કળશ ૩

વિશ્રામ ૧૧

પૂર્વછાયો

વર્ણી કહે નૃપ સાંભળો, રતાબસિયાનું કહું આખ્યાન;

જે સુણતાં સમજાય છે, કેવા સમરથ શ્રીભગવાન. ૧

ધર્મતનુજ નરતન ધરી, વન વિચરતા વિખ્યાત;

આદિકુરમ જ્યાં તીર્થ છે, ત્યાં આવ્યા પ્રભુ સાક્ષાત. ૨

ચોપાઈ

ત્યાંથી માનસપુર ગયા લાલ, સત્રધર્મા છે ત્યાંનો ભૂપાળ;

તેની ઊપર ઉર દયા લાવી, તેને સદ્ય સમાધિ કરાવી. ૩

એને દેખાડ્યું અક્ષરધામ, કર્યો આશ્રિત સુંદરશામ;

નૃપ દ્વારે વળી તેહ ઠાર, કર્યો અસુર ઘણાનો સંહાર. ૪

ગયા શ્રીહરિ તૈલંગ1 દેશ, કર્યો ત્રિપદીપુરમાં2 પ્રવેશ;

ત્યાં તો હળ ને મુશળ ધરનાર, દીઠી બાલાજીની છબી સાર. ૫

તેનાં આદરે દર્શન કરી, વેંકટાદ્રિ વિષે ગયા હરી;

વળી ત્યાં થકી વાલો વિચરતા, એક ઝાડી વિષે ગયા ફરતા. ૬

તેમાં ભૂલા પડ્યા ભયહારી, કર્યું મનુષ્યચરિત્ર મુરારી;

આવી ભૂમિ ભયંકર છેક, સુતો દીઠો ત્યાં રાક્ષસ એક. ૭

તેના મસ્તકમાં લાત મારી, ત્યારે ઉભો થયો તે ખુંખારી;

હતો ક્રોધી વિરોધી તે ઘણો, પદસ્પર્શ થયો પ્રભુ તણો. ૮

વળી હરિની ઇચ્છા બળવાન, પૂર્વભવનું થયું તેને જ્ઞાન;

પુરુષોત્તમ પ્રભુને પિછાણ્યા, જગદીશ્વર સાક્ષાત્ જાણ્યા. ૯

કર્યો પ્રેમથી દંડપ્રણામ, સ્તુતિ ઉચ્ચારી ઉચ્ચર્યો આમ;

કૃપાનાથ તમે કૃપા કરી, મને આવી મળ્યા આજ હરી. ૧૦

સ્વામી છો સર્વજ્ઞ સુજાણ, તોય આપું મારી ઓળખાણ;

પૂર્વજન્મે હતો હું નરેશ, પ્રીતે પાળતો તૈલંગ દેશ. ૧૧

એવે અવસરે બે દ્વિજ લડિયા, ન્યાય લેવા રાજદ્વાર ચડિયા;

તેમાં એકનું જયદેવ નામ, કન્યા કુંવારી તેહને ધામ. ૧૨

બીજો નામે મુકુંદદેવ સારો, તેને એક જ પુત્ર કુંવારો;

શિશુપણમાંહિ સગપણ કીધું, વાગદાન તે જયદેવે દીધું. ૧૩

વિત્યાં પાંચ વરસ પછી જ્યારે, શીળી નીકળી વરને ત્યારે;

એ તો આંખે થયો અંધ એથી, જયદેવને નવ ગમ્યો તેથી. ૧૪

ત્યારે તે સાથ સગપણ તોડી, બીજા સાથે સગાઈ તે જોડી;

પિતા વરનો મુકુંદદેવ જેહ, આવ્યો રાજસભા મધ્ય એહ. ૧૫

મુજ પાસ માગ્યો એણે ન્યાય, સુત માટે તે માગી કન્યાય;

કહે કેમ મુકાય સગાઈ? ખાધા બહુ દિન મેવા મીઠાઈ. ૧૬

અમે ભૂષણ વસન ચડાવ્યાં, કરી જીર્ણ પાછાં મોકલાવ્યાં;

અહો છો તમે નૃપ ધર્મરાય, એવો અન્યાય તે કેમ થાય? ૧૭

એવું સુણીને મુનિકૃતમાત્ર,3 જોયાં વિચારી બહુ ધર્મશાસ્ત્ર;

એમાં તો એવી વાત જણાઈ, કરી હોય કન્યાની સગાઈ. ૧૮

પછી જો વર અપંગ થાય, તો તે કન્યા તેને ન દેવાય;

વસ્ત્ર ભૂષણ જીરણ જેવાં, હોય તે તેને પાછાં જ દેવાં. ૧૯

એવી રીતે કર્યો અમે ન્યાય, ત્યારે બોલિયો વરનો પિતાય;

ધર્મશાસ્ત્રની વાત શું ધારો? કુળાચાર4 છે એવો અમારો. ૨૦

કોઈ રીતે સગાઈ ન છૂટે, વર નાશ પામે તો જ તૂટે;

શાસ્ત્રાચાર થકી કુળાચાર, બળવાન છે વિશ્વ મોઝાર. ૨૧

એવી તેણે કરી તકરાર, મને તો ગમ્યો શાસ્ત્રઆચાર;

તેથી તેવો હુકમ મેં કીધો, વરતાતે5 મને શાપ દીધો. ૨૨

બન્ને વિપ્ર પવિત્ર તે એવા, સમરથ વર કે શાપ દેવા;

વરતાત કહે નવ માસે, નૃપ તું મોટો રાક્ષસ થાશે. ૨૩

એવી વાણી સુણી શાપ તણી, મેં તો જોયું કન્યાપિતા ભણી;

ત્યારે તેણે તે વિચારી લીધું, દયા આણીને વરદાન દીધું. ૨૪

તને મળશે પ્રગટ ભગવાન, ત્યારે થાશે પૂરવભવ જ્ઞાન;

તજાવીને તે રાક્ષસ દેહ, ગતિ ઉત્તમ આપશે એહ. ૨૫

નવ માસે મટી ભલો ભૂપ, થયો હું પછી રાક્ષસરૂપ;

ઘણા રાક્ષસને રાક્ષસી, રહ્યાં મારા તાબા માંહિ વસી. ૨૬

ઉપજાતિવૃત્ત

બે માણસો મધ્ય લડાઈ થાય, બન્ને જણા તે નૃપ પાસ જાય;

તે થાય જેના ગમતા પ્રમાણે, તે ભૂપનો ન્યાય ભલો વખાણે. ૨૭

ધાર્યા થકી જો ઉલટું જ થાય, એ તો કહે આજ થયો ન ન્યાય;

બન્ને જણાના મન માંહિ ભાવે, એવો કદી ન્યાય બની ન આવે. ૨૮

જે રાય અન્યાય કદી કરે છે, અંતે જઈ તે નરકે ઠરે છે;

જે પક્ષ કે પાત કરે નરેશ, તે ઉપરે કોપ કરે મહેશ. ૨૯

ચોપાઈ

એવો સમય આવ્યો પ્રભુ મારે, પામ્યો રાક્ષસનો દેહ ત્યારે;

વળી બીજું સંકટ આવી પડિયું, તે તો નિશ્ચે મને ઘણું નડિયું. ૩૦

એક રાક્ષસ નામ વૈતાળ, સર્વે રાક્ષસનો તે ભૂપાળ;

તેણે મેળવી રાક્ષસ નાત, ગયા સર્વ ત્યાં રાક્ષસ જાત. ૩૧

મુજ પાસે હતા ઘણા જેહ, ગયા રાક્ષસ રાક્ષસી તેહ;

રહ્યો હું એકલો મુજ વનમાં, ત્યાં તો ભૂખ લાગી મારા તનમાં. ૩૨

વિપ્રપુત્ર ચતુરભુજ નામ, જતો હતો તે જાત્રાને કામ;

કાંચીપુરીએ જવાનું છે મનમાં, જતાં ભૂલો પડ્યો મારા વનમાં. ૩૩

તેને પકડ્યો મેં કરવા આહાર, ત્યારે તેણે કર્યો ત્યાં ઉચ્ચાર;

મારી ભગિની કુંવારી છે બેય, કન્યાદાન દેવાં તેનાં છેય. ૩૪

કાંચીપુરમાં મોટા જન પાસે, હું તો જાઊં છું દ્રવ્યની આશે;

મારી બેહેનો જોશે ઘેર વાટ, નહીં જાઉં તો કરશે ઉચાટ. ૩૫

મારાં માતા પિતા વૃદ્ધ છેક, પાળનાર તેને હું છું એક;

મને મારીશ તો થશે પાપ, તને લાગશે માહરો શાપ. ૩૬

પડ્યો અજગરસમ તું રહીશ, પંડે પીડા ઘણી જ પામીશ;

એવાં વચન કહ્યા તેણે લક્ષ, તોય કીધો મેં તેહનો ભક્ષ. ૩૭

તેથી પામ્યો પીડા હું તો ભારી, થઈ અજગરસમ સ્થિતિ મારી;

તમે મુજને મળ્યા મહારાજ, અતિ કીધો અનુરાગ આજ. ૩૮

હવે રાક્ષસદેહ છોડાવો, ગતિ ઉત્તમ મુજને અપાવો;

એવું સાંભળીને ઘનશામ, તેનો દેહ તજાવ્યો તે ઠામ. ૩૯

કહ્યું જા હવે સોરઠમાંય, જેતપુર છે વાળાનું જ્યાંય;

કાઠી બશિયાના કુળ મોઝાર, ધરજે જઈને અવતાર. ૪૦

રતો નામ તારું કહેવાશે, તને મારો સમાગમ થાશે;

મારી ભક્તિ કરી તેહ ઠામ, પછી પામીશ અક્ષરધામ. ૪૧

કહે વર્ણી સુણો અવનીશ, બોલ્યા વેણ જે જે જગદીશ;

બની વાત તે એ જ પ્રમાણે, સતસંગી સરવ જન જાણે. ૪૨

ભલો ભક્ત થયો રતો બશિયો, સદા શ્યામસમીપે તે વશિયો;

પૂર્વભવનું હતું તેને જ્ઞાન, વાત કરતો થઈ સાવધાન. ૪૩

એનાં લક્ષણ એવાં જણાય, પૂર્વભવનો તે ભક્ત મનાય;

કરી ઉત્તમ ભક્તિનું કામ, અંતે પામ્યો તે અક્ષરધામ. ૪૪

ઉપજાતિવૃત્ત (પૂર્વસંસ્કાર વિષે)

ત્રણ પ્રકારે હરિભક્ત જાણો, મુક્તો તથા યોગચ્યુત6 પ્રમાણો;

સંસ્કાર પૂર્વે શુભ કાંઈ થાય, સાધુ તણી વાત સુણી મનાય. ૪૫

જે મુક્ત મોટા નરદેહ ધારી, સંસારથી રીત સમગ્ર ન્યારી;

અખંડ મૂર્તિ પ્રભુ કેરી દેખે, દેહાદિ વસ્તુ તૃણ તુલ્ય લેખે. ૪૬

સત્સંગ પામે જન જોગભ્રષ્ટ, ગણે નહીં તે કદિ કાયકષ્ટ;

મંડ્યો રહે તે હરિભક્તિ માંહી, કરે ન આસ્થા સ્થળ અન્ય ક્યાંહી. ૪૭

જે સ્વલ્પ સંસ્કાર તણે પ્રતાપે, સત્સંગ સેવે થઈ ભક્ત આપે;

મંડ્યો રહે ઉત્તમ ભક્ત થાય, કુસંગ પામે જડ મૂળ જાય. ૪૮

સંસ્કાર જો પૂર્વ તણો ન હોય, સત્સંગી સારો નવ થાય કોય;

ઊંડી ન પેસે ઉર માંહિ વાત, જાતિ વિના જેમ પડે ન ભાત.7 ૪૯

મળે હરિ કે હરિના મળેલા,8 સત્સંગી જે તેહ થકી થયેલા;

તેઓ તણાં ઉત્તમ અંગ જેવાં, પરંપરા અંગ ન હોય એવાં. ૫૦

ચોપાઈ

કહે વર્ણી અહો સુણ રાય, રતા બશિયાનું આખ્યાન આંય;

કોઈ શીખે સુણે કે જો ગાશે, પ્રાપ્ત ચારે પદારથ થાશે. ૫૧

ઘણા રાજી થશે ઘનશામ, અંતે આપશે અક્ષરઘામ;

મોટા ભક્ત તણો મહીમાય, પ્રીતે સુણતાં પવિત્ર થવાય. ૫૨

દીધું રાક્ષસને જ્ઞાનદાન, એવા સમરથ શ્રી ભગવાન;

તેની ભક્તિ કરે નહિ જેહ, મોટો મૂરખ માણસ તેહ. ૫૩

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃષસુત હરિ છે કૃપાળુ કેવા, અવર ન કોય દયાળુ દેવ એવા;

અગણિત અઘ9 ટાળી મોક્ષ આપે, કરી નિજદાસ અનેક કષ્ટ કાપે. ૫૪

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર – અભયસિંહનૃપસંવાદે

રતાબશિયાખ્યાન-કથનનામા એકાદશો વિશ્રામઃ ॥૧૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે