કળશ ૬

વિશ્રામ ૮

પૂર્વછાયો

વસો ભણી પ્રભુ વિચર્યા, દેવા ગામથી દીનદયાળ;

સામા આવ્યા સતસંગિયો, સમાચાર સુણી તતકાળ. ૧

ચોપાઈ

સામા આવિયા ત્યાં વાલાભાઈ, તેની પત્નિ તે અવલબાઈ;

તુલસીભાઈ પણ ત્યાં વિચરિયા, જેણે અંતરમાં હરિ ધરિયા. ૨

દવે દાદા આદિક સતસંગી, આવ્યા દર્શન કાજ ઉમંગી;

આવ્યા કાનજી ઠક્કર લુવાણા, સત્સંગમાં જે વખણાણા. ૩

લાવ્યા માટલી બરફીની ભરી, ધર્મનંદન આગળ ધરી;

જમ્યા શ્રીજગજીવન તેહ, આપી સૌને પ્રસાદી તો એહ. ૪

હતા બારોટ જે જગરૂપ, કહે તેહને વૃષકુળભૂપ;

જાઓ ઘેર હવે તમે ભ્રાત, કરે છે ચિંતા તમારી માત. ૫

ઘણું કરતાં હશે કલપાંત, તમે જૈ પમાડો મન શાંત;

હેત માતાનું હોય અપાર, રાખે પુત્ર ઉપર બહુ પ્યાર. ૬

ઉપજાતિવૃત્ત (માતાના પ્રેમ વિષે)

માતા તણો પ્રેમ અપૂર્વ હોય, તે તુલ્ય સ્નેહી નહિ અન્ય કોય;

સંસારમાં અન્ય ઘણી સગાઈ, માતાનિ તુલ્યે નહિ કોઈ ભાઈ. ૭

જે આપનું સત્વ શરીર કેરું, તે પુત્રને પાય અહી ઘણેરું;

એવી રિતે પોષણકારિ કોય, માતાનિ તુલ્યે જગમાં ન હોય. ૮

જુઓ તપાસી પશું પક્ષિમાંય, માતા તણો સ્નેહ ઘણો જણાય;

પોતે સહે સંકટ કોઈ કાળે, તથાપિ સ્નેહે સુતને જ પાળે. ૯

ભાઈ તથા મિત્ર કળત્ર પુત્ર, જે જે સગાં સ્નેહિ જણાય અત્ર;

તે સર્વ છે સ્વારથની સગાઈ, નિઃસ્વાર્થ માતાનિ સગાઈ ભાઈ. ૧૦

કરે તિરસ્કાર કુપુત્ર માનો, માનો ખરો સ્નેહ નહીં જવાનો;

જો પુત્ર ગાંડો નબળો નઠારો, તથાપિ માને મન હોય પ્યારો. ૧૧

ચકોરને છે પ્રિય ચંદ્ર જેવો, ભુજંગને1 તો મણિ હોય એવો;

દૃષ્ટાંત મિત્રાદિક એહ દેય, માતાનિ પ્રીતી ખરિ એવિ છેય. ૧૨

માતાનિ પ્રીતી પ્રભુયે રચેલી, બિજાનિ તો કર્ત્રિમ2 છે કરેલી;

પ્રત્યક્ષ ને ચિત્રિત હોય જેવું, માનું તથા અન્યનું હેત એવું. ૧૩

પ્રવાસથી પૂરુષ ઘેર આવે, માતા તથા પત્નિ પ્રહર્ષ3 લાવે;

માતા કહે પુત્ર ભલે જ આવ્યા, પત્નિ પુછે શુંય કમાઈ લાવ્યા? ૧૪

ચોપાઈ

સ્નેહસાગર માતા તમારી, વાટ જોતાં હશે દૃષ્ટિ ધારી;

માટે જૈ તેને સુખ સંપડાવો,4 મારી આજ્ઞા આ માથે ચડાવો. ૧૫

એવી આજ્ઞા કરી મુનિભૂપ, તેથી ઘેર ગયા જગરૂપ;

કાશિદાસને પણ કહ્યું ત્યારે, તમે ઘેર સિધાવો તમારે. ૧૬

કર જોડિ કહે કાશિદાસ, તમે સાંભળો શ્રીઅવિનાશ;

મારા સંબંધી માતરમાં છે, માટે તમને તેડી જવા ત્યાં છે. ૧૭

સુણી શ્રીહરિ તૈયાર થયા, મનમોહન માતર ગયા;

એક બાવાને ઈરષા વાધી, તેણે કરવાને માંડી ઉપાધી. ૧૮

ત્યાંના બારોટ બહુ હતા સારા, તેણે ચોરામાં હરિને ઉતાર્યા;

બહુ બાવાને તેણે ડરાવ્યો, તેથી ઉપાધિ કરવા ન ફાવ્યો. ૧૯

કાશીદાસના સંબંધી ઘેર, જમી આવ્યા પ્રભુ રુડી પેર;

ત્યાંથી ફરતા બિજાં ઘણાં ગામ, ગયા ઉત્તરસંડે તે શામ. ૨૦

ત્યાં તો નરહરદાસ પટેલ, મહિમા પ્રભુનો સમજેલ;

તેણે ઉતાર્યા પોતાને ઘેર, સ્નેહે સેવા સજી શુભ પેર. ૨૧

ત્યાંથી પીજ ગયા પરમેશ, દેવા દૈવીને શુભ ઉપદેશ;

બચ્ચાભાઈની ખડકી છે જ્યાંય, ઉતર્યા ત્રિભુવનપતિ ત્યાંય. ૨૨

ભાઈજીભાઈ ઝવેરદાસ, કાનદાસ આવ્યા પ્રભુ પાસ;

મળી સૌયે સજી સારી સેવા, લાભ અચળ અલૌકિક લેવા. ૨૩

વાત ચાલી ડભાણે ઘણી જ, મહાપુરુષ પધાર્યા છે પીજ;

તેમાં ભારે ચમત્કાર ભાસે, કીધે દર્શન પાપ પ્રનાશે. ૨૪

વિષ્ણુદાસના રઘુનાથદાસ, તેનો ગામ ડભાણમાં વાસ;

પુત્રી પાવન અવલબાઈ, ભલાં દૈવી તે ભગની ને ભાઈ. ૨૫

કરી તાતને વિનતિ ઘણી જ, આપો આજ્ઞા અમે જૈયે પીજ;

મહાપુરુષને આપણે ઘેર, તેડી લાવિયે ઉત્તમ પેર. ૨૬

વિષ્ણુદાસે કહ્યું ભલે જાઓ, પદ પરશિને પાવન થાઓ;

પછી પીજ ગયાં બેન-ભાઈ, કર્યાં દરશન અતિ સુખદાઈ. ૨૭

ઘણી વિનતિ સુણાવી સુજાણ, પ્રભુ લૈ ગયાં ગામ ડભાણ;

ઉતર્યા વિષ્ણુદાસ નિવાસ, શામે સૌની પુરી કરી આશ. ૨૮

એક ગોવિંદભાઈ પટેલ, જેના મનમાં નહીં લેશ મેલ;

નામે રાયજી તે જણ બેય, એક વિપ્ર પ્રભુરામ છેય. ૨૯

વિપ્ર કુબેરજી મયારામ, વળિ નાગજી ગોવિંદરામ;

પ્રભુરામના સુત જગન્નાથ, એહ આદિક સત્સંગી સાથ. ૩૦

સર્વ શ્રીહરિની સેવા કરે, ઉપદેશ સુણી ઉર ધરે;

પછી ત્યાંથી ગયા જગતાત, ગામ ટુંડેલ થૈ પીપળાત. ૩૧

બામણોલી ગયા બહુનામી, નિજજન હિત અંતરજામી;

તહાં ભક્ત તખો પગી નામ, તેને વાલા ઘણા ઘનશામ. ૩૨

મુક્તાનંદ તણે ઉપદેશે, તેને જ્ઞાન મળેલું વિશેષ;

સુણ્યા તેણે સારા સમાચાર, અંહિ આવે છે ધર્મકુમાર. ૩૩

સામા જૈને કર્યું સનમાન, ભાવે ભેટિયા શ્રીભગવાન;

રુડી રાયણ છે એક જ્યાંય, ઢાળ્યો ઢોલિયો લાવીને ત્યાંય. ૩૪

બિરાજ્યા ઢોલિયે મહારાજ, બેઠો આગળ સંતસમાજ;

કુવો ત્યાંથી ઈશાનમાં ભાળી, તહાં નાવા ચાલ્યા વનમાળી. ૩૫

દંતધાવન આદિક કીધું, નિત્યકર્મ તહાં કરી લીધું;

હરિમજ્જનનું5 નીર રાખ્યું, તખાભક્તે કુવા માંહિ નાંખ્યું. ૩૬

સર્વે લોકની બુદ્ધિ સુધરવા, કુવો તેહ પ્રસાદીનો કરવા;

એક જાજમ પાથરી હતી, બેઠા ત્યાં પછી સંતના પતિ. ૩૭

મુક્તાનંદ આદિક સહુ સંત, બેઠા નિર્ખવા શ્રીભગવંત;

ધર્મ ભક્તિ ધરી દિવ્ય દેહ, હતાં શ્રીજીની સેવામાં તેહ. ૩૮

તખાભક્તે કહ્યું જમવાનું, પણ શ્રીહરિયે નહિ માન્યું;

જતાં વરતાલ વિલંબ થાય, માટે જમવા નહીં રહેવાય. ૩૯

એવાં વચન બોલ્યા હરિ જ્યારે, મુકિ કેરિયો લાવિને ત્યારે;

સંતને હરિયે વેંચી દીધી, સંતે જાણી પ્રસાદી તે લીધી. ૪૦

જમ્યા કેરિયો શ્રીજી ને સંત, હરખ્યા તખોભક્ત અત્યંત;

બ્રહ્મા ઇંદ્ર મહેશ ગણેશ, આવ્યાં ગાંધર્વ શારદા શેષ. ૪૧

પ્રભુ દર્શનની કરી આશ, બેઠા સર્વ તે રાયણ પાસ;

વાત વરતાલ માંહિ વિસ્તરી, બામણોલી પધાર્યા છે હરી. ૪૨

પડ્યાં મેલી બીજાં બધાં કાજ, સામો ચાલિયો સર્વ સમાજ;

પ્રેમી ભક્ત મહુડિયા પરાના, પગી જાલમ ચાલિયા ત્યાંના. ૪૩

જન સામો મળ્યો નર કોઈ, તેને પુછ્યું તેના સામું જોઈ;

ભાઈ સ્વામિનારાયણ ક્યાં છે? તેની સાથે બીજા કોણ ત્યાં છે? ૪૪

ઉપજાતિવૃત્ત

બોલ્યો સુણીને નર તેહ ઠામ, છે બામણોલી શુભ ગામ નામ;

કૂવો તહાં રાયણથી ઇશાને, છે સ્વામિનારાયણ તે સ્થાને. ૪૫

આવ્યા સુરો દર્શન કેરિ આશ, બેઠા મળી રાયણ વૃક્ષ પાસ;

સંતો તથા ભક્ત ગૃહસ્થ જે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૪૬

સભા વિલોકી6 સુર રાજિ થાય, ઉત્સાહ એનો વરણ્યો ન જાય;

ગાંધર્વ સર્વ ગુણ ઉચ્ચરે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૪૭

જે મુખ્ય તો મુક્ત મુની ગણાય, વૈરાગ્ય જેનો વધતો જણાય;

વાર્તા કથા શ્રીહરિની કરે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૪૮

મહેશ સાથે સુત છે ગણેશ, સુરોનિ સાથે વળિ છે સુરેશ;7

શેષાદિ સર્વે સુજશો કહે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૪૯

મુકુંદ જે નૈષ્ઠિક વર્ણિરાજ, પૂજા તણો તે લઈ સર્વ સાજ;

ઉભા ઉભા અર્ચન આચરે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૫૦

તહાં વળી નારદ શારદાદિ, કવિત્વકારી કવિ વાલ્મિકાદિ;

ચરિત્રના ગ્રંથ રુડા રચે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૫૧

શ્રીધર્મ ભક્તી ધરિ દિવ્ય દેહ, સદા સજી શ્રીહરિમાં સનેહ;

સેવા ભૂલી સજ્જ થઈ સજે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૫૨

પ્રત્યેક બ્રહ્માંડ તણા અધીશ, બ્રહ્મા ભવાનીપતિ8 લક્ષમીશ;9

સમીપના દાસ થવા ચાહે છે, શ્રીસ્વામિનારાયણ પાસ તે છે. ૫૩

ચોપાઈ

સુણિને સહુ હરખિત થયા, બામણોલિયે તે સહુ ગયા;

કુવા પાસે દીઠા અવિનાશ, દીઠા દેવ સૌ રાયણ પાસ. ૫૪

કર્યા પ્રેમે જઈને પ્રણામ, દીધી આશીષ સુંદર શામ;

પછી સજ્જ થઈ હરિરાય, થયા વરતાલ પંથ વિદાય. ૫૫

દેવો સૌ ગયા દર્શન કરી, મહુડીયે પરે આવ્યા હરી;

પગી જાલમજી તણે ઘેર, પધાર્યા પ્રભુજી રુડી પેર. ૫૬

વરતાલ આવ્યા વનમાળી, પામ્યા આનંદ સૌ જન ભાળી;

તહાં વાસણ સૂતાર ઘેર, ઉતર્યા ધરિને ઉર મહેર. ૫૭

ધર્મશાળા વડેઉની જ્યાંય, સહુ ઉતર્યા અસ્વાર ત્યાંય;

રહ્યા દશ દિન દેવ મુરારી, સેવા સત્સંગિયે સજી સારી. ૫૮

તહાં પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, તેથી જશ ઠામઠામ ફેલાવ્યો;

કહે ભૂપ અહો બ્રહ્મચારી, એ તો વાત કહો વિસ્તારી. ૫૯

કેવી રીતે જણાવ્યો પ્રતાપ, વરતાલમાં શ્રીહરિ આપ;

હરિ જશ રસ કરવાને પાન, અતિ આતુર છે મુજ કાન. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિ જશ રસની ન ચાહ જેને, અસુર અધર્મિ કહે જ શાસ્ત્ર તેને;

વળિ જડ જન એ જ આત્મઘાતી, ધિક ધિક જન્મ ધર્યો મનુષ્યજાતી. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

વૃત્તાલયે શ્રીહરિઆગમનનામા અષ્ટમો વિશ્રામઃ ॥૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે