વિશ્રામ ૧૫
પૂર્વછાયો
કહે અચિત્યાનંદજી, સુણો ભૂપતિ થૈ સાવધાન;
ભક્ત સુકશીયાભાઈનું, એક કહું ભલું આખ્યાન. ૧
ચોપાઈ
ચરોતરમાં છે નાવલી ગામ, લાલદાસ રહે તેહ ઠામ;
નાતે લેઉવા તે પાટીદાર, કરે ખેતી ને ઘીનો વેપાર. ૨
ઘૃત1 કુંપી2 ભરીને વિશેષ, કર્યો વાંકળ પ્રાંત પ્રવેશ;
તેથી લાભ ઘણેરો તે લાવ્યા, મહી ઊતરી ઉત્તરે આવ્યા. ૩
મહીતટમાં પરમ પાવન, ભાઠામાં3 છે બાવળ તણું વન;
ઇચ્છા થઈ લાલદાસને ત્યાંહી, બ્રહ્મભોજ્ય કરાવું હું આંહી. ૪
આસપાસના વિપ્ર બોલાવી, રુડી રીતે રસોઈ કરાવી;
થયું ભોજનનું ટાણું જ્યારે, એક જોગ બન્યો ભલો ત્યારે. ૫
જેમ સોનાની રજ શોધનાર, પામે સોનાનો મેરૂ તે ઠાર;
જેમ ઇચ્છે પદારથ કાંઈ, કલ્પવૃક્ષ તેને મળે ત્યાંઈ. ૬
પુણ્ય અલ્પનો આદર કીધો, પણ લાભ અલભ્ય તે લીધો;
જે છે અક્ષરધામના વાસી, પુરુષોત્તમ પરમ પ્રકાશી. ૭
જેને અર્થે જોગી જોગ સાધે, ઉમાઈશ4 તે જેને આરાધે;
મહી ઊતરીને મુનિવેષે, આવ્યા શ્રીહરિ એ જ પ્રદેશે. ૮
લાલદાસે દીઠા બ્રહ્મચારી, કર જોડીને વિનંતિ ઉચ્ચારી;
કરો ભોજન વરણીરાય, મારું દ્રવ્ય સુફળ ત્યારે થાય. ૯
એવું વચન સુણી ઉર લીધું, બ્રહ્માચારીએ ભોજન કીધું;
કરી ઇચ્છા એવી હરિરાય, એને પુત્ર પવિત્ર તે થાય. ૧૦
મારી ભક્તિ ભલી કરનાર, આખા કુળનો કરે ઉદ્ધાર;
એવી ઇચ્છા કરી ધર્મલાલ, પછી વીતી ગયો કાંઈ કાળ. ૧૧
લાલદાસના ઘર મોઝાર, એક મુક્તે લીધો અવતાર;
પાડ્યું નામ તે કશિયાભાઈ, વધે પ્રતિદિન બુદ્ધિ સવાઈ. ૧૨
સોળ વર્ષ થયાં તેને જ્યારે, સંગ વેદાંતિનો થયો ત્યારે;
થયા અદ્ધૈતમત માનનાર, જાણે ઈશ્વરને નિરાકાર. ૧૩
પરમેશ્વર જે કહેવાય, જીવરૂપે તે એ જ જણાય;
એવી વિપરીત બુદ્ધિ તે થઈ, સત્ય વાતની સમઝ્ણ્ય ગઈ. ૧૪
જો જો સંગતણું બળ કેવું, મુક્તજનને ભમાવે જ એવું;
માટે કદીયે કુસંગ ન કરવો, સમઝણનો ગરવ પરહરવો.5 ૧૫
ઉપજાતિવૃત્ત (કુસંગ વિષે)
કુસંગીનો સજ્જન કોઈ સંગ, કરે ચડે અંગ કુસંગ રંગ;
જો ઊજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ6 સંગ તોય. ૧૬
પવિત્ર જાશે અપવિત્ર પાસે, જરૂર તો તે અપવિત્ર થાશે;
જો કુંભ ગંગાજળનો જણાય, તે મદ્ય છંટાય અશુદ્ધ થાય. ૧૭
કુસંગી સંગે સુજનો પિડાય, તે સંગનો દોષ સદા ગણાય;
લોહી પીને માંકડ નાશી જાય, તે સંગથી માર પલંગ ખાય. ૧૮
સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, તે રૂપ તેનું બદલાઈ જાય;
જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જૈને પ્રગટે ખટાશ. ૧૯
કૃપાત્રને સંગ સુપાત્ર જાય, કૃપાત્રમાં તો ગણતાં ગણાય;
જો અંધમાં દેખક એક હોય, તે અંધટોળી જ ગણાય તોય. ૨૦
ચોખા તણું છે નરજાતિ નામ, જો દાળમાં જૈ કરશે વિરામ;
તો તેહનું સૌ પુરુષત્વ જાશે, ખરેખરી તો ખિચડી ગણાશે. ૨૧
કુસંગ જો અંગ કરે પ્રવેશ, ધર્મી તણો ધર્મ રહે ન લેશ;
જો ધર્મરાજા બહુ જાણનાર, જુગારી સંગે રમિયા જુગાર. ૨૨
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
વારિ વારિદ7 એકથી વરસિયું જે છીપમાં8 જૈ પડ્યું,
તેનું મોતી થયું થઈ શરકરા જે શેલડીમાં ચડ્યું;
પેઠું વાંસ વિષે થયું કપુર તે સર્પાસ્ય9 ઝેરી થયું,
જેવો સંગ જણાય તેવું જગમાં જે નીર જ્યાં જ્યાં ગયું. ૨૩
ચોપાઈ
કર્યો શુષ્ક વેદાંતિનો સંગ, ચડ્યો તેથી તેને તેવો રંગ;
ભલા તે પછી કશિયાભાઈ, થયા હરિજન તે કહું ગાઈ. ૨૪
એક અવસરે ભગવદાનંદ, ફરતા હતા લઈ મુનિવૃંદ;
આવ્યા નાવલી ગામમાં જ્યારે, કશિયાભાઈ જૈ મળ્યા ત્યારે. ૨૫
પોતે અદ્વૈતનો પક્ષ ધારી, સાધુ સાથે કર્યો વાદ ભારી;
એક દિવસ ને રજની એક, પ્રશ્ન ઉત્તર કીધા અનેક. ૨૬
ઘણા દિનનો ચડેલો જે મેલ, એ તો ઉતરવો મુશકેલ;
મેલ સંશયરૂપી તે જેહ, કાઢનાર મળ્યા ગુરુ તેહ. ૨૭
ઉપજાતિવૃત્ત (ઈશ્વર જીવરૂપે થાય નહીં તે વિષે)
સ્વામી કહે હે સમજો સુજાણ, વિચારીને વાત કરો પ્રમાણ;
અછેદ્ય10 છે ઈશ્વર એક જેહ, જીવસ્વરૂપે નવ થાય તેહ. ૨૮
જો થાય તે ગર્દભ ઘૂડ શ્વાન, અજ્ઞાન આદીક વિકારવાન;
તો કેમ તેને કહિયે સમર્થ, એ તો દિસે છે અતિવાદ વ્યર્થ. ૨૯
ઇચ્છાથી જો રૂપ અનેક ધારે, સર્વજ્ઞતા તોય તજે ન ક્યારે;
જો નાટકી નારી બને કદાપિ, ભૂલે નહીં પુરુષતા તથાપિ. ૩૦
સ્વતંત્ર છે ઈશ્વર એક સ્વામી, જીવો બિચારા પરતંત્રગામી;11
સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય, અલ્પજ્ઞ જીવો પ્રભુ કેમ થાય? ૩૧
વિજ્ઞાન પામી પ્રભુ જો થવાય, તેનાથી તો સૃષ્ટિ નવી સૃજાય;
હું ભૂપ છું નિશ્ચય એમ જાણે, પ્રજા ન તેને નૃપતિ પ્રમાણે. ૩૨
પાષાણને12 પારસ જો મનાય, તેના થકી કાંચન કેમ થાય;
જો જીવને ઈશ્વરરૂપ જાણે, ઐશ્વર્ય એવું પણ ક્યાંથી આણે? ૩૩
હું છું પ્રભુ લે મન એમ માની, તેને કદાપિ કહિયે ન જ્ઞાની;
હું દાસ છું ને પ્રભુ દેવ મારો, સુજાણ13 તો એમ જ જાણનારો. ૩૪
છે જીવ બ્રહ્માંશ શ્રુતી14 કહે છે, તેમાં ઊંડો અર્થ ખરો રહે છે;
રાજા તણો હાથ પ્રધાન જેમ, છે બ્રહ્મનો અંશ જ જીવ એમ. ૩૫
અંતે જીવો બ્રહ્મ વિષે સમાય, તે વાત સાચી શ્રુતિ એમ ગાય;
જળે સમાયા જળજંતુ જેમ, તે બ્રહ્મમાં લીન થશે જ તેમ. ૩૬
જો નીરમાં ક્ષીર15 મળ્યું જણાય, તથાપિ તે એક કદી ન થાય;
આત્મા તથા જે પરમાત્મ છેય, મળ્યા દિસે તો પણ ભિન્ન બેય. ૩૭
આ દેહમાં જે સુખ દુઃખ ભોગી, તે જીવ છે ઈશ સદા અરોગી;16
આત્મા વિષે અંતરયામિરૂપ, પ્રકાશદાતા પ્રભુ છે અનૂપ. ૩૮
નિરાકૃતિ17 ને સરવત્ર હોય, તેનું પ્રતિબિંબ કહે ન કોય;
અછેદ્ય આદીક ગુણોથી એવું, છે જીવનું રૂપ પરાત્મ18 જેવું. ૩૯
પોતે ગુરુ ને વળી શિષ્ય પોતે, એવું કરે મૂર્ખ ગણાય તો તે;
શિક્ષા વદે19 સ્વપ્રતિબિંબ પાસે, ગાંડો હશે બાળક કાં ગણાશે. ૪૦
ચોપાઈ
એવી વાત સુણીને અપાર, કશિયાભાઈ સમજીયા સાર;
પોતે છે મુક્તનો અવતાર, ચિત્તે આવિયો સત્ય વિચાર. ૪૧
સાચી સાધુની વાત મનાણી, ધર્યા નિયમ ને મુકિયું પાણી;
ભલા ભક્ત થયા તે અનન્ય, એને વાત ગમે નહિ અન્ય. ૪૨
મણિ કાદવમાં લપટાય, ગયે કાદવ ચળકિત થાય;
રવિ ઢંકાય વાદળાં પાસ, જાય વાદળું પ્રગટે પ્રકાશ. ૪૩
પરવતભાઈ કહિયે જેવા, કશિયાભાઈ પણ થયા તેવા;
નિત્યાનંદ ને ગોપાળાનંદ, શુકાનંદ ગુણાતીતાનંદ. ૪૪
આચારજજી રઘુવીર જેહ, કૃપાપાત્ર ગણે સર્વ તેહ;
માંદા સાધુઓની કરે સેવા, ઘૃત આદિક આવે તે દેવા. ૪૫
સેવો પાપડ કે વસ્તુ સારી, તે તો સાધુને આપે સંભારી;
નવું દ્રવ્ય તે જે જે કમાય, ઘરખર્ચે તેમાંથી કરાય. ૪૬
કરકસર કરીને ઉગારે, સતસંગમાં ખર્ચવું ધારે;
નિજ દેવ આચારજ સંત, એને અર્થે તે ખર્ચે અત્યંત. ૪૭
રઘુવીરજીને તો તેડાવ્યા, ઘણીવાર ઘેરે પધરાવ્યા;
સદ્ગુરુને મંડળ સહિત, પધરાવ્યા પુરી ધરી પ્રીત. ૪૮
જોગ પર્વણીનો20 વળી જોઈ, ઘણી સંતને દીધી રસોઈ;
દંડવત હરિભક્તને કરે, મહિમા મોટો મનમાં ધરે. ૪૯
દંડવત કરતાં કોઈ વારે, રાતે છાના કરે જઈ ત્યારે;
હરિમંદિરમાં ઝાડું કાઢે, નિત્ય ના’ય જઈ જળ ટાઢે. ૫૦
સેવા ભક્તિ કરે ભલી કેવી, એ તો જાણીએ અમરીષ જેવી;
એની ભક્તિ તો ઉત્તમ લાગે, એવી ભક્તિ મોટા મુનિ માગે. ૫૧
પુષ્પિતાગ્રાવૃત્ત
સનક જનક કીધી ભક્તિ જેવી, કરી કશિયાજી ભલીજ ભક્તિ એવી;
મુનિજન પણ વિશ્વમાં વખાણે, હરિજન સર્વ જથાર્થ વાત જાણે. ૫૨
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
નાવલીગ્રામનિવાસી-કશિયાભાઇપ્રતિ ભગવદાનંદસ્વામી અદ્વૈતમતખંડન -કરણનામા પંચદશો વિશ્રામઃ ॥૧૫॥