કળશ ૧

વિશ્રામ ૨

(અથ ગ્રંથોત્પત્તિકથનમ્)

 

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

જન્મ્યા કૌશલ દેશ વેષ બટુનો1 લૈ તીર્થ માંહિ ફર્યા,

રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો ને યજ્ઞ મોટા કર્યા;

મોટાં ધામ2 રચ્યાં રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી,

અંતર્ધાન થયા લીલા હરિ તણી સંક્ષેપ એ ઉચ્ચરી. ૧

શ્રી વૃત્તાલયમાં અચિંત્યમુનિએ રાજા અભેસિંહને,

જે લીલામૃત કૃષ્ણનું કરી કૃપા પાયું પમાયું જને;3

તે વર્ણીવરને નમું વળી નમું તે ભૂપતિ હંસને,4

તેના પૂર્વજ જે થયા હરિજનો વંદૂં જદૂવંશને. ૨

નિત્યાનંદ તણા સુશિષ્ય સુમતિ જ્ઞાતા જનો સૌ કહે,

ભૂમાનંદમુનિ ભલા ભગવદી વૃત્તાલયે તે રહે;

સાધૂતા ગુણ શ્રેષ્ઠ શ્રીહરિ તણી લીલા સદા ઉચ્ચરે,

બેસીને દૃઢ આસને પ્રભુ તણું જે ધ્યાન નિત્યે ધરે. ૩

તાપે ગ્રીષ્મ ને તપ્યાં તન અતિ એવા અરણ્યે ચરા,5

ગંગા નીર તરંગથી તન વિષે તે શાંતિ પામે ખરા;

તે રીતે ત્રણ તાપથી તપિત જે આવે જનો આદરે,

ભૂમાનંદમુનિની વાણી સરિતા તે તાપ તેના હરે. ૪

જૈ બેઠા હરિમંડપે હરિ તણા તે ધ્યાનમાં એકદા,

પાટીદાર વસો નિવાસી જન જે તે આવિયા ત્યાં તદા;

જેના તાત અમીન દાસ તુલસી સદ્‌ભાગ્યશાળી હતા,

એવા વાઘજીભાઈ આ સમયમાં સત્સંગમાં છે છતા. 6

શ્રીજી નિર્મિત ધર્મસેતુ પર જે પ્રીતિ સુરીતી કરે,

શ્રીજી સ્થાપિત દેવ ગાદિપતિનો જે પક્ષ પક્કો ધરે;

જેણે મુખ્ય ગુણાતીતાખ્ય મુનિનો સત્સંગ જૈને કર્યો,

સદ્‌ભક્તિશ્રવણાખ્યમાં7 પૃથુસમો8 સદ્‌ભાવ જેણે ધર્યો. ૬

ઉપજાતિ

તે વાઘજીભાઇ વિવેકી સારા, પ્રીતે હરિમંડપમાં પધાર્યા;

ભૂમાખ્ય મોટા મુનિને નિહાળી, લાગ્યા પગે મસ્તક નેણ ઢાળી. ૭

ત્યાં ધ્યાનમાંથી મુનિ તેહ જાગ્યા, પ્રેમે લળી9 વાઘજી પાય લાગ્યા;

હરિ સુલીલામૃત ગ્રંથ કેરી, કથા વખાણી મુનિએ ઘણેરી. ૮

બોલ્યા તહાં વાઘજીભાઈ વાણી, અહો કૃપાનાથ કૃપા સુ આણી;

પૂછું હવે ઉત્તર એહ આપો, સમર્થ છો સંશય સર્વ કાપો. ૯

હરિ સુલીલામૃત ગ્રંથ નામ, કેણે રચ્યો છે રહી કેહ ઠામ?

તે ગ્રંથ કેરી ઉતપત્તિ જેહ, તમે કહો હે મુનિરાજ તેહ. ૧૦

ઇચ્છા મને છે અતિ જાણવાની, સારાંશ એનો ઉર આણવાની;

કહે મુનિ સાંભળ ભક્તરાજ, એ ગ્રંથ ઉત્પત્તિ સુણાવું આજ. ૧૧

તે ગ્રંથમાં છે પ્રભુનાં ચરિત્ર, શ્રોતા જનો થાય સુણી પવિત્ર;

શ્રીધર્મપુત્રે રઘુવીરજીને, આચાર્ય કીધા કરુણા કરીને. ૧૨

તેણે વળી જાણી ગતપ્રમાદ,10 આચાર્ય કીધા ભગવત્પ્રસાદ;

એણે પછી આણી ઉરે વહાલ, સ્થાપ્યા નિજસ્થાન વિહારીલાલ. ૧૩

તે એકદા સંત તણે સમાજે, આંહી સભામંડપમાં બિરાજે;

તારા વિષે શોભિત ચંદ્ર જેમ, શોભે સભામાં વૃષવંશી તેમ. ૧૪

તિથિ હતી રામ જયંતિ જ્યારે, આવ્યા હતા સંઘ અનેક ત્યારે;

ભાવીક તે ભક્ત બધા મળીને, આચાર્ય પાસે ઉચર્યા લળીને. ૧૫

રથોદ્ધતા

હે દયાળુ દિલમાં દયા કરો, આ અમારી વિનતિ ઉરે ધરો;

ગ્રંથ ધર્મસુતની લીલા તણા, વાંચવા ઉર ઉમંગ છે ઘણા. ૧૬

જે ચરિત્ર પ્રગટ પ્રભુ તણાં, છે લખેલ ગિરવાણમાં11 ઘણાં;

તે ન વાંચી શકિયે ભણ્યા વિના, કેમ શાંતિ ધરિયે સુણ્યા વિના. ૧૭

જેમ મિષ્ટ ફળ પેટીમાં ભરે, તાળું વાસી પછી આગળે ધરે;

જો ન હોય જન કુંચિદાર12 તો, લૈ શકે ન ફળ તે લગાર તો. ૧૮

તેમ શાસ્ત્રી જન વાંચીને કહે, તો જ સર્વજન સાંભળી લહે;

હોય ગ્રંથ શુભ દેશિ વાણીમાં, જ્ઞાન પ્રાપ્ત બહુ થાય પ્રાણીમાં. ૧૯

દેશિ વાણી સઉ જેવી ડાળિયો, મૂળ તેહ ગિરવાણ વાળિયો;

ધૂળમાં તરુ સમસ્ત મૂળ છે, ડાળમાં ફળ તથા સુફૂલ છે. ૨૦

સંપ્રદાય તણી શુદ્ધિ નામનો, ગ્રંથ સંસ્કૃત વિશેષ કામનો;

છે રચ્યો ગુરુ તમે કૃપા કરી, વાસુદેવ ભટ નામને ધરી. ૨૧

ગ્રંથ પ્રાકૃત13 લીલા સુસંગ્રહ, છે રચ્યો શુભ તમે દયા સહ;

કૃત્ય આપ કરવાનું છે કર્યું, ધન્ય દેશિકપણું14 તમે ધર્યું. ૨૨

ચોપાઈ

સુણી બોલ્યા આચાર્ય ઉમંગી, તમે સાંભળો સૌ સત્સંગી;

ગ્રંથ છે ઘણા તે શું ગણાવું, સંખ્યા મુખ્ય ગ્રંથની સુણાવું. ૨૩

સત્સંગિજીવન શુભ નામ, ગ્રંથ ગીર્વાણ છે સુખધામ;

રચનાર શતાનંદ સ્વામી, નથી તેમાં રહી કાંઈ ખામી. ૨૪

ધર્મશાસ્ત્ર ગણાય છે સારું, લીલા પ્રગટ તણી કહેનારું;

પૂરાં પ્રકરણ છે પાંચ જેમાં, સુણો શ્લોકની સંખ્યા છે તેમાં. ૨૫

યથાવૃત્ત15 પ્રમાણે કહીશ, સાડા સોળ હજાર પચીશ;

પણ લેખક ગણતી પ્રમાણે, શ્લોક સત્તર સહસ્ર સૌ જાણે. ૨૬

વળી એથી અધિક તો ગણાય, સાતસેં ને સત્યાવીશ થાય;

હરિલીલાકલ્પતરૂ જેહ, રઘુવીરજી રચનાર તેહ. ૨૭

આખા ગ્રંથના સ્કંધ છે બાર, વૃત્ત ઓગણત્રીસ હજાર;

એ થકી વળી ઉપર જે છે, પૂરેપૂરા પોણા ત્રણસેં છે. ૨૮

પણ લેખક ગણતી પ્રકાર, તેના શ્લોક તેત્રીસ હજાર;

એકત્રીસ બસેં ઉપરાંત, તેમાં ભાસે નહીં કાંઈ ભ્રાંત. ૨૯

એના માહાત્મ્યના જે અધ્યાય, ચૌદનો ગ્રંથ જૂદો જણાય;

શ્લોક લેખક સંખ્યા ગણીશ, સાતસેં ને ઉપર ઓગણીશ. ૩૦

હરિવાક્યસુધાસિંધુ જેહ, શતાનંદે રચ્યો ગ્રંથ તેહ;

વચનામૃત તેહનાં ગણી, કહું સંખ્યા સુણો તેહ તણી. ૩૧

ગઢડે ઉચર્યા અવિનાશી, એકસો ઉપરાંત ચોરાશી;16

જાણો સારંગપુરનાં અઢાર, કારિયાણી તણાં કહું બાર. ૩૨

છે અઢાર લોયાનાં વિખ્યાત, ગામ પંચાળાનાં ગણો સાત;

વરતાલ તણાં વીશ જાણો, ત્રણ શ્રીપુરનાં17 ઉર આણો. ૩૩

બધાં બાસઠ ને શત બેય, સંખ્યા સર્વ મળી એવી છેય;

શ્લોક નાના મોટા નિરધાર, દશ ઓછા છે આઠ હજાર. ૩૪

શ્લોક લેખક સંખ્યા કહીશ, આઠ સહસ્ર શત એકત્રીસ;

ગ્રંથ હરિદિગ્વિજય છે સાર, નિત્યાનંદમુનિ રચનાર. ૩૫

એના અધ્યાય નામ હુલાસ, પૂરી સંખ્યા ઓગણપચાસ;

છસેં નવ તથા ત્રણ હજાર, તેમાં વૃત્તનો છે નિરધાર. ૩૬

શ્લોક લેખકના જ પ્રમાણો, સવા ચાર હજાર છે જાણો;

વળી રઘુવીરજી મહારાજે, ગ્રંથ કીધો છે નિજજન કાજે. ૩૭

દુર્ગપુરના માહાત્મ્યનો ગ્રંથ, તે છે પાવન મોક્ષનો પંથ;

હરિવાક્ય સુધાસિંધુ તણી, રચી છે ટીકા18 ઉત્તમ ઘણી. ૩૮

સર્વમંગળનું ભાષ્ય કીધું, તે તો શિષ્યોને જીવન દીધું;

ભલા શ્રીભગવતપ્રસાદ, તેના ગ્રંથ કહું કરી યાદ. ૩૯

એક તો હરિલીલાપ્રદીપ, રચ્યો છે રમાનાથ19 સમીપ;

અન્વયાર્થપ્રકાશિકા નામ, ભાગવત પર ટીકા ઉદ્દામ. 20 ૪૦

હરિલીલાકલ્પતરુ કેરી, રચી છે ટીકા રુડી ઘણેરી;

હરિનો દિગ્વિજય છે ગ્રંથ, સજી તેની ટીકા શુદ્ધ પંથ. ૪૧

વળી સદ્‌ગુરૂ ગોપાળાનંદે, ઘણા ગ્રંથ રચ્યા ગુણવૃંદે;

ભગવદ્‌ગીતા ને ઈશાવાસ્ય, ભલાં તેનાં કરેલાં છે ભાષ્ય. ૪૨

સ્કંધ બીજો અગ્યારમો દશમો,ભાગવતનો છે ભણવાને વસમો;

તેની ટીકા સુગમ કરી દીધી, વ્યાસસૂત્ર તણી ટીકા કીધી. ૪૩

શ્રુતિ21 શાસ્ત્ર ઉપર દૃષ્ટિ સાંધી, વિષ્ણુયાગની પદ્ધતિ બાંધી;

ઝાલાવાડમાં શીયાણી ગામ, ભલા ત્યાં હતા ભટ શિવરામ. ૪૪

ગ્રંથ સત્સંગિજીવન માંય, પાંચમું પ્રકરણ છે જ્યાંય;

શિવરામને શ્રીહરિ કેરો, સારો સંવાદ દિસે ઘણેરો. ૪૫

થયા તેહ પછી બ્રહ્મચારી, અખંડાનંદ સંજ્ઞા છે ધારી;

એહ વર્ણી તથા ગુણવૃંદ, સાધુ સોમપ્રકાશાનંદ. ૪૬

જેને ભક્તિસુતે કહ્યા ભાઈ, સાધુ એવા તે જન સુખદાઈ;

રઘુવીરજીને પ્રભુ જ્યારે, પદ આપ્યું આચારજ ત્યારે. ૪૭

અખંડાનંદ સોમપ્રકાશ, મુક્યા જમણી ને ડાબી પાસ;

રચ્યો વર્ણીયે ગ્રંથ પવિત્ર, તેનું નામ છે હરિચરિત્ર. ૪૮

તેની ટીકા છે મન અભિરામ,22 તેનું તત્વાર્થબોધિની નામ;

તે તો ગોપાળજી સુત જેહ, રચી કૃષ્ણપ્રસાદે તો તેહ. ૪૯

જ્યારે હરિયે આચારજ થાપી, ગાદી અવધ્યપ્રસાદને આપી;

વર્ણી વાસુદેવાનંદ નામી, સાધુ માહાનુભાવાનંદ સ્વામી. ૫૦

ભુજ23 દક્ષિણ24 ને વામ25 સ્થાને, મુક્યા તે સમે શ્રી ભગવાને;

આચારજજી અયોધ્યાપ્રસાદે, શ્રુતિ શાસ્ત્ર તણી મરજાદે. ૫૧

ટીકા સત્સંગિજીવન તણી, રચી તે પણ છે શુભ ઘણી;

વર્ણી વાસુદેવાનંદે સીધ, ગ્રંથ સત્સંગિભૂષણ કીધ. ૫૨

તેની ટીકા તે વળી વાંચીયે, કરી કેશવપ્રસાદજીયે;

ટીકા સત્સંગિજીવન તણી, હેતુ નામે છે ઉત્તમ ઘણી. ૫૩

રચનાર શુકાનંદ સ્વામી, નથી તેમાં કશી પણ ખામી;

ચૈતન્યાનંદ સ્વામીયે જેમ, રચ્યો જ્ઞાનવિલાસ છે તેમ. ૫૪

સીતારામજીભાઇયે સત્ય, રચ્યો શ્રીહરિઆજ્ઞામૃત;

વ્યાસસૂત્ર તણું બીજું ભાષ્ય, મુક્તાનંદે કર્યું છે પ્રકાશ. ૫૫

ભાષ્ય શાંડિલસૂત્ર જ તણું, નિત્યાનંદે કર્યું શુભ ઘણું;

હરિસંભવાદિક રચ્યા જેહ, અચિંત્યાનંદવર્ણીયે એહ. ૫૬

યોગાનંદ થયા કવિરાજ, ગ્રંથો તેણે રચ્યા જન કાજ;

એ તો સંસ્કૃત ગ્રંથ ગણાવ્યા, મને જે કાંઈ સાંભરી આવ્યા. ૫૭

ગ્રંથ પ્રાકૃતનો નથી પાર, મુક્તાનંદ આદિક રચનાર;

બ્રહ્માનંદ પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદે રાખી ન ખામી. ૫૮

ગણતાં કેટલાક ગણાવું, જીભથી કેમ પાર જણાવું;

નિત્ય એક અધ્યાય વંચાવે, શત વર્ષે નહિ પાર આવે. ૫૯

ઇન્દ્રવંશા

સત્સંગી સર્વે વળી બોલિયા ફરી, છોજી કૃપાનાથ સુણો કૃપા કરી;

આખ્યાન બીજાય અનેક છે સહી, તે ગ્રંથમાં ક્યાંઈ લખેલ છે નહીં. ૬૦

જે વૃદ્ધ ભક્તો હમણાં હયાત છે, તેને મુખે એવી અનેક વાત છે;

જ્યારે જનો તે હરિધામમાં જશે, આખ્યાન એ સર્વે અદર્શ26 તો થશે. ૬૧

અદ્‌ભૂત લીલા વળી એકઠી કરો, તે સર્વ તે ગ્રંથ વિષે તમે ધરો;

તે ગ્રંથ ભાષા ભલી ગુર્જરી વિષે, ગુંથાય તો સર્વ જનો ખુશી થશે. ૬૨

આચાર્ય જે જે પૂરવે થઈ ગયા, તે ગ્રંથ તેના મતના રચી ગયા;

જેનાથી ગ્રંથો વધતા રચાય છે, આચાર્ય તો ઉત્તમ તે ગણાય છે. ૬૩

આ લોકમાં ઊંચી ઘણી ઇમારતો, સારી રચે છે બહુ સાહુકાર તો;

સદ્‌ગ્રંથ મોટા નિજ સંપ્રદાયના, આચાર્ય સાધારણથી રચાય ના. ૬૪

હીરા તણું મૂલ ઝવેરી જાણશે, બીજા જનો કંકર તે પ્રમાણશે;

ગ્રંથોનુ માહાત્મ્ય પુરું પ્રવીણને,27 તે તુચ્છ લાગે જન બુદ્ધિહીણને. ૬૫

પુષ્ટિ વધે ગ્રંથથી સંપ્રદાયની, છે એ જ રીતિ જગમાં સદાયની;

જે પંથના ગ્રંથ નહીં પ્રકાસશે, ભફ્ફાકિયા પંથ સમાન ભાસશે. ૬૬

આ જે કરી પ્રાકૃત ગ્રંથ માગણી, તે તો દયાળુ તમને ભલા ગણી;

જાણે ન જે સંસ્કૃત નારી ને નરો, તે સર્વ માટે ઉપકાર તો કરો. ૬૭

કૂવાનું પાણી ગુણવાન28 પામશે, નિરાશી થૈને ગુણહીન તો જશે;

ગંગા ગુણી નિર્ગુણીને નહીં ગણે, દે સર્વને નીર દયાપણે ઘણે. ૬૮

તેવી દયા દિલ ધરો તમે બહુ, સ્વશિષ્ય જાણો ન ભણ્યા ભણ્યા સહુ;

એવો રચો ગ્રંથ અપૂર્વ29 રંગથી,30 જે ગ્રંથ વાંચે જન સૌ ઉમંગથી. ૬૯

પુષ્પિતાગ્રાવૃત્ત

કરી સુવિનતિ એવી એહ કાળે, સુણી મન માંહિ ધરી વિહારીલાલે;

નિજજન હિત ચિત્તમાં વિચાર્યું, દૃઢ કરી ગ્રંથ રચ્યાનું કામ ધાર્યું. ૭૦

 

ઇતિ શ્રી વિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે ગ્રંથરચનાર્થે

હરિભક્તકૃત આચાર્યવિનતિનામ દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે