કળશ ૫

વિશ્રામ ૨૪

પૂર્વછાયો

ગિરધર ચાલ્યા ગણોદથી, રહ્યા જઈને જાળિયે ગામ;

સાંગા બાબરિયાને ઘરે, કર્યો મહાપ્રભુયે મુકામ. ૧

ચોપાઈ

રુડી પત્ની તેની રત્નબાઈ, સતસંગી તે સારી ગણાઈ;

તેણે ભાવ ભલો દિલ લાવી, વિપ્ર પાસે રસોઈ કરાવી. ૨

જમ્યા ભાવ જોઈ જગદીશ, મહારાજાધિરાજ મુનીશ;

આવ્યા ભક્ત મળી એહ ઠામ, કહું નિર્મળ તેહનાં નામ. ૩

નાથો લુવાણો જ્ઞાનનિધાન, ખિમો હીરો મકન ભગવાન;

હતો પિપળો ત્યાં ફળિયામાં, બાંધ્યો હીંડોળો તેહ સમામાં. ૪

હીંડોળે હરિને પધરાવ્યા, ભલા ભક્તોયે ભાવે ઝુલાવ્યા;

દીઠું નાથનું દિવ્ય સ્વરૂપ, થયું અચરજ સૌને અનુપ. ૫

એમ આપીને સુખ અનંત, બીજે દિવસ ચાલ્યા બળવંત;

ઉપલેટે ગયા અવિનાશ, નદીતટ કર્યો વાડીમાં વાસ. ૬

મહારાજ કરી ઘણી મહેર, જમ્યા કાનજી જોશીને ઘેર;

બીજા સતસંગીયે તેહ ગામ, સજી સેવા તેનાં કહું નામ. ૭

વિપ્ર શવજી ક્ષત્રી નથુભાઈ, પટેલ નારાયણ રૂપબાઈ;

કુરજી રતનો ભગવાન, કણબી કરશન ગુણવાન. ૮

બીજો આહીર કરશનદાસ, ગોકળ ને ગોવિંદ ખવાસ;

તેણે સારી રીતે સજી સેવા, મોટો લાભ અલૌકિક લેવા. ૯

પધરામણિયો રુડી પેર, હરિભક્ત કરી ઘેર ઘેર;

નિજજનનાં હૃદય કરી રાજી, ધર્મપુત્ર પધાર્યા ધોરાજી. ૧૦

ત્યાંના જન પર અઢળક ઢળી, પછી શામ પધાર્યા સાંકળી;

લુવાણા ભગવાનને ઘેર, પ્રભુ રાત રહ્યા રુડી પેર. ૧૧

ત્યાંથી નાથ ફણેણીયે ગયા, વેલા સોની તણે ઘેર રહ્યા;

ગયા ગિરિધર ત્યાંથિ ગુંદાળે, જનો સામા આવ્યા એહ કાળે. ૧૨

સોની આનંદજી અને મીઠો, ત્રીજો સોની કરમશી દીઠો;

લાખો કુંભાર કેસરબાઈ, ધર્મપુત્રને નિરખિયા ધાઈ. ૧૩

પ્રભુને ગામમાં પધરાવ્યા, સજી સેવા હરખ ઉપજાવ્યા;

જેતપુરમાં ગયા જગરાય, ભટ વામનના ઘરમાંય. ૧૪

ત્યાંના ભૂપને દર્શન દીધું, હરિભક્તોનું કારજ સીધું;

વિરપર ગયા ત્યાંથી વિચરી, પછી ગોંડળમાં ગયા હરી. ૧૫

હઠીભાઈયે કર્યું સનમાન, રાખ્યા દરબારમાં ભગવાન;

રહ્યા ત્યાં પ્રભુ દિન ત્રણ-ચાર, પછી પરવર્યા પ્રાણ આધાર. ૧૬

ગામ કોટડા ભાડવા થૈને, સરધાર રહ્યા હરિ જૈને;

વેરીભાઈને તોંગોજી ત્યાંય, ઉતર્યા તેના દરબાર માંય. ૧૭

પૂરી થઈ એમ સાઠ્યની સાલ, વરષાઋતુનો આવ્યો કાળ;

સર્વે સરધારના મળી દાસ, રાખ્યા શ્રીજીને ચાતુરમાસ. ૧૮

રથજાત્રાનો ઉત્સવ કીધો, હરિભક્ત ભલો લાવ લીધો;

દેવપોઢણી દિને જનેશ, વ્રત સૌને ધરાવ્યાં વિશેષ. ૧૯

જનમાષ્ટમી આવતી જાણી, કહી ભક્તોયે વિનયની વાણી;

સંતમંડળ સર્વ તેડાવો, હરિભક્તોને પત્ર લખાવો. ૨૦

ભલો આંહીં જ સમૈયો ભરી, જન્મઅષ્ટમી ઉત્સવ કરો;

તેથી પૃથ્વિ આ પાવન થાય, ગણતાં મોટું તીર્થ ગણાય. ૨૧

શબ્દ સાંભળી શામને ભાવ્યા, સતસંગી ને સંત તેડાવ્યા;

શિળ સાતમ1 દિન એહ ઠાર, લોક આવ્યા હજારો હજાર. ૨૨

દેહો ખાચર ને મીણબાઈ, કરિયાણેથિ આવિયાં ધાઈ;

બીજા પણ બહુ આવ્યા ગૃહસ્થ, વળી આવિયા સંત સમસ્ત. ૨૩

હરખ્યા ગામના હરિદાસ, સારી સૌની કરી બરદાસ;

કથા સાંભળીને સુતા રાતે, ઉઠ્યા અષ્ટમી દિવસ પ્રભાતે. ૨૪

ત્યાં છે સાગર જેવું તળાવ, તેમાં નાવા તણો ધરી ભાવ;

સંઘ સહિત સજી અસવારી, નેહે નાવા પધાર્યા મુરારી. ૨૫

સંતમંડળ કીર્તન ગાય, તેની શોભા વરણવી ન જાય;

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, અવની અને આકાશ ગાજે. ૨૬

ચારુ2 ચમર3 હરિશિર ઢળે, મુખ ચંદ્રછબી ઝળમળે;

ઉંચે સ્વર ઉચરે છડીદાર, જન સૌ કહે જયજયકાર. ૨૭

નિરખે હરિને નરનારી, છબી અંતરમાં લે ઉતારી;

ગયા સર્વ સરોવર તીર, મુનિનાથે વખાણીયું નીર. ૨૮

સંઘ સહિત કર્યું હરિ સ્નાન, જળક્રીડા કરી ભગવાન;

સહુ સાંભળતાં તે ઠામ, બોલ્યા શ્રીમુખે શ્રીઘનશામ. ૨૯

રામાનંદસ્વામી બહુ વાર, નાહ્યા છે આ તળાવ મોઝાર;

આ છે તીરથ પરમ પવિત્ર, એનો મહિમા છે મોટો વિચિત્ર. ૩૦

જે જે જન્મે અહીં જળજંત, એનાં જાણવાં પુણ્ય અનંત;

પ્રાણી જે કરશે જળપાન, નિશ્ચે પામશે મોક્ષ નિદાન. ૩૧

એવી જ્યાં કરે છે હરિ વાત, થયું અચરજ એક અઘાત;

મત્સ્ય કચ્છ હતાં માંહિ જેહ, તરી આવ્યાં ઉપર સહુ તેહ. ૩૨

હાલે ચાલે નહીં સ્થિર થયા, સૌયે જાણ્યું એ તો મરી ગયા;

નિસર્યા સહુ મજ્જન કરી, કોરાં વસ્ત્ર અંગે લીધાં ધરી. ૩૩

મત્સ્ય કચ્છ મૃતક સમ જોઈ, પ્રશ્ન કૃષ્ણને પૂછે છે કોઈ;

પ્રભુ આ તે શી ઉપજી ઉપાધી? કહે શામ તે થઈ છે સમાધી. ૩૪

પૂર્વછાયો

મુક્તાનંદ આદિક કહે, સુણો શ્રીહરિ સુંદર શામ;

બગ શીચાણા સમળિયો, એવા ઉડે છે બહુ આ ઠામ. ૩૫

મત્સ્ય આદિકને તે મારશે, માટે જગાડો જગદાધાર;

જેથી તે જળ અંતર જઈ, સુખે વિચરે સર મોઝાર. ૩૬

ઉપજાતિવૃત્ત

બોલ્યા સુણી શ્રીહરિરાય ત્યાંય, છે સૌની દોરી મુજ હાથમાંય;

હું થાઉં રક્ષા કરનાર જેનો, ન કોઈથી પ્રાણ હણાય તેનો. ૩૭

જે જે થતું આ જગમાં જણાય, અમારિ ઇચ્છાથિ જ સર્વ થાય;

ઇચ્છા વિના તો કદિ શુષ્કપત્ર, ન જૈ શકે અત્ર4 થકી પરત્ર. 5 ૩૮

અમારિ ઇચ્છા થકિ વાયુ વાય, અમારિ ઇચ્છા થકિ વૃષ્ટિ થાય;

અમારિ ઇચ્છા થકિ સૃષ્ટિ જામે, અમારિ ઇચ્છાથિ વિનાશ પામે. ૩૯

રવી શશી જે નભમાં ફરે છે, ફણીંદ્ર જે શીશ ધરા ધરે છે;

સમુદ્ર મર્યાદ વિષે વસાણો, અમારિ ઇચ્છા થકિ એહ જાણો. ૪૦

મત્સ્યાદિ આ રક્ષિત છે અમારા, બકાદિ શું મારિ શકે બિચારા?

બોલ્યા સુણીને મુનિ શીશ નામી, સાચું કહો છો જગદાદિસ્વામી. ૪૧

ચોપાઈ

પછી મત્સ્ય જગાડવા કાજે, મત્સ્ય સામું જોયું મહારાજે;

જળજંતુ તે જાગ્રત થયાં, જળમાંહિ ગતી કરી ગયાં. ૪૨

સૌને અચરજ ઉપજ્યું અમાપ, જાણ્યો પ્રગટ પ્રભુનો પ્રતાપ;

એવાં ઐશ્વર્ય વારમવાર, પ્રભુ જનને દેખાડે અપાર. ૪૩

પછી સુંદર અસવારી સાથ, નિજ ઊતારે આવિયા નાથ;

સભા સજી વિરાજિયા શામ, મતવાદી આવ્યા એહ ઠામ. ૪૪

કોઈ વામી ને કોઈ વેદાંતી, ભાંગી શ્રીહરિયે સૌનિ ભ્રાંતી;

નિજ મત તણું થાપન કીધું, માન સર્વ તણું હરિ લીધું. ૪૫

કૃષ્ણજન્મ ઉત્સવ થયો રાતે, જોયું ત્યાં અચરજ જનજાતે;

રૂડી રીતે રાધાકૃષ્ણરૂપે, દીધાં દર્શન વૃષકુળ ભૂપે. ૪૬

નેણે નિરખવા ઉત્સવ એવો, આવ્યા ઇન્દ્ર આદિક સહુ દેવો;

મળી સુરવધૂ સુમને વધાવે, ગુણી ગાંધર્વ હરિગુણ ગાવે. ૪૭

થયો નવમી તણો દિન જ્યારે, ત્યાંના ભૂપ તોંગાજીયે ત્યારે;

વિપ્ર પાસે રસોઈ કરાવી, સંતને પીરશું હરિ આવી. ૪૮

કર્યો વર્ણિ મુકુંદે ત્યાં થાળ, જમ્યા શ્રીહરિ દીનદયાળ;

પછી એકાદશી આવી જ્યારે, બેઠા શ્રીજી સભા સજી ત્યારે. ૪૯

સંતે લૈને સરોદા સતાર, કર્યું ગાન અલોકી પ્રકાર;

પ્રભુયે પછી વાત ઉચ્ચારી, કામ ક્રોધની ખંડનકારી. ૫૦

કહ્યા લોભના દોષ વિશેષ, લોભમાં છે અધર્મ અશેષ;

લોભ છે સર્વ પાપનું મૂળ, લોભ ધર્મ થકી પ્રતિકૂળ. ૫૧

ઉપજાતિવૃત્ત (લોભ વિષે)

પંચેન્દ્રિયોના વિષયો પ્રમાણો, તેની જ તૃષ્ણા જન લોભ જાણો;

તેને તજે તો ભવમુક્ત થાય, તજે નહીં તે નરકે જ જાય. ૫૨

અત્યંત જાગે ઉર લોભ જેને, સુપુણ્ય કે પાપ સુજે ન તેને;

લોભે કરીને ન રહે જ જ્ઞાન, લોભી દિસે પ્રૌઢ પશૂ સમાન. ૫૩

વૈરાગ્ય પામી ઘરબાર ત્યાગે, જો તે પછી અંતર લોભ જાગે;

જો ચિત્ત દ્રવ્યાદિકમાં લગાડે, બહુ કરેલું તપ તે બગાડે. ૫૪

જો દેવ અર્થે પણ ધર્મ છોડી, કમાઈ આપે ધન એક કોડી,

તેને નહીં દેવ પ્રસન્ન થાય, તે પાપિ પાપે નરકે જ જાય. ૫૫

જો માનનો અંતર લોભ ધારે, નિર્માનીતા સાધુ થઈ વિસારે;

એથી બીજો શ્રેષ્ઠ નહીં અધર્મ, તે લોભથી તે કરશે કુકર્મ. ૫૬

ન્યાયે મળ્યું તે ધન હાથ લેવું, પડ્યું જડ્યું તે પણ ત્યાગિ દેવું;

ગૃહસ્થ તેનો મન લોભ રાખે, તે પાપનું તો ફળ તેહ ચાખે. ૫૭

લોભે કરે છે જન ચોર ચોરી, લૈ જાય છે લોભ કુમાર્ગ દોરી;

લોભે અધર્મી જન લાંચ ખાય, લોભે કરી પાપ બધાં કરાય. ૫૮

જેને દિલે લોભ ઘણો જણાય, આજ્ઞા પ્રભૂ કેરી નહીં પળાય;

જો લોભિને લાભ જડે જરૂર, દિલેથિ મૂકે નિજ ધર્મ દૂર. ૫૯

લોભીષ્ટ ડાબે કર ચોરી લાવે, સાચી થવાને જમણો બતાવે;

આ હાથથી મેં કરિ હોય ચોરી, શિક્ષા કરે દેવ મને સજોરી. 6 ૬૦

લોભી પ્રભુને ઠગવા ઉપાય, કરે ભલે ઈશ્વર શું ઠગાય?

ખોટું ખરું અંતરજામિ જાણે, તે દંડશે કર્મ કર્યાં પ્રમાણે ૬૧

તે લોભનું ખંડન એમ કીધું, સર્વે જનોયે મન ધારિ લીધું;

બીજે દિને પાક ભલા બનાવી, જમ્યા સહુ શ્રીહરિને ધરાવી. ૬૨

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિ નિજજનને કર્યા વિદાય, નિજનિજ દેશ ગયા લઈ રજાય;

ચિત ધરી હરિનાં રુડાં ચરિત્ર, પ્રતિદિન પાઠ કરે ગણી પવિત્ર. ૬૩

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિ સરધારપુરે જન્માષ્ટમ્યુત્સવકરણનામા ચતુર્વિંશતિતમો વિશ્રામઃ ॥૨૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે