કળશ ૭

વિશ્રામ ૩૭

પૂર્વછાયો

સંત સરવને દિધાં હતાં, રસકસ તણાં વર્તમાન;

તેને વરસ એક વહી ગયું, તોય પાળે થઈ સાવધાન. ૧

એવામાં આવી હુતાશની, તેનો સમૈયો કરવા કાજ;

પત્ર લખીને તેડાવિયા, ગામોગામથી સંતસમાજ. ૨

સુરત આદિક શહેરના, સતસંગીયોને લખ્યા પત્ર;

થશે ઉત્સવ ફુલડોળનો, તેહ ઉપર આવજો અત્ર. ૩

આવે છે મંડળ સંતનાં, સુણ્યા શ્રીજીએ તે સમાચાર;

કુંડળ સુધી સામા ગયા, પ્રભુ ઘોડીયે થઈ અસવાર. ૪

સંતને નિરખ્યા આવતા, ઘોડી દોડાવી શ્રીઘનશ્યામ;

હેઠા ઊતરી હરિએ કર્યા, પછી સંતને દંડપ્રણામ. ૫

સંતોએ પણ બહુ દંડવત, કર્યા વાલમને તેહ વાર;

ભુજા ભીડીને ભેટિયા, શ્રીજી સૌ સંતને તેહ ઠાર. ૬

વાલમજીનાં વસ્ત્રને, રજ વળગી જોઈ વિશેષ;

સંત કહે કર જોડિને, સુણો શ્રીહરિ પરમ પરેશ. ૭

કેમ કર્યા તમે દંડવત, આપ કોટી જગતકરતાર;

અમે તો કિંકર આપના, હરિ હુકમ શિર ધરનાર. ૮

કહે હરિ તપસ્વી તમે, ધરી કઠણ નિયમ વિશેષ;

નિશ્ચે કરાવો છો મુજ તણો, દેશદેશમાં દઈ ઉપદેશ. ૯

જોગી છો નમવા જોગ્ય છો, સર્વ વાતે છો સંત સુપાત્ર;

પ્રાણ થકી પ્રિય છો મને, તો આ શરીર તે શા માત્ર. ૧૦

મેં કર્યા સંતને દંડવત, તેથી રજે ભરાયાં વસ્ત્ર;

તેની ફીકર નથી રાખતો, સંત ઉપર વારું સહસ્ર. ૧૧

ચોપાઈ

ગામ કુંડળમાં કૃપાનાથ, સંગે લઈ સહુ સંતનો સાથ;

મામૈયા પટગર દરબાર, ત્યાં જૈ ઉતર્યા વિશ્વઆધાર. ૧૨

ગળપણ વિના થૂલી કરાવી, પીરસે સંતને પ્રભુ આવી;

ત્યારે સંતનાં દર્શન કાજ, મુખ્ય કાઠીનો આવ્યો સમાજ. ૧૩

દીઠા સંતના દુર્બળ દેહ, રસકસના નિયમ થકી તેહ;

પ્રભુ આગળ પાગ ઉતારી, નમી નાથને વિનતિ ઉચ્ચારી. ૧૪

કહ્યું હે હરિ દિલ દયા લાવો, હવે સંતને નિયમ મુકાવો;

ત્યારે શ્રીજીએ સંતોને કહ્યું, રસકસના નિયમ તજો સહુ. ૧૫

એવું સાંભળીને બોલ્યા સંત, ભાવે તેમ કહો ભગવંત;

રસકસ અમને નવ ભાવે, ત્યાગમાં જ રુચિ ઉપજાવે. ૧૬

ત્યાગવચન છે મુખ્ય તમારું, આ તો ગૌણવચન દેહ સારું;

મુખ્ય માનશું ત્યાગનું વેણ, સુણી એવું બોલ્યા સુખદેણ. ૧૭

રસ ત્યાગ ઘણા દિન કીધો, તમે ત્યાગનો તો અંત લીધો;

ઇચ્છો કરવા જો મુજને પ્રસન્ન, માનો તો તમે મારું વચન. ૧૮

ત્યાગમાર્ગ પાળ્યો તમે જેવો, કોઈ પાળી શકે નહીં એવો;

સંત અર્થે જ અન્નાદિ થાય, તેહ જગત તણા જન ખાય. ૧૯

સંત જો નહિ રસકસ જમે, રસ નહિ ઉપજે કોઈ સમે;

થાઓ જન પર જો દયાવંત, જમો રસકસ તો સહુ સંત. ૨૦

એવો આગ્રહ અતિશય કીધો, ત્યારે સંતે થોડો રસ લીધો;

બેઠા સાંજે સભા સજી નાથ, મળ્યો ત્યાં સહુ સંતનો સાથ. ૨૧

પૂર્વછાયો

ઘણા દિવસના વિજોગથી, દર્શનાતુર થૈ ઘણા સંત;

આવ્યા હતા જ ઉતાવળા, એવી વાત જાણી ભગવંત. ૨૨

સંતો તમે સહુ સાંભળો, અવિનાશી ઉચરીયા એમ;

ઉત્સવ ઉપર તેડાવિયા, આવ્યા આગળથી તમે કેમ. ૨૩

પાછા પધારો ગામડે, દેવા દૈવીને જ્ઞાનનું દાન;

ઉત્સવ ઉપર આવજો , ગઢપુર વિષે ગુણવાન. ૨૪

બેઠા હતા મુનિ બ્રહ્મ ત્યાં, સર્વ પરમહંસની માત;

સંતોનું દુઃખ જણાવવા, તેણે ત્યાં કર્યો મર્મ અઘાત.1 ૨૫

કહ્યું સંતો કોઈ આ સમે, રાતે દેખો છો મારો સતાર;

દેખી શકો તો તે લાવિને, મને આપો તરત આ ઠાર. ૨૬

માનુભાવાનંદ બોલિયા, રાતે બીજા ન દેખે સંત;

પણ મારા મંડળ તણા, સંત રહ્યા છે દૃષ્ટિમંત. ૨૭

સુણી શ્રીહરિએ પૂછ્યું, તેનું કારણ શું કહેવાય?

બીજા તો સંત દેખે નહીં, તવ મંડળથી દેખાય. ૨૮

માનુભાવાનંદજી કહે, રસકસનો કર્યો છે ત્યાગ;

છાંડી દીધિ છે છાશ પણ, તેમાં ભાળીને રસનો ભાગ. ૨૯

તેથી થયા તે રતાંધળા, પણ અમે રહ્યાતા ડભાણ;

ભાજી બડેલાની લાવતા, ત્યાંના જે સતસંગી સુજાણ. ૩૦

ખુબ અમને ખવરાવતા, તેથી રતાંધળાનો રોગ;

અમારા મંડળમાં પ્રભુ, નથી જણાતો તેનો જોગ. ૩૧

ત્યારે બોલ્યા પ્રભુ તે સમે, હવે જશો ન ક્યાંઈ ખચિત;

આંહીં રસોઇયો આપશે, રસકસ જમો રૂડી રીત. ૩૨

ચોપાઈ

એવી આજ્ઞા કરી હરિરાયે, તે તો સાંભળી જનસમુદાયે;

એવો ઉત્તમ અવસર જોઈ, જન આપવા લાગ્યા રસોઈ. ૩૩

ભાતભાતનાં ભોજન થાય, સંત તો જળ મેળવી ખાય;

કોઈ ધારણાં પારણાં કરે, ચાંદ્રાયણવ્રત કોઈ આચરે. ૩૪

ત્યાંની ઉતાવળી નદીમાંય, ન્હાવા સંત સહિત હરિ જાય;

જૈને શીખવે જોગઅભ્યાસ, સર્વે સંતને બેસારી પાસ. ૩૫

મામૈયા પટગર તણી માય, જુનાં સત્સંગી જે કહેવાય;

રામાનંદ રહ્યા જેને ધામ, રાઇબાઈ જેનું રૂડું નામ. ૩૬

તેણે શ્રીહરિને કહ્યું એમ, રાખો વેશ તપસ્વીનો કેમ;

જટાજૂટ જરૂર ઉતારો, દેખી દાઝે છે જીવ અમારો. ૩૭

પારો રુદ્રાક્ષનો કાઢી નાખો, રુડી કંઠી તો તુળસીની રાખો;

તમે રાખશો તપસીનો વેશ, દુઃખ પામશે તો બધો દેશ. ૩૮

તમે વસ્તુ કરો અંગીકાર, ઉપજે તેહ વસ્તુ અપાર;

જેનો ત્યાગ તમારાથી થાય, તેની ઉત્પતિ અલ્પ જણાય. ૩૯

રહ્યા ભેખ ભીખારીનો ધારી, ભાસે સૌ જન તેથી ભીખારી;

માટે દિલમાં દયા પ્રભુ ધારો, સજો વેશ શોભે તેવો સારો. ૪૦

વેશ રુદ્રનો વરવો2 છે એવો, તેનાં ભૂત પિશાચનો તેવો;

વેશ સારો ધરે જે સુરેશ, તેથી દેવ ધરે રુડો વેશ. ૪૧

સારો વેશ તમારો જણાશે, આખો દેશ સુશોભિત થાશે;

દુનિયામાંથી જાશે દુકાળ, થાશે સર્વ પ્રકારે સુકાળ. ૪૨

એવી વિનતિ વિશેષ સુણાવી, જટા ત્યારે પ્રભુયે પડાવી;

કાઢી નાખ્યો રુદ્રાક્ષનો પારો, સજ્યો વૈષ્ણવનો વેશ સારો. ૪૩

પાસે સંતોને પણ ત્યાં બોલાવી, સૌને વૈષ્ણવ દીક્ષા ધરાવી;

પારો રુદ્રાક્ષનો તે તજાવ્યો, સારો વૈષ્ણવી વેષ સજાવ્યો. ૪૪

સર્વે રાજી થયા સતસંગી, કરે દર્શન અંગે ઉમંગી;

કરી લીલા એવી જગરાય, વધ્યો કુંડળનો મહિમાય. ૪૫

પુષ્પિતાગ્રાવૃત્ત

નિજ જનહિત ચિત્તમાં વિચારી, અરજ સુણી હરિએ જટા ઉતારી;

દુખકર ઉતર્યો મહા દુકાળ, સુખકર સર્વ થળે થયો સુકાળ. ૪૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

કુંડલગ્રામલીલા-કથનનામ સપ્તત્રિંશો વિશ્રામઃ ॥૩૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે