કળશ ૧૦

વિશ્રામ ૧૮

પૂર્વછાયો

વાઘજિભાઇ સુણો વળી, ભૂમાનંદમુની મુખ ગાય;

કથા કહું વિષ્ણુયાગની, જે છે સુણવા યોગ્ય સદાય. ૧

ચોપાઈ

ચરોતરમાં છે માણજ ગામ, પાટિદાર રહે તેહ ઠામ;

ગુણસાગર ગોવિંદદાસ, જેણે ઓળખ્યા શ્રી અવિનાશ. ૨

તેના બે પુત્ર પામ્યા ભલાઈ,1 દેશાઈભાઈ મથુરભાઈ;

દેશાઈભાઈના પુત્ર ચાર, તેમાં મૂળજિ મોટા ઉદાર. ૩

પ્રભુદાસ ભગુ રણછોડ, ચારે ભાઇનિ ઉત્તમ જોડ;

કાકા મથુર સહિત તે પંચ, સંપ છોડે નહીં કદિ રંચ.૪

અખંડાનંદનો ઉપદેશ, લાગ્યો પાંચને પરમ વિશેષ;

તેથિ સત્સંગિ તે થયા સારા, પ્રેમે પ્રગટ પ્રભુ ભજનારા. ૫

દેવ લક્ષ્મીનારાયણ અર્થે, તેણે વાવર્યું અગણિત ગર્થે;2

ભેટ ભૂષણ વસ્ત્રનિ દીધી, પૃથિવી પણ અર્પણ કીધી. ૬

વળિ દાગિના આપિને એવા, રઘુવીર આચારજ સેવ્યા;

તેનું ભક્તપણું ભલું જોઈ, વખાણે સહુ વિસ્મિત હોઈ. ૭

શુકાનંદ તણો ઉપદેશ, વળિ સાંભળ્યો તેણે વિશેષ;

મૂળજિભાઇની સ્થિતિ કેવી, વિદેહી દિસે જનકના જેવી. ૮

જેમ કમળ રહે જળ માંય, પણ જળમાં ન તેહ લેપાય;

તેમ સંસારમાં વસિ વાસ, રહે સંસારથી તે ઉદાસ. ૯

પછિ ભગવત્પ્રસાદજી જ્યારે, પામ્યા આચાર્યનું પદ ત્યારે;

તેનિ પણ સજિ તેવિ જ સેવા, નરજન્મ તણું ફળ લેવા. ૧૦

મોટા સંતોને કીધા પ્રસન્ન, તેનિ સમજણ તો ધન્ય ધન્ય;

પછિ કાંઇ જતાં વળિ કાળ, થયા આચાર્ય વિહારીલાલ. ૧૧

ત્યારે મૂળજિભાઈએ આવી, કર જોડીને વિનતિ સુણાવી;

શિક્ષાપત્રીમાં શ્રીમહારાજે કહ્યું છે ધનવંતને કાજે. ૧૨

જઈ તીરથમાં રુડિ રીતે, પુરશ્ચરણ કરાવવાં પ્રીતે;

માટે આપ કહો મને જેહ, પુરશ્ચરણ કરાવું હું તેહ. ૧૩

જેથિ શ્રીહરિ થાય પ્રસન્ન, નથી ઇચ્છા મારે મન અન્ય;

સુણિ બોલિયા વિહારીલાલ, ધન્ય બુદ્ધિ તમારી વિશાળ. ૧૪

ઇચ્છો છો પ્રભુ કરવા પ્રસન્ન, ત્યારે સાંભળો મારું વચન;

શાસ્ત્ર સત્સંગિજીવન જેહ, સતસંગનું જીવન તેહ. ૧૫

જેમાં પ્રગટ પ્રભુનાં ચરિત્ર, કહ્યાં છે અતિ પરમ પવિત્ર;

જેમ સર્વોપરી અવતાર, તેમ સર્વોપરી શાસ્ત્રસાર. ૧૬

તે તો સત્સંગિજીવન જાણો, ઇષ્ટ આપણાનું તે પ્રમાણો;

પુરશ્ચરણ તો તેનું કરાવો, વરુણે વિપ્ર વર્ણિ વરાવો. ૧૭

પુણ્ય મોટું નથી એથિ અન્ય, થાશે શ્રીહરિ તેથિ પ્રસન્ન;

શાણા આચાર્યે વાત સુણાવી, મૂળજીભાઈને મન ભાવી. ૧૮

વળી બોલ્યા તે મૂળજીભાઈ, સુણો સત્સંગિના સુખદાઈ;

ધન ખર્ચવું તે તો અમારે, ક્રિયા સર્વ તો કરવી તમારે. ૧૯

જેથી હોમ આદિ જે જે થાય, તે તો વેદોક્ત સર્વ કરાય;

ત્યારે બોલિયા લાલ વિહારી, કરશું જેવી ઇચ્છા તમારી. ૨૦

તેડાવ્યા વરણી મતિમાન, વિપ્ર તેડાવિયા વિદવાન;

મહાતીર્થ વૃત્તાત્ય વાસે, દેવી લક્ષ્મીનારાયણ પાસે. ૨૧

ધર્મવાન ને વિદ્વાન ધાર્યા, કરવા પુરશ્ચરણ બેસાર્યા;

સતસંગિજીવન તણા પાઠ, કરાવ્યા એકસો અને આઠ. ૨૨

નૈમિષારણ્યમાં મુનિ જેમ, વેદપાઠ કરે મળિ તેમ;

કરે પાઠ મુની નિરદોષ, થાય મંદિરમાં ઘણો ઘોષ.3 ૨૩

પછિ હોમ આદિ ક્રિયા કરવા, કુંડ મંડપ આદિ આદરવા;

વિપ્ર હરિપ્રસાદ તેડાવ્યા, ઉમરેઠ થકી એહ આવ્યા. ૨૪

તેડાવ્યા તહાં શિલ્પિ સુજાણ, કર્યો મંડપ શાસ્ત્ર પ્રમાણ;

નારાયણમોલ4 આગળ જ્યાંય, બિરાજેલા મહાપ્રભુ ત્યાંય. ૨૫

વૃદ્ધ સંત જનો એમ કહે, મુળજીભાઇના પિતામહે;

શ્રીજી પાસે લિધાં વર્તમાન, કર્યો મંડપ કુંડ તે સ્થાન. ૨૬

આચાર્ય શ્રીવિહારિજિલાલ, હોમ કરવા બેઠા તેહ કાળ;

રામનવમીએ હોમ આદર્યો, પૂર્ણમાસિએ પૂરણ કર્યો. ૨૭

વર્ષ વિક્રમ કેરું કહીશ, ઓગણીશમેં ને બેતાળીશ;

સમૈયો હતો તે સમે સારો, હરિભક્ત મળેલા હજારો. ૨૮

ક્રિયા કીધિ વેદોક્ત પ્રમાણે, શોભા સારિ થઇ તે ટાણે;

ચારે વેદના વિપ્ર વરેલા, જેણે વેદ તો પાઠ કરેલા. ૨૯

પરનાળે હોમ્યું ઘણું ઘૃત, દ્રવ્ય સુફળ કર્યું પ્રભુદત્ત;5

કરિ પૂર્ણાહુતી રુડિ રીતે, દ્વિજને દીધિ દક્ષિણા પ્રીતે. ૩૦

વર્ણિયોને તો પુસ્તક આપ્યાં, હતાં તે તો લખેલાં કે છાપ્યાં;

વસ્ત્ર ભૂષણથી તતખેવ, પૂજ્યા લક્ષ્મીનારાયણ દેવ. ૩૧

પૂજા આચાર્યની પણ કરી, વસ્ત્ર ભૂષણની ભેટ ધરી;

સર્વ સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં, ભલાં ભોજન સૌને જમાડ્યાં. ૩૨

જમ્યા વિપ્ર હજારોહજાર, દ્રવ્ય વાવર્યું એમ અપાર;

ઘણા રાજિ કર્યા ઘનશ્યામ, રાખ્યું આ જગમાં પણ નામ. ૩૩

ધન્ય ધન્ય તે મૂળજીભાઈ, જેની સમઝણ સારિ ગણાઈ;

એના યજ્ઞનો સાંભળિ સાર, કરશે એમ કોઈ ઉદાર. ૩૪

પૂર્વછાયો

જજ્ઞ કર્યા થકિ જશ વધ્યો, મૂળજીભાઇનો જગમાંય;

કાકા મથુરના મન વિષે, એ જ માસમાં ઉપજિ ઇચ્છા. ૩૫

ચોપાઈ

તેણે વિચરીને વરતાલ, કહ્યું સુણો વિહારિજિલાલ;

મને આજ્ઞા આપો જો તમારી, જજ્ઞ કરવાની ઇચ્છા છે મારી. ૩૬

માટે જજ્ઞ તમે કહો જેવો, અતિ હર્ષથિ હું કરું એવો;

ત્યારે ઉત્તર આચાર્યે કહ્યો, એક યજ્ઞ તો આ સ્થળે થયો. ૩૭

તમે તો કરો ગામ તમારે, તહાં આવવું નક્કી અમારે;

સંત વર્ણિ ને પાર્ષદ સંગે, અમે આવશું લૈને ઉમંગે. ૩૮

વેદમૂર્તિ છે હરિપ્રસાદ, તે તો જાણે છે વેદના વાદ;

તેને સાથે લઈને સિધાવો, કુંડ મંડપ જૈને કરાવો. ૩૯

ગયા તે સુણી માણજ ગામ, જોવરાવ્યું મુહૂર્ત તે ઠામ;

દિન અક્ષયતૃતીયાનો આવ્યો, કુંડ મંડપ સારો કરાવ્યો. ૪૦

આચારજજિ લઈને સમાજ, ગયા માણજમાં મહારાજ;

શાસ્ત્રિ વટપુરના બદ્રિનાથ, તેને પણ તહાં લઈ ગયા સાથ. ૪૧

સપ્તમી સુધિ યજ્ઞનું કામ, થયું સારી રીતે તેહ ઠામ;

થયું યજ્ઞ-સમાપન જ્યારે, સારું રૂપાનું પારણું ત્યારે. ૪૨

દેવ અર્થે તે અર્પણ કીધું, લક્ષ્મીનારાયણાર્થે તે લીધું;

આચારજની પૂજા ભલી કરી, વસ્ત્ર ભૂષણની ભેટ ધરી. ૪૩

દ્વિજને દીધાં દક્ષિણાદાન, જેને જેમ ઘટે તે સમાન;

સર્વ સંતને વસ્ત્ર ઓઢાડ્યાં, ભલાં ભોજન સૌને જમાડ્યાં. ૪૪

જમાડ્યું તહાં તો આખું ગામ, પરદેશિ સહિત તમામ;

વખણાયો જગન એહ વાર, થયો જગતમાં જયજયકાર. ૪૫

જજ્ઞ ઊપર આવેલા જેહ, ગયા તે સહુને સ્થળ તેહ;

વિષ્ણુયાગ તણી તેહ વાત, ગામોગામ થઈ જ વિખ્યાત. ૪૬

ભૂમાનંદ ભણે સુખદાઈ, સ્નેહે સાંભળો વાઘજીભાઈ;

કથા સાંભળવા જોગ્ય જાણી, કહિ મેં તમ પાસ વખાણી. ૪૭

વળિ એક કથા કહું બીજી, તમે સાંભળો અંતરે રીઝી;

ગામ માણજના રહેનાર, ધોરિભાઈ ભલા પાટીદાર. ૪૮

તેના પુત્રનું મૂળજી નામ, સારા તે પણ સદગુણધામ;

શુકાનંદ તણો ઉપદેશ, સુણિ સત્સંગ કીધો વિશેષ. ૪૯

અખંડાનંદ વર્ણિની વાત, વળિ સાંભળી એણે અઘાત;

પ્રભુ પ્રગટનો નિશ્ચય થયો, લવલેશ ન સંશય રહ્યો. ૫૦

એણે પણ વરતાલમાં આવી, આચારજજીને અરજ સુણાવી;

પ્રભુઅરથે જે ધન વવરાય, એ જ જાણું છું સાર્થક થાય. ૫૧

માટે આપ બતાવો જે રીતે, કરું તે મનમાં ધરિ પ્રીતે;

ત્યારે બોલ્યા આચારજ આમ, તમે કીધાં છે પુણ્યનાં કામ. ૫૨

દેવ અર્થે થઈ સાવધાન, દીધું છે તમે ભૂમિનું દાન;

સતસંગના ધર્મ ધર્યા છે, મોટા સંતને રાજી કર્યા છે. ૫૩

તોય ઇચ્છા જો હોય તમારી, કરો હું કહું તેહ વિચારી;

હરિકૃષ્ણનું મંદિર એ છે, તેની પાછળનો ચોક જે છે. ૫૪

શ્રીજિ બેઠા છે ત્યાં ઘણિ વાર, કરિ લીલા અનેક પ્રકાર;

સ્થાપ્યા બેય આચારજ જ્યારે, કરિ સ્થાપના એ સ્થળે ત્યારે. ૫૫

મહિમા છે તે ભૂમિનો મોટો, માટે એક કરાવો ત્યાં ઓટો;

થાય આરસ પાણનો સારો, વધશે જશ તથિ તમારો. ૫૬

રાજિ થાશે સહુ હરિજન, થાશે શ્રીહરિ પૂર્ણ પ્રસન્ન;

મુળજીભાઈને ગમિ વાત, સુણિ હૃદયે થયા રળિયાત. ૫૭

દ્રવ્ય ખર્ચિને ઓટો કરાવ્યો, ભલો સૌ હરિભક્તને ભાવ્યો;

પુણ્ય સ્થાન થયું એહ ઠામ, કરે છે જન સર્વ પ્રણામ. ૫૮

કર્યાં એવાં એવાં કામ જેણે, જનજન્મ સુફળ કર્યો તેણે;

સુણે જો એવા જનનિ કથાય, સુણનારનું મન શુદ્ધ થાય. ૫૯

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિજનકૃત વિષ્ણુયાગ જેહ, પરમ પવિત્ર કથા ગણાય તેહ;

જનમન સુણતાં પવિત્ર થાય, પરમ પ્રભૂનિ કૃપાથિ પાપ જાય. ૬૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે

ભૂમાનંદમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે

માણજગ્રામનિવાસી હરિજનકૃતવિષ્ણુયાગાદિવર્ણનનામ અષ્ટાદશો વિશ્રામઃ ॥૧૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે