કળશ ૬

વિશ્રામ ૪

 

શિખરિણીવૃત્ત

કહે શ્રીજી સ્વામી સકળ સતસંગી શ્રુતિ ધરો,

પ્રભૂની સેવા તો સમય અનુસારે શુભ કરો;

ઋતૂ ટાણું જેવું સકળ ઉપચારો સુકરિયે,

ઘરાણાં ને વસ્ત્રો ઋતુઋતુ તણાં ભિન્ન ધરિયે. ૧

પ્રભૂની મૂર્તિ તે પ્રગટ પ્રભુ સાક્ષાત ગણિયે,

ન મર્યાદા તૂટે પ્રભુસમિપ એવા જ બણિયે;

જુદાઈ જે જાણે પ્રભુમુરતિમાં ને પ્રભુ વિષે,

મહા પાપી તે તો દુરમતિ અતી દાનવ દિસે. ૨

નકી વાસો લેશે કલપ1 શત કોટી નરક જૈ,

મુંઝાશે ને રોશે કુમતિ અતિ કષ્ટ ગરક થૈ;

તમે સૌ તે માટે પ્રભુમુરતિમાં પ્રીતિ ધરજો,

ભલા ભાવે ભાઈ ખટ રસ તણા થાળ કરજો. ૩

રસોઈમાં ક્યારે નિજ મુખ થકી થુંક ન પડે,

રસોઈને જોઈ મન અશનના2 ઘાટ ન ઘડે;

સ્વહસ્તો બે જોડી વિનતિ કરિને થાળ ધરવો,

જમે છે શ્રીસ્વામી સ્વમન શુભ સંકલ્પ કરવો. ૪

પ્રભૂને પોઢાડે વિનતિ કરિને સેવક સદા,

જગાડે તે જ્યારે વિનતિ મુખથી ઉચ્ચરિ મુદા;

ધિમે ધીમે દ્વારો હરિજન ઉઘાડે હરિ તણાં,

શિખી રાખે ગાવા સમય સમયોનાં પદ ઘણાં. ૫

પ્રિતે પાંચે ટાણે છબિ નિરખતાં આરતિ કરે,

ત્રિ આંટા અંઘ્રીને જુગલ ગણિ નાભી મન ધરે;

પછી આંટે એકે વદન હરિ કેરું નિરખતાં,

બિજા સાતે આંટે નખશિખ નિહાળે હરખતાં. ૬

વૈતાલીયવૃત્ત

વરણી પ્રભુ પાસ જે રહે, વિષયોનો બહુ યોગ તે લહે;

મન જો વિષયે તણાય છે, મરિને તે જમપૂર જાય છે. ૭

હરિમંદિરના મહાંતને, વળિ ભંડારિ થયેલ સંતને;

વિષયાદિક જોગ થાય છે, ચિત્તમાં ચેતિ રહ્યે બચાય છે. ૮

ઉગરે વળિ એ જ રીતથી, જન કોઠારિ ખરો ખચીતથી;3

નહિ તો અતિ પાપમાં પડે, અઘ4 તે કલ્પ ઘણા સુધી નડે. ૯

ઉપજાતિવૃત્ત (કોઠારીના ગુણ વિષે)

જો વસ્તુનો લેશ બગાડ થાય, કે વાવરેલું કદિ વ્યર્થ જાય;

કોઠારિના તો પ્રજળે જ પ્રાણ, કોઠારિ તે તો કહિયે સુજાણ. ૧૦

ધણી ઘણું ખર્ચ કરે કદાપિ, કોઠારિ સંકોચ કરે તથાપી;

પૈસો ગણે કાંચનને પ્રમાણ, કોઠારિ તે તો કહિયે સુજાણ. ૧૧

વિશ્વાસને યોગ્ય ઘણો જણાય, તેને જ કોઠારિપણું અપાય;

થવા ન દે જે દમડીનિ હાણ,5 કોઠારિ તે તો કહિયે સુજાણ. ૧૨

ઘણા જનો વસ્તુ અનેક માંગે, ના પાડતાં તો દિલ દુઃખ લાગે;

ગણે ન નિંદા ન ગણે વખાણ, કોઠારિ તે તો કહિયે સુજાણ. ૧૩

સાદું જમે અંચળ જીર્ણ6 ધારે, ન ખાય હાથે લઈ વસ્તુ ક્યારે;

ધર્મે જ ચાલે જેમ રામબાણ,7 કોઠારિ તે તો કહિયે સુજાણ. ૧૪

વૈતાલીયવૃત્ત

કરશે છળ કે કશો દગો, નથિ તે કોઈ તણી દગો સગો;

જમના પુરમાં જ લૈ જશે, અતિશે તેની ફજેતિ તો થશે. ૧૫

અતિ ઉત્તમ વસ્તુ હોય તે, દઈ દેવી પ્રભુ અર્થ તોય તે;

ઘૃત આદિક કોઈ કાળમાં, બગડેલું નવ દેવું થાળમાં. ૧૬

પ્રભુજીનિ પ્રસાદિ લીજિયે, સહુને તેહ વહેંચિ દીજિયે;

કરશે કદિ પક્ષપાત તો, અઘ લાગે બહુ બ્રહ્મઘાત તો. ૧૭

કદિ કાંઈક ચોરિ ખાય છે, અતિ પાપી જન એહ થાય છે;

ધન ધર્મ તણું પ્રમાણવું, ઉપરીયે જિવ તુલ્ય જાણવું. ૧૮

દમડી8 નહિ વ્યર્થ વાવરે, પરમાર્થે પ્રભુ માલ સંઘરે;

પણ પાપ થકી દિલે ડરે, પ્રભુ અર્થે પણ પાપ ના કરે. ૧૯

પર થાપણ તો ન રાખવી, નહિ કોઈનિ જમાનિ9 દાખવી;

ઋણ દેવશિરે ન કીજિયે, નહિ વ્યાજે સુરદ્રવ્ય10 દીજિયે. ૨૦

સુરમાલ અયોગ્ય ખાય છે, મરિને તે જન ભૂત થાય છે;

નરસિંહમુની કહી હતી, પ્રભુએ તેહ કથા કરી છતી. ૨૧

ઉપજાતિવૃત્ત

કહે કૃપાનાથ પ્રભુ પ્રમાણ, અહો નૃસિંહાખ્યમુની સુજાણ;

જોયેલું વૃન્દાવન માંહિ જેહ, તમે કહો વાત સમગ્ર તેહ. ૨૨

બોલ્યા સુણી વાત નૃસિંહ સંત, સુણો સભાના જન બુદ્ધિમંત;

જ્યાં હું જગન્નાથપુરી ગયો તો, દીક્ષા લઈ દેવળમાં રહ્યો તો. ૨૩

સેવા જગન્નાથ તણી સજૂં હું, ને શુદ્ધભાવે પ્રભુને ભજું છું;

વેરાગિ જે ત્યાં થકિ એક ચાલ્યો, દ્વારામતી તીર્થ વિષે મહાલ્યો. ૨૪

ત્યાંથી ગયો તે સરધાર ગામ, જોયા તહાં શ્રીહરિ મેઘશામ;

આવ્યો જગન્નાથ સમીપ એહ, મને મળ્યો મંદિર માંહિ તેહ. ૨૫

તેણે કહ્યું જે સરધાર જ્યાં છે, શ્રીસ્વામિનારાયણ દેવ ત્યાં છે;

કર્યાં જઈ દર્શન એહ ઠાર, પ્રતાપ તેનો નિરખ્યો અપાર. ૨૬

તીર્થે જતાં રાત્રિ જહાં વિરામ્યો, ત્યાં સ્વામિનારાયણ દર્શ પામ્યો;

તે કાકતાળીય11 બન્યો બનાવ, કર્યો નહોતો મનમાં ઠરાવ. ૨૭

છે સ્વામિનારાયણ દેવ કેવા, તે એ જ છે ઈશ્વર એહ જેવા;

આકાશ આકાશ સમાન ભાઈ, સિંધુ સમી સિંધુ તણી વડાઈ. ૨૮

એવી કહી જ્યાં મુજ પાસ વાત, ત્યાં તેહના આનનથી12 અઘાત;

કોટી રવી તુલ્ય થયો પ્રકાશ, જોયો જગન્નાથ તણે નિવાસ. ૨૯

ત્યાં તો કર્યો મેં મનમાં વિચાર, તે નામમાં શક્તિ દિસે અપાર;

જે નામ લીધે પ્રગટ્યો પ્રકાશ, જઈ કરું દર્શન તેનિ પાસ. ૩૦

પછી જગન્નાથ થકી સિધાવ્યો, કાશી કરી તીર્થ પ્રયાગ આવ્યો;

ત્યાંથી અયોધ્યાપુરમાં ગયો હું, પછીથિ વૃંદાવનમાં રહ્યો હું. ૩૧

વસ્યો તહાં હું વડ હેઠ વાસો, દીઠો તહાં એક ભલો તમાસો;

જતી રહી જામનિ13 અર્ધ જ્યારે, આવ્યા અજાણ્યા જણ ચાર ત્યારે. ૩૨

વાસીદું14 વાળી અવની સુધારી,15 તે તો ગયા તે કરિ ભૂમિ સારી;

વેરાગિ આવ્યા વળિ અન્ય ચાર, છાંટી ગયા તે જળ તેહ ઠાર. ૩૩

વેરાગિ બીજા વળિ ચાર આવ્યા, તે ઢોલિયા જાજમ ગાદિ લાવ્યા;

તેણે કર્યું રૂડિ રિતે બિછાનું, જાણે રચ્યું રૂડું કચેરિખાનું. ૩૪

મેં જાણિયું તીરથ આ કહાવે, માટે અહીં કોઈ મહાંત આવે;

ત્યાં તો મળી મંડળ શ્રેષ્ઠ આવ્યું, સાથે મશાલો છડિદાર લાવ્યું. ૩૫

મેના વિષે કોઈ હતા મહાંત, કોઈ હતા પાલખિ માંહિ સંત;

કોઈ બિરાજ્યા પછિ તો પલંગે, બેઠા બિજા ગાદિ વિષે ઉમંગે. ૩૬

ઘણાંક તો જાજમ માંહિ બેઠા, કોઈ રસોઈ કરવા જ પેઠા;

કોઈ કરે પૂજન નિત્યપાઠ, જોગીંદ્ર જેવો જ જણાય ઠાઠ. ૩૭

રથોદ્ધતાવૃત્ત

જ્યાં પછીથિ જમવા સમો થયો, એક સાધુ તહિં તેડવા ગયો;

સર્વ સંત તણિ પંગતિ થઈ, પાંચ સાત પિરસે લઈ લઈ. ૩૮

એક આવિ મુજને કહે તેમ, સાધુરામ જમવા ઉઠો સમે;

તે સુણી હું જમવા તહાં ગયો, ભક્ષ ભોજ્ય નિરખી ખુશી થયો. ૩૯

લાડુ ઘેબર જલેબિ દૈથરાં, શાક પાક ભજિયાં ભલાં કર્યાં;

સર્વ વસ્તુ પિરસાઈ જ્યાં રહે, એક સાધુ મુજ કાનમાં કહે. ૪૦

તે દયાળુ દિલનો હતો સહી, તેથિ વાત મુજને ખરી કહી;

એક વાત કરવા ચિતે ચહું, તથિ ત્રાસ ઉપજે ન તો કહું. ૪૧

મેં કહ્યું હું દિલમાં નહીં ડરું, સાધુ તેહ સુણિ બોલિયો ખરું;

સાધુરામ જમશો નહીં તમે, ભૂતજાતિ સઘળાં છિયે અમે. ૪૨

પાત્ર માંહિ પકવાન જેહ છે, હાડ માંસ રુધિરાદિ તેહ છે;

તે સુણી વચન મેં કહ્યું તહાં, સંતરૂપ સઘળા દિસે ઇહાં. ૪૩

ભૂત કેમ સહુ સંત તે થયા, તે કહોજિ કરિને તમે દયા;

સાધુ એમ સુણતાં જ બોલિયો, સત્ય ભેદ સઘળોય ખોલિયો. ૪૪

ઉપજાતિવૃત્ત

સુણો કહું તે શુચિ સાધુરામ, અમે હતા એક પવિત્ર ધામ;

તેમાં હતા શ્રેષ્ઠ મહાંત કોઈ, ભંડારિ થૈ કોઈ કરે રસોઈ. ૪૫

કોઠારિ કોઠાર તપાશિ રાખે, તથાપિ ચોરી લઈ ચીજ ચાખે;

સીધૂં સમર્પે જન દેવતાર્થે, અમે કર્યો તે ઉપયોગ સ્વાર્થે. ૪૬

જાણ્યા અમે સેવક મિત્ર જેને, ખાધું અમે ને ખવરાવ્યું તેને;

નિષ્પક્ષપાતે નહિ ધર્મ ધાર્યો, સાધૂ તણો ધર્મ સદા વિસાર્યો. ૪૭

ન દેવતાની મરજાદ રાખી, જાણ્યા નહીં અંતરજામિ સાખી;16

દેવાલયે કાંઈ કર્યાં કુકર્મ, પાળ્યો પળાવ્યો નહિ શુદ્ધ ધર્મ. ૪૮

પૂજારિ થૈને બહુ પાપ કીધાં, ખાવા પદાર્થો બહુ ચોરિ લીધાં;

કુદૃષ્ટિયે કામનિયો17 નિહાળી, તે પાપ તો કેમ શકાય ટાળી. ૪૯

સાધૂ થઈને તજિ સાધુતાઈ, અમે થયા તે થકિ ભૂત ભાઈ;

અભક્ષ્યનું ભક્ષણ તો મળે છે, બહૂ બહૂ અંતર તો બળે છે. ૫૦

ઇચ્છું દયાથી હિત હું તમારું, ખાશો નહીં ભોજન આ અમારું;

એવું સુણી લાડુ જલેબિ જેહ, ખાધાં નહીં મેં તિલમાત્ર તેહ. ૫૧

લૈ એક વસ્ત્રે ધરિ ગાંઠ વાળી, ભૂતો ગયાં મેં તહિં રાત ગાળી;

જોયું પ્રભાતે પછિ જાગિ જ્યારે, અસ્થી તથા માંસ દિઠાં જ ત્યારે. ૫૨

હતાં વળી ગર્ધભનાં જ લીંડાં, તથા હતાં કુર્કટજાતિ18 ઇંડાં;

તે તો પછી મેં દુર નાંખિ દીધું, વસ્ત્રો પખાળ્યાં19 વળિ સ્નાન કીધું. ૫૩

ત્યાંથી પછી હું કરતો પ્રવાસ, આવી રહ્યો શ્રીહરિકૃષ્ણ પાસ;

જોતાં જ તેને જગદીશ જાણ્યા, પ્રત્યક્ષ સર્વોપરિ તે પ્રમાણ્યા. ૫૪

દીધી મને ભાગવતી સુદીક્ષા, તથા સુણાવી શુભ ધર્મશિક્ષા;

નૃસિંહઆનંદ સુનામ આપ્યું, કૃપાનિધાને સહુ કષ્ટ કાપ્યું. ૫૫

શ્રીજી કહે સૌ સુણજો વિચારી, મહાંત કોઠારિ તથા પુજારી;

કોઈ પ્રકારે કપટી જણાશો, જરૂર તો તે મરિ ભૂત થાશ. ૫૬

સુણો ગૃહસ્થી સહુ બાઈ ભાઈ, જે મુજ હસ્ત મુરતી થપાઈ;

પ્રત્યક્ષ તે મૂજ સ્વરૂપ જાણી, પૂજો સદા અંતર પ્રેમ આણી. ૫૭

જે ઉદ્યમે દ્રવ્ય કમાઈ લેજો, દેવાર્થ વિશાંશ દશાંશ દેજો;

ન દેવ નાણું કરજેથિ લેવું, ન પાપ મોટું સુરઋણ જેવું. ૫૮

દૃષ્ટાંત ગોવર્ધનની ફઈનું, દીધું પ્રભૂયે નરકે ગઈનું;

જો દેવતાનું ઋણ ના વળાય, તો ભાઈ અંતે ગતિ એવિ થાય. ૫૯

તે દેવનાં વાહન વસ્ત્ર કાંઈ, ન પાત્ર લેવાં વ્યવહાર માંઈ;

નિષ્કામભાવે સજવી20 જ સેવા, અંતે થવા અક્ષરમુક્ત જેવા. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

નિજજન પ્રતિ ઝાઝિ એવિ વાત, કરિ હરિયે કરુણા કરી અઘાત;

સુણ નૃપ લવમાત્ર મેં કહી છે, પણ બહુ શેષ21 વિશેષ તો રહી છે. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

નૃસિંહાનંદ-આખ્યાનકથનનામા ચતુર્થો વિશ્રામઃ ॥૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે