કળશ ૧૦

વિશ્રામ ૧૨

પૂર્વછાયો

આચારજોએ જે વળી, સ્થાપિ મુરતિયો સુખદાઈ;

તેહ કથા તમને કહું, ભલા સાંભળો વાઘજિભાઈ. ૧૧

ચોપાઈ

દેવ વટપુરમાં પધરાવ્યા, રઘુવીરજી વરતાલ આવ્યા;

વીત્યા વાસર જ્યારે છ સાત, બનિ એવે સમે બિજી વાત. ૨

કહું તેની કથા સુખદાઇ, સ્નેહે સાંભળો વાઘજિભાઈ;

સર્વે ખંભાતના હરિજને, મળિને વિચાર્યું નિજ મને. ૩

રઘુવીરજીને લખ્યો પત્ર, સ્થાપવી છે જે મૂર્તિયો અત્ર;

આપેલી છે શ્રીજીમહારાજે, લૈને આવજો સ્થાપવા કાજે. ૪

હરિમંદિર કીધું તૈયાર, માટે કરશો નહીં હવે વાર;

હતિ સત્યાશિયા તણી સાલ, હરિભક્તે તેડાવ્યા તે કાળ. ૫

ત્યારે આચાર્ય શ્રી રઘુવીર, નિત્યાનંદ મુની દૃઢ ધીર;

હરિભક્તનિ વિનતિ વિચારી, જવા ખંભાત કીધી તૈયારી. ૬

સાધુ પાળા સહિત સજ્જ થયા, લૈને મૂર્તિ તે ખંભાત ગયા;

હરિકૃષ્ણ છબી શ્યામ રંગે, હતિ તે લીધિ સાથે ઉમંગે. ૭

જૈને મુહૂર્ત શુભ જોવરાવ્યું, તે તો ફાગણ શુદિ બીજે આવ્યું;

સ્થાપિ મૂર્તિ તે મંદિરમાંય, વિધિ વેદોક્ત તે કરી ત્યાંય. ૮

વળિ નેવાશિયો1 આવ્યો જ્યારે, જેઠ શુક્લ પાંચમ શુક્રવારે;

રઘુવીરજિએ તેની સાથે, રાધાકૃષ્ણ થાપ્યા નિજ હાથે. ૯

વળિ મૂળિમાં મંદિર જેહ, થયું તેનિ કથા કહું તેહ;

જ્યારે શ્રીજિ સ્વધામ સિધાવ્યા, તેના કાર્ય2 ઉપર જન આવ્યા. ૧૦

જોશિ ઘેલો મુળિના નિવાસી, આવ્યા ગઢપુર તે ગુણરાશી;

આજ્ઞા શ્રીજિ તણી હતી જેહ, બ્રહ્માનંદે કહી તેને તેહ. ૧૧

મૂળિયે મોટું મંદિર કરવું, એવું વચન છે તે ઉર ધરવું;

ત્યાંના રાજાને જૈ સમજાવો, ધામ કરવાને જગ્યા અપાવો. ૧૨

કહે જોશિ તે આજ્ઞા ધરીશ, એ તો કામ જરૂર કરીશ;

પછિ તે મુળીયે ગયા જ્યારે, મળ્યા રાજા ને રાણિને ત્યારે. ૧૩

પરમાર રામા ભાઈ નામ, તેનું રાજ રુડું તેહ ઠામ;

બાઇબા ને રાજુબા બે રાણી, સતસંગમાં જે વખણાણી. ૧૪

રાજા પણ હરિભક્ત અનન્ય, જેનાં ભાગ્ય અહો ધન્ય ધન્ય;

ઘેલા જોશિયે વાત પ્રકાશી, તે તો ભૂપતિને ભલી ભાસી. ૧૫

સુણિ રાણિયોયે પણ ધાર્યું, આંહિ ધામ જો થાય તો સારું;

કહે જોશિને એમ ભૂપાળ, અમે આપશું જગ્યા વિશાળ. ૧૬

આંહિ શ્રીજી તણું ધામ થાય, ભલું ભાગ્ય અમારું ગણાય;

પછિ આવી પ્રબોધિનિ જ્યારે, સમૈયો થયો શ્રીપુર ત્યારે. ૧૭

ઝાલાવાડના હરિજન આવ્યા, ઘેલો જોશી તે સાથે સિધાવ્યા;

ઝાલાવાડના જે હરિદાસ, બોલ્યા અવધપ્રસાદજી પાસ. ૧૮

ગામ મુખ્ય શિયાણિ પ્રમાણ, તાવિ દેવળીયું ને મેથાણ;

કરિ આગ્રહ સર્વ ઉચ્ચારે, કરો મંદિર ગામ અમારે. ૧૯

સુણિ બોલ્યા બ્રહ્માનંદસ્વામી, સહુ સાંભળો સંતોષ પામી;

એમ બોલ્યા છે શ્રી ઘનશ્યામ, મૂળિયે કરવું મોટું ધામ. ૨૦

સુણિ બોલિયા અવધ્યપ્રસાદ, તે તો છે મુજને પણ યાદ;

હતા બોલ્યા સુંદરવર શ્યામ, મૂળિમાં કરવું મોટું ધામ. ૨૧

માટે આજ્ઞા પ્રમાણે જ કરવું, ધામ ઉત્તમ ત્યાં જ આદરવું;

હરિ આજ્ઞા ઉલંઘન થાય, સુખ એમાં નહીં ઉપજાય. ૨૨

ઝાલાવાડ તણું મધ્ય તે છે, માટે ઉત્તમ પક્ષ તો એ છે;

ઘેલો જોશી બોલ્યા તતકાલ, ભૂમિ આપશે ભૂપ વિશાળ. ૨૩

મારિ સાથે છે એવું કહાવ્યું, પછિ સૌ મળિ ત્યાં જ ઠરાવ્યું;

પછિ બ્રહ્મમુની તહાં ગયા, રાજા રામાભાઇ રાજિ થયા. ૨૪

જગ્યા જોઇએ તેટલિ દીધી, વળિ સારી સહાયતા કીધી;

કહ્યું જોઇએ તે માગિ લેજો, અમ લાયક કામ કહેજો. ૨૫

બ્રહ્માનંદે પુછ્યું પછિ ત્યાંય, સારા પથ્થર નીકળે ક્યાંય?

રામોભાઈ બોલ્યા તેહ ટાણે, મળે હલકા પથ્થર આ ઠેકાણે. ૨૬

જેને ઉત્તમ પથરાનું કામ, લાવે જૈ ધરાંગધરે ગામ;

બ્રહ્માનંદે અંતર માંહિ આણ્યું, નથિ લાવિયો હું ઝાઝું નાણું. ૨૭

ધરાંગધરેથિ પથરા લવાય, ખૂબ ખરચ નાણાં તણું થાય;

માટે મૂળિનિ સીમ મોઝાર, શોધિ કાઢવા પથ્થર સાર. ૨૮

સારો દિવસ તે સીમમાં ફરે, સારા પથ્થરની શોધ કરે;

દિન એમ વિત્યા દસબાર, પણ પથરા મળ્યા નહિ સાર. ૨૯

પથ્થરા કાચા વઢવાણ કેરા, મુળિમાં પણ એવા ઘણેરા;

મુનિ બ્રહ્મે વિચારીયું એમ, કૃષ્ણઆજ્ઞા પળાશે આ કેમ. ૩૦

પાકા પથ્થર ક્યાંથિ લવાશે, મોટું મંદિર શી રીતે થાશે;

સ્તુતિ કર જોડિ કૃષ્ણની કરે, આંખ્યોમાંથિ આંસુ બહુ ઝરે. ૩૧

એમ દિવસ પંદર વહિ ગયા, પણ શ્યામ સહાય ન થયા;

રાતે સૂતા પથારિ બિછાવી, પણ નેણમાં નિદ્રા ન આવી. ૩૨

સ્તુતિ કરવા લાગ્યા કર જોડી, હરી મેં હવે હિંમત છોડી;

કરશો જો સહાયતા શ્યામ, થાશે મોટા મંદિર તણું કામ. ૩૩

રાગ બિહાગ

પદ: ૧

સહાયતા ઘનશ્યામ, સદ્ય કરો સહાયતા ઘનશ્યામ;

  કૃપાનિધી તમે કરવા કહ્યું છે, મૂળી વિષે મોટું ધામ સદ્ય. ૩૪

એકે ઉપાય સુજે નહિ અમને, કેમ થશે એહ કામ;

  પાકા પથ્થર પ્રભુ આ સ્થળે ન મળે, ગોતી વળ્યો બધું ગામ સદ્ય. ૩૫

ભક્તવત્સલ કૃપાસાગર કહિયે, નાથ તમારું નામ;

  કૃપા તજી અતિ કઠોર થાવું, આપને ન ઘટે આમ સદ્ય. ૩૬

હૃદય તો બળી રાખ થયું છે, ચરચર દાઝે ચામ;

  દિવસ તો જેમ દુઃખથી વીત્યો, જામનીના3 જશે જામ4 સદ્ય. ૩૭

અમારે તો પ્રભુ એક જ છો તમે, મન ઠરવાનું ઠામ;

  તે તો તમે તિરોધાન થયા વળી, દાઝ્યા ઉપર દ્યો છો ડામ સદ્ય. ૩૮

તમ અરથે અમે સંસાર તજિયો, તજ્યાં છે સુખ તો તમામ;

  તે તમે અમને તજી ગયા છો, હે પ્રભુ પૂરણકામ સદ્ય. ૩૯

વચન થકી અમે વનમાં વસીને, સહન કર્યાં શીત ઘામ;5

  તે તપનું ફળ તો ત્રિકમા અમે, પામિયા આ પરિણામ સદ્ય. ૪૦

આ અવસર હવે આપ પધારો, કહિયે કરીને પ્રણામ;

  વિશ્વવિહારી છો વિશ્વંભર, વાલમ જનવિશ્રામ સદ્ય. ૪૧

પદ: ૨

પ્રકટ પ્રાણઆધાર, આવો પ્રભુ પ્રગટ પ્રાણઆધાર;

  હે ઘનશ્યામ હવે તો ઘણી થઈ, વાલાજી કરોને વિચાર આવો. ૪૨

પ્રથમ સુખ સંપૂરણ આપ્યાં, ગણતાં ન પામિયે પાર;

  હવે હળાહળ6 પાઓ છો પ્રીતમ, અમૃત દઈને આહાર આવો. ૪૩

સંકટમાં તમે સહાયતા પણ, કીધી અનેક પ્રકાર;

  આ અવસરે કેમ અળગા રહ્યા છો, ભૂધર ગુણભંડાર આવો. ૪૪

જો નહિ આવો તો હવે નહિ રહે, લોકમાં લાજ લગાર;

  પ્રભુ નહીં પણ પૂરા પાખંડી, કુસંગી જન કહેનાર આવો. ૪૫

મંદિર જો નહિ થાય મૂળીમાં, હસશે લોક હજાર;

  માણસમાં પછી ઉંચે મુખે અમે, એકે ન થાય ઉચ્ચાર આવો. ૪૬

કૃપાનિધિ નથી સહાય કરતા, મહાસંક્ટ મોઝાર;

  કૃષ્ણ હરિ તમે કેમ ઉતારશો, પાપીને ભવજળ પાર આવો. ૪૭

આપ વિના ત્રિભુવનમાં અમારે, અન્યનો નથી આધાર;

  ભાર બીજા કોઈ દેવદેવીનો, ભાસે નહીં તલભાર આવો. ૪૮

ભાવ સહિત તમને જ ભજે નહિ, જે ગુણહીણ ગમાર;

  વિશ્વવિહારીલાલ વિસારીને, કરે પામર પર પ્યાર આવો. ૪૯

પુષ્પિતાગ્રાવૃત્ત

વિનતિ ઉચરતાં જ વીતિ રાતે, દરશન તોય દિધાં ન ભક્તિજાતે;

મુનિવર મુનિબ્રહ્મ પ્રેમ આણી, વળિ વિનતી કરિ ખૂબ રાગ તાણી. ૫૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે

મૂળિગ્રામે મંદિરારંભનામદ્વાદશો વિશ્રામઃ ॥૧૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે