યમદંડ

કડવું ૨૦

પૂર્વછાયો

જૂજવી રીતે જીવને, કહ્યાં જમપુરીનાં દુઃખ ॥

હરિજન મગન રહેજ્યો, એ તો ભોગવશે વિમુખ ॥ ૧ ॥

પ્રભુ વિમુખ પ્રાણિયો, જો કરે કોટિ ઉપાય ॥

દુઃખ માથેથી મટે નહિ, જરૂર જમપુર જાય ॥ ૨ ॥

ભૂલી દિશ ભગવાનની, અને લીધી બીજી વાટ્ય1

તેમાં જેટલું ચોંપે ચાલશે, તેટલી ખોટ્ય નહિ ખાટ્ય2 ॥ ૩ ॥

સમર્થના શરણ વિના, કુશળ ક્યાં થકી હોય ॥

આપબળે નવ ઊગરે, જેમ સિંધુ તરવો સોય ॥ ૪ ॥

જે જન્મ મરણ જીવને, દુઃખનો ભર્યો દરિયાવ ॥

લે’રી પેઠે3 લય ઉત્પત્તિ, ઊપજે સહજ સ્વભાવ ॥ ૫ ॥

જનમ મરણ જ્યાં લગી, ત્યાં લગી જમનું જોર ॥

જમ આવે તિયાં જાણજ્યો, કહ્યાં દુઃખ જે કેડામો’ર4 ॥ ૬ ॥

જેને માથે છે મરવું, તોય ન ડરવું નિરધાર ॥

તેહ જ મૂરખ મંદમતિ, અતિ ગાફલ કહિયે ગમાર ॥ ૭ ॥

શું થયું શિયાણો થયે, શું થયું થયો ચતુર ॥

ડાહ્યા સમજુએ શું થયું, જો હરિ ન રાખ્યા ઉર ॥ ૮ ॥

પ્રભુ વિમુખ નર પરાક્રમે, જો હોય જગ જાણિત ॥

અનેક ગુણને આશરે, પણ જમપુરે જાવા રીત ॥ ૯ ॥

જમ આવે જેને તેડવા, કહુ તેના તનની રીત ॥

અચેત મરે અસાધ્યમાં, જેને પ્રભુ સાથે નહિ પ્રીત ॥૧૦॥

ચોપાઈ

જેને આવે લેવા જમરાણ રે, તેનાં ઓળખાવું હું એંધાણ રે ॥

જમ જોરે કાઢે એનો પ્રાણી રે, સર્વે નાડી અનાડીની તાણી રે ॥૧૧॥

ત્યારે સજડ થાય શરીર રે, લોહલાઠ્ય સરખું અચીર રે ॥

જેમ ન વળે સૂકું લક્કડ રે, એમ અંગ થાય છે અક્કડ રે ॥૧૨॥

તે તો જમદૂત જોરે કરી રે, લિયે પાપી તણા પ્રાણ હરી રે ॥

પછી હાથ પગ જેમ હોય રે, વાળ્યા વળે નહિ વળી સોય રે ॥૧૩॥

આંખ્ય મુખ ફાટ્યું રહી જાય રે, પાછું બીડતાં તે ન બીડાય રે ॥

નાડી તણાઈ સરવે ત્રૂટે રે, ગુદા શિષ્નુ તણા બંધ છુટે રે ॥૧૪॥

થાય મળ મૂત્ર ને મગન રે, તેણે ખરડ્યે બગડે તન રે ॥

હાયવોય કરતો તે મરે રે, થઈ વ્યાકુળ વલખાં કરે રે ॥૧૫॥

સુત દારા મારાં શું કરશે રે, મુજ વિના દુઃખી થઈ મરશે રે ॥

એમ આળપંપાળમાં મરે રે, જેના જમ જોરે પ્રાણ હરે રે ॥૧૬॥

આવે જમ તેડવા જેને રે, થાય જેમ કહ્યું તેમ તેને રે ॥

વળી હોય કોઈ વાસનાવાન રે, નાવે જમને હાથ નિદાન રે ॥૧૭॥

તર્ત ભૂત પ્રેત તન ધરે રે, તે પણ નરકથી નરસું સરે રે ॥

નદી કૂવા વાવ્ય તળાવે રે, તિયાં જળ પીવાને જો જાવે રે ॥૧૮॥

ન દિયે પીવા વરુણની ચોકી રે, મરે પ્યાસે રાખ્યા ઘાટ રોકી રે ॥

પછી અશુદ્ધ જળને ગોતે રે, તેહ વિના ન પીવાય ભૂતે રે ॥૧૯॥

પિયે ગુદા ધોયાનું પાણી રે, અતિશય અશુદ્ધ એ જાણી રે ॥

કાં તો લિંગ ભગ ધોયું તોય રે, ભૂત પ્રેતને પીવાનું સોય રે ॥૨૦॥

નરક થકી નરસું છે જેમાં રે, જાણી જમ મૂકી દિયે તેમાં રે ॥

એમ હરિ વિમુખને દુઃખ રે, જિયાં જાય તિયાં નહિ સુખ રે ॥૨૧॥

એમ ભૂત પ્રેત નર નાગ રે, પ્રભુ વિમુખનાં ભૂંડાં ભાગ્ય રે ॥

કાં તો અતિપાપી તન પામી રે, કરે પાપ રાખે નહિ ખામી રે ॥૨૨॥

ભાવું ભીલ કસાઈ કલાર રે, પારાધી ફાંસિયા મચ્છીમાર રે ॥

મહામ્લેચ્છ છે પાપનું મૂળ રે, મારે જીવ અહોનિશ અતુળ રે ॥૨૩॥

તે તો મરી જમપુર જાય રે, પછી સદા રહે નરકમાંય રે ॥

કોઈ કાળે ન નીસરે બા’ર રે, જેણે કર્યાં છે પાપ અપાર રે ॥૨૪॥

આવે અભાગ્યે મનુષ્યનો વારો રે, નાવે જીવતો ગર્ભથી બા’રો રે ॥

કાં તો ગળી જાય ગર્ભમાંય રે, કાં તો સંકટમાં સ્રવી જાય રે ॥૨૫॥

કાં તો કાઢે ઉદરથી કાપી રે, નાવે ગર્ભથી જીવતો પાપી રે ॥

એમ જન્મોજન્મ વેરેવેરે રે, ખુવે મનુષ્ય આયુષ્ય એ પેરે રે ॥૨૬॥

પણ મનુષ્ય દેહનું જે સુખ રે, પામે નહિ પ્રભુના વિમુખ રે ॥

એવી અતિ અધર્મની રીત રે, કહું બીજી સુણો દઈ ચિત્ત રે ॥૨૭॥

નાના મોટા હોય નામધારી રે, જેની નવ ખંડે નામના ભારી રે ॥

મર આ જગે હોય જાણીત રે, પણ સર્વે તણી એક રીત રે ॥૨૮॥

વિદ્યા ગુણ પેચ પરાક્રમ રે, નો’ય બીજો કોઈ એહ સમ રે ॥

સર્વ વાતનું કહી દેખાડે રે, પણ જમ આગે એક પાડે રે ॥૨૯॥

એમ સાંભળ્યું શાસ્ત્ર સઘળે રે, એવે ગુણે જમત્રાસ ન ટળે રે ॥

હરિ વિના મૃત્યુને ન તરે રે, સાચી વાત માનજ્યો એ સરે રે ॥૩૦॥

કોઈ પઢે સર્વે પુરાણ રે, કા’વે સર્વે લોકમાં સુજાણ રે ॥

કરી વાતે ડોલાવે બ્રહ્મંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૧॥

કોઈ કરે જગનને જાગ રે, આપે સર્વે અમરને ભાગ રે ॥

હોમે નર પશુ કરી પંડ રે, પણ ટળે નહિ જમ દંડ રે ॥૩૨॥

કોઈ પર્વતપરથી પડે રે, જ્યારે એવે વેગે મન ચડે રે ॥

મળે સુત વિત્ત રાજ્ય રંડ5 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૩॥

કોઈ ફરે તીરથ સઘળે રે, રહે નિત્ય નવે વળી સ્થળે રે ॥

જઈ જળમાં પખાળે પંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૪॥

કોઈ કરે વ્રત ઉપવાસ રે, જાય ઉત્તરે થઈ ઉદાસ રે ॥

જઈ ગાળે હિમાળામાં હંડ6 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૫॥

કોઈ ચારે કોરે અગ્નિ બાળી રે, બેસે વચ્ચમાં આસન વાળી રે ॥

માથે તપાવે જો માર્તંડ7 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૬॥

કોઈ અષ્ટાંગયોગને સાધે રે, એક આત્મારૂપ આરાધે રે ॥

રોકે પ્રાણ અપાન પ્રચંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૭॥

કોઈ ભણે વેદાંત અનુપ રે, જાણે જીવેશ્વરમાયાનું રૂપ રે ॥

જે તે સામો રોપે જઈ ઝંડ8 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૮॥

કોઈ વદે છે વ્યાકરણવાણ રે, સુણી સહુ કરે પ્રમાણ રે ॥

બોલે મુખથી શુદ્ધ અખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૯॥

કોઈ કવિ થઈ કાવ્ય જોડે રે, કોઈ કરે જ્ઞાન ગપોડે9 રે ॥

જાણું ભેદી જાશે આ બ્રહ્મંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૦॥

કોઈ સઉથી થઈ ઉદાસી રે, લિયે કરવત જઈ કાશી રે ॥

મરે જળે બૂડી ભરી ભંડ10 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૧॥

કોઈ સતી પતિ કેડે થાય રે, કોઈ જીવતાં ભૂમાં સમાય રે ॥

એમ પરાણે કરે પ્રાણ છંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૨॥

કોઈ ત્યાગી થઈ વસે વન રે, ફરે નગન ન ખાય અન્ન રે ॥

સહે શીત ઉષ્ણ પીડા પંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૩॥

કોઈ સા’ય11 કરે સિદ્ધિ અષ્ટ રે, પામે નિધિ કરી બહુ કષ્ટ રે ॥

જાય ઇચ્છે તે લોકમાં ઊંડ12 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૪॥

કોઈ જંત્ર મંત્રને વખાણે રે, બહુ નાટક ચેટક જાણે રે ॥

જાણે બહુ પ્રપંચ પાખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૫॥

કોઈ આપે સર્વસ્વ દાન રે, વાધે કીર્તિ કર્ણ સમાન રે ॥

પડે ખબર સરવે ખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૬॥

કોઈ શૂરા પૂરા સંગ્રામે રે, વડા વેરીથી હાર ન પામે રે ॥

કરે શત્રુ સેનાને વિખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૭॥

સ્વર્ગ મૃત્યુ પાતાળમાં જશે13 રે, વ્યાપી રહ્યો સહુથી સરસ રે ॥

હોય નર નારી વા ષંડ14 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૮॥

એવી રીત કિયાં લગી કહું રે, કે’તાં કે’તાં તે પાર ન લહુ રે ॥

અંતે પડે તે નરકને કુંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૯॥

એમ કહે છે સર્વે પુરાણ રે, સુણી સમજી લેજ્યો સુજાણ રે ॥

નથી મુખની વાત મેં લખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ॥૫૦॥

જો આપ બળે સિંધુ તરાય રે, નાવ શોધવા તો શીદ જાય રે ॥

હોય પોત15 પાર થાય સુખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ॥૫૧॥

જેમ અર્ક વિના અંધારું રે, કરે ટાળવા ઉપાય હજારું રે ॥

ઉલેચતાં તમ થાય દુઃખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ॥૫૨॥

સર સરિતા સાગર સોય રે, ઘન વિના સૂક્યાં સહુ કોય રે ॥

એહ એંધાણ લેવું ઓળખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ॥૫૩॥

એમ સો વાતની વાત એક રે, સમજુ હોય તે સમજો વિવેક રે ॥

મમતે ન થાવું મનમુખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ॥૫૪॥

યમદંડ નામે છે આ ગ્રંથ રે, તેમાં ચરણે ચરણે એ અર્થ રે ॥

લેવું પ્રકટ પ્રભુનું શરણ રે, ત્યારે ટળે જન્મ ને મરણ રે ॥૫૫॥

જન્મ મરણ તિયાં જમ જાણો રે, જમ આવે એ દુઃખ પ્રમાણો રે ॥

જાણો દુઃખ ટળી સુખ થાવું રે, ત્યારે પ્રગટ પ્રભુ પાસે જાવું રે ॥૫૬॥

કહ્યો છેલ્લો મેં એહ ઉપાય રે, હોય હરિ જુગો જુગ માંય રે ॥

તેને મળ્યે ટળે મહાદુઃખ રે, થાય શાંતિ પામે જીવ સુખ રે ॥૫૭॥

આદ્યે અંતે મધ્યે એહ વાત રે, સહુ સમજી લ્યો સાક્ષાત રે ॥

પ્રભુ મળ્યા વિના છે પાંપળાં16 રે, તજો તેને જાણીને ટાંપળાં17 રે ॥૫૮॥

કરો પ્રગટ પ્રભુ સાથે પ્રીતિ રે, તો જાઓ જગમાંહી જીતી રે ॥

નથી કઠણ વાત એ કાંઈ રે, સહુ સમજો એવી સુખદાઈ રે ॥૫૯॥

સાચા ખોટામાં સરખો શ્રમ રે, શીદ નથી જાણતા એ મર્મ રે ॥

જેમ દિશ મુવાડે18 મારગે રે, ચાલે સાંજથી સવાર લગે રે ॥૬૦॥

જેમ જેમ ચોંપેશું ચલાય રે, તેમ તેમ છેટું થાતું જાય રે ॥

તેમ પ્રભુજીને પૂઠ્ય દઈ રે, જીવ કરે છે ભગતિ કઈ રે ॥૬૧॥

તે તો નથી આવતી જો અર્થ રે, ઠાલો જન્મ ખુવે છે વ્યર્થ રે ॥

વણ સમજ્યે વેઠે છે દુઃખ રે, જે કોઈ હરિ થકી છે વિમુખ રે ॥૬૨॥

મટી વિમુખ સન્મુખ થાઓ રે, જાણી જોઈ કાં જમપુર જાઓ રે ॥

પોતે પોતાનું કરવું કાજ રે, સ્મરી શ્રીઘનશ્યામ મહારાજ રે ॥૬૩॥

અચળ એક આશરો એહ રે, એહ વાતમાં નથી સંદેહ રે ॥

તેહ વિના ન હોય ભવપાર રે, કહે નિષ્કુળાનંદ નિરધાર રે ॥૬૪॥

પદ

રાગ: ધોળ

પામ્યા પામ્યા રે ભવજળપાર, શ્રીહરિ સંત મળી.

  વામ્યાં વામ્યાં રે દુઃખ અપાર, શ્રીહરિ꠶ ॥ ૧ ॥

નામ્યાં નામ્યાં રે શીશ પ્રભુ પાય, શ્રીહરિ꠶

  જામ્યાં જામ્યાં રે સુખ ઉરમાંય, શ્રીહરિ꠶ ॥ ૨ ॥

સર્યાં સર્યાં રે સર્વે કાજ, શ્રીહરિ꠶

  ભર્યાં ભર્યાં રે અભરે19 આજ, શ્રીહરિ꠶ ॥ ૩ ॥

ઠર્યાં ઠર્યાં રે પામી સુખઠામ, શ્રીહરિ꠶

  કર્યાં કર્યાં રે પૂરણકામ, શ્રીહરિ꠶ ॥ ૪ ॥

ભાગ્યો ભાગ્યો રે ભવનો ભય, શ્રીહરિ꠶

  જાગો જાગો રે થઈ જિતજય, શ્રીહરિ꠶ ॥ ૫ ॥

ત્યાગો ત્યાગો રે મનની તાણ, શ્રીહરિ꠶

  માગો માગો રે પદ નિરવાણ,20 શ્રીહરિ꠶ ॥ ૬ ॥

લીધો લીધો રે પૂરણ લાવ, શ્રીહરિ꠶

  દીધો દીધો રે જમશિર પાવ,21 શ્રીહરિ꠶ ॥ ૭ ॥

કીધો કીધો રે જન્મ સફળ શ્રીહરિ꠶

  પીધો પીધો રે રસ અમળ22 શ્રીહરિ꠶ ॥ ૮ ॥

થઈ થઈ રે જગમાંય જીત, શ્રીહરિ꠶

  ગઈ ગઈ રે અન્યની પ્રતીત, શ્રીહરિ꠶ ॥ ૯ ॥

રહી રહી રે લાખેણી23 લાજ, શ્રીહરિ꠶

  સઈ સઈ રે વાત કહું આજ, શ્રીહરિ꠶ ॥૧૦॥

આવ્યો આવ્યો રે આજ આનંદ, શ્રીહરિ꠶

  ફાવ્યો ફાવ્યો રે ફેરો ફાટ્યા24 ફંદ, શ્રીહરિ꠶ ॥૧૧॥

ભાવ્યો ભાવ્યો રે સાચો સત્સંગ, શ્રીહરિ꠶

  નાવ્યો નાવ્યો રે અભાવ અંગ, શ્રીહરિ꠶ ॥૧૨॥

હર્યો હર્યો રે સર્વે સંતાપ, શ્રીહરિ꠶

  તર્યો તર્યો રે ભવજળ આપ, શ્રીહરિ꠶ ॥૧૩॥

કર્યો કર્યો રે સર્વેનો ત્યાગ, શ્રીહરિ꠶

  ઠર્યો ઠર્યો રે ઉર વૈરાગ, શ્રીહરિ꠶ ॥૧૪॥

જોયું જોયું રે જગમાં જરૂર, શ્રીહરિ꠶

  ખોયું ખોયું રે દુઃખડું દૂર, શ્રીહરિ꠶ ॥૧૫॥

મોહ્યું મોહ્યું રે મન જોઈ નાથ, શ્રીહરિ꠶

  પ્રોયું પ્રોયું રે ચિત્ત એહ સાથ, શ્રીહરિ꠶ ॥૧૬॥

દીધું દીધું રે દર્શન દાન, શ્રીહરિ꠶

  કીધું કીધું રે અમૃતપાન, શ્રીહરિ꠶ ॥૧૭॥

લીધું લીધું રે સુખ અપાર, શ્રીહરિ꠶

  સીધ્યું સીધ્યું25 રે કારજ આ વાર, શ્રીહરિ꠶ ॥૧૮॥

લાગ્યો લાગ્યો રે એ સંગે રંગ, શ્રીહરિ꠶

  ભાગ્યો ભાગ્યો અન્યથી ઉમંગ, શ્રીહરિ꠶ ॥૧૯॥

વાગ્યો વાગ્યો રે જીતનો ડંક, શ્રીહરિ꠶

  ત્યાગો ત્યાગો રે જૂઠી જગશંક, શ્રીહરિ꠶ ॥૨૦॥

લીધી લીધી રે શ્યામળે મારી સાર, શ્રીહરિ꠶

  કીધી કીધી રે વાલે મારી વા’ર, શ્રીહરિ꠶ ॥૨૧॥

દીધી દીધી રે મોજ અનુપ, શ્રીહરિ꠶

  સીધી સીધી રે વાત સુખરૂપ, શ્રીહરિ꠶ ॥૨૨॥

મળી મળી રે મહાસુખ મોજ, શ્રીહરિ꠶

  દળી દળી રે જમદૂત ફોજ, શ્રીહરિ꠶ ॥૨૩॥

ટળી ટળી રે સર્વે ત્રાસ, શ્રીહરિ꠶

  બળી બળી રે અન્ય બીજી આશ, શ્રીહરિ꠶ ॥૨૪॥

વળી વળી રે રંગડાની રેલ્ય, શ્રીહરિ꠶

  ફળી ફળી રે સુફળ વેલ્ય, શ્રીહરિ꠶ ॥૨૫॥

ઢળી ઢળી રે ઢળી ગયો ઢાળ, શ્રીહરિ꠶

  પળી પળી રે ગયાં પંપાળ, શ્રીહરિ꠶ ॥૨૬॥

ટળ્યો ટળ્યો રે જમનો ત્રાસ, શ્રીહરિ꠶

  પળ્યો પળ્યો રે પરો ગર્ભવાસ, શ્રીહરિ꠶ ॥૨૭॥

મળ્યો મળ્યો રે સાચો સતસંગ, શ્રીહરિ꠶

  વળ્યો વળ્યો રે દિન રહ્યો રંગ, શ્રીહરિ꠶ ॥૨૮॥

હુવો હુવો રે જય જયકાર, શ્રીહરિ꠶

  જુવો જુવો રે સુખ અપાર, શ્રીહરિ꠶ ॥૨૯॥

સુવો સુવો રે સુખની સજ્જાય, શ્રીહરિ꠶

  દુવો દુવો રે કામદુઘાય, શ્રીહરિ꠶ ॥૩૦॥

આજ આજ રે વરત્યો આનંદ, શ્રીહરિ꠶

  કાજ કાજ રે સર્યાં ફાટ્યો ફંદ, શ્રીહરિ꠶ ॥૩૧॥

લાજ લાજ રે રહી મારી આજ, શ્રીહરિ꠶

  નાજ નાજ રે ન કરું અકાજ, શ્રીહરિ꠶ ॥૩૨॥

રહે રહે રે સુખ અપાર, શ્રીહરિ꠶

  વહે વહે રે કોણ ભવભાર, શ્રીહરિ꠶ ॥૩૩॥

સહે સહે રે કોણ દુઃખદ્વંદ, શ્રીહરિ꠶

  કહે કહે રે નિષ્કુળાનંદ, શ્રીહરિ સંત મળી ॥૩૪॥

સોરઠો

અગિયારસો ચૌ અગિયાર ચર્ણ, ગણી ચોકસ કર્યાં,

યમદંડનો વિસ્તાર, કહ્યો એટલામાંયે કથી ॥૩૫॥

 

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતો યમદંડઃ સમાપ્તઃ ।

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ