કળશ ૪

વિશ્રામ ૨

 

પૂર્વછાયો

પ્રશ્ન તણા ઉત્તર કર્યા, નિજ મતિયે મુક્તાનંદ;

તે સરવે સુણી પામિયા, વૃષનંદન1 ઉર આનંદ. ૧

ચોપાઇ

બોલ્યા નીલકંઠ બ્રહ્મચારી, ધન્ય સાધુજી બુદ્ધિ તમારી;

ઘણા સંતોની મેં મતિ જોઈ, આવા ઉત્તર આપે ન કોઈ. ૨

તમે સદ્‌ગુરુ સેવ્યા જણાય, આવા ઉત્તર તે થકી થાય;

આંહી દિસે છે ઉત્તમ ધર્મ, અંશમાત્રે નથી જ અધર્મ. ૩

ગાંજા ભાંગ પીતા નથી કોઈ, સુંઘવાની તમાકુ ન જોઈ;

તમ પાસે રહે ઘણા સંત, દિસે સર્વે તે વૈરાગ્યવંત. ૪

સૌનાં નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રીત;

ઘણાં જોયાં અમે તીર્થ ધામ, નથી સંત આવા કોઈ ઠામ. ૫

શાણા સદ્‌ગુરુ જે છે તમારા, હશે પ્રૌઢ પ્રતાપી તે સારા;

નહિ તો શુદ્ધ આ સંપ્રદાય, કળિકાળમાં ક્યાંથી જણાય. ૬

સુણી બોલિયા મુક્તાનંદ, આપ છોજી મુનિવર ચંદ;

આવા પ્રશ્ન ભલા પૂછનાર, તમ જેવા નથી કોઈ ઠાર. ૭

ગુરુજી રામાનંદ છે જેહ, અવતાર ઈશ્વરનો છે તેહ;

તેને મળશો તમે વળી જ્યારે, થશે હર્ષ પરસ્પર ત્યારે. ૮

સુણી બોલિયા સુંદરશામ, રામાનંદનું જાણું છું નામ;

એ છે ઉદ્ધવનો અવતાર, નથી સંશય એમાં લગાર. ૯

ધર્મદેવ પિતા મુજ જેહ, રામાનંદ તણા શિષ્ય તેહ;

બાળાપણમાં મને સાક્ષાત, મુજ તાતે કહી હતી વાત. ૧૦

મને સ્મરણ થયું હવે એનું, માટે ઇચ્છું છું દર્શન તેનું;

મુક્તનાંદજી બોલ્યા હુલાસે, ગુરુ આવશે દર્શન થાશે. ૧૧

વસો આંહી કરીને વિરામ, ઇચ્છા પૂરશે પૂરણકામ;

સુણી હરિયે વિશ્રામ ઠરાવ્યો, ત્યાં તો જન્માષ્ટમી દિન આવ્યો. ૧૨

દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગરી લાવ્યા;

આવિ અષ્ટમી સૌ જન જાણે, કર્યો ઉત્સવ શાસ્ત્ર પ્રમાણે. ૧૩

શણગારિયું મંદિર સારું, દિસે સૌને આનંદ દેનારું;

ધર્યા કળશ પતાકા તે દ્વાર, બાંધ્યા તોરણ શોભિત સાર. ૧૪

રોપ્યા થંભ તે કદળી કેરા, થાય વાજિંત્રનાદ ઘણેરા;

વાજે વીણા ને તાલ મૃદંગ, વાજે ઢોલ ને ચંગ2 ઉપંગ.3 ૧૫

વાજે ત્રાંસાં ત્રુઈ શરણાઈ, શોભા નિરખતાં લાગે નવાઈ;

તાળી પાડીને હરિજન ગાય, સૌના હૈયામાં હરખ ન માય. ૧૬

જેમ આવે પ્રજાપતિપાળ,4 ત્યારે પ્રથમ જણાય મશાલ;

તેમ અરધી નિશાયે આકાશ, પૂર્વે ચંદ્રનો પ્રગટ્યો પ્રકાશ. ૧૭

રાશિ વૃષભ આકાર જણાયો, જાણે બળદ તે રથનો દેખાયો;

ચંદ્ર સાથે છે રોહિણી રાણી, જાણે આવ્યાં હરિજન્મ જાણી. ૧૮

મળી હરિજન સૌ નરનારી, કર્યો જન્મનો ઉત્સવ ભારી;

પારણામાં ઝૂલે પરમેશ, ખામી શોભા વિષે નથી લેશ. ૧૯

એવામાં થઈ અદ્‌ભુત વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;

પારણામાં જુવે નરનારી, દીઠા નીલકંઠ બ્રહ્મચારી. ૨૦

નવ દેખાય બાળમુકુંદ, થાય વિસ્મિત સૌ જનવૃંદ;

વળી જોવા સભા માંહી જાય, વર્ણી ત્યાં પણ બેઠા જણાય. ૨૧

એવો મોટો ચમત્કાર જોઈ, જાણ્યા વર્ણી છે ઈશ્વર કોઈ;

સારો એમ સમૈયો તે કરી, નિજ ઘેર ગયા જન ફરી. ૨૨

જીવરાજજી શેઠનો ડેલો, હતો મંદિર પાસ ચણેલો;

મુક્તાનંદ મુનિ તહાં જઈ, કથા કરતા હતા રાજી થઈ. ૨૩

સુણતાં મળીને બાઈ ભાઈ, સભા ત્યાગી ગૃહસ્થ ભરાઈ;

દીઠી તે રીત શ્રીજીયે જ્યારે, બોલ્યા ઊંચે સ્વરે કરી ત્યારે. ૨૪

સંતો ચાલો મંદિર માંહી ફરી, સંભળાવીશ હું કથા કરી;

બાઈ ભાઈ મળે એક ઠાર, નહિ ત્યાગીનો ધર્મ લગાર. ૨૫

એમ કહી ગયા મંદિરમાંય, સર્વે સાધુ ઉઠી ગયા ત્યાંય;

મુક્તાનંદ બોલ્યા તેહ ઠામ, બાઇયો છેલા હવે રામ રામ. ૨૬

એ જ વરણી કહેશે જેમ, કરવું પડશે હવે તેમ;

ગયા મંદિરમાં એમ કહી, વર્ણિરાજ બોલ્યા વેણ તહીં. ૨૭

ઉપજાતિવૃત્ત (ત્યાગીએ સ્ત્રીનો પ્રસંગ તજવા વિષે)

સંતો કરો ચિત્ત વિષે વિચાર, આ રીત સારી નથી રે લગાર;

સ્ત્રીયો તણો કાંઈ પ્રસંગ જે છે, ત્યાગીજનોને ભયકારી તે છે. ૨૮

જે સ્કંધ એકાદશમાં કહ્યું છે, તેમાં ખરું તત્ત્વ ઘણું રહ્યું છે;

ત્યાગી કરે નારી તણો પ્રસંગ, જરૂર તેનું વ્રત થાય ભંગ. ૨૯

પ્રત્યક્ષ છે કામિની દેવમાયા, જોનાર તો વશ્ય થયા જણાયા;

દીવે પડે અંધ પતંગ જેમ, સ્ત્રીમાં નરોની મનવૃત્તિ તેમ. ૩૦

સુરા પિવાથી મદ થાય ચિત્તે, સ્ત્રીને નિહાળ્યા થકી એ જ રીતે;

તે માટે નારી થકી દૂર થાવું, સ્ત્રી પાસ ત્યાગીજનને ન જાવું. ૩૧

જુવે નહી ચિત્રની કામિનીને, અડે નહી પૂતલી કાષ્ઠનીને;

ત્યાગી તણો છે શુભ એ જ ધર્મ, સંતો વિચારો સુણી શાસ્ત્રમર્મ. ૩૨

છે અષ્ટધા ઉત્તમ બ્રહ્મચર્ય, જાણો તમે તે સહુ સાધુવર્ય;

નારીની સાથે સુણતાં કથાય, તે બ્રહ્મચર્યવ્રત ભંગ થાય. ૩૩

સ્ત્રીદેહ છે પાવક5 હોય જેવો, ઘીનો ઘડો છે નરદેહ એવો;

પાસે રહ્યાથી પિગળી જ જાય, ત્યાગી તણો ધર્મ વિનાશ થાય. ૩૪

રહે મળીને દવ6 દારુ7 કેમ? રહે ન નારી નર ધર્મ તેમ;

લોઢું ચળે ચુંબક લોહ સંગે, ત્યાગી ચળે નારી તણે પ્રસંગે. ૩૫

મયૂર જાગે સુણી મેઘનાદ, મનોજ8 જાગે સુણી નારી સાદ;

ભીત્યંતરે9 નારી તણો નિવાસ, ત્યાગી વસે તો વ્રતનો વિનાશ. ૩૬

નારી તણો દેહ અરણ્ય જાણો, મનોજ ત્યાં સિંહ સમ પ્રમાણે;

તે તો નરોને મૃગ તુલ્ય જાણે, જરૂર મારે નિજ નેત્ર બાણે. ૩૭

વિશ્વાસ નારી તનનો ન થાય, ખત્તા10 ઘણા તે કરનાર ખાય;

જેણે વગોવ્યા અજ ચંદ્ર ઇંદ્ર, નચાવિયા નારદજી મુનીંદ્ર. ૩૮

જીત્યા નહીં જો ત્રિપુરારિ જેવા, જીતું કહે તે જન મૂર્ખ કેવા;

દારા થકી દૂર રહે ડરીને, તે ઊગરે જૈ શરણે હરીને. ૩૯

તપસ્વિને તે તપમાંથી પાડે, સમાધિમાંથી સિદ્ધને જગાડે;

છે કામિની તો અતિ કષ્ટકારી, શરીરનું શોણિત11 શોષનારી. ૪૦

છે નારી તો નિર્લજ એમ જાણો, તે પાપમૂર્તિ પ્રગટ પ્રમાણો;

છેદાવિયું નાક સુવર્ણ કાજ, તેને પછી શી રહી લોકલાજ. ૪૧

છે ચોટલો કે શિર સાપ કાળો, છે રાક્ષસીના સમ નેત્રચાળો;

જો જીવવાની ઉર આશ હોય, તો કામિની પાસ જશો ન કોય. ૪૨

જેને પગે નેવળ12 નાખિયાં છે, બે હાથમાં બંધન રાખિયાં છે;

છે નાકમાં તો દૃઢ નાથ ઘાલી, તથાપિ તે જાય સ્વતંત્ર ચાલી. ૪૩

જ્યાં સુંદરીના શબને બળાવ્યું, તે સ્થાનમાં ત્યાગિજને ન જાવું;

જો રાખ ઊડી નિજ અંગ લાગે, તેથી કદી મન્મથ13 ઝાળ જાગે. ૪૪

હાથી જતાં ઘંટધ્વની સુણાય, નારી જતાં નેપુર14 નાદ થાય;

ચેતાવવાની જુગતી પ્રકાશી, અરે જજો સૌ જન દૂર નાશી. ૪૫

સમુદ્રમાં ચુંબકશૈલ15 જ્યાં છે, સિકંદરે પૂતળી રાખી ત્યાં છે;

તેના થકી દૂર જવું ડરીને, શ્યામા16 થકી તેમ જ સંચરીને.17 ૪૬

બલિષ્ઠ છે ને અબળા ગણાય, જેના કટાક્ષે નર વશ્ય થાય;

છે લાજહીણી પણ લાજ તાણે, જો થાય ભૂંડી હરી જાય પ્રાણે. ૪૭

જે ઊંદરોથી ડરી દૂર ચાલે, તે કેસરીના પણ કાન ઝાલે;

જે દોરડો દેખી દિલે ડરે છે, ભોરીંગ18 માથે પગ તે ધરે છે. ૪૮

કોદાળિ ઝાલી કદી ના જણાય, તે છાટ19 તોડી ધન ચોરી જાય;

દીઠું નહીં ભોંયરું કોઈ દા’ડે, પાતાળમાં એ જ સળંગ20 પાડે. ૪૯

જીવે કદી જે સરપે ડસેલા, જીવે કદી જે દવમાં ધસેલા;

જેને સ્ત્રીયે અંતર ડંશ દીધા, તેને કરી ચર્વણ21 ચૂર્ણ22 કીધા. ૫૦

જે બ્રહ્મચર્ય વ્રત શુદ્ધ પાળે, તે શાસ્ત્રનો માર્ગ સદૈવ ઝાલે;

હરિકથા કીર્તન થાતું હોય, સ્ત્રીની સભામાં નવ જાય તોય. ૫૧

હરિકથા કીર્તન ગાય બાવા, જો ચાહીને સુંદરીને સુણાવા;

તો ત્યાગીનો તત્ક્ષણ ધર્મ જાય, તેને પ્રભુ કેમ પ્રસન્ન થાય. ૫૨

ચોપાઇ

એવી વાત બહુવિધિ કરી, સંતે સર્વે લીધી મન ધરી;

કહ્યું બેઠી હશે સ્ત્રીયો જ્યાંય, નહિ સુણીયે કથા જઈ ત્યાંય. ૫૩

એવા માંહી બની બીજી વાત, કહું તે તમે સાંભળો ભ્રાત;

દીઠો ગોખલો ત્યાં એક ઠામ, રહે પાછળ ગૃહસ્થ હજામ. ૫૪

દીવો દેવતા લેવા ને દેવા, રાખ્યો ગોખલો કારણે એવા;

જોઈ શ્રીહરિયે કહ્યો મર્મ, આથી ત્યાગીનો નવ રહે ધર્મ. ૫૫

વળી એમ બોલ્યા વરણીંદ્ર, આ તો ધર્મમાં જાણવું છિદ્ર;

સુણ્યો મિયાંનો ગોખલો જેવો, જાણો આ પણ ગોખલો એવો. ૫૬

એમ ભેદ શ્રીહરિયે ભાખ્યો, ગોખલાને પુરાવી જ નાંખ્યો;

જુવો કૃષ્ણ તણી રીત કેવી, સાધુજન સહુયે જાણી લેવી. ૫૭

હોય ધર્મમાં છિદ્ર જણાતું, તે તો દેખી સહન નથી થાતું;

વળી દીઠો તે જગ્યાની માંય, એક રસ્તો જ્યાં જુવતીયો જાય. ૫૮

પછી તે પણ બંધ કરાવ્યો, સ્ત્રીનો મારગ જુદો ઠરાવ્યો;

કહે સાધુઓ પ્રત્યે શ્રીહરિ, કહું વાત તે લ્યો મન ધરી. ૫૯

સંતે એકલા ક્યાંઈ ન જાવું, ફાટી આંખ્યવાળા નવ થાવું;

સભા ભિક્ષા વિના કોઈ પેર, નવ જાવું ગૃહસ્થને ઘેર. ૬૦

દ્રવ્ય નારીથી દૂર રહેશો, તો જ સાધનની સિદ્ધિ લેશો;

એવો દીધો ઘણો ઉપદેશ, કહ્યો તેમાં થકી કાંઈ લેશ. ૬૧

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિવર ઉપદેશ એમ દે છે, સુણી સહુ સંત દિલે ઉતારી લે છે;

પ્રતિદિન ઉપજે વિશેષ પ્રેમ, પ્રગટ કર્યો પ્રભુયે પ્રતાપ તેમ. ૬૨

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભેસિંહનૃપસંવાદે

શ્રીહરિશ્રીમુખેસ્ત્રીનિંદાકથનનામા દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે