કળશ ૬

વિશ્રામ ૨૧

પૂર્વછાયો

કરિયાણા માંહી કરી, પ્રભુ લીલા અનેક પ્રકાર;

પછી ખંભાળે થઈ ગયા, ગામ વાંકિયે વિશ્વાધાર. ૧

રાત રહ્યા રુડી રીતથી, મોકા ખાચરનો દરબાર;

પ્રાતઃસમે ઉઠિ પરવર્યા, ગયા શ્રીહરિ શેડુભાર. ૨

દયાળુ દેવળિયે થઈ, રહ્યા આંકડિયે જઈ રાત;

કુંકાવાવ્ય વડિયે થઈ, ગયા ગાલોલ પ્રભુ પ્રખ્યાત. ૩

જેતપુરે જઈને પછી, ગયા ધોરાજી ધર્મકુમાર;

જમનાંવડ ભાડેર થઈ, અગત્રાઇયે અખિલાધાર. ૪

કાલવાણીયે જઈ કર્યો, જનમાષ્ટમી ઉત્સવ જેહ;

સારો સમૈયો ત્યાં થયો, સંત સર્વ વખાણે તેહ. ૫

મંડળ મુનિ પાંચ પાંચનાં, કરિ મોકલ્યાં ફરવા કાજ;

પીપલાણે થાનિયાણે થઈ, રહ્યા ગણોદ જઈ મહારાજ. ૬

જાળિયે જગજીવન ગયા, ગયા ભાયાવદર ભગવાન;

વડાળે થૈ હરમાણે ગયા, ગયા માટલિયે ગુણવાન. ૭

પ્રીત સહિત પધારિયા, મનમોહન મોડા ગામ;

છે તહાં કરમદિયો ઘુનો,1 નાથ નાહ્યા તેહ ઠામ. ૮

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

નાહ્યા શ્રીહરિ જે સમે સુહૃદમાં મત્સો2 મળ્યાં ધાઈને,

આવે ચુંબક પાસ જેમ ઉછળી ખીલા જ ખેંચાઈને;

તે સૌને થઈ ત્યાં સમાધિ જળમાં થંભી ઠર્યાં તેહથી,

એવાં ચારુ ચરિત્રકારિ હરિને વંદું સદા સ્નેહથી. ૯

ચોપાઈ

ગામ અલૈયે શામ સિધાવ્યા, શેખપાટ થૈ ભાદરે આવ્યા;

વસે ત્યાં વશરામ સુતાર, ઉતર્યા તેને ઘેર મુરાર. ૧૦

મૂળજી વિપ્રે કીધી રસોઈ, ભગવાન જમ્યા ભાવ જોઈ;

એક છે રુડું બંધિયા ગામ, તહાં પ્રથમ ગયા હતા શામ. ૧૧

તહાં સુંદરજી સૂત્રધાર, ભુજનગર તણા રહેનાર;

હરિઆજ્ઞા થકી સાધુ થયા, પાછા આજ્ઞા થકી ઘેર ગયા. ૧૨

તેને ત્યાગ તણું કાંઈ માન, આવ્યું તે જાણ્યું શ્રીભગવાન;

તેને દેખાડવાને જ કાજે, એક લીલા કરી મહારાજે. ૧૩

કાઠિયાવાડ ને ઝાલાવાડે, લખ્યા પત્ર ત્યાં એક દહાડે;

કોઈ શેઠ કોઈ સરદાર, કોઈ રાજ્ય તણા કરનાર. ૧૪

સતસંગમાં દૃઢમતિ જેને, મહારાજે લખાવિયું તેને;

અમ પર પ્રીતિ હોય તમારે, તો આ તમને મળે પત્ર જ્યારે. ૧૫

ત્યાંથી તરત જેતલપુર જાવું, પળમાત્ર ન ઘેર રોકાવું;

રહે જેતલપુર રામદાસ, જજો પાંશરા3 તેહની પાસ. ૧૬

ભગવાં ધરી ત્યાં સાધુ થાવું, ત્યાંથી ચાલીને કાશીયે જાવું;

વળી જેતલપુર મોઝાર, હતા ગોવિંદ સ્વામી તે ઠાર. ૧૭

તેને પત્ર લખ્યો પરમેશ, નાનાભાઈ છે ગુર્જરદેશ;

વસે છે કરજીસણ ગામ, તેને તેડાવજો તેહ ઠામ. ૧૮

તેના હથ્થું4 જગન કરી તમે, અવાશે તો ત્યાં આવશું અમે;

એવા પત્ર લખી મોકલાવ્યા, પછી ગામ પિંપળિયે સિધાવ્યા. ૧૯

ત્યાંથી રણ ઉતર્યા અવિનાશ, કર્યો વાંઢિયામાં જઈ વાસ;

તહાં દેવજિ ભક્તને ઘેર, પ્રભુજી ઉતર્યા રુડી પેર. ૨૦

ગયા લાકડીયે ધર્મલાલ, ત્યાંથી આધોઈ દીનદયાળ;

લાધાજી તણા દરબારમાંય, જૈને જીવન ઊતર્યા ત્યાંય. ૨૧

માળા ફેરવતા હતા માવ, પૂછ્યું લાધાજિયે ધરી ભાવ;

અમે કરિયે તમારું ભજન, તમે કેને ભજો છો જીવન? ૨૨

સુણી બોલ્યા શ્રીજી સાક્ષાત, લાધાભાઈ સુણો એહ વાત;

મારા ભક્ત મને ભજે જેમ, ભજું હું પણ ભક્તને તેમ. ૨૩

મારા ભક્ત મને ન વિસારે, નવ ભૂલું હું ભક્તને ક્યારે;

લાધોભાઈ તો વિસ્મિત થયા, દીઠી શ્રીજીની અદભુત દયા. ૨૪

ચાલ્યા આધોઈથી અવિનાશ, વસ્યા જૈને ભચ્ચાઉમાં વાસ;

ફરતાં ફરતાં બહુ સ્થાન, ભૂજનગર ગયા ભગવાન. ૨૫

કરી ત્યાં લીલા અમિત પ્રકાર, નવ આવે ઉચ્ચારતાં પાર;

પ્રભુ પત્ર લખ્યા હતા જેહ, ગયા જેતલપુર જન તેહ. ૨૬

રામદાસજી આગળ જૈને, ભગવાં ધરિયાં સાધુ થૈને;

મોટા થોભા અને મુછો જેહ, નાંખી તરત મુંડાવીને તેહ. ૨૭

કોઈનાં હતા બાળક છોટાં, કોઈનાં વરાવા5 જોગ મોટાં;

કોઈ મોલ ચણાવતા હતા, ત્યાંથી ચાલી ગયા અણછતા.6 ૨૮

પડ્યા મુક્યા લેણા દેણા દામ, પડ્યાં મુક્યાં જરૂરનાં કામ;

કોઈને ઘેર મેમાન હતા, તેને મળવા થયા નહિ છતા. ૨૯

કોઈ એ જ વરસ પરણેલા, કોઈ પરણવા જોગ થયેલા;

હય7 રથ પર બેસવાવાળા, તે તો ચાલિ ગયા પગપાળા. ૩૦

સુવા સારા પલંગ તળાઈ, ભૂમિ ઉપર સૂતા તે ભાઈ;

ઓઢતા શાલ દૂશાલા અંગે, ઓઢી ચાદર ભગવે રંગે. ૩૧

માથે મંડિલ8 બાંધતા જેહ, ધર્યાં ટોપી ને રૂમાલ તેહ;

જમતા જેહ થાળ સોનાને, તેણે પાત્ર લીધાં જમવાને. ૩૨

પીતા હેમના પ્યાલાયે પાણી, તેણે તુંબડામાં શોભા જાણી;

ભાવતાં જમતા જે ભોજન, જમ્યા તે જળમિશ્રિત અન્ન. ૩૩

તેનો ત્યાગ વૈરાગ્ય તે ટાણે, શુકજી સરખાય વખાણે;

શુકજી ન હતા રાજ્યધારી, પરણ્યા ન હતા પોતે નારી. ૩૪

ન છતાં તજવું તે સહેલ, હોય તે તજવું મુશકેલ;

હોય દારિદ્ર કે ક્રોધ થાય, ત્યારે તો ઘરબાર તજાય. ૩૫

ભર્થરીને મળી ભૂંડિ નારી, ત્યારે ત્યાગિ થયા ભેખ ધારી;

આજ જેવિ રીતે યાગિ થાય, તેમ તો કોઇયે ન કરાય. ૩૬

કળિજુગમાં તજે ઘર આપ, તે તો પ્રગટ પ્રભુનો પ્રતાપ;

સાધુ થૈને તે સૌ સરદાર, થયા કાશિયે જાવા તૈયાર. ૩૭

રામદાસજીને સ્વપ્નમાંય, કૃપાનાથે કહ્યું જઈ ત્યાંય;

કાશિયે ન જાવા દેશો કેને,9 સાથે લૈ આંહીં આવજો એને. ૩૮

પછી તે સહુને રાખિ પાસ, ભુજનગર ગયા રામદાસ;

કર્યા શ્રીજીને સૌયે પ્રણામ, સાધુ સૌને મળ્યા ઘનશામ. ૩૯

ધર્મપુત્રે કહ્યું ધન્ય ધન્ય, તમે સૌ મારા ભક્ત અનન્ય;

ધન નારીનું બંધન કેવું, વજ્રપાશનું બંધન જેવું. ૪૦

તે તો તરત તમે તોડ્યું એમ, તોડે હાથી કમળનાળ જેમ;

સુણી એવું બોલ્યા સહુ સાથી, અમે છૂટ્યા તમારી કૃપાથી. ૪૧

હતા ત્યાં જ સુંદરજી સુતાર, એ તો અચરજ પામ્યા અપાર;

અહો એહનો ધન્ય વૈરાગ્ય, કર્યો રાજ્ય તણો જેણે ત્યાગ. ૪૨

એવી રીતે અંતરમાં વિચારી, મેલ્યું માન તો મનથી ઉતારી;

થોડા દિવસ ગયા એમ જ્યારે, બોલ્યા સંત પ્રત્યે પ્રભુ ત્યારે. ૪૩

સાધુ થૈ નવા આવ્યા છો જેહ, જાઓ ઘેર તજી ભેખ તેહ;

બોલ્યા સંત તે દિલગીર થૈને, દુઃખ દ્યો ન હવે સુખ દૈને. ૪૪

મહા બંધનમાંથિ છોડાવ્યા, દુઃખસાગરમાંથી બચાવ્યા;

તેમાં નાંખવા ઇચ્છો છો ફરી, ન ઘટે તમને એવું હરી. ૪૫

રાખો નિજ પદપદ્મનિ પાસ, ન કરો નાથ અમને નિરાશ;

ત્યારે બોલિયા ધર્મદુલારો, તમે મારું વચન ઉર ધારો. ૪૬

તમ હસ્તક તો હજિ કામ, કરવાં છે ઘણાં ઘણે ઠામ;

તમે જૈને ગૃહસ્થ થવાશે, તો જ તે કામ પૂરણ થાશે. ૪૭

તમે આજ્ઞા ધરો ઉર મારી, મનના મત મેલો વિસારી;

પ્રભુયે કહીને એવિ પેર, કેટલાયને મોકલ્યા ઘેર. ૪૮

કેટલાએકને પરમેશે, સદા રાખિયા સાધુના વેશે;

એવા ત્યાગ વૈરાગ્યની વાત, થઈ વિશ્વ વિષે વિખ્યાત. ૪૯

ઉપજાતિવૃત્ત (સંસારત્યાગ દુષ્કર વિષે)

આકાશમાર્ગે વિચરી શકાય, કદાપિ પાતાળ વિષે જવાય;

સંસાર સાચા મનથી જાય, તે કામ તો દુષ્કર10 છે સદાય. ૫૦

પાસે જઈ પર્વતને ઉપાડે, કે સિંહને પુચ્છ ગ્રહી પછાડે;

દશેંદ્રિયોને વશ જે કરાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૧

જિતે જઈને રણ માંહિ શૂર, કરે રિપૂનું11 દળ સર્વ ચૂર;

તથાપિ કામાદિકને જીતાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૨

ઘણા દ્વિજોને જુગતે જમાડે, સંતોષ પ્રાણી સહુને પમાડે;

તથાપિ સંસાર વિરક્ત થાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૩

યજ્ઞો કરે ને બહુ દાન દેય, પૃથ્વી વિષે તીર્થ બધાં ફરેય;

તથાપિ તૃષ્ણા મનથી મુકાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૪

પંચાગ્નિ તાપે બહુ જાપ જાપે, પોતા તણા પ્રાણ પરાર્થ આપે;

તથાપિ જે નૈષ્ઠિકતા ધરાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૫

જો વેદ કે શાસ્ત્ર ભણે વિશેષ, જ્ઞાની થઈ જ્ઞાન કથે હમેશ;

તથાપિ પાંચ વિષયો જિતાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૬

સભા જિતે વાદ વિવાદકારી, ભૂમધ્ય વિદ્વાન ગણાય ભારી;

ત્યાગી તણે શુદ્ધ પથે ચલાય, તે કામ તો દુષ્કર છે સદાય. ૫૭

પુષ્પિતાગ્રાવૃત્ત

તન મન વિષયાદિને જિતાય, પ્રગટ પ્રભૂનિ કૃપાથિ તેહ થાય;

ધરિ નિજ ઉર માંહિ એ વિચાર, પ્રગટ પ્રભુપદ વંદુ વારવાર. ૫૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિભજનગરે કંકદેશીય-શ્રીમંતસાધુકરણનામૈકવિંશતિતમો વિશ્રામઃ ॥૨૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે