વિશ્રામ ૭૦
પૂર્વછાયો
અક્ષરપતિ ઉમરેઠથી, ચાલ્યા કાઠી ને સંત સહિત;
રતનપુર ડાગજીપરે, પછી ભાળજ ગયા નિર્મીત. ૧
ચોપાઈ
જોયું રાહતલાવ જે ગામ, ત્યાંથી સામરખે ગયા શ્યામ;
જઈ વખતા પગીને નિવાસ, ઉતર્યા તેની પુરવા આશ. ૨
ગામ આણંદના હરિજન, આવ્યા ત્યાં કરવા દરશન;
પંડ્યા દિનકર ને લક્ષ્મીદત્ત, જેનો સ્નેહ પ્રભુપદ સત્ય. ૩
હરિશંકર ને છે જેભાઈ, અજુભાઈ આવ્યા વળી ધાઈ;
પ્રભુપદને કરીને પ્રણામ, કહ્યું વિનતિ કરીને તે ઠામ. ૪
પ્રભુ ગામ અમારે પધારો, કરો વાસ પવિત્ર અમારો;
સુણી બોલિયા શ્રીપરમેશ, ત્યાં તો દ્વેષી જનો છે વિશેષ. ૫
ઈન્દ્રવજ્રા
આણંદ ચાલો અમને કહો છો, આનંદ થાવા ઉરમાં ચહો છો;
આણંદમાં છે જન દ્વેષિ કેવા, આ નંદનાં1 વૃંદ ગમે ન એવા. ૬
ચોપાઈ
અતિ કરશે ઉપદ્રવ એહ, એમાં લેશ ન જાણો સંદેહ;
માટે આંહીંથી દર્શન કરો, પાછા ઘેર તમે પરવરો. ૭
સુણતાં થયા દ્વિજ દીલગીર, સૌનાં નેત્રમાં આવિયાં નીર;
વારે વારે કહ્યું જોડી હાથ, આવો આણંદમાં કૃપાનાથ. ૮
ભક્તને વશ છે ભગવાન, દીધું ત્યાં જવાનું વાક્યદાન;
જોવો સર્વેનો ધીરજ ધર્મ, એવો ઊંડો હતો વળી મર્મ. ૯
એક કામમાં તો ઘણાં કામ, કરતા હતા શ્રીઘનશ્યામ;
થઈ ભોજનની ત્યાં તૈયારી, જમ્યા સૌ મનમાં મુદ ધારી. ૧૦
ગામથી પૂર્વ પાદરમાંય, ગયા સારો વિસામો છે ત્યાંય;
સભા ત્યાં ભરી સુંદર શ્યામે, કહ્યું સૌ જનને તેહ ઠામે. ૧૧
સુણો સંત તથા સહુ પાળા, સુણો કાઠી સહુ શસ્ત્રવાળા;
સુણો દાદા ખાચર શૂરવીર, ભગુજી પારષદ રણધીર. ૧૨
ભલા ક્ષત્રી સુણો પુજાભાઈ, ઝીણાભાઈ તથા કાકાભાઈ;
મુમજી જમાદાર ચુવાણ, પગી જોબન આદિ સુજાણ. ૧૩
તમે છો તો સુભટ સહુ કેવા, જોતાં ભીમ ને અર્જુન જેવા;
અપમાન સહો નહિ લેશ, પણ માનો છો મુજ ઉપદેશ. ૧૪
માટે આજ કહું છું હું તમને, નિરમાનપણું ગમે અમને;
કોઈ વાંક વગર અપમાન, કરે તોય તે ધરશો ન કાન. ૧૫
કહે સંતને શ્રીભગવંત, તમે સૌ રહેજો ક્ષમાવંત;
આવ્યા અક્ષરધામથી જ્યારે, આપણે કર્યું છે દૃઢ ત્યારે. ૧૬
ક્ષમાં ખડગ વડે એહ વાર, હરવો છે ભૂમી તણો ભાર;
માટે જો દુઃખ આપે અજાણ, તોય ઇચ્છજો એનું કલ્યાણ. ૧૭
ક્ષમા રાખશો અંતરે ધારી, થશે ત્યાં સુધી જીત તમારી;
લડશો અભિમાનથી જ્યારે, હાર્ય પામશો નિશ્ચય ત્યારે. ૧૮
એવી વાત ઘણી ઘણી કરી, પછી ઉતારે જૈ પોઢ્યા હરી;
પરભાતે ઉઠી પરવરિયા, રસ્તે આણંદ કેરે સંચરિયા. ૧૯
પથમાં આવ્યું સાદાનું પરું, તેને પણ મુક્યું પાછળ ખરું;
વાટે આવિયું વનમાં તળાવ, તહાં ઉતર્યા નટવર નાવ. ૨૦
નિરખી તહાં નિર્મળ નીર, કર્યું સ્નાનાદિ શ્યામશરીર;
મુકુંદાનંદ વર્ણિએ આવી, ધર્યો પેંડા તણો ડબો લાવી. ૨૧
વળી એ રીતે કીધો ઉચ્ચાર, મહારાજ કરો ફળાહાર;
કોણ જાણે પછીથી શું થશે, રાંધ્યું વિપ્રનું કોણ જમશે? ૨૨
મુક્તાનંદને કહે બહુનામી, આ છે વર્ણિ શું અંતરજામી?
એહ બોલે છે એમ જ થાશે, કોઈનો ભાગ કોઈક ખાશે. ૨૩
ઘોડાં પણ હહણીને રહ્યાં છે, જાણે યુદ્ધ તૈયાર થયાં છે;
સુણી કાઠી બોલ્યા ભિન્ન ભિન્ન, એ તો અચળ છે યુદ્ધનું ચિહ્ન. ૨૪
આજ કાંઈ ઉપદ્રવ થાય, એવાં ચિહ્ન આ અમને જણાય;
પછી ત્યાંથી સહુ તે સિધાવ્યા, ગામ આણંદ આગળ આવ્યા. ૨૫
ચારે વિપ્રે આગળથી સિધાવી, રસોઈ કરવાને મંડાવી;
સારા સારા ઉતારા ઠરાવ્યા, પછી સામૈયું લૈ સામા આવ્યા. ૨૬
પેઠા પુરમાં હરિ કેવી રીતે, તેની વિગત કહું ધારો ચિત્તે;
ચાલ્યા હરિજન પ્રથમ અનંત, પછી સંચર્યા વર્ણિ ને સંત. ૨૭
પછી શસ્ત્રધારી અસવાર, કાઠી રજપુત આદિ અપાર;
તેની વચ્ચે મહાપ્રભુ રાજે, છબિલો ઘોડી ઉપર છાજે. ૨૮
કીરતનથી ગાજી રહ્યું ગામ, જોવા લોક મળ્યા ઠામોઠામ;
મતપંથી ગુરુ હતા જેહ, દીલમાં અતિ દાઝિયા તેહ. ૨૯
રામકૃષ્ણ તથા હરિભાઈ, બેની પંડ્યાની સાખ્ય ગણાઈ;
હતાં વલ્લભિમંદિર2 ઘેર, લોક પુજે તેને બહુ પેર. ૩૦
જાણ્યું સૌ શિષ્ય આપણા જાશે, પેટ આપણું કેમ ભરાશે;
જય સ્વામિનારાયણ કેરી, સુણિ ઉર લાગી લાય ઘણેરી. ૩૧
પાપીયે લોકને ઉશકેર્યા, પ્રભુને દુઃખ દેવાને પ્રેર્યા;
ભરચૌટામાં આવિયા જ્યારે, પુરના જન ઉપડ્યા ત્યારે. ૩૨
કોઈ ધૂળ કે ઇંટાળા નાંખે, ભૂંડી ગાળો કોઈ મુખે ભાખે;
મારો મારો મુખેથી ઉચ્ચારે, કોઈ વચમાં પડીને ન વારે. ૩૩
સંત જે સનકાદિક જેવા, પૂજે ઇંદ્ર બ્રહ્માદિક એવા;
તેના ઉપર તો પડી ધૂળ, લેશ ક્રોધનું ઉપજ્યું ન મૂળ. ૩૪
સાંખી ગાળો ને સાંખ્યા ટુંકારા, જડભરત થકી શોભે સારા;
એની ધીરજ જોવાને કાજે, એવો જોગ મળ્યો મહારાજે. ૩૫
ઉપજાતિવૃત્ત (કેણી તથા રેણી વિષે)
સહેલી છે સૌ કથવી કહેણી, અને મહાદુષ્કર છે રહેણી;
ખરી પરીક્ષા ન થઈ નિદાન, અસંત ને સંત દિસે સમાન. ૩૬
વૈરાગ્ય ને જ્ઞાન તણી કથાય, સાધુ થઈને ઉચરે સદાય;
જ્યારે ઘણો આપતકાળ આવે, સાધુપણું તેહ સમે તજાવે. ૩૭
શસ્ત્રો ધરીને શૂરવીર થૈને, બોલે બડા બોલ બજાર જૈને;
સંગ્રામ મધ્યે શિર જ્યાં કપાય, સાચા શૂરા તેહ સમે જણાય. ૩૮
નારી નિહાળી ચળ થાય ચિત્ત, કે લોભ લાગે વળિ દેખી વિત્ત;
કે માનભંગે ઉર ક્રોધ આવે, કદાપિ તે સંત નહીં કહાવે. ૩૯
સાધૂ તણે વેષ રહેલ શોભી, જો કામિ કે ક્રોધિ જણાય લોભી;
તેને પુજ્યાથી નહિ પુણ્ય થાય, જાણો ગુરુ તે નરકે જ જાય. ૪૦
જો સંતનો નાટકિ વેષ લાવે, ખરેખરો વેષ ભલે ભજાવે;
તેનાથી કામાદિ નહીં જિતાય, એવા ગુરુથી નહિ મુક્તિ થાય. ૪૧
વને જઈને કરવો નિવાસ, કે તીર્થ માટે કરવો પ્રવાસ;
કૌપીન કંથા ધરવી સહેલ, સાધુ થવું તે નથી બાળખેલ. ૪૨
જે સંત ઝાઝું અપમાન સાંખ્યું, સ્ત્રીદ્રવ્યમાં ચિત્ત કદી ન રાખ્યું;
અરે મને ક્યાં જન સાધુ એવા, પ્રત્યક્ષ એ તો પરમેશ જેવા. ૪૩
ચોપાઈ
સાધુએ સહ્યું અતિ અપમાન, ભાળી રાજી થયા ભગવાન;
હરિજન ઉપરે ધૂળ નાખી, રુદે તેઓએ પણ ક્ષમાં રાખી. ૪૪
કાઠી ક્ષત્રી હતા અસવાર, જેને હાથે હતાં હથિયાર;
તેના ઉપર ધૂળ નખાણી, હરિ આજ્ઞા થકી ક્ષમા આણી. ૪૫
પ્રભુજી જેહ પ્રાણથી પ્યારા, પ્રેમીભક્તના નેણના તારા;
વધાવે જેને સોનાને ફૂલે, વસ્ત્ર તેનાં ભરાયાં છે ધૂળે. ૪૬
જેને કોટિ બ્રહ્માંડના ભૂપ, ધરે ચંદન પુષ્પ ને ધૂપ;
જેની શક્તિ અનંત અપાર, કહેતાં શેષ પામે ન પાર. ૪૭
કાળ માયા જેનાથી ડરે છે, જમ જેહની આજ્ઞા ધરે છે;
થયું તેનું અતિ અપમાન, તોય તે તો રહ્યા ક્ષમાવાન. ૪૮
ધૂળ ઇંટાળા ઉછળે છાણ, છાંટે કાદવ કોઈ અજાણ;
રસ બીભત્સમય છબી ભાસે, જોઈ જનમન ગ્લાની પ્રકાશે. ૪૯
ભગુજીને ચડ્યો ઉર ક્રોધ, તાણી તરવાર કરવા વિરોધ;
પગી જોબને ચાપ ચડાવ્યું, એને અંગે શૂરાતન આવ્યું. ૫૦
દાદા ખાચરે બરછી ઉગામી, બોલ્યા શ્રીસહજાનંદસ્વામી;
કરશે શસ્ત્રનો ઘાવ જેહ, ગુરુદ્રોહી વચનદ્રોહી તેહ. ૫૧
વળી બોલિયા વિશ્વઆધાર, ચાલો પાછા સહ પુર બહાર;
ક્ષત્રિયોને લાગ્યું દુખદેણ, કેમ લોપાય વાલાનું વણ. ૫૨
ભગુજીએ ત્યારે શાપ દિધો, જેણે આવો ઉપદ્રવ કિધો;
તેના ઉશ્કેરનારનો વંશ, પુત્રીનો પણ નહિ રહે અંશ. ૫૩
પાછા પાદરમાં સહુ ગયા, પુરજનને આવી નહિ દયા;
વાડી ગોસાઇની એક જ્યાં છે, વડવૃક્ષ સુશોભિત ત્યાં છે. ૫૪
ઉભા ત્યાં જઈને ભગવાન, કુવામાંથી કર્યું જળપાન;
બાકરોલ ગયા બહુનામી, અક્ષરાધીશ અંતરજામી. ૫૫
લાવ્યા કેરિયો કરશનદાસ, લાવી મુકી પ્રભુજીની પાસ;
શ્યામે તે સહુને વેં’ચી દીધી, પછી વરતાલની વાટ લીધી. ૫૬
જ્ઞાનબાગમાં આમલા પાસ, સજી બેઠા સભા અવિનાશ;
કહે શ્રીહરી આપણે ફાવ્યા, કેવા જીતીને ત્યાં થકી આવ્યા. ૫૭
બોલ્યા બ્રહ્મમુની મુખે વાણી, જીત્યા તે શું કહ્યું વખાણી;
મારા શિરમાં ભરાયો ગુલાલ, જશે તે પ્રમદાડે કે કાલ. ૫૮
ભલા ગોમય3 ચંદને ચર્ચ્યા, ઇંટાળા પુષ્પથી વળી અર્ચ્યા;4
હળદી કાજુ કેશર રંગે, બાકી છે તે ચડાવશું અંગે. ૫૯
ગોમતીનો કાદવ કોઈ લાવે, તેનાં તિલક તો કરવામાં આવે;
પણ કાદવ આણંદ કેરી, ક્યારે ચરચાત અંગે ઘણેરો. ૬૦
ફુટ્યું તુંબડું ને ફુટ્યું પત્ર, એ તો મળશે વળી ક્યાઈ અત્ર;
અમે ગોરવમાં5 ક્યારે જાત, આવી ગાળો ઘણી ક્યારે ખાત. ૬૧
જમે ગોરવ સાંખે6 ઉપાધી, જમ્યા વગર આ તો ગાળો ખાધી;
આજ તો ઓરિયા7 બધા વિત્યા, આજ ઇડરીયો ગઢ જીત્યા. ૬૨
હાસ્યરસ એમ વાતમાં લાવ્યા, સ્વામિએ જન સૌને હસાવ્યા;
સુણી બોલ્યા હરી કરી પ્રીત, ક્ષમા થૈ એ જ આપણી જીત. ૬૩
લડ્યા હોત તો વેર બંધાત, ફરી આપણે ત્યાં ન જવાત;
ત્યાંના જન મનમાં પસતાશે, સતસંગી સારા તેમાં થાશે. ૬૪
સુખે આવી બેઠા છૈયે અહીં, લડ્યા હોત તો બેસાત નહીં;
જવું પડત કચેરીમાં ક્યાંઈ, પસતાત પુરા મન માંઈ. ૬૫
બોલ્યા ત્યાં મુમજી મારવાડી, આજ લાજ અમારી ઘટાડી;
શૂરા અમને નહીં કોઈ ભાખે, રાજા ચાકરીમાં નહીં રાખે. ૬૬
સુણી બોલ્યા શ્રીજીમહારાજ, તમારી તો ઘટી નથી લાજ;
તમે માની જે આજ્ઞા અમારી, તેથી શોભા વધી છે તમારી. ૬૭
પછી નાથ પધાર્યા ઉતારે, કર્યો વણિએ થાળ તે વારે;
ભલી રીતે જમ્યા ભગવંત, જમ્યા પાર્ષદ ને જમ્યા સંત. ૬૮
પુષ્પિતાગ્રાવૃત્ત
ધરિ નિજ ઉરમાં ક્ષમા અપાર, જનકૃત કષ્ટ સહ્યાં અનેક વાર;
અવગુણ પણ એ રીતે અમારા, નવ ધરશો ઉર ધર્મના દુલારા. ૬૯
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
આણંદાખ્યપુરે જનકૃતઉપદ્રવનિરૂપણનામ સપ્તતિતમો વિશ્રામઃ ॥૭૦॥