કળશ ૨

વિશ્રામ ૧૮

 

ઉપજાતિવૃત્ત

હે ભૂપતિ સાંભળ સ્નેહ આણી, કહું ચરિત્રો હરિનાં વખાણી;

જે સાંભળીને સુખ સર્વ પામે, અપાર સંસાર વિકાર વામે. ૧

શ્રીશામને અષ્ટમ વર્ષ જ્યારે, આવ્યો ભલો ફાગણ માસ ત્યારે;

શુદી તિથિ તો દશમી ગણાય, દીધું હરિને ઉપવીત ત્યાંય. ૨

વિસ્તારી તે વર્ણન જો કરાય, તો ગ્રંથ આ શ્રેષ્ઠ વિશેષ થાય;

માટે નહીં હું બહુ વર્ણવીશ, અપૂર્વ લીલા તુજને કહીશ. ૩

સર્વજ્ઞ છે શ્રીહરિ બ્રહ્મચારી, તથાપિ છે માનવ દેહધારી;

સર્વે જનોનું હિત ચિત્ત જાણી, વિદ્યા વિશેષે જનકે વખાણી. ૪

વિદ્યા ભણવા વિષે

હે પુત્ર વિદ્યા ભણવી વિચારી, વિદ્યા ભણ્યાથી સુખ થાય ભારી;

પશુ મનુષ્યો વચ ભેદ એ છે, વિદ્યા ભલી માણસ તે ભણે છે. ૫

ભણે ગણે પંડિત તે ગણાય, ભણે નહીં તે જન મૂર્ખ થાય;

બાળાપણે જે ન ભણે જ જૈને, જરૂર પસ્તાય જુવાન થૈને. ૬

જે પત્ર નિર્જીવ દિઠે જણાય, વિદ્વાનની પાસ સજીવ થાય;

આકાશ પાતાળ ભવિષ્યવાત, કહી બતાવે જડપત્ર જાત. ૭

જે પુત્રને તાત નહીં ભણાવે, બાળાપણે લાડ ઘણાં લડાવે;

તે પુત્રનો શત્રુ પિતા ગણાય, જુવાન થાતાં સુતને જણાય. ૮

આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો વળી પંખી કેવો;

પાણી વિના કેવું સર પ્રમાણો, વિદ્યા વિનાનો જન એમ જાણો. ૯

વિદ્યા ભણે જો જન દ્રવ્યવાન, તો ભાગ્યશાળી નહિ તે સમાન;

પાંખો તથા બે પગ દોડવાના, ક્યાંથી મળે ભૂતળ બેય વાનાં. ૧૦

પક્ષી છતાં પોપટ જો ભણે છે, તો ભૂપનું તે સનમાન લે છે;

ત્યારે ભણેલો જન જેહ થાશે, તો તે કહો કેમ નહીં મનાશે. ૧૧

વિદ્યા ભણીને વિનયી ન થાય, તો તેની વિદ્યા પણ વ્યર્થ જાય;

જો ઝેર પંચામૃતમાં જણાય, તો કોઈ તેને ચિત ના ચહાય. ૧૨

અપૂર્વ વિદ્યા તણી ખાસ એ છે, વિશેષ તે વાવરતાં વધે છે;

ખર્ચે નહી સંઘરવા ચહાય, ખચીત1 તો તે ઝટ ખૂટી જાય. ૧૩

છે શસ્ત્રવિદ્યા વળી શાસ્ત્રવિદ્યા, એ બેયની કીર્તિ દિસે અછિદ્યા;

તથાપિ આદ્યા2 વય થાય ત્રીજી, ત્યારે નકામી સુખદાયી બીજી. ૧૪

ન ચોર ચોરે નૃપતિ ન લૂંટે, ન ભાગ ભાઈ ખરચ્યું ન ખૂટે;

ન ભાર લાગે ન પડે જ ખોટું, છે સત્ય વિદ્યાધન સૌથી મોટું. ૧૫

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

માતા તુલ્ય સદા સુપોષણ કરે પાળે પિતાની પઠે,3

કાંતાતુલ્ય4 વિનોદકારી વળી તે ના આપદામાં હઠે;

વિસ્તારે જશ દ્રવ્યદાન બહુ દે સન્માન આપે ઘણું,

વિદ્યા છે શુભ કલ્પવૃક્ષ સરખી શા ગુણ તેના ગણું. ૧૬

ઉપજાતિવૃત્ત

છે ચાર વેદો ષડ અંગ ગાય, વિદ્યા મિમાંસા વળી જાણ ન્યાય;

સદ્ધર્મ શાસ્ત્રો પછી છે પુરાણ, તે ચૌદ વિદ્યા સમઝે સુજાણ. ૧૭

શિક્ષા તથા કલ્પ નિરુક્ત છંદ, જ્યોતિષ ને વ્યાકરણ પ્રવંદ્ય;

ષડંગ તે વેદ તણાં ગણાય, એવી રીતે સર્વ મુનીશ ગાય. ૧૮

અનેક વિદ્યા પ્રભુ આપ જાણે, તથાપિ ઇચ્છા ભણવાની આણે;

પિતાની પાસે રહીને ભણે છે, વિદ્યા તણા સદ્‌ગુણ તે ગણે છે. ૧૯

શાસ્ત્રો તણો સંગ્રહી સાર સાર, રાખ્યો રચીને ગુટકો મુરાર;

કહી પિતાયે કુળધર્મ શિક્ષા, દીધી વળી વૈષ્ણવમાર્ગ દીક્ષા. ૨૦

લીધો પ્રભુ નિયમ એમ ધારી, સદા થવું નૈષ્ઠિક બ્રહ્મચારી;

તીર્થો વિષે જૈ ફરવું વિશેષ, દેવો જનોને શુભ ઊપદેશ. ૨૧

વળી વિચારી ઉર માંહિ વાત, મારે વિજોગે મુજ માત તાત;

દુઃખી થશે ને દિલમાં દઝાશે, એકે ઘડી તે જુગ જેવી જાશે. ૨૨

માતા પિતા જો ગતિ દિવ્ય પામે, તો તે પછી જાઉં પ્રવાસ કામે;

એવું ગણી ત્યાં જ થયા નિવાસી, રહે તથાપી હૃદયે ઉદાસી. ૨૩

જ્યાં સાલ આવી અડતાળિશાની, કાયા પડી ભૌતિક ભક્તિમાની;

પ્રબોધિનીનો દિન પૂર્વ જેહ, હતો તિથિમાં શનિવાર તેહ. ૨૪

શ્રીભક્તિમાતા ધરી દિવ્ય દેહ, રહ્યાં સદા શ્રીહરિ પાસ તેહ;

બે ભાઈ બીજા અતિશે રુએ છે, તે દેખી લોકો પુરના કહે છે. ૨૫

કોઈ તણીયે કદિ વિશ્વમાંય, બાળાપણામાં મરશો ન માય;

ધેનૂ5 મુઆથી દુઃખી વત્સ6 જેમ, માતા વિના બાળક દુઃખી તેમ. ૨૬

ભલે પિતા ભૂપ સમર્થ હોય, માતાની તુલ્યે ન ગણાય તોય;

માતા તણી વિશ્વ વિષે સગાઈ, સર્વોપરી શ્રેષ્ઠ સદા ગણાઈ. ૨૭

માતા વિના સર્વ હતા ઉદાસી, આવી ચતુર્થી વદિ જ્યેષ્ઠમાસી;

તાતે તજ્યો ત્યાં નિજદેહ તેહ, સેવે પ્રભુને ધરી દિવ્યદેહ. ૨૮

રુએ ઘણા રામપ્રતાપ આદિ, શિષ્યો રુવે દીક્ષિત પુરુષાદિ;

લોકો કહે છે મુખ વાણી એમ, પિતા મુએ શોક ન થાય કેમ. ૨૯

જો પુત્ર પોતે વયવૃદ્ધ હોય, ઇચ્છે પિતાનું સુખ તેહ તોય;

પિતાસ્વરૂપી શિરછત્ર જેને, સંતાપ ઓછો તન માંહિ તેને. ૩૦

જુદો કદી પુત્ર પિતાથી થાય, તથાપિ દેખી હરખે પિતાય;

જુએ શશીને નભ માંહિ જ્યારે, નિધિ7 ખુશી થૈ ઉભરાય ત્યારે. ૩૧

પછી ઘનશ્યામ રુદે વિચારી, ઘણા જનોનું હિત ચિત્ત ધારી;

પ્રભાતમાં મજ્જનને મિશે તે, સદ્યઃ સિધાવ્યા સરજુ દિશે તે. ૩૨

ભક્તિ તથા વેદ વસૂ શશાંક,8 બેઠો નવો વિક્રમ વર્ષ અંક;

અષાઢમાસી દશમી સુદીમાં , ના’યા હરી જૈ સરજુ નદીમાં. ૩૩

અગ્યાર વર્ષો ત્રણ પૂર્ણ માસ, કર્યો ગૃહે વાસર એક વાસ;

શ્રીશ્યામને ત્યાં હણવાનું ધારી, આવ્યો વળી એક મહા સુરારી. ૩૪

નાખ્યા હરિને જળપૂર માંય, શરીર તે માંહિ તણાયું ત્યાંય;

સૂએ મહાસાગર મધ્ય જેહ, પ્રભુ બુડે શું જળ માંહિ તેહ. ૩૫

ઇચ્છા હરિની હરિપ્રેરણાથી, ગુરૂડ આવ્યા હરિધામમાંથી;

ઉપાડી લીધા પ્રભુ તેહ વારે, મુક્યા ઉતારી નદી કોશ બારે.9 ૩૬

પુષ્પાદિ પૂજા ગરુડે સુકીધી, કરી પ્રસાદી પ્રભુ પાછી દીધી;

નમી પ્રભુને પદ તેહ ઠામ, સિધાવિયા તે ગરુડ સ્વધામ. ૩૭

નાખ્યા અસુરે જળમાં હરિને, તે તો ગણે શ્યામ ગયા મરીને;

જે કાળના કાળ સદા કહાવે, તેને કદાપિ નહીં આંચ આવે. ૩૮

શ્રીકૃષ્ણની દૃષ્ટિ થકી દઝાતો, પાપી મુઓ ખૂબ પછાડ ખાતો;

પ્રભુ થકી વૈર કરી કુપાત્ર, પામ્યા ન કોઈ સુખ લેશમાત્ર. ૩૯

ચાલ્યા નદીને તટ કોશ બેય, ત્યાં એક મોટો વડ વૃક્ષ છેય;

ત્યાં બેસીને કાંઈ કર્યો વિરામ, સમગ્ર આવ્યા સુર તેહ ઠામ. ૪૦

તીર્થો નદી પર્વત મુખ્ય જેહ, આવ્યા ધરી માનવ રૂપ તેહ;

સૌએ પ્રભુને પદ શીશ ધારી, સુનમ્રતાથી વિનતિ ઉચારી. ૪૧

અષ્ટપદી

સ્વજન તણા સુખસાગર, નટનાગર એ;

અમળ ઉજાગરરૂપ,10 જય ઘનશામ હરે;

સંકટ સકળ નિવારણ, જગકારણ એ;

ભવજળતારણ ભૂપ, જય ઘનશામ હરે... ૪૨

   મૂર્તિ રુચિર મનરોચન,11 દુઃખમોચન એ;

   સરસિજલોચન12 શામ, જય ઘનશામ હરે;

   જય નિજજન મનસ્ફૂરણ, ભયચૂરણ એ;

   પ્રિયજનપૂરણકામ, જય ઘનશામ હરે. ૪૩

ઈશ્વરના પણ ઈશ્વર, જગદીશ્વર એ;

સકળ કવિશ્વર ગાય, જય ઘનશામ હરે;

જય વૃષવંશદિનંકર,13 અભયંકર એ;

શંકરસેવ્ય સદાય, જય ઘનશામ હરે. ૪૪

   નિર્ગુણ મુનિજનનાયક, ખળધાયક14 એ;

   દાયક અતિ સુખદાન, જય ઘનશામ હરે;

   દુર્મતિ દુર્જનદંડન, શ્રુતિમંડન15 એ;

   ખંડન ખળગુરુમાન, જય ઘનશામ હરે. ૪૫

દહનકરણ અઘકાનન,16 કમળાનન17 એ;

ગુણ ચતુરાનન18 ગાય, જય ઘનશામ હરે;

ગુણનિધિ આપ ગિરિધર, અવનીધર એ;

શ્રીધર19 સુખદ સદાય, જય ઘનશામ હરે. ૪૬

   અરુણવરણ20 જુગ ચરણ છે, સત્ય શરણદ21 એ;

   નિજજનકરણ નિહાલ, જય ઘનશામ હરે;

   પરમ ધરમ ધુરધારી છો, સુખવારિદ22 એ;

   વિશ્વવિહારીલાલ, જય ઘનશામ હરે. ૪૭

ઉપજાતિવૃત્ત

તીર્થો કહે હે હરિકૃષ્ણદેવ, હવે પધારો પ્રભુ તર્તખેવ;

ધરી નિજાંઘ્રી રજ શ્રીમુરારી, પવિત્રતા નાથ કરો અમારી. ૪૮

દેવો કહે દેશ બધે પધારો, સદ્ધર્મ સર્વે સ્થળમાં વધારો;

અધર્મના પંથ પ્રભુ ઉથાપો, દુષ્ટો હણીને જનકષ્ટ કાપો. ૪૯

કહે પ્રભુ સત્વર તે કરીશ, ભૂમિ તણો ભાર હવે હરીશ;

તમે તમારે સ્થળ સૌ સિધાવો, સ્વચિત્તમાં ધૈર્ય હવે ધરાવો. ૫૦

એવું સુણી પૂજન સર્વ કીધું, નૈવેદ્ય મીઠાં ફળ આદિ દીધું;

કરી પ્રભુના પદને પ્રણામ, ગયા સુરો તીર્થ સહુ સ્વધામ. ૫૧

નિજક્રિયા ત્યાં કરીને મુરારી, આહાર કીધો ફળનો વિચારી;

સર્જુતટે તે વટવૃક્ષ પાસ, કર્યો પ્રભુયે રજની નિવાસ. ૫૨

નિત્યપ્રતિ નીરખવા હરિને, એવી પ્રતિજ્ઞા હનુમાનજીને;

તેથી પધાર્યા કપિ ધર્મધામ, દીઠા નહીં શ્રીહરિ તેહ ઠામ. ૫૩

જોયું પછી જ્યાં મનધ્યાન ધારી, સર્જૂ તટે દૂર દીઠા મુરારી;

પુરી અયોધ્યા થકી ચૌદ કોશ, ગયા હનુમાન તહાં અદોષ. ૫૪

કરી નમસ્કાર મહાપ્રભુને, સર્વેશ્વરોના ગુરુના ગુરૂને;

પછી કહ્યું હે પ્રભુ મેઘશામ! મને બતાવો નિજ કાંઈ કામ. ૫૫

કહે હરિ મુજ સગાં સમાજ, કરતાં હશે ક્લેશ વિશેષ આજ;

મારે વિજોગે મનમાં મુંઝાશે, તમે પધારો કપિ તેહ પાસે. ૫૬

જ્યારે જઈ પશ્ચિમ દેશમાંય, બાંધીશ મોટાં શુભ ધામ ત્યાંય;

કુટુંબીયોને તહીં તેડી લૈશ, નહીં કદી છેક વિસારી દૈશ. ૫૭

એવું કહી ધીરજ આપ આપો, સગાં સહુ કેરી ઉદાસી કાપો;

એવું કહીને વૃષવંશરાય, કર્યા તહાંથી કપિને વિદાય. ૫૮

પુષ્પિતાગ્રાવૃત્ત

રજની વિગત થૈ થયું સવાર, પછી હરિ ત્યાંથી કર્યો વળી વિહાર;

સુણ નરપતિ હું કહીશ જેહ, સ્થિતિ થઈ શામ જતાં સગાંની તેહ. ૫૯

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિગૃહત્યાગ-કરણનામા અષ્ટદશો વિશ્રામઃ ॥૧૮॥

 

ઇતિ શ્રીહરિલીલામૃતે બાલચરિત્રનામા દ્વિતીયકલશઃ સંપૂર્ણઃ ॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે