કળશ ૫

વિશ્રામ ૧૫

પૂર્વછાયો

ઉત્સવ કરી અન્નકૂટનો, ચાલ્યા ભાડેરથી ભલી ભાત;

કર્યું જવા મને કચ્છમાં, જમનાવડે જૈ રહ્યા રાત. ૧

ચોપાઈ

ભક્ત ત્યાં છે ભલા દાદાભાઈ, તેની બેન નામે મોટીબાઈ;

તેણે સેવા કરી સારી પેર, માવો ત્યાંથી ગયા ઝાંઝમેર. ૨

અંબારામ તહાં વિપ્ર રહે, કાંઈ સતસંગનો ગુણ લહે;

તેને ઘેર જમ્યા દુધપાક, પૂરી ભજિયાં ને સ્વાદિષ્ટ શાક. ૩

અંબારામે પૂછ્યું પછી એમ, હરિને જીવ ઓળખે કેમ?

ત્યારે શ્રીહરિયે તે ઠામ, સમાધિમાં દેખાડિયું ધામ. ૪

દીઠા ત્યાં એ જ ધર્મકુમાર, સેવે અક્ષર મુક્ત અપાર;

જોયા ચોવિશે ત્યાં અવતાર, તે તો હરિની સેવા સજનાર. ૫

પછી જાગ્યા સમાધિથી જ્યારે, પ્રભુને પ્રણમી કહ્યું ત્યારે;

તમે કોટિ જગત કરતાર, મને નિશ્ચે થયો નિરધાર. ૬

માવો ત્યાં થકી મુળિલે ગયા, બીજી રાત કાળાવડ રહ્યા;

ખત્રી જાદવે ત્યાં સજી સેવ, ત્યાંથી વણથળીયે ગયા દેવ. ૭

ત્યાંથી મોડે ગયા મહારાજ, દેવા દાસને દર્શન કાજ;

સામા આવ્યા હરિજન જેહ, મુખ્ય નામ સુણાવું છું તેહ. ૮

દાજીભાઈ દિસે નિર્દ્વંદ,1 અંતે જે થયા અક્ષરાનંદ;

બાપુભાઈ તથા રણમલજી, ક્ષત્રિ માનજી ને વળિ ફલજી. ૯

સજુબા ને જીવુબા બેય, બિજી બાઇયો પણ બહુ છે;

પ્રભુને ગામમાં પધરાવ્યા, વાજતે ગાજતે તેડી લાવ્યા. ૧૦

અતિ ઉત્તમ આપ્યો ઉતારી, સતકાર કર્યો બહુ સારો;

આવી પ્રબોધિની એકાદશી, કર્યો ત્યાં જ સમૈયો તે વશી. ૧૧

પૂર્વ માંહી કરમદીનો ઘુનો, જગ માંહિ જણાય છે જૂનો;

નદીમાં કુંડી પશ્ચિમ માંય, નાહ્યા બેય સ્થળે હરિરાય. ૧૨

ગામ અલૈયાના હરિજન, આવ્યા ત્યાં કરવા દરશન;

ક્ષત્રી માનજી ફલજી જાણો, આજો ગોબર સોની પ્રમાણી. ૧૩

નારાયણ મૂળજી નાનજી, વસતો લાધો તથા વીરજી;

સારા સત્સંગિ તે તો સુતાર, લાડુબાઈ પ્રમુખ બહુ નાર. ૧૪

તેઓ સૌ મળી શ્રીહરિ પાસ, કરી વિનતિ ધરિ ઉર આશ;

અલૈયામાં આવિ અવિનાશી, કરો કાર્તિકી પૂરણમાસી. ૧૫

અમે સર્વ કર્યો છે સામાન, ચાલો સંત સહિત ભગવાન;

એવું સાંભળી શ્રીઘનશામ, ગયા ત્યાંથી અલૈયે ગામ. ૧૬

કરી કાર્તિકી પૂરણમાસી, સુખ પામિયા ત્યાંના નિવાસી;

અમદાવાદથી એહ ઠામ, આવ્યા હરિજન ગણપતરામ. ૧૭

રામદાસનો કાગળ લાવી, આપ્યો શ્રીજીને શીશ નમાવી;

પત્ર વાંચી હસ્યા હરિ જ્યારે, મુક્તાનંદે પુછ્યું એમ ત્યારે. ૧૮

એવો પત્રમાં મર્મ છે કેવો? જે વાંચીને હસવા જેવો;

સુણી બોલિયા સુંદરશામ, ઉપાધી ઉપજી બહુ ઠામ. ૧૯

સદાવ્રત ભાંગવાને અભાગી, આંહીં મંડ્યા છે ખૂબ વેરાગી;

તે તો સાધુને મારે છે માર, બીજી પીડા કરે છે અપાર. ૨૦

ગુજરાતમાં રઘુનાથદાસ, ઉપાધીનો કરે છે પ્રયાસ;

આપણાથી થઈને વિરુદ્ધ, ઉંધો ઉપદેશ દે છે અબુદ્ધ. ૨૧

પુર વીસલનગર છે નામ, તે તો ફરતો ગયો તેહ ઠામ;

હરિભક્તોની આગળ ત્યાંય, કહ્યો પોતા તણો મહિમાય. ૨૨

જાણો સ્વામી રામાનંદ હું છું, તેની શક્તિ હું સર્વ ધરું છું;

માટે મારે વિષે ભાવ ધરવો, રામાનંદનો શોક ન કરવો. ૨૩

મુક્તાનંદ ને વર્ણિ છે જેહ, બેય મુજ થકી છોટા છે તેહ;

રામાનંદને મેં બહુ સેવ્યા, બીજા કોઇયે સેવ્યા ન એવા. ૨૪

મારે માથે તેથી હાથ થાપ્યો, મને ગાદીનો વારસો આપ્યો;

બ્રહ્મવિદ્યા મને જ ભણાવી, તથા મોક્ષની રીત બતાવી. ૨૫

એમ પોતાનો મહિમા વખાણ્યો, હરિભક્તોયે વિમુખ પ્રમાણ્યો;

તેથિ ત્યાં થકિ કીધો વિદાય, આવ્યો છે અમદાવાદ માંય. ૨૬

આદરે છે અનેક ઉપાધિ, લીધા સત્સંગી કૈકને સાધી;

થોડાં નાગરનાં ફર્યાં મન, થોડા જેતલપુર તણા જન. ૨૭

બીજા ગામના પણ કોઈ કોઈ, હરિભક્ત ભમ્યા એને જોઈ;

આંહીં આવો તમે ભગવાન, તો જ થાય બધું સમાધાન. ૨૮

પત્ર એવો લખ્યો રામદાસે, કહ્યું સામે મુક્તાનંદ પાસે;

સુણી બોલિયા તે મુક્તાનંદ, સુણો શ્રીહરિ જનસુખકંદ. ૨૯

એ તો મૂળથી છે અભિમાની, પોતે જાણે છે હું જ છું જ્ઞાની;

જૈયે આપણે ગુર્જર દેશ, નૈ તો કરશે ઉપાધી વિશેષ. ૩૦

ગુજરાત માંહિ શાંતિ કરી, કચ્છ દેશ પધારજો હરી;

એવી શ્રીહરિયે સુણી વાત, જવા નક્કી કર્યું ગુજરાત. ૩૧

સમૈયે જન આવેલા ત્યાંય, તે તો સર્વને કીધા વિદાય;

સંતમંડળને લઈ સાથ, અલૈયા થકી નિકળ્યા નાથ. ૩૨

તમાસણ થઈ જાળિયે રહ્યા, બપોરા ગામ ડાંગરે થયા;

વડે ખીમા પટેલને ઘેર, ઉતર્યા જઈને રુડી પેર. ૩૩

તેના ફળિયામાં પીપર સારી, ઝુલ્યા હિંડોળે ત્યાં ગિરિધારી;

ભલી લીલા કરી ભગવાન, નદીમાં જઈને કર્યા સ્નાન. ૩૪

ગયા ખીરસરે સાક્ષાત, દરબારમાં ત્યાં રહ્યા રાત;

ગામ ખાંભે ગયા કરી દયા, ત્યાંથી ગોવિંદ ગોંડળ ગયા. ૩૫

ભૂપ દેવાજીયે દીધું માન, આપ્યું ઉતરવા શુભ સ્થાન;

રત્ના કડિયાયે એ સમે આવી, ઘણા સ્નેહથી વિનતિ સુણાવી. ૩૬

પ્રભુ રાજનિવાજ ગણાઓ, ત્યારે રાય ઉતારે ત્યાં જાઓ;

નામ રાખો ગરીબનિવાજ, આવિ ઉતરો મુજ ઘેર આજ ૩૭

ભાવ ભાળી આવો અતિ સારો, કર્યો કડીયાને ઘેર ઉતારો;

જમ્યા જેમ વિદુરની ભાજી, તેમ ત્યાં જ જમી થયો રાજી. ૩૮

પૂર્વછાયો

ગોંડળથી ગુણના નિધી, પછી ગયા રુપાવટી ગામ;

બેઠક છે શ્રીજિ તણી, કર્યો ત્યાં જઈ તરત મુકામ. ૩૯

ચોપાઈ

ગંગાજળિયો છે વોંકળો2 જ્યાંય, નાહ્યા ધર્મતનુજ જઈ ત્યાંય;

સંધ્યા આદિકનું કરી કામ, ગયા ગોવિંદ મોવૈયે ગામ. ૪૦

ત્યાંના ભક્તોયે મનભાવ ધારી, દીધિ સંતોને સુખડી સારી;

કરી ટીમણ3 ત્યાંથી સિધાવ્યા, ગામ બંધિયે ગુણનિધિ આવ્યા. ૪૧

સતસંગી પુરુષ ને રામા,4 આવ્યાં સ્નેહથી શ્રીહરિ સામાં;

મુળુભાઈ તથા જે તબોજી, ત્રિજા ક્ષત્રિમાં મુખ્ય સુરીજી. ૪૨

શેઠ ડોસો કરે રૂડાં કાજ, શેઠ જુઠો તથા હંસરાજ;

આછુબા ને લખુબા બે બાઈ, તે તો બાઈમાં મુખ્ય ગણાઈ. ૪૩

પધરાવ્યા પ્રભુ રુડી પેર, ઉતર્યા મુળુભાઈને ઘેર;

મુળુભાઈયે રસોઈ દીધી, જમી શામે સભા શુભ કીધી. ૪૪

ભુજવાસી સુંદરજી સુતાર, આવ્યા તે તો સભાની મોઝાર;

સાથે સાત હતા અસવાર, બીજા પાળા હતા દસબાર. ૪૫

મહારાજનાં દર્શન માટે, આવ્યા કચ્છથી સોરઠ વાટે;

દીઠું મૂર્તિમાં તેજ અપાર, થયા સ્તબ્ધ સુંદરજી સુતાર. ૪૬

ઝાલ્યો કર હરિયે કરી હાસ, પછી બેસાર્યા પોતાની પાસે;

ડોસાભાઈને પાસે બેસાર્યા, જુના સત્સંગી બેયને ધાર્યા. ૪૭

સરબંધિને5 દીધો ઉતારો, કહ્યું તેઓને જમવા પધારો;

પ્રભુ સુંદરજીને તે વાર, પુછવા સત્સંગીના સમાચાર. ૪૮

તે તો સર્વે કહી સંભળાવ્યા, કહ્યા જે વળિ ત્યાંથિ કહાવ્યા;

જુવે છે સહુ આપની વાટ, મહારાજ પધારો તે માટ. ૪૯

કહે કૃષ્ણ જઈ ગુજરાત, પછી કચ્છમાં આવશું ભ્રાત;

ઉચ્ચર્યા વળી શ્રીહરિ એમ, તમે છો સુખીયા કહો કેમ? ૫૦

સુણિ બોલ્યા સુંદરજી આપે, સુખી છું પ્રભુ આપ પ્રતાપે;

સદા જાણિને આપનો દાસ, દયા રાખજો શ્રી અવિનાશ. ૫૧

પછી તેની પરીક્ષા લેવા, શબ્દ શ્રીહરિયે કહ્યા એવા;

દાસ છું એમ સર્વ કહેય, દાસ થાવું તો દુર્લભ છે. ૫૨

જ્યારે આજ્ઞા ન લેશ લોપાય, ત્યારે દાસ ખરા કહેવાય;

કહ્યું તેણે સુણો અવિનાશ, હું છું આપના દાસનો દાસ. ૫૩

પ્રભુ આજ્ઞા ન લોપું લગાર, કહો તો હું તજું સંસાર;

પ્રભુજી કહે મૂછો પડાવો, મોટા થોભા ને ડાઢિ મુંડાવો. ૫૪

સુણી ઉભા થયા એ જ ઠામ, પછી તેડાવ્યો તરત હજામ;

જઈ એકાંતે વાળ મુંડાવ્યા, કરી સ્નાન પ્રભુ પાસે આવ્યા. ૫૫

કહ્યું હેતે જોડી બેઉ હાથ, કરો આજ્ઞા વળિ કાંઈ નાથ;

નહીં આપનું વેણ ઉથાપું, કહો તો તપ તીવ્ર હું તાજું. ૫૬

ત્યારે શામ બોલ્યા સુખદાઈ, તમે શેઠ સુણો ડોસાભાઈ;

નોતા આવ્યા આ દેશમાં અમે, ત્યારે એક સમે જઈ તમે. ૫૭

રામાનંદનું દર્શન કર્યું, હૃદયે રૂપ સ્વામિનું ધર્યું;

પછી સ્વામી બોલ્યા તેહ સમે, જઈ આવજો કાશિયે તમે. ૫૮

કહો વાત તો સાચી કે ખોટી, કેમ આજ્ઞા ઉલંઘી તે મોટી;

સુણી શેઠ બોલ્યા શિર નામી, આપ છો પ્રભુ અંતરજામી. ૫૯

તમે સમરથ છો સાક્ષાત, જાણો ભૂત ભવિષ્યની વાત;

હું તો ભૂલિ ગયો એહ કાજ, આપે સંભારી આપિયું આજ. ૬૦

હવે જેમ કહી તેમ કરું, વેણ આપનું અંતરે ધરું;

સુણી શ્રીજી બોલ્યા તેહ સમે, ભાઈ સુંદરજી તથા તમે. ૬૧

બેઠા છો ત્યાં થકી ઉભા થાઓ, સીધા આંહીંથી કાશીએ જાઓ;

ઘેર જાવું નહીં કાંઈ લેવા, રહેવું નહિ કોઈને કહેવા. ૬૨

કાંઈ વાહન ચડવા ન લેવું, મારું વેણ માનો તમે એવું;

કોટે કંઠી સોનાની છે જેહ, ખાજો વાટે વટાવીને તેહ. ૬૩

કહ્યું એમ બોલાવી એકાંત, જેમ જાણે નહીં કોઈ વાત;

મોટા મોટા હતા સંત જેહ, વાત જાણતા તો હતા તેહ. ૬૪

પછી શ્રીહરિને પગે લાગી, ચાલ્યા બેય જણા રજા માંગી;

સીધા કાશીને પંથે સિધાવ્યા, મનમાં કોઈ શંકા ન લાવ્યા. ૬૫

ગયા બે ગાઉ તે બેય દાસ, કહ્યું સંતોયે શ્રીહરિ પાસ;

જ્યારે જાણશે આ વાત સહુ, ત્યારે થાશે ઉપાધિ તો બહુ. ૬૬

સગાં વાલાંને ત્રાસ ઉપજશે, ભાવથી તમને કોણ ભજશે?

એ છે ગૃહસ્થ બેય ધનાઢ્ય, કેમ વેઠશે તડકો ને ટાઢ્ય?. ૬૭

પછી વાલમે કીધી વિચાર, મુક્યા પાછળ બે અસવાર;

પ્રભુ આજ્ઞાથી વાળીને લાવ્યા, બેય ભક્ત પ્રભુ પાસે આવ્યા. ૬૮

ધર્મપુત્રે પ્રશંસા કીધી, છાપ ચરણની છાતીમાં દીધી;

કહે કૃષ્ણ સુણો ડોસાભાઈ, જાત્રા કાશિની પૂર્ણ ગણાઈ. ૬૯

હવે બાકી રહિ નહિ લેશ, ફળ પામ્યા છો તેથી વિશેષ;

મુક્યું બેય જણે તમે માન, તેથી જાણ્યા મેં સંત સમાન. ૭૦

દાસે આવી સુંદરજીને પુછ્યું, ભાઈ કેમ પડાવી આ મુછડ્યું?

પાપ નામે મુવો પિતરાઈ, તેનું સુતક ઉતાર્યું ભાઈ. ૭૧

એવી દાસને ઉત્તર દીધો, તેણે અર્થ વિચારી તે લીધો;

વાત જે જે જનોયે તે જાણી, ધન્ય ધન્ય કહે તે વખાણી. ૭૨

પુષ્પિતાગ્રાવૃત્ત

પછિ હરિ ઉચર્યા પ્રસન્ન થૈને, મુજ વચનેથિ રહો નિવાસ જૈને;

સુણિ હરિમુખ કેરિ એવિ વાણી, નિજનિજ ઘેર ગયા ઉમંગ આણી. ૭૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદ-અભયસિંહનૃપસંવાદે

બંધિયાગ્રામે હરિદર્શનાર્થ-સૂત્રધારસુન્દરજીઆગમનનામા પંચદશો વિશ્રામઃ ॥૧૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે