કળશ ૩

વિશ્રામ ૨૪

પૂર્વછાયો

શિમરગામથી સંચરી, ગયા શ્રીહરિ તુળસીશામ;

ત્યાં થકી ગુપ્તપ્રયાગ જૈ, કુંડ ઉત્તરે કીધો વિરામ. ૧

ચોપાઈ

ભલી રાયણ તળે શિલા ભાળી, કર્યું આસન શ્રીવનમાળી;

જન જે નિજ આગળ આવે, તેને શાસ્ત્રની વાત સુણાવે. ૨

નિત્ય કુંડ વિષે કરે સ્નાન, તીર્થ પાવન કરવાનું તાન;

વિપ્ર ત્યાં તો હતો એક સારો, દેલવાડા વિષે વસનારો. ૩

હતો નાતે તે નાગર ગોર, ભનો પાઠક દ્વિજ શિરમોર;1

નિત્ય પ્રત્યે પ્રભુ તેને ઘેર, જમી આવે જઈ રુડી પેર. ૪

તેણે પૂછ્યું તમારું શું નામ? ભાવિ નામ કહ્યું તેહ ઠામ;

મારું નામ છે સહજાનંદ, સુણી ઉપજ્યો અધિક આનંદ. ૫

શેષશાયી મંદિર બ્રહ્મચારી, જમાડે હરિને સાધુ ધારી;

તેનું નામ છે નૃસિંહાનંદ, તેની આગળ બોલ્યા મુકુંદ.2

તીર્થ જગ્યા ને કુંડ છે સારો, જોગ સાધવા જોગ્ય કિનારો;

સુણી બોલ્યા વળી બ્રહ્મચારી, તીર્થ જગ્યા તો છે ઘણી સારી. ૭

પણ જળ નથી રે’તું ઊનાળે, આપ જેવા જો કરુણાથી ભાળે;

કુંડે નીર રહે બારે માસ, સુણી બોલિયા શ્રીઅવિનાશ. ૮

હવે રહેશે ઘણાકાળ પાણી, થઈ સુફળ તે શામની વાણી;

એવી રીતે રહ્યા દોઢ માસ, કીધો આપ પ્રતાપ પ્રકાશ. ૯

ત્યાંથી ઉને ગયા નરવીર, ત્રણ દિવસ વસ્યા સરતીર;

પુરથી વળી પશ્ચિમમાંય, સારી વાવ્ય દીઠી એક ત્યાંય. ૧૦

તેમાં જૈ હરિએ કર્યું સ્નાન, વળી પ્રીતે કર્યું જળપાન;

હંસરાજ ને શેઠ ગણેશ, પ્રીતે સેવ્યા તેણે પરમેશ. ૧૧

તેનો દેખીને પૂરણ પ્યાર, શામે સેવા કરી અંગિકાર;

ત્યાંના લોકોને ચમતકાર, દેખાડ્યો હરિએ એહ વાર. ૧૨

કોઇયે વિરાટરૂપ નિહાળ્યું, કોઇયે રૂપ ચતુર્ભુજ ભાળ્યું;

ધાર્યા કોઇયે પ્રગટ મુરારી, કહે કોઇ પુરુષ અવતારી. ૧૩

પ્રભાતે ઊઠી મારગે ચડ્યા, ખોળતાં જનોને નવ જડ્યા;

ગામ ડોળાહે વાલો વિચરિયા, ભરવાડને ઘેર ઉતરિયા. ૧૪

સીધું આપ્યું તથાપિ ન લીધું, દુધ ગાયનું પ્રેમથી પીધું;

ગુરુ ભરવાડનો એક બાવો, એ જ ભરવાડને ઘેર આવ્યો. ૧૫

રાતે બાવો ને શ્રીઅવિનાશ, સૂતા એક સ્થળે પાસ પાસ;

કહ્યું બાવે સ્વભાવે હે રામ, દીધો હોંકારો શ્રીઘનશ્યામ. ૧૬

એ જ રીતે બીજી ત્રીજી વાર, દીધો હોંકારો ધર્મકુમાર;

કહે બાવો તમે છો શું રામ? કેમ હોંકારો દ્યો છો આ ઠામ? ૧૭

કહે કૃષ્ણ બાવા સુણી લૈયે, નકી જાણો અમે રામ છૈયે;

પછી રામરૂપે ભગવાન, દીધું બાવાને દર્શનદાન. ૧૮

બાવે રામ જથારથ જાણ્યા, હરિકૃષ્ણને હેતે વખાણ્યા;

ત્યાંથી છાંના ચાલ્યા ઘનશામ, ગયા ગોવિંદ લોઢવે ગામ. ૧૯

નાતે ચારણ ત્યાં લખુબાઈ, તેને ઘેર રહ્યા સુખદાઈ;

લખુબાઈ છે સમાધિનિષ્ઠા, જ્ઞાન વૈરાગ્યમાં તે વરિષ્ઠા.3 ૨૦

મત અદ્વૈતને માનનારી, જાણે ઈશ્વરને નિરાકારી;

સાધુઓને સદાવ્રત દેતી, તપની પરીક્ષા કરી લેતી. ૨૧

તેણે મોટા તપસ્વી તે જાણ્યા, સનકાદિક તુલ્ય પ્રમાણ્યા;4

તેથી રાખ્યા પોતા તણે ઘેર, સ્નેહે સેવા સજે સારી પેર. ૨૨

વિઠ્ઠલાનંદ ને બાલાનંદ, બ્રહ્મચારી હતા નિર્દ્વંદ્વ;5

તેની પાસે રસોઈ કરાવે, મહારાજને થાળ ધરાવે. ૨૩

ઘેર ભેંસો તણું ખાડું6 હતું, નિત્ય નિત્ય ઘણું દૂધ થતું;

દૂધની તર સાકર સાથ, જમતા નિત્ય ત્યાં મુનિનાથ. ૨૪

ઘણો ભાવ ભાળી અવિનાશ, ત્રણ માસ રહ્યા ત્યાં નિવાસ;

ત્યાંથી પ્રાચીયે નાવાને કાજ, કોઈ દિવસ જતા મહારાજ. ૨૫

સર્વ જાણે હરિ સાક્ષાત, તોય પૂછી તે બાઈને વાત;

ભક્તિદીક્ષા7 તમે ક્યાંથી ધારી? કહો કોણ છે આ બ્રહ્મચારી? ૨૬

કહે બાઈ ગુરુ તો અમારા, આતમાનંદજી હતા સારા;

આવ્યા આ ગામમાં તેહ જ્યારે, ઘણા શિષ્ય તેના થયા ત્યારે. ૨૭

વિપ્ર વિઠ્ઠલ અહીં રહેનારો, તેનો શિષ્ય થયો ઘણો સારો;

થયો તે દ્વિજનારીનો કાળ,8 મુકિયો ત્રણ માસનો બાળ. ૨૮

આત્માનંદને વિઠ્ઠલે પૂછ્યું, બાળ દેખીને દાઝી મરું છું;

મળતું નથી ધવરાવનારું, એને કેમ કરીને ઉગારું? ૨૯

સુણી કહે આત્માનંદસ્વામી, ધવરાવ તું આનંદ પામી;

જહાં સુધી તે બાળક ધાવે, સ્તન તારા વિષે દૂધ આવે. ૩૦

એવું દીધું એને વરદાન, ધવરાવે તે માત સમાન;

જ્યારે બાળકે ધાવણ મૂક્યું, સ્તનમાંથી ત્યારે દૂધ સૂક્યું. ૩૧

દશ વર્ષનો સુત થયો જ્યારે, ગુરુને કહ્યું વિઠ્ઠલે ત્યારે;

દયાવંત દયા દિલ ધારી, અમો બેને કરો બ્રહ્મચારી. ૩૨

સુણી ગુરુજીએ કરુણા કીધી, દીક્ષા તે જણ બેયને દીધી;

વિઠ્ઠલાનંદ ને બાલાનંદ, એવાં નામ ધર્યાં સુખકંદ. ૩૩

તેઓને ગુરુએ કહ્યું એવું, લખુબાઈની પાસે રહેવું;

વળી ગુરુએ મને કહી વાણી, આ બે રાખજો આપના જાણી. ૩૪

સદાવ્રત વિઠ્ઠલાનંદ દેશે, ભેંશો ચારવા બીજો રહેશે;

કહે બાઈ અહો તપ ધારી! બેય છે એ જ આ બ્રહ્મચારી. ૩૫

આત્માનંદસ્વામી છે જેહ, અમે માનિયે ઈશ્વર તેહ;

તેને ભજીયે છૈયે ભાવ આણી, દાતા કલ્યાણના એ જ જાણી. ૩૬

બીજી વાત કહું એક વળી, તમે સ્નેહથી લેજો સાંભળી;

મોટા સંત રામાનંદ નામ, ગયા શ્રીરંગક્ષેત્રને ઠામ. ૩૭

રામાનુજ થકી દીક્ષા લીધી, પાછી સોરઠમાં ગતિ કીધી;

આત્માનંદ સાથે વાદ ધર્યો, વાદ અદ્વૈત ખંડન કર્યો. ૩૮

સ્વામીએ શિષ્ય સૌને બોલાવી, સારી રીતે કહ્યું સમઝાવી;

રામાનંદસ્વામી કહે જેમ, સર્વે જન તમે વર્તજો તેમ. ૩૯

એની સમઝણ છે ઘણી સારી, માટે જાણજો જનહિતકારી;

એમ કહી આત્માનંદ તેહ, જઈ રામપરે તજ્યો દેહ. ૪૦

તેના શિષ્ય સરવ જે રહ્યા, રામાનંદ તણા શિષ્ય થયા;

મત માને વિશિષ્ટાદ્વૈત, નવ માને કદી તે અદ્વૈત. ૪૧

પણ હું અને આ બ્રહ્મચારી, ત્રણ જણ તો રહ્યાં ટેક ધારી;

આત્માનંદને ઈશ્વર ગણિયે, મત અદ્વૈત તે ભલો ભણિયે. ૪૨

રામાનંદે તો આગ્રહ કર્યો, અમે શબ્દ શ્રવણ નવ ધર્યો;

તેણે અમને કર્યાં છે વિમુખ, તેનું અમને નથી કાંઈ દુઃખ. ૪૩

અહીંના હરિજન નરનારી, તે તો માને છે વાત અમારી;

સંપ્રદાય ગાદીપતિ જેવી, મને માને છે સૌ જન તેવી. ૪૪

ધર્મપુત્ર છે અંતરજામી, તોય વાત પૂછી લીધી સ્વામી;

કરુણાનિધિ કરુણા કરી, લખુબાઈ પ્રત્યે કહે હરી. ૪૫

સત્ય માનો વિશિષ્ટાદ્વૈત, મત સત્ય નથી જ અદ્વૈત;

વ્યાસસૂત્ર તથા જે વેદાંત, સંભળાવી તેની ભાંગી ભ્રાંત. ૪૬

ત્રણ જણને કર્યાં નિજમતનાં, કાઢ્યાં ખોદીને મૂળ અસતનાં;

લખુબાઈને કહે ભગવાન, તમે માગો મુખે વરદાન. ૪૭

કહે બાઈ સુણો તપધામ, મારો પુત્ર જે છે વીરો નામ;

સુત તે અને ભેંશો છે જેહ, સદાકાળ સુખી રહે તેહ. ૪૮

સુણી ભાખે મુખે ભગવંત, તે તો માગ્યું તમે નાશવંત;

વરદાન બીજું મુખે માગો, પશુપુત્રની વાસના ત્યાગો. ૪૯

લખુબાઈ વળી એમ કહે, આ અખંડ સદાવ્રત રહે;

એ જ માગું છું હું વરદાન, આપો એટલું કરુણાનિધાન. ૫૦

સુણી બોલિયા ત્યારે શ્રીહરિ, નાશવંત માગ્યું તમે ફરી;

માગો એવું જે નાશ ન થાય, રહે અક્ષય કાળ સદાય. ૫૧

માગ્યો બાઇએ શ્રીપ્રભુપાસ, અંતે અક્ષરધામમાં વાસ;

વરદાન પછી એ જ આપ્યું, કષ્ટ જન્મમરણ તણું કાપ્યું. ૫૨

કહે વર્ણી સુણો વસુધેશ, લખુની કહું વાત વિશેષ;

રામાનંદને હરિ મળ્યા જ્યારે, કર્યો હરિએ પ્રયત્ન તો ત્યારે. ૫૩

લખુને સતસંગમાં લેવા, જુઓ કૃષ્ણ કૃપાળુ છે કેવા;

પણ માને નહીં લખુબાઈ, સમાધિ તણા ગર્વે ભરાઈ. ૫૪

કહે શિષ્ય થવાથી લજાઉં, રામાનંદની શિષ્ય ન થાઉં;

રામાનંદ રહ્યા સાક્ષાત, તેણે માની ન ત્યાં સુધી વાત. ૫૫

પણ શ્રીહરિને અનુસરી, અંતે અક્ષરધામ વિચરી;

જ્યારે જીવમાં મમત ભરાય, સત્ય વાત ન ત્યારે મનાય. ૫૬

હવે કૃષ્ણ તણી કહું વાત, લોઢવાથી ચાલ્યા જગતાત;

પુર પાટણ નામ પ્રભાસ, ત્રણ રાત્રી કર્યો ત્યાં નિવાસ. ૫૭

નદી હીરણ ને સરસ્વતી, મળે ત્રીજી તહાં મધવતી;

તેથી નામ ત્રિવેણી ગણાય, નાહ્યા તે વિષે ત્રિભુવનરાય. ૫૮

વળી સાગરને તટ જઈ, જમ્યા ત્યાંથી સદાવ્રત લઈ;

પુર પાટણથી પૂર્વ ઠામ, એક ભલકા તળાવડી નામ. ૫૯

ત્યાં છે પીપળાનું ઝાડ જેહ, જહાં કૃષ્ણે તજ્યો હતો દેહ;

કૃષ્ણ સૂતા હતા જેવી રીતે, તેમ શામ સૂતા તહાં પ્રીતે. ૬૦

આવ્યો ત્યાં એક બ્રાહ્મણ કોઈ, બોલ્યો ચરણ વિષે ચિહ્ન જોઈ;

તમે કૃષ્ણ દિસો છોજી આપ, માટે મુજને કરો નિષ્પાપ. ૬૧

કૃષ્ણરૂપે જ દર્શન આપો, મારા મન તણો સંશય કાપો;

સુણી કરુણા કરી મુનિભૂપે, દીધું દર્શન કૃષ્ણસ્વરૂપે. ૬૨

એહ બ્રાહ્મણનું કરી કાજ, આવ્યા પાટણમાં મહારાજ;

એમ પુનીત કરી તેહ સ્થાન, ગયા ભંડુરિયે ભગવાન. ૬૩

ઊતર્યા ત્યાં લુહારને ઘેર, તેણે સેવા કરી સારી પેર;

પછી માળિયે થૈ મહારાજ, શેરગઢ રહ્યા નિજજન કાજ. ૬૪

શીમાશીને ચોરે રહી નીશ,9 જૂનેગઢ ગયા શ્રીજગદીશ;

રૈવતાચળ10 નજરે નિહાળ્યો, પદસ્પર્શે તેનો મળ ટાળ્યો. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

ગિરિવર પર પાવ ધારી દીધો, ગિરિ ગિરનાર પવિત્ર આપ કીધો;

પ્રભુપદ પ્રણમ્યાં સુતીર્થ દેવો, અવસર જાણી લીધો અમુલ્ય એવો. ૬૬

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિ રૈવતાચળ-પ્રાપ્તનામા ચતુર્વિંશતિતમો વિશ્રામઃ ॥૨૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે