વિશ્રામ ૬
પૂર્વછાયો
ભૂપ કહે બ્રહ્મચારીને, મને સંશય ઉપજ્યો એક;
તર્ત મટાડો તે તમે, સમજાવિને સહિત વિવેક. ૧
ચોપાઈ
એ છે સંશય મોટો અથાહ, કર્યો દેહને તો અગ્નિદાહ;
વળિ દેખાયા એવાને એવા, જેવે રૂપે પ્રથમ હતા જેવા. ૨
ત્યારે દહન થયો કિયો દેહ, ક્યાંથિ આવ્યો વળી દિઠો તેહ?
જ્યારે જન્મ ધરે ઘનશ્યામ, રહે ખાલિ શું અક્ષરધામ? ૩
કિંવા1 બે કરતા હશે કાય, તેથિ બેય ઠેકાણે દેખાય;
મારો સંશય એહ મટાડો, મારા મન માંહિ શાંતિ પમાડો. ૪
કહે વર્ણિ સુણો અવનીશ, કથા એહ હવે હું કહીશ;
એ વિષે દઈ એક દૃષ્ટાંત, ભાગું આપના ચિત્તનિ ભ્રાંત. ૫
નટ જેમ આકાશમાં ચડે, જઈ ઇંદ્રના જુદ્ધાથિ2 લડે;
થાય બંદુકના ત્યાં ભડાકા, તરવારના વાગે સડાકા. ૬
તેનાં અંગ કપાઈ જે પડે, તેનિ નારિ ભેળાં કરિ રડે;
તેનિ સાથે તે તો સતિ થાય, બળિને થઈ રાખ જણાય. ૭
નટ આવિ સૌને પગે લાગે, નારિ પોતાનિ સૌ પાસે માગે;
તેને આપે છે સિરપાવ3 જ્યાંય, નારિ આવિ ઉભી રહે ત્યાંય. ૮
દેખનારને આશ્ચર્ય થાય, નટની તે કળા ન કળાય;
ત્યારે અદ્ભુત શક્તિ છે જેની, કળા કેમ કળે કોઈ તેની. ૯
મોટા અક્ષરમુક્ત છે જેહ, કરે કલ્પના બહુવિધ તેહ;
કરિ તર્ક4 તેઓ થાકિ જાય, કળા કૃષ્ણની તો ન કળાય. ૧૦
કોઈ તર્ક કરે એમ તત્ર, ધામ અક્ષર છે સર્વત્ર;
ઇચ્છા આવે ત્યાં શ્રીજી દેખાય, તહાં ધામનું મધ્ય ગણાય. ૧૧
બાળ જોબન વૃદ્ધ અવસ્થા, તે તો દેખવામાત્ર વ્યવસ્થા;
પ્રભુ અક્ષરધામમાં જેહ, દીસે આ લોકમાં પણ એહ. ૧૨
જૂદી મૂરતિ બે નવ જાણો, પ્રભુ એક જ એહ પ્રમાણો;
વળિ કોઈ તરક એમ કરે, પ્રભુ રૂપ જૂદાં જૂદાં ધરે. ૧૩
નવલાખ ગિરી માંહિ જેમ, નવ લાખ રૂપે મળ્યા તેમ;
વળિ ઘટ ઘટ અંતરજામી, રૂપે વ્યાપિ રહ્યા જગસ્વામી. ૧૪
આંહિથી જે સમાધિમાં જાય, તેને અક્ષર માંહિ દેખાય;
પાછા આવિ જુવે આંહિ જ્યારે, તેવું રૂપ દિસે આંહિ ત્યારે. ૧૫
જેવિ આપનિ હોય ઇચ્છાય, તેવે રૂપે પ્રભુ ત્યાં જણાય;
જેને કામે ધરે અવતાર, પોતે તેવો દેખાડે આકાર. ૧૬
ઘટે શક્તિ દેખાડવી જેવી, તહાં શક્તિ દેખાડે છે તેવી;
થયું દહન તે દેખવામાત્ર, પછિ દેખાયું તે સત્ય ગાત્ર.5 ૧૭
જેહ દિવસે સિધાવ્યા સ્વધામ, દીધાં દર્શન બહુ બહુ કામ;
તેમાં થોડાં ઠેકાણાંની વાત, સંભળાવું તમે સુણો ભ્રાત. ૧૮
વટપત્તનના હરિજન, કરવા પ્રભુનાં દરશન;
રામચંદ્ર જે વૈદક જાણ, એહ આદિક ભક્ત પ્રમાણ. ૧૯
સજિ સંઘ તે ત્યાંથિ સિધાવ્યા, ગામ ઉગામેડી પાસે આવ્યા;
મળ્યા ત્યાં ભક્તિધર્મકુમાર, દશ સાથે હતા અસવાર. ૨૦
દાદા ખાચર સોમ ને સૂર, સદા જે રહે શ્રીજિ હજૂર;
થયા શ્રીહરિ સૌ રૂપે તેવા, આવ્યા ભક્તોને દર્શન દેવા. ૨૧
જેઠ શુક્લ દશમ ત્રિજે પોરે, દિધાં દર્શન જનચિતચોરે;
પ્રભૂને કર્યા સૌએ પ્રણામ, ત્યારે બોલિયા સુંદરશ્યામ. ૨૨
ક્યાંથિ આવ્યા ને જાઓ છો ક્યાંય, રામચંદ્ર બોલ્યા પછિ ત્યાંય;
આપને મંદવાડ સુણ્યાથી, અમે આવિયા વટપુરમાંથી. ૨૩
આપની છબિ અંતરે ધરવા, અમે આવિયા દર્શન કરવા;
એવું સાંભળિને બોલ્યા નાથ, વૈદરાજ જુવો મુજ હાથ. ૨૪
નાડિ જોઇ બોલ્યા વૈદરાજ, રોગ કાંઇ નથી મહારાજ;
કહે કૃષ્ણ તમે પરવરો, ગોપિનાથનાં દર્શન કરો. ૨૫
અમે જૈશું સારંગપુર ગામ, કાલે આવશું ગઢપુર ધામ;
એમ કહિને ગયા કૃપાનાથ, ગયો ગઢપુરમાં સહુ સાથ.6 ૨૬
જાણ્યું ત્યાં શ્રીજિએ તજ્યો દેહ, અતિ અચરજ પામિયા એહ;
વળિ ધોલેરા પુરનાં નિવાસી, પ્રેમી પ્રગટ પ્રભુનાં ઉપાસી. ૨૭
પૂજાભાઇની બહેન અજૂબા, તેનિ સંઘાતે બાઇ ફુલીબા;
ચાલ્યાં ગઢપુર દર્શન કરવા, છબિ છેલિ વારે ઉર ધરવા. ૨૮
ગાડે બેસીને બેય સિધાવ્યાં, નીંગાળાનિ નદીતટે આવ્યાં;
ગાડું છોડાવી કીધો વિરામ, જળ પાયું બળદને તે ઠામ. ૨૯
તહાં આવ્યા શ્રીજિ મહારાજ, દશ અસ્વારનો છે સમાજ;
જેઠ શુક્લ દશમ દિન હતો, અસ્ત પામવા આદિત્ય7 જતો. ૩૦
બેય બાઇયો તે પગે લાગી, લાગ્યા પૂછવા શ્યામ સુહાગી;
ક્યાંથિ આવ્યાં ને જાઓ છો ક્યાંય? બોલિ બાઇયો તે સમે ત્યાંય. ૩૧
માંદા આપ સુણ્યા મહારાજ, અમે આવિયાં દર્શન કાજ;
ધોલેરાથી આવ્યાં છૈયે અમે, પ્રભુજી ક્યાં પધારો છો તમે? ૩૨
સુણિ બોલિયા શ્રીહરિ ત્યારે, નથિ રોગ શરીરે અમારે;
દેવા દાસને દર્શન કાજ, એક ગામ જૈયે છૈયે આજ. ૩૩
ગઢપુરમાં તમે પરવરો, ગોપિનાથનાં દર્શન કરો;
જશું ત્યાં રહેશું આજ રાત, આવશું ગઢપુરમાં પ્રભાત. ૩૪
પ્રભુએ કરી એમ ઉચ્ચાર, આપ્યા ઉરથિ પ્રસાદિના હાર;
પછિ ત્યાંથી સિધાવિયા શ્યામ, ગઇ બાઇયો ગઢપુર ગામ. ૩૫
જાણ્યું દેહ તજ્યો જગદીશે, ત્યારે અચરજ પામ્યાં અતિશે;
વળિ એવિ કહું ત્રીજી વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત. ૩૬
મહાભક્ત જે નરસિ મહેતા, ગામ પીપલાણામાં રહેતા;
તેની પુત્રી લાડુબાઈ નામ, પરણાવી હતી આખા ગામ. ૩૭
જામની દશમી તણિ જ્યારે, ગયા નાથ તેને ઘેર ત્યારે;
કરિ સાદ જગાડ્યાં સુપેર, કર્યો ઉતારો તેહને ઘેર. ૩૮
કહ્યું કરવી રસોઈ તમારે, ચાલવું છે જમીને અમારે;
બાઇયે ત્યાં રસોઈ બનાવી, ભગવાન જમ્યા ભાવ લાવી. ૩૯
કહે બાઈ અહો મહારાજ, અમે આપનાં દર્શન કાજ;
ગયા પક્ષમાં ગઢપુર આવ્યાં, તમે દર્શન દૈ હરખાવ્યાં. ૪૦
પણ આપના દેહ મોઝાર, કાંઇ કસર હતી તેહ વાર;
પાછાં આવિયાં ગામ અમારે, પછિ વીત્યા થોડા દિન જ્યારે. ૪૧
અમે સાંભળ્યો એવો સંદેશ, મહારાજ માંદા છે વિશેષ;
તેથિ ગઢપુર જાવાનું ધારી, અમે કીધિ છે સૌએ તૈયારી. ૪૨
થયાં આપનાં દર્શન આજ, તેથી ચિંતા ટળિ મહારાજ;
પ્રભુ આપ પધારો છો ક્યાંય, કેમ છે આપના તનમાંય? ૪૩
સુણિ બોલિયા શ્રીઘનશ્યામ, મટ્યો છે હવે રોગ તમામ;
માટે ભક્તોને હર્ષિત કરવા, નિસર્યા છૈયે દેશમાં ફરવા. ૪૪
કહિ એટલું થૈને તૈયાર, થયા ઘોડિ ઉપર અસવાર;
બાઈ જાણે બાળકને જગાડું, તેઓને પ્રભુ પ્રગટ દેખાડું. ૪૫
ગઈ બાળ જગાડવા તહીં, ફરી જોતાં પ્રભૂ દીઠા નહીં;
ઘણા જનને પુછ્યું જઇ તેણે, દીઠા શ્રીહરિને કહો કેણે? ૪૬
જ્યારે કોઇએ દીઠા ન કહ્યું, ત્યારે તો અતિ આશ્ચર્ય થયું;
જાણ્યું શ્રીહરિ ધામ સિધાવ્યા, મને દર્શન દેવાને આવ્યા. ૪૭
એવિ રીતે ઘણે ઘણે ઠામે, દીધાં દર્શન શ્રીઘનશ્યામે;
કેટલીક કહું એવી વાત, કહ્યે પાર ન પામિયે ભ્રાત. ૪૮
શ્રીજીના મંદવાડનું જાણી, છેલ્લાં દર્શનની આશ આણી;
ગઢપુર જે જતા હતા જન, પામ્યા એ જ રીતે દરશન. ૪૯
તમે પુછ્યો મને પ્રશ્ન જેહ, એનો ઉત્તર આપિયો એહ;
ધરે શ્રીહરિ રૂપ અનેક, પણ એ સર્વ એકના એક. ૫૦
પુષ્પિતાગ્રાવૃત્ત
જનમ કરમ સર્વ કૃષ્ણ કેરાં, અકળ અને વળિ દિવ્ય છે ઘણેરાં;
અગમ નિગમ પાર તે ન પામે, કહિ કહિ નેતિ કહી પછી વિરામે. ૫૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દશમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિદેહોત્સર્ગાનન્તરં દર્શનદાનનિરૂપણનામ ષષ્ઠો વિશ્રામઃ ॥૬॥