કળશ ૪

વિશ્રામ ૧૯

પૂર્વછાયો

વાળા તણા જેતપુર વિષે, રામાનંદ સ્વામીયે જેહ;

સોંપી ગાદી જે શ્રીહરિને, કથા કહું હવે તેહ. ૧

ચોપાઇ

રામાનંદનાં દર્શન કરવા, હરિને જોઈ હૈયામાં ઠરવા;

આવ્યા હરખથી ઉન્નડરાય, નમ્યા પ્રેમથી બેયને પાય. ૨

રામાનંદે તે રાયની પાસ, કર્યા ગુણ શ્રીહરિના પ્રકાશ;

વળી વિવિધ પ્રકારે વખાણ્યા, તોયે રાયે જથાર્થ ન જાણ્યા. ૩

બેઠો હતો ત્યાં રઘુનાથદાસ, સુણતાં થયો તે તો ઉદાસ;

રામજશ સુણી રાવણ જેમ, દાઝતો હતો તે દાઝ્યો તેમ. ૪

કાંઈ માર્મિક શબ્દ ઉચાર્યો, ત્યારે સ્વામીયે બહુ તેને વાર્યો;

કહ્યું સૂર્ય સામી ધૂળ નાંખે, એ તો આવી પડે નિજ આંખે. ૫

ઉપજાતિવૃત્ત (સાચું કદી જૂઠું થાય નહિ તે વિષે)

કરે હીરાની અપકીર્તિ કોય, તો મૂલ ઓછું કદીયે ન હોય;

અજ્ઞાનતા તેહ તણી જણાય, મનુષ્યમાં મૂરખ તે ગણાય. ૬

જો વિશ્વ માંહિ ઘનવૃષ્ટિ થાય, વનસ્પતિ સર્વ સુખી જણાય;

જોતાં જવાસા પ્રજળી1 જ જાય, વૃષ્ટિ તણો દોષ નહીં ગણાય. ૭

જે શર્કરાને કડવી કહે છે, તો જાણવું જે જન રોગી તે છે;

મનુષ્ય કોઈ કડવી ન માને, નિંદા કરે નિંદકની નિંદાને. ૮

દેખી રવી2 થાય ઉલૂક3 અંધ, ભાવે નહીં ભાનુ4 તણો સબંધ;

નિંદે રવીને થઈ બુદ્ધિ હીનો, ઘટે ન તેથી મહિમા રવીનો. ૯

જે સત્ય તે સત્ય સદા જણાશે, અસત્ય તે અંત્યે અસત્ય થાશે;

છુપાવી રાખે કદી કોય છાનું, પ્રસિદ્ધ અંત્યે પળમાં થવાનું. ૧૦

જો રામ ને કૃષ્ણ પ્રભુ હતા તો, ઐશ્વર્યથી આપ થયા છતા5 તો;

વળી મુવા રાવણ કંસ જેવા, ઘટ્યા ન તેનાથી પ્રતાપ તેવા. ૧૧

સાચો રુપૈયો જગમધ્ય ચાલે, જૂઠો કહેવા જન હામ ઘાલે;

તે મૂર્ખ મોટો જગમાં જણાય, જે સત્ય તે સત્ય સદા ગણાય. ૧૨

જો કોઈને પારસ6 પ્રાપ્ત થાય, તેને તજીને અવગુણ ગાય;

અકર્મિ તે હોય મનુષ્ય માંઈ, તે પાર્શ્વનું7 મૂલ ઘટે ન કાંઈ. ૧૩

જો દુષ્ટમાં લક્ષણ શુદ્ધ દીસે, ભણી ગણી વાદ વદે અતીશે;

તથાપિ તેથી નહિ મોક્ષ થાય, પાષાણને નાવ નહીં તરાય. ૧૪

સુલક્ષણો જે જન ધૂર્ત હોય, વેશ્યા ધરે લાજ વિશેષ કોય;

દિસે ભલાં નિર્મળ નીર ખારાં, તથાપિ જાણો ત્રણ તે નઠારાં. ૧૫

પૂર્વછાયો

એ રીત્યે રઘુનાથદાસને, દીધો ઠપકો રામાનંદ;

પથ્થર પર પાણી પડ્યું, પલળ્યો ન તે મતિમંદ. ૧૬

શરદ પુનમ બીજે દિન થઈ, ત્યારે પોઢી ઉઠીને પ્રભાત;

ભાદરમાં નાવા ગયા, સંતમંડળ લઈ સંઘાત. ૧૭

વાજિંત્ર વાજે વિધવિધે, સંતમંડળ કીર્તન ગાય;

નાવા જતાં રસ્તા વિષે, અતિ આનંદ ઉત્સવ થાય. ૧૮

ઉત્તરમાં ઉંડો ધરો, તેમાં નિર્મળ સુંદર નીર;

સ્નાન કર્યું જનસાથ જઈ, રામાનંદ ને શામશરીર. ૧૯

ત્યાંના ઉન્નડ રાયને, સ્નાન કરતાં જળમો ઝાર;

દર્શન શ્રીશેષશાયીનાં, દીધાં દયા કરી તે વાર. ૨૦

જેવી છબી જોઈ જળ વિષે, તેવું દીઠું શ્રીહરિનું રૂપ;

તેથી હરિને જાણિયા, કોટિ બ્રહ્માંડ કેરા ભૂપ. ૨૧

તે પછી વાજતે ગાજતે, આવ્યો ગામમાં સર્વ સમાજ;

પોતાના દરબારમાં, તેડી ગયા ઉન્નડરાજ. ૨૨

વિપ્ર પાસે રંધાવીને, સૌને કરાવિયાં ભોજન;

સાંજે શરદ પૂનમ તણો, કર્યો ઉત્સવ મળી સૌ જન. ૨૩

ચોપાઇ

બીજે દિવસે રામાનંદસ્વામી, પોતાને મન આનંદ પામી;

સંત હરિજન મુખ્ય બોલાવ્યા, મુક્તાનંદ આદિક સૌ આવ્યા. ૨૪

રામદાસજીભાઈ વિરક્ત, કારિયાણી તણા માંચો ભક્ત;

ભીમભાઈ ને પરવતભાઈ, આવ્યા ભટ મયારામ ત્યાંઈ. ૨૫

મે’તા નરસિંહ જે હરિજન, માંગરોળના ગોવરધન;

ઇત્યાદિકને કહે ગુરુ એહ, હવે વૃદ્ધ થયો મુજ દેહ. ૨૬

માટે સતસંગની ધુર સારી, કેને સોંપું કહો તે વિચારી;

બોલ્યા સૌ તે કરીને વિચાર, ધુર યોગ્ય છે ધર્મકુમાર. ૨૭

રામાનંદ બોલ્યા ગુરુરાય, મારો પણ એ જ છે અભિપ્રાય;

મારા હૃદય વિષે જે રહ્યું, તમો સર્વેયે પણ તે કહ્યું. ૨૮

પંચાવન ગુણ હરિના જે છે, સહજાનંદસ્વામીમાં તે છે;

તેની વિગત સુણાવું તમને, જેમ અંતર ભાસે છે અમને. ૨૯

સર્વ પ્રાણિ તણું હિત થાય, એવું સત્ય સદા ઉચરાય;

ગુણ સત્ય છે જેહનું નામ, તે તો હરિમાં રહે કરી ધામ. ૩૦

શૌચ ગુણ તે બીજો ગણાય, એનો અર્થ એવો સમઝાય;

રાખે અંતઃકરણને શુદ્ધ, દેહાદિકને રાખે શુદ્ધ બુદ્ધ. ૩૧

પારકું દુઃખ સહન ન થાય, તેનું નામ દયા કહેવાય;

દુઃખ ટાળવાને દિલ ધરે, તન મન ધનથી દુઃખ હરે. ૩૨

ક્રોધ ચડવાનું કારણ હોય, ચિત્ત ક્રોધ ચડે નહિ તોય;

ક્ષાંતિ નામતો તેનું લખાય, ભગવાનમાં તે તો જણાય. ૩૩

વસ્તુ માયિકનો અનાદર, પૂરણકામપણું અંતર;

તેનું નામ તો કહિયે ત્યાગ, રાખે ભાવિક જન બડભાગ. ૩૪

નિજ આનંદે પૂર્ણતા રાખે, તેનું નામ તો સંતોષ દાખે;

તન મન વાણી પરને નમે, ગુણ આર્જવ સંતને ગમે. ૩૫

મન પ્રાકૃત વિષયથી વાળે, એ તો શમ ગુણ સંત સંભાળે;

દેહે પ્રાકૃત વિષય ન ઇચ્છે, દમ ગુણ પ્રભુના જન પ્રીછે. ૩૬

કૃચ્છ્ર વ્રત આદિ સહેજે કરે, તેનું નામ તો ૧૦તપ ઉચ્ચરે;

હોય વિષય જે સાર અસાર, પણ માયિકનો તિરસ્કાર. ૩૭

ગુણ ૧૧સામ્ય તેને કહે સંત, એને ઇચ્છે છે મોટા મહંત;

સુખ દુઃખ સહન જો થાય, ૧૨તિતિક્ષા ગુણ તે કહેવાય. ૩૮

પ્રયોજન વિના કાંઈ ન કરે, નામ ૧૩ઉપરતિ તેનું ધરે;

સર્વ શાસ્ત્રનું જ્ઞાન યથાર્થ, ૧૪શ્રુત ગુણ તણો એ જ છે અર્થ. ૩૯

જીવ ઈશ્વરનાં રૂપ જાણે, ૧૫જ્ઞાન નામ તો તેનું પ્રમાણે;

વિના કૃષ્ણ ન ક્યાંઈ આસક્તિ, તેને વેદ વદે છે ૧૬વિરક્તિ. ૪૦

જેને વશ સઉ લોક રહે છે, ગુણ ૧૭ઐશ્વર્ય એ જ કહે છે;

નિજ કેરા સ્વભાવને જીતે, ગુણ ૧૮શૌર્ય કહો રુડી રીતે. ૪૧

કોઈથી ન પરાભવ પામે, ગુણ તે તો કહું ૧૯તેજ નામે;

સર્વ પ્રાણીને નિયમમાં રાખે, ડાહ્યા પુરુષો તેને ૨૦બળ દાખે. ૪૨

યોગ્ય કામનું અનુસંધાન, ૨૧સ્મૃતિ નામ કહે વિદવાન;

જેને કોઈની ગરજ ન હોય, ગુણ કહિયે ૨૨સ્વતંત્રતા સોય. ૪૩

કોઈ સર્વ ક્રિયા કરી જાણે, નામ ૨૩કૌશલ્ય તેનું પ્રમાણે;

સૌના મન હરે એવું સ્વરૂપ, તેને ૨૪કાંતિ કહે કવિભૂપ. ૪૪

વેળા વિષમમાં પણ દૃઢ રહે, ૨૫ધૈર્ય નામ તેનું કવિ કહે;

જેનું કોમળ ચિત્ત જણાય, ગુણ ૨૬માર્દવ તે મુનિ ગાય. ૪૫

દિસે સારી વચન ચતુરાઈ, ગુણ ૨૭પ્રાગલ્ભ્ય તે કહે ભાઈ;

મોટા આગળ વિનયતા રાખે, ગુણ ૨૮પ્રશ્રય પંડિત ભાખે. ૪૬

સદા દિસે સ્વભાવ જે સારો, ૨૯શીલ ગુણ એનું નામ ઉચારો;

જુવો મન તણું ડહાપણ જેહ, ૩૦સહ ગુણ કહે છે સઉ તેહ. ૪૭

જ્ઞાન ઇંદ્રિયોનું ડહાપણ, એને ૩૧ઓજ કહો તે આપણ;

કર્મ ઇંદ્રિયોની ચતુરાઈ, ૩૨બલ ગુણ કહિયે તેને ભાઈ. ૪૮

જ્ઞાનાદિકથી અધિકપણું જેહ, ૩૨ભગ ગુણ કહે છે મુનિ તેહ;

જેનો મરમ ન જાણે કોય, ગુણ ૩૪ગાંભીર્યતા તે તો હોય. ૪૯

જેમાં ચંચળતા ન જણાય, ગુણ ૩૫સ્થૈર્ય એ તો વખણાય;

સતશાસ્ત્ર તણો વિશ્વાસ, એ તો ૩૬આસ્તિક ગુણનો પ્રકાશ. ૫૦

જેનો જશ જગમાં વિખ્યાત, ગુણ ૩૭કીર્તિ એ તો સાક્ષાત;

હરિ વિના વદે નહિ વાણી, ગુણ ૩૮મૌન લેજો એ તો જાણી. ૫૧

ગુણનું અભિમાન ન આણે, ગુણ એ તો ૩૯અગર્વતા જાણે;

દુરહંકાર નહિ એકે આની,8 એ તો ગુણ કહિયે ૪૦નિરમાની. ૫૨

કોઈને કદી નહિ ઠગનાર, ૪૧નિરદંભી તે તો નરનાર;

૪૨મિતાહાર તે અલ્પ આહાર, ૪૩દક્ષ9 હિત ઉપદેશ દેનાર. ૫૩

સૌને વિશ્વાસલાયક થાય, એ તો ૪૪મૈત્રી સુગુણ કહેવાય;

જેહ સર્વનો ઉપકાર કરે, તે તો ૪૫સર્વોપકારી જ ઠરે. ૫૪

અનાયાસે10 વિષય પ્રાપ્ત થાય, તોય તેમાં તે નહિ બંધાય;

૪૬અક્ષોભિતતા કહે છે તેને, ધન્ય ધન્ય એવા ગુણ જેને. ૫૫

તન મનથી કે વાણીએ કરી, કોઈને પીડા નવ કરે જરી;

એનું નામ તો ૪૭અદ્રોહ જાણો, ગુણ ઉત્તમ તે ઉર આણો. ૫૬

યથાયોગ્ય જે સન્માન દેય, ૪૮માનદત્વ એ તો ગુણ છેય;

૪૯ષટઊર્મિ વિજય ગુણ સારો, તેની વિગત કહું તે વિચારો. ૫૭

ખાન પાન શોક મોહ થાય, જરા મૃત્યુ છ ઊર્મી ગણાય;

દેવની પેઠે વિપ્રને જાણે, ગુણ ૫૦બ્રહ્મણ્ય એ તો પ્રમાણે. ૫૮

આવે શરણ તેને સુખ દે છે, ૫૧શરણત્વ તો તેને કહે છે;

કશા ફળની ન ઇચ્છા જેને, ગુણ કહિયે ૫૨અનીહ તો તેને. ૫૯

ધનાદિકનો ન સંગ્રહ કરે, ૫૩અપરિગ્રહ એને ઉચ્ચરે;

નવધા હરિભક્ત છે જેહ, ૫૪ભક્તિ નામે ભલો ગુણ તેહ. ૬૦

છેલ્લો ગુણ છે ૫૫ગુરૂની સેવા, ગુણ જાણો પંચાવન એવા;

બીજા છે ગુણ અપરમપાર, સહજાનંદસ્વામી મોઝાર. ૬૧

પુષ્પિતાગ્રાવૃત્ત

સકળ સુગુણવંત સંત એવા, નથી જગમાં નિલકંઠવર્ણી જેવા;

પરમ ધરમ ધુર્ધરે11 સદાય, ગુણ ગુણતાં અતિ યોગ્ય એ જણાય. ૬૨

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરેઃપંચપંચાશદ્‌ગુણ-વર્ણનનામા એકોનવિંશો વિશ્રામઃ ॥૧૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે