કળશ ૭

વિશ્રામ ૨૨

પૂર્વછાયો

જીવન જેતલપુર જવા, વળી ચિત્તમાં કીધો વિચાર;

પરવરતાં ગઢપુર થકી, લીધા પાર્ષદ સંત અપાર. ૧

ચોપાઈ

મહા સમરથ હરિ સાક્ષાત, જાણે ભૂત ભવિષ્યની વાત;

શું છે જેતલપુરમાં થવાનું, નથી તેહ પોતા થકી છાનું. ૨

ઝીંઝાવદર વાલો સિધાવ્યા, સર્વે સત્સંગી કાઠી તેડાવ્યા;

કહે કૃષ્ણ ચાલી શકો જેહ, અમ સાથ તો આવજો તેહ. ૩

દોડવુંયે પડે કોઈ ઠામ, થાકી જાય તેવું નથી કામ;

દરબાર અલૈયા ખાચરનો, હતો ત્યાં ઉતારો હરિવરનો. ૪

સારો સામાન તેણે મગાવી, રસોઈ ભલી ભાત કરાવી;

જમ્યા શ્રીહરિ ને જમ્યા સંત, જમ્યા કાઠિયો પણ મહિમંત. ૫

પછી કાઠીયોયે રુડી પેર, ઘોડાં તો મોકલાવિયાં ઘેર;

ચાલ્યા પાળા થઈ તેહ ટાણે, તેનું કારણ તો કૃષ્ણ જાણે. ૬

ગયા શ્રીહરિ અડવાલ ગામ, તુળજારામ વિપ્રને ધામ;

રંગભીનો જઈ રહ્યા રાત, તેણે સેવા સજી ભલી ભાત. ૭

બળોલે ગયા શ્રીઅવિનાશ, વશરામ ચારણને નિવાસ;

રુડી લીલા કરે હરિરાય, દેખવાને આવે દેવતાય. ૮

કોઠ્ય કેરી બજારમાં થૈને, જન સર્વને દરશન દૈને;

ધોળકે ગયા ધર્મકુમાર, રેવાશંકર કેરે અગાર.1

ગયા જેતલપુર જગદીશ, અગણિત બ્રહ્માંડના ઈશ;

પાદશાહી મહેલ જોઈ સારો, કર્યો તેમાં શ્રીકૃષ્ણે ઉતારો. ૧૦

મુક્તાનંદ આદિક સહુ સંત, આવ્યા મંડળ સહિત મહંત;

આસોપલ્લવના ઝાડ પાસ, સભા સારી રચે અવિનાશ. ૧૧

પ્રેમે સદ્‌ગુરુઓ પૂજા કરે, નિરખી છબી અંતરે ધરે;

દેશદેશના હરિજન આવ્યા, તે તો ભેટ ભલી ભલી લાવ્યા. ૧૨

આનંદાદિક સ્વામીને કહ્યું, લાવો યજ્ઞનો સામાન બહુ;

ભૂમિ તો કરી સ્વચ્છ વળાવી, કુંડ મંડપ વેદી કરાવી. ૧૩

ઘૃત ખાંડ ને ઘૌં તો મંગાવ્યાં, ભક્તો ગાડાં ભરી ભરી લાવ્યા;

જે જે જોઇયે વસ્તુ જરૂર, તે તે લાવી ભરી ભરપૂર. ૧૪

ચારે વેદના વિપ્ર તેડાવ્યા, અતિ હર્ષ સહિત એહ આવ્યા;

ઉમરેઠમાં શ્રીજી સિધાવ્યા, નંદુભાઈએ ત્યાં જ તેડાવ્યા. ૧૫

કરી પૂજા પુરો ધરી પ્યાર, રુપૈયા તો આપ્યા શત બાર;2

રહ્યા ત્યાં પ્રભુજી એક રાત, આવ્યા જેતલપુર જગતાત. ૧૬

જયાબાઈ આદિક ગઢપુરથી, આવ્યાં આનંદ ધારીને ઉરથી;

થયો યજ્ઞસામાન તૈયાર, ચોખા વચમાં દિવસ રહ્યા ચાર. ૧૭

ત્યારે શ્રીપુરના જને આવી, ઘણી શ્રીજીને વિનતિ સુણાવી;

ચાલો શ્રીહરિ શ્રીપુર માંહી, રહી બે દિન આવજો આંહીં. ૧૮

પ્રમાણિકા છંદ

નમામિ સંતનાયકં, સદૈવ સૌખ્યદાયકં;

અનેક વિશ્વકારણં, સુધર્મધૌર્ય ધારણં. ૧૯

કુપંથગ્રંથ ખંડનં, સ્વકીય માર્ગખંડનં;

નમામિ મુક્તઅર્ચિતં, સુચંદનાદિ ચર્ચિતં. ૨૦

નમો ભવાબ્ધિપારદં, સમસ્ત શાસ્ત્રસારદં;3

નમો નરાકૃતિધરં, અપાર ઈશ્વરેશ્વરં. ૨૧

સુરારિગર્વ ગંજનં, સ્વભક્ત ભીતિભંજન;

મનોવિકાર ભંજનં, નમો નમો નિરંજન. ૨૨

પયોજપત્ર લોચનં, મનોજમાન મોચનં;

નમામિ વિઘ્નવારણં, મદાંધદુષ્ટ મારણં. ૨૩

સુધૌતવસ્ત્રસંધૃતં,4 સમૂર્ધ્વપુંડ્રકંકૃતં;

પદાબ્જભક્તપાલકં,5 ભજામિ ભક્તિબાલકં. ૨૪

ચોપાઈ

પ્રભુ શ્રીપુર માંહી પધારો, અમને અતિ હરખ વધારો;

સુણી શ્રીહરિ ઉત્તર દે છે, રાજના જન દ્વેષ કરે છે. ૨૫

તમે જાણો છો તે તો બધાય, માટે ત્યાં હમણાં ન અવાય;

યજ્ઞ આ પૂરો થાય ન થાય, તેનું પણ નકી કહી ન શકાય. ૨૬

શાર્દૂલવિક્રીડિત

એવાં વેણ સુણી હરિમુખ તણાં ભક્તો ઉદાસી થયા,

આશાભંગ ઉમંગભંગ થઈને દુઃખી દિલે થૈ ગયા;

જાણું યજ્ઞ ન જો થશે પ્રભુ જશે ક્યાંથી સમૈયો થશે,

ઇચ્છા અંતરની બધી રહિ જશે હોનાર એવું હશે. ૨૭

ચોપાઈ

એવામાં તો બની એક વાત, કહું તે તમે સાંભળો ભ્રાત;

ચલોડા ગામમાં જીતબાઈ, સતસંગમાં શ્રેષ્ઠ ગણાઈ. ૨૮

લલિતા ને જયાબાઈ જેવી, ઉપમા એને આપિએ એવી;

મંદવાડ સુણ્યો એને અંગ, ગયા દર્શન દેવા શ્રીરંગ. ૨૯

ભાઉ સાહેબ શ્રીપુર માંય, પેશવાનો સુબો કહેવાય;

એને જૈને કહે જન અજ્ઞ,6 કરે છે સહજાનંદ જજ્ઞ. ૩૦

જો તે જજ્ઞ પુરેપુરો થાશે, રાજ્ય પેશવાનું નકી જાશે;

કર્યો પ્રથમ જગન એહ જ્યારે, તવ તાત મુવા તેહ વારે. ૩૧

જજ્ઞ આ જો પૂરો હવે થાશે, નકી જીવ તમારો જ જાશે;

એવું સાંભળી હરિને પકડવા, જજ્ઞ ભંગ કરીને કનડવા.7 ૩૨

મોટી ફોજ તેણે મોકલાવી, એ તો જ્યારે જેતલપુર આવી;

પુછ્યું સ્વામિનારાયણ ક્યાં છે, કહ્યું આંહિથી ક્યાંઈ ગયા છે. ૩૩

પત્તો લાગ્યો પ્રભુનો ન જ્યારે, ફોજ પાછી વળી ગઈ ત્યારે;

આવ્યા જેતલપુર જગતાત, મુક્તાનંદે કહી બધી વાત. ૩૪

પછી ખેડે ગયા મહારાજ, અંગરેજનું ત્યાં હતું રાજ;

કલેક્ટરને કહ્યું જઈ હરિયે, કરો મદદ તો ત્યાં જજ્ઞ કરીએ. ૩૫

ત્યારે સાહેબે એમ ઉચ્ચાર્યું, નથી જેતલપુર તો અમારું;

ખેડામાં જો કરો જજ્ઞ તમે, કરિએ તો સહાયતા અમે. ૩૬

મળ્યા એરણ સાહેબ નામ, મળ્યા રોબટ પણ તેહ ઠામ;

મળ્યા ડુગલ સાહેબ તે ટાણે, સર્વ શ્રીહરિને તે વખાણે. ૩૭

કહ્યું ધર્મ ચલાવો છો સાર, તજાવો છો ચોરિ વ્યભિચાર;

નિંદો છો મધુપાનનો8 રાહ, એથી થાય છે ઓછા ગુનાહ. ૩૮

જે જે થાય છે દાસ તમારા, તે તો સુધરીને થાય છે સારા;

પ્રશંસા તો એવી ઘણી કીધી, તે તો શ્રીજીએ સાંભળી લીધી. ૩૯

આનંદાનંદને તેહ વાર, કહાવ્યા પ્રભુએ સમાચાર;

યજ્ઞ ત્યાં આ સમે નહીં થાય, સર્વ સંઘને કરજો વિદાય. ૪૦

આદિ જુગમાં અસુર બહુ ફરતા, તે તો જજ્ઞ તણો ભંગ કરતા;

જજ્ઞ ભંગ કરે જ્યારે રાય, તેને પાપે તેનું રાજ્ય જાય. ૪૧

પેશવાના સુબા આજ જે છે, મહાયજ્ઞનો ભંગ કરે છે;

તેનું ફળ તો તરત તેને થાશે, જાણજો કે તેનું રાજ્ય જાશે. ૪૨

કાળ આવે વિનાશનો જ્યારે, ઉપજે બુદ્ધિ વિપરીત ત્યારે;

અભ્યાગત કોઈ આવે એ ઠાર, અન્ન દેજો તેને શેર ચાર. ૪૩

નવું વસ્ત્ર દેજો નવ હાથ, રાજી કરજો અભ્યાગત સાથ;

એમ કહાવીને શ્યામ સુજાણ, દીનબંધુ પધાર્યા ડભાણ. ૪૪

રાયજીના કુબેરજી તાત, ઉતર્યા તેને ઘેર નરભ્રાત;

મેડી ઉપર શ્રીમહારાજે, રાખ્યો ઉતારો એકાંત કાજે. ૪૫

માલ જેતલપુરથી મગાવ્યો, એ તો અભ્યાગતોને અપાવ્યો;

અન્ન પ્રત્યેકને શેર ચાર, નવ હાથનું દે વસ્ત્ર સાર. ૪૬

ત્યાં તો સુરતનો સંઘ આવ્યો, પ્રભુ પૂજવા સામાન લાવ્યો;

આવ્યા મલ્લ ત્યાં તો ગંગારામ, સૌએ પુજીયા શ્રીઘનશ્યામ. ૪૭

ગયા બુધેજમાં બહુનામી, રહી રાત ચાલ્યા સુખધામી;

દેતા દાસને દર્શન દાન, ગઢડે ગયા ગુણના નિધાન. ૪૮

ગઢપુરમાં રહી જગદીશે, સુખ દાસને દીધાં અતિશે;

દેહો ખાચર ને મીણબાઈ, કરિયાણેથી આવીયાં ધાઈ. ૪૯

ભલો ભાવ અંતર માંહી ધારી, પ્રભુ આગળ અરજ ઉચારી;

ફુલડોલ ઉત્સવ એહ ટાણે, કૃપાનાથ કરી કરીયાણે. ૫૦

પછી આશ્રિતજન બહુ લૈને, કર્યો ઉત્સવ કરીયાણે જૈને;

કેસુડાં ને કેસર તણે રંગે, રમ્યા શ્રીહરિ સૌ જનસંગે. ૫૧

દેહા ખાચરને ભાવ આવ્યો, સારો પોશાક પ્રભુને ધરાવ્યો;

જામો સોનેરી ને સુરવાળ, કડાં સોનેરી કરમાં વિશાળ. ૫૨

એહ પોશાક લઈને મુનીશ, અલૈયાને આપ્યો બખશીશ;9

કહ્યું એ જ સદા અંગે ધરજો, દેવા ઉપદેશ દેશમાં ફરજો. ૫૩

થઈ ત્યાં તો રસોઈ તૈયાર, જમ્યા જુક્તિથી જગકરતાર;

પ્રભુ પીરસી જમાડીયા સંત, જમ્યા હરિજન પણ ત્યાં અનંત. ૫૪

જે જેકાર કરી જગરાય, સર્વ સંઘને કીધા વિદાય;

ગઢપુર ગયા શ્રીગિરધારી, ભક્તિનંદન ભવભયહારી. ૫૫

ગઢપુર અને ઉન્મત્તગંગ, એથી તીર્થ ન કોઈ ઉતંગ;10

છપૈયે જનમ્યા અવિનાશ, કર્યો ગઢપુર માંહી નિવાસ. ૫૬

ગઢપુરમાં ફર્યા ઘેર ઘેર, કરી પાવન પૃથ્વિ એ પેર;

રજ ગઢપુર સીમની જેહ, કરી સર્વ પ્રસાદીની તેહ. ૫૭

દોહરો

ઘેલા સમ તીરથ નહીં, ગઢપુર સમ નહિ ધામ;

ગોપીનાથ સમ દેવ નહીં, શ્રીહરિ સમ નહિ નામ. ૫૮

ચોપાઈ

માટે તે ધામનો મહિમાય, સરવોપરિ શ્રેષ્ઠ ગણાય;

બીજું ધામ વળી વરતાલ, મહાશ્રેષ્ઠ જાણો મહીપાળ. ૫૯

વળી શ્રીજી બોલ્યા છે વચન, સુણો હેતથી સૌ હરિજન;

હરિનવમી પ્રબોધની માંય, જાવું સૌ જને જાત્રાયે ત્યાંય. ૬૦

મારી આજ્ઞાને જો અનુસરો, બે સમૈયા તે વરતાલે કરો;

એવી આજ્ઞા હમેશની કીધી, સૌએ સ્નેહથી દિલ ધરી લીધી. ૬૧

વળી વરતાલમાં ઘણી વાર, રહ્યા આવીને ધર્મકુમાર;

બેય આચાર્ય આ સ્થળે સ્થાપ્યા, દેશના ભાગ બે કરી આપ્યા. ૬૨

શિક્ષાપત્રી જે ધર્મનો સાર, રચી તે વરતાલ મોઝાર;

મુખ્ય દેવ અને મુખ્ય ગાદી, લખ્યા લમિનારાયણ આદિ. ૬૩

માટે વરતાલનો મહિમાય, ગણતાં તે ગણી ન શકાય;

બીજાં જે જે પ્રસાદીનાં ગામ, વળી જ્યાં વિચર્યા ઘનશ્યામ. ૬૪

કર્યાં ચારુ ચરિત્ર તે ઠાર, સંભળાવું સ્મૃતિ અનુસાર;

એક અવસરે શ્રીગિરધારી, વરતાલ જવાનું વિચારી. ૬૫

સુખામંડળ ને ઘણા સંત, સાથે લૈને ચાલ્યા ભગવંત;

ગયા ઝીંઝાવદર જગદીશ, આપ કોટિ બ્રહ્માંડ અધીશ. ૬૬

રહે અલૈયો ખાચર ત્યાંય, ઉતર્યા તેના દરબાર માંય;

તાત તેહનો સદગુણધામ, તેનું સામત ખાચર નામ. ૬૭

નામ માતાનું માંગલબાઈ, જેઠસુર અલૈયાનો ભાઈ;

જેઠસુરની નારીયો બેય, દેવુબાઈ બિજી રાણદેય. ૬૮

તેના સામત આલીગ પુત્ર, સારું શોભે તેથી ઘરસૂત્ર;11

ખીમ વાલ ને સૂમરી બાઈ, ત્રણ પુત્રીયો તે પણ ડાઈ. ૬૯

ભક્ત અલૈયે લગ્ન ન કીધું, ઊર્ધ્વરેતા તણું વ્રત લીધું;

આખું કુટુંબ ઈશ્વર ભજે, તન મનથી કુસંગને તજે. ૭૦

સૌયે શ્રીહરિની સજી સેવા, ભલો લાવ અલૌકિક લેવા;

ભોજ ટાંક નામે ભલા ભક્ત, અતિશે હરિચરણે આસક્ત. ૭૧

તેની સુંદરી12 સાવલબાઈ, સતસંગી તે તેથી સવાઈ;

તેહ દંપતિએ શુભ પેર, તેડ્યા જમવાને જીવન ઘેર. ૭૨

સાથે લૈ સહુ પાર્ષદ સંત, તેને ભવન ગયા ભગવંત;

શુદ્ધ બ્રાહ્મણે કીધી રસોઈ, જમ્યા જીવન સદ્‌ભાવ જોઈ. ૭૩

પછી સંતની પંગત થઈ, પીરસ્યું પ્રભુએ પોતે જઈ;

ફળીયા વચે લીંબડા તળે, સભા સારી સજી તેહ પળે. ૭૪

ભોજે પૂજિયા શ્રીભગવંત, શેષ ચંદને અર્ચિયા સંત;

વધ્યું ચંદન પાત્રમાં જેહ, હરિએ લીધું હાથમાં તેહ. ૭૫

અરચા કરી તે લીંબડાને, સંતે પૂછિ તે વાત વાલાને;

કેમ ઝાડને અરચા કરી, સુણી હેતથી બોલિયા હરિ. ૭૬

જોગી જોગથી ભ્રષ્ટ થયેલો, તેથી વૃક્ષનો દેહ ધરેલો;

પૂજ્ય જાણીને પૂજિયો એહ, થાશે મુક્ત જ્યારે તજે દેહ. ૭૭

સુણિ સૌ જન વિસ્મિત થયા, પછી શ્રીહરિ ઉતારે ગયા;

ઝીંઝાવદરમાં તેહ કાળે, ઘણી લીલા કરિ છે કૃપાળે. ૭૮

પુષ્પિતાગ્રાવૃત્ત

લલિત વિવિધ કૃષ્ણ કેરિ લીલા, હૃદય ધરે હરિભક્ત જે રસીલા;

સુણિ સુણિ ઉર ધારિ લેય જેમ, ચિત અતિ ચાહ13 વધે વિશેષ તેમ. ૭૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્ય વિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

જયતલપુરે-યજ્ઞભંગનિરૂપણનામ દ્વાવિંશો વિશ્રામઃ ॥૨૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે