અહંમમતનો ત્યાગ, સ્વધર્મમાં દૃઢ અનુરાગ ॥૧૫॥

દંભે રહિત દયાના ભંડાર, સદા પવિત્ર ભીતર ને બા’ર ॥

વળી દેહ ઇન્દ્રયો દમનાર, સરલ સ્વભાવ અતિ ઉદાર ॥૧૬॥

જીતી છે ઇન્દ્રયો સર્વે જાણો, વળી પ્રમાદ રહિત પ્રમાણો ॥

સુખ દુઃખ માન અપમાન, હર્ષ શોક લાભ વળી જ્યાન ॥૧૭॥

તેણે કરી પરાભવ પામી, ધીરજતામાં ન આવે ખામી ॥

કર્મ ઇન્દ્રિયોનું ચપળપણું, ટાળ્યું છે જ્ઞાન ઇન્દ્રિયોતણું ॥૧૮॥

નિજધર્મ અનુસારે આવે, તેણે કરીને દેહ નિભાવે ॥

તે વિના અધિક પદારથ, ન સંગ્રહે જાણી અનરથ ॥૧૯॥

વળી બીજાને બોધ કરવા, અતિ ચતુર અજ્ઞાન હરવા ॥

માને પોતાને આતમારૂપ, તેમાં નિષ્ઠા અતિશે અનૂપ ॥૨૦॥

યથા યોગ્ય જીવની ઉપર, કરે ઉપકાર બહુ પેર ॥

કોય પ્રકારનો ભય નથી, નથી ડરતા કોઈના ડરથી ॥૨૧॥

અપેક્ષા પદારથ કોઈની, નથી ઇચ્છા સુખદ સોયની ॥

દ્યૂતાદિક વ્યસને રહિત, સદા વર્તે છે શ્રદ્ધા સહિત ॥૨૨॥

અતિ ઉદાર સ્વભાવે યુક્ત, તપ કરવા નિષ્ઠા એવા મુક્ત ॥

ન કરે કોઈ પ્રકારનું પાપ, ત્યાગે વાત ગ્રામ્યકથા1 આપ ॥૨૩॥

પંચ વિષયની આસક્તિ ટળી, આસ્તિક મતિવાળા છે વળી ॥

સત્યાસત્યના વિવેક યુક્તે, મદ્ય માંસાદિ કે દી ન ભુક્તે ॥૨૪॥

સતશાસ્ત્ર સુણવા વ્યસન, દૃઢ વ્રત ધાર્યા જેણે મન ॥

ચાડી ચોરી કેદિયે ન કરે, હેરુપણું2 પરું પરહરે ॥૨૫॥

છાની વાત કોઈની જો હોય, બીજા આગળ ન કહે સોય ॥

જીતી નિદ્રાને જીત્યો આહાર, એવા સંત સદાય ઉદાર ॥૨૬॥

જેવું મળે પદારથ જ્યારે, સદા સંતોષ રહે છે ત્યારે ॥

નિજધર્મ વિષે બુદ્ધિ ઠેરી,3 હિંસા રહિત વૃત્તિ જેહ કેરી ॥૨૭॥

પદારથની તૃષ્ણાને ટાળી, થાય પોતાને સુખદુઃખ વળી ॥

તેમ પારકું સુખદુઃખ જાણે, પોતાને થાય તે પરમાણે ॥૨૮॥

સતશાસ્ત્ર પાડે જેની નાજ, તે ન થાય આવે અતિ લાજ ॥

ન કરે પોતે પોતાનાં વખાણ, ન કરે બીજાની નિંદા સુજાણ ॥૨૯॥

સત્યશાસ્ત્રે કહ્યા નિષ્કામ, બ્રહ્મચર્ય વ્રતધારી નામ ॥

અષ્ટ પ્રકારે પાળે છે એહ, જથારથ જાણી લિયો તેહ ॥૩૦॥

યમ નિયમ જુક્ત છે એ જન, જેણે જીત્યાં છે સર્વે આસન ॥

પ્રાણવાયુને જીત્યો છે જેણે, પ્રીત શ્રીહરિમાંય છે તેણે ॥૩૧॥

શ્રીહરિનાં જે ચરણ કમળ, તેનો દૃઢ આશ્રય અચળ ॥

શ્રીકૃષ્ણની ભક્તિપરાયણ, સદા રહે છે દિવસ રયણ4 ॥૩૨॥

કરે કૃષ્ણ અર્થે ક્રિયા સર્વ, તજી માન મોટાઈ ને ગર્વ ॥

શ્રીકૃષ્ણ અવતાર ચરિત્ર, હરખે સુણે શ્રવણે પવિત્ર ॥૩૩॥

અવતારચરિત્રનું ગાન, કરે કીર્તનને તે નિદાન ॥

કૃષ્ણમૂર્તિનું કરે છે ધ્યાન, તે પરાયણ છે જેનું તાન ॥૩૪॥

હરિભક્તિ વિના કોઈ કાળ, નથી ખોતા5 એવા છે દયાળ ॥

નિત્ય નારાયણને ભજે છે, અન્ય વાસના સર્વે તજે છે ॥૩૫॥

એવાં લક્ષણે યુક્ત જે સંત, સત્પુરુષ કે’વાય મહંત ॥

એહ આદિ શુભ ગુણ જેહ, હોય સાચા સંતમાંહી તેહ ॥૩૬॥

એવા સદગુણે જે સંપન્ન, તેને કહિયે સાચા સંતજન ॥

એવા સાચા સંત હોય તિયાં, હોય પ્રગટ શ્રીહરિ જિયાં ॥૩૭॥

હરિ હોય તિયાં હરિજન, સતસંગની રીત પાવન ॥

કાં તો મળે હરિ ધરી તન, કાં તો મળે તેના મળ્યા જન ॥૩૮॥

સતસંગ એ ઉભય6 કહિયે, તેહ વિના કલ્યાણ ન લહિયે ॥

કહી રીત એ સતસંગ તણી, જથારથ જાતી નથી ભણી7 ॥૩૯॥

સંત સદા નિર્ભય નિશ્ચિંત, જેને પ્રગટ પ્રભુશું પ્રીત ॥

સાક્ષાત હરિના સુખ માંય, રહ્યા અચળ પર્વતપ્રાય ॥૪૦॥

હરિ અમલમાં8 હરે ફરે, કોટિ જીવનાં કલ્યાણ કરે ॥

કૃષ્ણચરણમાં માન્યું ચિત્ત, બીજે રહી નહિ જેની પ્રીત ॥૪૧॥

શ્યામસુખમાં રહ્યા સમાઈ, તેણે મગન ઘણું મનમાંઈ ॥

અનુભવે અમલમાં બોલે, જાણે પિંડ બ્રહ્માંડ તૃણતોલે ॥૪૨॥

સુખ સંસારી જે જે કે’વાય, તેને સ્વપ્ને પણ ન ચહાય ॥

નર નિર્જરનાં9 સુખ જે છે, ઈશ અજનાં સુખને ન ઇચ્છે ॥૪૩॥

એક રાધિકાપતિ શ્રીકૃષ્ણ, તેને પામીને રહ્યા છે પ્રષ્ણ10

એવા સંત સુખિયા છે સરે,11 મળે જેને તેનાં કાજ કરે ॥૪૪॥

એહ સતસંગ સુણો ભાઈ, તે હોય જુગો જુગની માંઈ ॥

એહ મળે ટળે જમત્રાસ, પાછો આવે નહિ ગર્ભવાસ ॥૪૫॥

મળે એવો સમાગમ જ્યારે, જીવ નિર્ભય થાય છે ત્યારે ॥

સુખી થાવા સંતસમાગમ, નિશ્ચે કહે છે એમ નિગમ ॥૪૬॥

એવા હોય સાચા જિયાં સંત, તિયાં હોય પોતે ભગવંત ॥

તેહ વિના ન હોય એવી રીત, સર્વે લોક થકી જે પુનિત ॥૪૭॥

એમ સમજી સમાગમ કરિયે, તો જન્મ મરણથી તરિયે ॥

મટે માથેથી જમનો માર, આવે સર્વે દુઃખનો તે પાર ॥૪૮॥

એહ વિના નથી જો ઉપાય, જેણે જન્મમરણ દુઃખ જાય ॥

સાર માંહી વાત એ છે સાર, તે તો કહી દેખાડી કઈ વાર ॥૪૯॥

કહે નિષ્કુળાનંદ એમ સત્ય, કહી સતસંગની વિગત્ય ॥

સુખી થાવા જીવને એ ઠામ,12 તેહ વિના નથી વિશ્રામ ॥૫૦॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ