કળશ ૨

વિશ્રામ ૬

 

પૂર્વછાયો

હે અભેસિંહ સુણો હવે, કહે વર્ણી અચિંત્યાનંદ;

જે સંસ્કાર વૃષે કર્યા, તે કહું ધરી આનંદ. ૧

ચોપાઈ

જાતસંસ્કાર પેહેલો જાણું, જિહ્વામાર્જન બીજો પ્રમાણું;

મેધાજનન ત્રીજો કહેવાય, તે મેં તમને કહ્યા છે રાય. ૨

ચોથો સંસ્કાર પયપાન જે છે, માસ બીજો બેસે ત્યાં કરે છે;

શુદિ દશમી ગુરુવાર જ્યારે, પયપાન કરાવિયું ત્યારે. ૩

શુદિ વૈશાખની એકાદશી, ભૃગુવારી1 પિતા મન વશી;

ત્યારે પારણે પોઢાડ્યો બાળ, પાંચમો સંસ્કાર નૃપાળ. ૪

વિશ્વકર્મા તે પારણું લાવ્યા, દિસે હીરા હજારો જડાવ્યા;

તેનું વર્ણન અધિક ઉમંગે, સંભળાવીશ બીજે પ્રસંગે. ૫

ચોથા માસમાં શાસ્ત્ર પ્રમાણે, કર્યું નામકરણ શુભ ટાણે;

માસ અષાઢ છે નિરધાર, વદી સાતમ ને ગુરુવાર. ૬

માસ પાંચમો તે બેઠો જ્યારે, શુદી એકાદશી આવી ત્યારે;

ભૂમિ ઉપર પ્રથમ બેસાર્યા, એમ સંસ્કાર સાત સુધાર્યા. ૭

છઠે માસે આસો શુદિ બીજે, આઠમો સંસ્કાર કહીજે;

અન્નપ્રાશન પ્રથમ કરાવ્યું, જેવું વેદે વિધાન બતાવ્યું. ૮

શરદ પૂનમ ને ગુરુવાર, કર્ણવેધ કર્યો સંસ્કાર;

આવ્યો જન્મ દિવસ વળી જ્યારે, કર્યો અદ્‌ભુત ઉત્સવ ત્યારે. ૯

ક્રિયા સર્વે તે શાસ્ત્ર પ્રકાર, કરી ને દાન દીધાં અપાર;

લેવા દાન જાચક બહુ આવ્યા, ધર્મ ભક્તિએ સૌને રીઝાવ્યા. ૧૦

ઉપજાતિવૃત્ત

શ્રીદેવશર્મા તણી ભક્તિ દારા, દે છે ઘણાં દાન થઈ ઉદારા;

કરે જનો જાચક વારતા છે, સુદારતા2 સાથ ઉદારતા છે. ૧૧

દિધા થકી દાન વળી વિશેષ, કીર્તિ વધી ત્યાં સરવાર દેશ;

ઘણા દ્વિજોની મનવૃત્તિ એવી, પોતાની કન્યા વૃષઘેર દેવી. ૧૨

દવે દ્વિજાતિ બળદેવ નામ, રહે ઠરીને તરગામ ઠામ;

તેણે સુતા નામ સુવાસનીને, દીધી પછી રામપ્રતાપજીને. ૧૩

સુપુષ્પમાં જેમ મળે સુવાસ, મળી રહે દામિનિ3 મેઘ પાસ;

મળી રહે સાકર દૂધ જેમ, મળી રહ્યા દંપતિ ચિત્ત તેમ. ૧૪

સુતા દવેજી બળદેવની છે, પર્ણી સુમૂર્તિ બળદેવની છે;

જેમાં મતિ નિર્બળ દેવની છે, દાતા મતિ શંબળ દેવની છે. ૧૫

સુવાસિની શ્રીહરિને રમાડે, જુક્તિ કરી અન્ન ભલું જમાડે;

શું રેવતી ખાંત્ય રહી અધૂરી, સ્વેચ્છા કરે છે સહુ આજ પૂરી. ૧૬

જે અક્ષરાતીત અગમ્ય જે છે, તે ધર્મના આંગણમાં રમે છે;

દોડે પડે ઢીંચણભેર ચાલે, નાસે હસે દીપક દેખી ઝાલે. ૧૭

જે જોગીના ધ્યાન વિષે ન આવે, માતા લઈ લાડ બહુ લડાવે;

સુભાગ્ય જોજ્યો પુરવાસિ કેરાં, આપે સદા સુખ પ્રભુ ઘણેરાં. ૧૮

સ્ત્રિયો લઈ જાય રમાડવાને, રમાડવા વાર4 મળે ન માને;

કરી તિરસ્કાર બહુ નિવારે, તથાપિ આવે જન વારવારે. ૧૯

સર્વે રહે છે મુખ સામું જોઈ, કરે નહીં ત્યાં ઘરકામ કોઈ;

કહે મળીને જન ઠામ ઠામ, ઘેલું કર્યું આ સુત આખું ગામ. ૨૦

મુખે થકી કિલકિલ્ શબ્દ બોલે, આનંદ એથી ઉપજે અતોલે;

કોઈ સમે જૈ નિજમાત આગે, મંમં કહી ભોજન મિષ્ટ માંગે. ૨૧

પૂર્વછાયો

હે નરપતિ હરિ મૂર્તિમાં, આશ્ચર્ય અનેક જણાય;

વળી હરિની માયા થકી, દિવ્યભાવ ભૂલી જવાય. ૨૨

ચોપાઈ

જે જે આશ્ચર્ય બાળકરૂપે, ભલાં દેખાડ્યાં વૃષકુળભૂપે;

તેનો કહેતાં ન આવે પાર, માટે તેમાંથી કહિશ લગાર. ૨૩

એક દિવસે સુવાસિની બાઈ, પારણેથી તેડ્યા સુખદાઈ;

તે તો લઈ ગયાં દૂર ખેલાવા, ભક્તિમાતા આવ્યાં ધવરાવા. ૨૪

માયે પારણું જોયું નિહાળી, તેમાં સૂતા દીઠા વનમાળી;

ધવરાવા બેઠાં પાસે જૈને, ત્યાં તો આવ્યાં સુવાસિની લૈને. ૨૫

દીઠાં બે રૂપ હરિનાં જ્યારે, પામ્યાં અદ્‌ભુત અચરજ ત્યારે;

હતું માતાના ખોળામાં રૂપ, બીજું તેમાં ભળી ગયું ભૂપ. ૨૬

એવાં ચરિત્ર કરે અદ્‌ભુત, એ છે અકળ અજર અચ્યૂત;5

ભલો આવ્યો ભાદરવો માસ, કર્યો એકાદશી ઉપવાસ. ૨૭

ભક્તિમાતે સુવાસિની બાઈ, બીજી બહુ મળી સ્ત્રી હરખાઈ;

માતે તેડી લીધા મહારાજ, ચાલ્યાં સૌ મળી મજ્જન6 કાજ. ૨૮

આજ મંદિરથી પૂર્વમાંય, ભૂપ એક તળાવ છે ત્યાંય;

તેથી દક્ષિણ દિશને ઠામ, રુડું છે નારાયણસર નામ. ૨૯

જ્યારે પર્વણિનો7 દિન આવે, પુરવાસી ત્યાં નાવા સિધાવે;

જળઝીલણીનો દિન જાણી, ઇચ્છા નાવાની ઉરમાં આણી. ૩૦

વાટે કરતાં હરિગુણ ગાન, સર્વે નારીએ જઈ કર્યું સ્નાન;

પ્રભુને પણ ત્યાં નવરાવ્યા, સર્વે સુંદરીને મન ભાવ્યા. ૩૧

એક કમળ તણું ફૂલ લાવી, નમી હાથમાં હરિને ધરાવી;

એક તેહ તળાવને તીર, અસોપાલવ ગેર ગંભીર. ૩૨

તેની શોભા દિસે ઘણી સારી, આખા વિશ્વ થકી એ તો ન્યારી;

વિશ્વકર્માએ નવરાશ લાવી, જાણે કારીગરી છે બનાવી. ૩૩

તેની શાખાની શોભા છે ભારી, જાણે સંઘાડે8 હોય ઉતારી;

રંગ લીલો લલિત પાંદડાંનો, કોણ જાણે એ તે રંગ ક્યાંનો. ૩૪

છાયા શીતળ તેની રહે છે, વાયુ મંદ સુગંધી વહે છે;

જઈ ત્યાં પાથર્યું પટ9 એક, પડ કોમળ કીધાં અનેક. ૩૫

પ્રભુને તે ઉપર પધરાવી, જલક્રીડા તે કરવા સિધાવી;

એવે અવસરે ત્યાં અણધાર્યા, બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર10 પધાર્યા. ૩૬

આવી ઉભા પ્રભુજીની પાસે, તેનાં રૂપ તેજોમય ભાસે;

મહાતેજનું પેખીને પૂર,11 પડે ઝાંખા શશાંક12 ને સૂર.13 ૩૭

એવું તેજ જોઈ સહુ બાઈ, પામી અચરજ અંતરમાંઈ;

ભૂલી સર્વે શરીરનું ભાન, સ્થિતિ પામી સમાધિ સમાન. ૩૮

બ્રહ્મા આદિક ભુવનના રાય, તેણે પૂજીયા પ્રભુજીના પાય;

દિવ્ય ભૂષણ વસ્ત્ર ધરાવ્યાં, સ્નેહે ફરી ફરી શીશ નમાવ્યાં. ૩૯

કર જોડીને સ્તુતિ ઉચ્ચારી, અહો શ્રીહરિ કરુણાકારી;

તમે ભૂમિનો હરવાને ભાર, લીધો અવની ઉપર અવતાર. ૪૦

નારાચવૃત્ત

ધર્યું શરીર શ્રીહરિ અધર્મને ઉખાડવા,

સ્વદાસની સમસ્ત ભીતિ મૂળથી મટાડવા;

અનેક દુષ્ટ આ સમે કરે અધર્મ કર્મને,

વિદારિ ધર્મ વેદનો ચહાય કૌલધર્મને. ૪૧

   કરે કુપાત્રમાત્ર ભૂત પ્રેતની ઉપાસના,

   સદૈવ મદ્ય માંસ ખાય શત્રુ કૃષ્ણદાસના;

   મલીન દેવના વિશેષ મંત્ર જંત્ર સાધિને,

   મનુષ્યને કરે જ આધિ વ્યાધિની ઉપાધિને. ૪૨

અનેક દુષ્ટમધ્ય મુખ્ય એક કાલિદત્ત છે,

કુકર્મનો જ કૂપ પાપરૂપ તે પ્રમત્ત છે;

ડરે દિલે બધાય દેવ દેવિ દૈત્ય દાનવી,

ડરે મહેશ શેષ તેથી કોણમાત્ર માનવી. ૪૩

   ઘણી થઈ હવે કૃપા કરો તમે કૃપાનિધિ,

   ઘણાક કાળ તેહને તમે પ્રભુ ક્ષમા કિધી;

   વિના સુશસ્ત્ર અસ્ત્ર એહ દુષ્ટને વિદારવો,

   હવે જરૂર ઉર માંહિ એ વિચાર ધારવો. ૪૪

અનંત સંત એહની પીડા થકી પીડાય છે,

વિનાશકાર ત્રાસથી ઉદાસ ઉર થાય છે;

અભંગ અંગ એહનું ન ભંગ થાય કોઇયે,

મુરારી દુઃખહારી છો તમારી વાટ જોઇયે. ૪૫

   તમો વિના સહાયતા અમારી આજ કો કરે,

   વિદારી શ્રેષ્ઠ દુષ્ટને અમારું કષ્ટ કો હરે;

   જુગે જુગે તમે જ દેવદેવ14 દેહ ધારીને,

   સુખી કરો સ્વદાસ ત્રાસકારી દુષ્ટ મારીને. ૪૬

તમે જ ધર્મસર્ગને અભીતિ આપનાર છો,

તમે જ કષ્ટ નષ્ટકારિ તુષ્ટિ15 પુષ્ટિકાર છો;

સહાયતા સ્વભક્તની કૃપાળ આ સમે કરો,

કહે સુરેશસાથ16 નાથ હાથ મસ્તકે ધરો. ૪૭

ઉપજાતિવૃત્ત

સુણી કહે શ્રીહરિ શુદ્ધ વાણી, અહો પિનાકી17 અજ ચક્રપાણી;18

જે દુષ્ટ પીડા તમને કરે છે, તે સાધુને તો અતિ દુઃખ દે છે. ૪૮

કૃત્યા થકી તે બહુ કષ્ટ પામ્યો, તથાપિ તે પાપી નહીં વિરામ્યો;

તેને ન આવી હજી કાંઈ શુદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. ૪૯

જે જે હતું જોર કરી ચૂક્યો છે, મમત્વ તોયે હજી ક્યાં મૂક્યો છે;

બેઠી જવા તેની બધી સમૃદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. ૫૦

દીવા વિષે અંગ19 પતંગ20 પાડે, દેખી પડે મૂરખ જેમ ખાડે;

એવી થઈ છે મતિ એની ઊંધી, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. ૫૧

થશે હવે સાંપ્રત નાશ એનો, તમે ન રાખો ભય કાંઈ તેનો;

સ્વધામ માંહિ સુખથી સિધાવો, સૌને દિલે ધીરજતા ધરાવો. ૫૨

બાળા21 હતી જેહ તળાવમાંય, આવી મળીને પ્રભુપાસ ત્યાંય;

પૂછ્યું સુરોને ત્રણ કોણ છોજી? કથા તમારી અમને કહોજી. ૫૩

કહે સુરો હે કરુણાસમુદ્ર, અમે વિધાતા વળી વિષ્ણુ રુદ્ર;

સર્વે તણું સંકટ સંભળાવા! માજી અમે શ્રીહરિ પાસ આવ્યા. ૫૪

આ છે પ્રભુ અક્ષરધામવાસી, મનુષ્યનું રૂપ રહ્યા પ્રકાશી;

તે છે તમારા સુત શ્રીમુરારી, ભૂમી તણો ભાર વિનાશકારી. ૫૫

આશ્ચર્ય એવું સુણી સર્વ પામી, જાણ્યા પ્રભુને સકળેશ સ્વામી;

ગઈ હરિને લઈ ગામમાં તે, ગયા વિધાતાદિ સ્વધામમાં તે. ૫૬

પુષ્પિતાગ્રાવૃત્ત

પછી પરિજન22 ધર્મ પાસ જૈને, સકળ કથા સુકહી પ્રસન્ન થૈને;

સુણી સુણી મન માંહિ સર્વ ફૂલ્યાં, પ્રભુની અજાથી23 પછીથી વાત ભૂલ્યાં. ૫૭

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે દ્વતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

બાળચરિત્રે નારાયણસરે બ્રહ્માદિ આગમનવર્ણનનામા ષષ્ઠો વિશ્રામઃ ॥૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે