કળશ ૩

વિશ્રામ ૧૯

પૂર્વછાયો

ધોળેરા થકી ધર્મસુત, ચાલી ગયા ગોરાસે ગામ;

પશ્ચિમ તીર તળાવને, ખોડિયાર દેવી જે ઠામ. ૧

ચોપાઈ

રહે ત્યાં સેવાગર ગોસાંઈ, દિસે દૈવીપણું દિલમાંઈ;

પ્રભુ ત્યાં રહ્યા રજની નિવાસ, જમ્યા રાંધીને રોટલો છાશ. ૨

ગયા ત્યાં થકી વાગડ ગામ, હતો એક કુંભાર તે ઠામ;

રાણો બાવળવો જ વિખ્યાત, તેને ઘેર રહ્યા હરિ રાત. ૩

ઘણી મૃત્તિકા ત્યાં પડી હતી, સૂતા તે ઉપરે પ્રાણપતિ;

કુંભકારે તો ગોદડું દીધું, પણ તે ધર્મપુત્રે ન લીધું. ૪

બીજે દિવસ ઊઠી બળવાન, ભીમનાથ ગયા ભગવાન;

નીલકા નદીમાં કર્યું સ્નાન, કરી નિત્ય ક્રિયા તેહ સ્થાન. ૫

ભીમનાથનાં દર્શન કરી, સદાવ્રત લઈને જમ્યા હરી;

ગયા પોલારપર અવિનાશ, જેઠા બનાણી કણબીને વાસ. ૬

તે જ દિવસ તેની માતાનું, હતું ખર્ચ જનોને જમ્યાનું;

જોગીરાજને તપશી જાણી, આપી ઉત્તમ સુખડી આણી. ૭

ગયા લૈને તળાવને તીર, કાઢ્યું ત્યાંના કુવામાંથી નીર;

ખીજડા તળે આસન કીધું, જમ્યા સુખડી ને જળ પીધું. ૮

પછી બાકી પ્રસાદીનું પાણી, નાંખ્યું તે કૂપમાં કૃપા આણી;

પુરવાસી કરે જળપાન, થાય નિર્મળ બુદ્ધિ નિદાન. ૯

તે કુવાને પ્રસાદીનો જાણી, મહિમા મોટો મનમાં આણી;

સુત ત્રીકમ ને શા ઝવેર, તેણે બંધાવ્યો છે રુડીપેર. ૧૦

બરવાળે ગયા ગિરધારી, દીઠી દેરી નદીતટ સારી;

ગામ કુંડળ જ્યાંથી જવાય, રહ્યા તે દેરીમાં મુનિરાય. ૧૧

રુડી રીતે રહી એક રાત, પ્રભુ ઉઠીને ચાલ્યા પ્રભાત;

વળા1 ગામ ગયા વનમાળી, નાથે પ્રાચીન જગ્યા નિહાળી. ૧૨

ત્યાંથી શામ શિહોર પધારી, બ્રહ્મકુંડે ગયા બ્રહ્મચારી;

નરનારીની ગડબડ ભાળી, માટે નાયા નહીં વનમાળી. ૧૩

ત્યાંથી દક્ષિણે ગૌતમકુંડ, પછી ત્યાં ગયા બાલમુકુંદ;

સ્નાન સંધ્યા કરી તેહ સ્થાન, ગયા પૂર્વ દિશે ભગવાન. ૧૪

ગૌત્તમેશ્વર પૂજન કીધું, ત્યાંના વર્ણીએ ભોજન દીધું;

રહ્યા ત્યાં જ પ્રભુ એક રાત, ગયા ભાવનગર પરભાત. ૧૫

ભક્ત દેવજીની ધર્મશાળા, રહ્યા ત્યાં જઈ દીનદયાળા;

ત્યાંના બાવાજીએ કરી સેવા, અન્ન પાણી અને દીધા મેવા. ૧૬

દીધો બાવાજીને ઉપદેશ, તેથી જાણ્યા તેણે પરમેશ;

બાવે તો વિનતિ કરી ઘણી, તમે થાઓ આ જગ્યાના ધણી. ૧૭

ધર્મપુત્રે તો તેની ના પાડી, પણ ત્યાં ત્રણ રાત વિતાડી;

ગયા કુકડ ત્યાંથી કૃપાળ, હતા ભગવાનસિંહ ભૂપાળ. ૧૮

ખોજા જીવો ઠકર કામદાર, બેઠાં બંન્ને તે ડેલી મોઝાર;

ઊભા ત્યાં જઈ શ્રીઘનશામ, પૂછ્યું નરપતિએ નામ ઠામ. ૧૯

કહે હરિ ફરતા અમે છૈયે, અનિર્દેશ2 વિષે અમે રહિયે;

જન્મકર્મથી નામ અનંત, ગણતાં કોઈ પામે ન અંત. ૨૦

ગણતાં બહુ જુગ વહી જાય, મુજથી પણ તે ન ગણાય;

એટલું કહીને હરિ ગયા, કારભારી તે વિચારી રહ્યા. ૨૧

હતો મંત્રી મહામતિમાન, તેણે જાણિયા જોગી મહાન;

તેથી અંતરમાં ગુણ આણી, વદ્યા ભૂપની આગળ વાણી. ૨૨

ઉપજાતિવૃત્ત

તે જોગી મોટા જન કોઈ હોય, મોટા વિના એમ કહે ન કોય;

કર્યો ન તેનો સતકાર જેહ, ખોયો ખરો લાભ અલભ્ય તેહ. ૨૩

કહે ગૃહસ્થાશ્રમ શાસ્ત્ર એવું, અતિથિને અન્ન સદૈવ દેવું;

કદી મહાપુરુષ કોઈ આવે, તો જન્મ મૃત્યુ થકી તે મુકાવે. ૨૪

જો વિપ્ર કે કોઈક ભેખધારી, અન્નાર્થી આવે વળી જે ભિખારી;

ગૃહસ્થને ઘેર નિરાશી જાય, સમર્થને તો અતિ પાપ થાય. ૨૫

જો સર્વને અન્ન નહીં અપાય, તથાપિ રાખે દિલમાં દયાય;

જે દિલથી તો સતકાર દે છે, ગૃહસ્થનો ઉત્તમ ધર્મ એ છે. ૨૬

ચોપાઈ

મોટો તપસી નિરાશી તે ગયો, એ તો અઘટિત અન્યાય થયો;

એમ મંત્રીએ વાણી ઉચ્ચારી, રાયે સાંભળી ઉરમાં ઉતારી. ૨૭

જણ બેય ગયા નદીતીર, આંબા હેઠે હતા મુનિ ધીર;

ભૂપ પ્રણમીને ઉચર્યા વચન, જોગીરાજ જમો મુજ અન્ન. ૨૮

કરો જો મુજ અન્ન આહાર, મારો થાય સુફળ અવતાર;

આપ્યું એમ કહી અન્ન આણી, જમ્યા રાંધીને સારંગપાણી. ૨૯

વનમાળીએ કીધો વિચાર, આ છે ઉત્તમ ભક્ત થનાર;

જમીને આપી પ્રસાદી શેષ, જમ્યા મંત્રીને જમીયા નરેશ. ૩૦

ત્યાંથી વિચર્યા પછી વૃષલાલ, ગયા ગામમાં મંત્રી ભૂપાળ;

ધન્ય ધન્ય એવા કામદાર, કહ્યો ભૂપને સત્ય વિચાર. ૩૧

ઉપજાતિવૃત્ત (પ્રધાનના ગુણ વિશે)

આ લોકનું ને પરલોક કેરું, નરેશનું હીત ચહે ઘણેરું;

આપે સુબુદ્ધિ નૃપને નિદાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૨

અનીતિ માર્ગે નરનાથ જાય, જુક્તિથી તેનો અટકાવ થાય;

નૌકા ગતિ જેમ કરે સુકાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૩

જનાનખાને3 બહુધા ન જાય, દાસી તણી દોસ્તી દિલે ન ચા’યઃ

પરસ્ત્રી જાણે જનિતા4 સમાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૪

પોતા તણો અર્થ કદી વિસારે, રાજા તણું શ્રેય સદૈવ ધારે;

જાણે બધાં નીતિ તણાં વિધાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૫

સદા ખુશી રાજ સુધારવામાં, રાજી નહીં વૈર વધારવામાં;

કરે નહીં માદક કેરું પાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૬

કદી ન લે લોકની લાંચ લેશ, કરે નહીં પાપ પથે પ્રવેશ;

ધરે નહીં અંતર સ્વાભિમાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૭

જો ભૂપતિની અપકીર્તિ થાય, સુમંત્રી તે તો દિલમાં દઝાય;

સદૈવ રાજા પર પ્રેમવાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૮

આલસ્ય દિસે નહિ લેશ અંગ, કરે નહીં જે કદીયે કુસંગ;

વધારવા કોશ5 સદૈવ તાન, તે ધન્ય પૃથ્વીપતિના પ્રધાન. ૩૯

ચોપાઈ

જીવો ઠક્કર એવા પ્રધાન, જેણે આપ્યું નરેશને જ્ઞાન;

પેટે અન્ન પ્રસાદીનું ગયું, બીજબળ તેનું અદભુત થયું. ૪૦

હતો ભૂપને પ્રથમ કુસંગ, ચડ્યો ભારે કુસંગનો રંગ;

પછી પુણ્ય પ્રગટ થયું જ્યારે, ભારે ભક્ત થયા તેહ ત્યારે. ૪૧

સૂકી અવની ઉનાળે તો ભાસે, ઊગે અંકુર અધિક ચોમાસે;

કાળ પુણ્ય ઉદય તણો આવે, ત્યારે તેહને સતસંગ ભાવે. ૪૨

તેમ ભગવાનસિંહ ભૂપાળ, જ્યારે પામ્યા પુણ્યોદય કાળ;

ત્યારે શ્રેષ્ઠ થયા સતસંગી, પામ્યા ભક્તિ પ્રભુની અભંગી. ૪૩

સુણી બોલ્યા અભેસિંહ ભૂપ, અહો વર્ણિજી પરમ અનૂપ;

કેમ ભગવાનસિંહને અંગ, ચડ્યો હતો કુસંગનો રંગ? ૪૪

વળી ભક્તિ પામ્યા કેમ એવી? એ તો વાત છે અચરજ જેવી;

કથાનો છે પ્રસંગ આ સ્થાન, માટે એનું કહો આખ્યાન. ૪૫

એ તો સાંભળવાને અત્યારે, થઈ આતુરતા ઉર મારે;

કરુણાનિધિ કરુણા લાવો, સ્નેહે તેહ કથા સંભાળાવો. ૪૬

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણી વરણી કહે સુણો સુરાય, કહું ભગવાનજીસિંહની કથાય;

સુણી જનમન પ્રેમભક્તિ પામે, સુધરમ જીવ વિષે વિશેષ જામે. ૪૭

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિકુર્કટગ્રામ-પ્રાપ્તનામા એકોનવિંશતિતમો વિશ્રામઃ ॥૧૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે