કળશ ૭

વિશ્રામ ૭૪

વૈતાલીય

અનકૂટ ભલી ભજાવિયો, પ્રભુએ આદ્રજમાં કરાવિયો;

પછિથી થઈ વાત તે કહું, સુણજો સ્નેહ ધરી જનો સહુ. ૧

હરિના જન મુખ્ય જે હતા, વળિ મોટા મુનિ જે કહાવતા;

પ્રભુ તે જન આગળ કહે, મન મારું વનમાં જવા ચહે. ૨

જનમાં નથી કાંઈ ગોઠતું, લવ માત્રે સુખ તો નથી થતું;

સહુ દ્યો મુજને રજા જવા, વનમાં જૈ સુખિયા સદા થવા. ૩

વિચરી વન જો કહો તમે, વળી પત્રો લખશું સુખે અમે;

કદિ જો કથશો જશો નહીં, તદપી હું નહિ રે રહું અહીં. ૪

જન સૌ શુભ ધર્મ પાળજો, મનનાં સર્વ વિકાર ટાળજો;

તજશો તનવાસના વળી, વસશો તો મુજ ધામમાં મળી. ૫

સુણિને જન સૌ દુઃખી થયાં, નયણેથી અતિ આંસુડાં વહ્યાં;

થઈ મૂર્છિત પૃથ્વિમાં પડ્યાં, નજિવાં1 શું વિધિયે જ તે ઘડ્યાં. ૬

સુણિને થઈ દુઃખિ નારિયો, બહુ તે સર્વ રુવે બિચારિયો;

દરિયાવચ નાવ ડૂબિયું, કે કલપાંતનું2 ટાણું આવિયું. ૭

ધરી ધીરજ સંત ઉચ્ચરે, પ્રભુજી કેમ કૃપા તજી અરે;

તજીને ઘર આવિયા અમે, તમ કાજે તરછોડિયા તમે. ૮

ન ઘટે તમને જ તાત રે, અતિ આવો વિશવાસઘાત રે;

રણમધ્ય કુવે ઉતારીને, તજશો પ્રૌઢ શિલા પ્રસારીને. ૯

નિજનાં ઘરબાર બાળિયાં, સુખ સર્વે તમમાં જ ભાળિયાં;

ગણિને મણિ શુદ્ધ સંઘર્યો, હિણ3 કર્મે કરિ કાચ તે ઠર્યો. ૧૦

હરિ ભૂલ અમારિ હોય તે, કરજો માફ કૃપાળુ તોય તે;

કરશો વળી આગના તમે, વિઠલા એમ જ વર્તશું અમે. ૧૧

સતસંગી મળી સહુ કહે, જળ જાતાં નહિ જંતુઓ રહે;

વનમાં પ્રભુ જો જશો તમે, તમ સંગે સહુ આવશું અમે. ૧૨

કરવા તમ સંગ પ્રીતડી, તજી સંસારી જનોની રીતડી;

કટુ બોલ સહૂ તણા સહ્યા, કુળધર્મો તજી કિંકરો4 થયા. ૧૩

તમને ભજવાની ભાતમાં, થઈ નિંદા બહુ નાતજાતમાં;

બહુ વૈરિ સગા સહુ થયા, તમને તોય હજી નથી દયા. ૧૪

અમમાં અતિ વાંક શો ઠર્યો, પ્રભુ તેથી બહુ કોપ છે કર્યો;

નમિએ મુખ ઘાસ લૈ અમે, જનના માફ કરી ગુના તમે. ૧૫

બહુ બાળક વાંક જો કરે, પણ માતા મનમાં નહીં ધરે;

જનનાં પ્રભુ માત તાત છો, ધન ધાન્યાદિક સર્વ વાત છો. ૧૬

જનની નિજ બાળને હણે, પણ જે પાપ નહીં કશું ગણે;

શિશુરક્ષણ કોણ તો કરે, વણમોતે શિશુ તેહ તો મરે. ૧૭

પ્રભુ જે ચુક હોય તે કહો, અમથા શીદ રિસાઇને રહો;

મુખબંધ કરી ન મારશો, દિલમાં ધારિ દયા વિચારશો. ૧૮

પૂર્વછાયો

સુણીને શ્રીહરિ બોલિયા, દયા લાવીને દીનદયાળ;

સંત તથા સતસંગીયો, સુણો સૌ સદ્‌બુદ્ધિવિશાળ. ૧૯

બહુ સતસંગ વધ્યો હવે, થયા આશ્રિત લોક અપાર;

સૌને અમારે સંભાળવા, બિજા કોઈને શિર નહિ ભાર. ૨૦

જો કોઈ રસના વશ દિસે, અને કોઈ ધરે અભિમાન;

કોઈક ઇરષા જો કરે, તેનું કોઈ ન રાખે ભાન. ૨૧

સૌ સરખા થઈને ફરે, રાખે મોટાની નહિ મરજાદ;

કોઈ ન ઠપકો ઠેસ દે, કોઈ રાખે જો કાંઈ પ્રમાદ. ૨૨

એક અમારે જ રાખવિ, સૌની ફિકર દિન ને નીશ;

તે અમને ગમતું નથી, લેવો ભાર અમારે જ શીશ. ૨૩

એવો અમારો સ્વભાવ છે, અમને તો ગમે વનવાસ;

એકાંતમાં અમને ગમે, બીજું કોઈ ગમે નહિ પાસ. ૨૪

માટે અમે વનમાં જશું, બધી તજી ઉપાધી એહ;

મૂળસ્વરૂપ સંભારણું, એહ જ્યાં લગી રહેશે દેહ. ૨૫

જો અમને હોય રાખવા, કરો એક મોટેરો કોય;

સંભાળ લે સતસંગની, કશી ફિકર અમને ન હોય. ૨૬

તે સુણી સૌ જન બોલિયા, સુણો શ્રીહરિ સુખના ધામ;

વાલા કહો તેના વચનમાં, અમે વર્તશું આઠે જામ. ૨૭

બાળક કે બુઢો હશે, હશે અભણ કે વિદ્વાન;

તોય તેનું કહ્યું માનશું, નહિ રાખીએ મન અભિમાન. ૨૮

તે સુણીને શ્રીહરિ કહે, દૃઢ એવો જો નિશ્ચય હોય;

જેને મોટેરો હું કરું, તેની આજ્ઞામાં રહો સહુ કોય. ૨૯

જે સંત મુજ જેવો હશે, તેને આપીશ એ અધિકાર;

તે મુનિએ પણ તરત તે, શિર લેવો ઉપાડી ભાર. ૩૦

માન મોટપ નથી ઇચ્છતા, એવા છે સંત વૈરાગ્યવાન;

પણ અમારું વચન આ, જેને કહું તે ધરવું કાન. ૩૧

હિંમત ધરીને હા કહો, એટલું કરવાનું કાજ;

તો રહિયે સતસંગમાં, અમે ક્યાંઈ ન જઈએ આજ. ૩૨

સંત ને હરિજન સૌ કહે, અમે એમ જ કરશું નાથ;

માટે રહો સતસંગમાં, તજશો ન અમારો સાથે. ૩૩

સુણીને શ્રીહરિ બોલિયા, જે છે પરમચૈતન્યાનંદ;

તેને મોટા કરી સ્થાપશું, અમે અંતરે ધરી આનંદ. ૩૪

પછી સભા સાંજે ભરી, મુખ્ય ચાર સ્થાપ્યા મુનિચંદ;

મુક્તમુનિ ને બ્રહ્મમુનિ, ચૈતન્યાનંદ નિત્યાનંદ. ૩૫

પાટ ઉપર ચાર ગાદિયો, ધરી ત્યાં તે બેસાર્યા સંત;

પૂજા કરી મહાપ્રભુજીયે, કરી આરતી હરખી અત્યંત. ૩૬

કૃષ્ણ કહે સહુ સાંભળો, મારા આશ્રિત છો જન જેહ;

આ ચાર સદ્‌ગુરુ જે કહે, તમે માનજો તરત જ તેહ. ૩૭

પ્રેમથી જે એને પૂજશે, ભલો રાખીને મનમાં ભાવ;

માનીશ પૂજા માહરી, એ છે ભવસાગરનાં નાવ. ૩૮

મુનિને માન ગમે નહિ, પણ આગ્રહ અતિશે જોઈ;

આજ્ઞા થકી બેઠા ગાદિયે, કાંઈ બોલી શક્યા નહીં કોઈ. ૩૯

હરિ કહે હવે તો અમે, સતસંગમાં કરશું વાસ;

સારાં વચન એવાં સાંભળી, પામ્યા હરખ સૌ હરિદાસ. ૪૦

સૌયે તે સદ્‌ગુરુ ચારની, પછી પૂજા કરી ધરી પ્રેમ;

આનંદની એલી થઈ, થાય દુકાળમાં ઘન જેમ. ૪૧

પ્રથમ તો મહાપ્રભુજીયે, એ જ સ્થાપિયા સદ્‌ગુરુ ચાર;

થંભ કહું તો સંભવે, સતસંગ તણા આધાર. ૪૨

સૌ સતસંગીને શ્રીજીયે, રજા આપી જવા નિજ ગામ;

વાત થઈ દેશોદેશમાં, તેથી શાંતિ થઈ સહુ ઠામ. ૪૩

પછી પ્રભુ ત્યાંથી પરવર્યા, લઈ સંતજનો નિજ સાથ;

દર્શન દેવા દાસને, ગયા કોલવડે કૃપાનાથ. ૪૪

ગયા ઉનાવા ગામમાં, ત્યાંથી બાલવે બહુ સુખદેણ;

મહાપ્રભુ ગયા માણસે, ઠર્યાં નિરખી જનનાં નેણ. ૪૫

ભાયાત નૃપના ત્યાં ભલા, પિથુભાઈ ને અણદાભાઈ;

જેઠીભાઈ આદિક જને, સહુએ સેવ્યા હરિ હરખાઈ. ૪૬

તૈયાર થઈને ત્યાં થકી, વૃષનંદ ગયા વ્યાહાર;

ગયા પ્રભુ ત્યાંથી ગેરીતે, ભલા ભક્ત વસે ભાવસાર. ૪૭

ગણેશભક્ત ભલા ગણું, પુત્ર જેચંદ ને હેમચંદ;

હરીચંદે પણ હેતથી, સેવ્યા શ્રીહરિ કરુણાકંદ. ૪૮

પામોલ પ્રભુજી પધારિયા, ત્યાંથી બામણવે બળવંત;

વડનગર પ્રભુ વીચર્યા, સાથે લઈને પાર્ષદ સંત. ૪૯

રાજ તણા અધિકારીયો, તથા જે હરિજન તે સ્થાન;

સામા આવ્યા સૌએ મળી, કર્યું શ્રીહરિનું સનમાન. ૫૦

વાજિંત્ર વાજતે ગાજતે, પધરાવિયા પુર મોઝાર;

સ્નેહ સહિત સેવા સજી, સૌએ જાણીને જગકરતાર. ૫૧

ચોપાઈ

થોડા દિવસ રહી તેહ ઠામ, ત્યાંથી ગુંજે ગયા ઘનશ્યામ;

વાલો વિસળનગર વિચરીયા, સમાચાર તે પુરમાં પ્રસરિયા. ૫૨

મોતીરામ તથા બળદેવ, તે તો સામા આવ્યા તતખેવ;

બીજા પણ હરિજન નરનારી, આવ્યાં સૌ અતિ આનંદ ધારી. ૫૩

સામી ભૂપની પાયગા5 આવી, સાથે વાજાં વિચિત્ર તે લાવી;

કર્યું શ્રીહરિનું સનમાન, ભાવે ભેટિયા શ્રીભગવાન. ૫૪

બળદેવને લાગ્યા કહેવા, કહો મામા તમારા છે કેવા;

બળદેવે ત્યાં એમ ઉચ્ચાર્યું, તેણે ઐશ્વર્ય જોયું તમારું. ૫૫

તેથી સારી રીતે વરતે છે, સતસંગનો પક્ષ કરે છે;

સુણી રાજી થયા સુખધામ, પછી પુરમાં પધારિયા શ્યામ. ૫૬

ધામધૂમથી ધર્મકુમાર, ઉતર્યા ધર્મશાળા મોઝાર;

ઉદેકુંવરબાઈ ધર્મવાળી, તેનો થાળ જમ્યા વનમાળી. ૫૭

સંત પાર્ષદ સૌને જમાડ્યા, પ્રભુજીને પલંગે પોઢાડ્યા;

સભા સાંજે સજી ભગવાન, મુક્તાનંદે કર્યું ભલું ગાન. ૫૮

સૂબો શહેરનો ઝૂમખરામ, આવ્યો કૃષ્ણનાં દર્શન કામ;

કરી દર્શન બેઠો તે જ્યારે, વાત શ્રીહરિએ કરી ત્યારે. ૫૯

કહે શ્રીપ્રભુ પૂરણકામ, સુબા સાંભળો ઝુમખરામ;

હરિભક્તનો દ્રોહ જે કરે, મહાપાપી તે માણસ ઠરે. ૬૦

પ્રાયશ્ચિત્તે છુટે મહાપાપી, દ્રોહપાપ ન છૂટે કદાપિ;

બીજાં પાપે પ્રભુ ક્ષમા રાખે, પણ ભક્તનો દ્રોહ ન સાંખે. ૬૧

લેજો જગત બધા માંહિ જોઈ, ભક્તદ્રોહી સુખી નથી કોઈ;

સુખી પ્રારબ્ધથી જો જણાય, જોતાં જોતાંમાં તે સુખ જાય. ૬૨

ભક્તદ્રોહીએ ખોયાં છે રાજ, ભક્તદ્રોહીએ ખોઈ છે લાજ;

ભક્તદ્રોહિ તે પંડે પીડાય, એને અંગે મહારોગ થાય. ૬૩

ભક્તદ્રોહીનો વંશ ન રહે, એમ મોટા મુનિજન કહે;

આસુરી જન હોય છે એવા, મંડે સત્સંગીને દુઃખ દેવા. ૬૪

જેની રક્ષા પ્રભુ કરનારા, તેને શું કરે પ્રાણી બિચારા;

જ્યારે આવે વિનાશનો કાળ, થાય વિપરીત બુદ્ધિ વિશાળ. ૬૫

ઘડો પાપનો જ્યારે ભરાય, ત્યારે નાશ તેનો પછી થાય;

હરિભક્ત તો નિર્દોષ હોય, પાપી તેને નડે બહુ તોય. ૬૬

કોઈનું ન બગાડે તે કાંઈ, તોય પાપી બળે મનમાંઈ;

કદી કોઈને દે નહિ ગાળ, તોય દુષ્ટને લાગે છે ઝાળ. ૬૭

પાપી ચિત્તમાં ન કરે વિચાર, કેમ સાંખશે જગકરતાર;

મરીને પછી નરકમાં જાય, પામે પીડા ઘણી પસતાય. ૬૮

એમ બોલ્યા ઘણું ઘનશ્યામ, ત્યારે બોલિયા ઝુમખરામ;

પ્રભુ હું અપરાધી તમારો, દ્રોહ ભક્ત તણો કરનારો. ૬૯

દીધાં મેં હરિભક્તને દુઃખ, રહ્યો આપ ચરણથી વિમુખ;

પણ આપનું ઐશ્વર્ય ભાળી, દ્રોહ કરવાની ટેવ મેં ટાળી. ૭૦

હવે માગું છું જોડીને હાથ, અપરાધ ક્ષમા કરો નાથ;

એમ બોલતાં ગદગદ વાણી, અતિ આંસુએ આંખો ભરાણી. ૭૧

એવું જોઈને અંતરજામી, કહે ઝૂમખરામને સ્વામી;

સભા આગળ નમ્રતા ધરો, ઉભા થૈને નમસ્કાર કરો. ૭૨

મન સૌનાં પ્રસન્ન જો થાશે, તેથી પાપ તમારાં તે જાશે;

પછી ઉભા થઈ એ જ ઠામ, ક્ષમા માગી કરીને પ્રણામ. ૭૩

સહુ બોલ્યા સભાસદ સાફ, પાપ કરશે મહાપ્રભુ માફ;

દૃઢ આશ્રય કૃષ્ણનો કરજો, પ્રીતિ પ્રગટ પ્રભુપદે ધરજો. ૭૪

એવી લીલા ઘણી એહ કાળે, કરી વીસળનગરમાં વાલે;

સ્થિતિ થોડા દિવસ ત્યાં ઠરાવી, એવામાં તો પ્રબોધિની આવી. ૭૫

દેશદેશના સંઘ તે આવ્યા, સંત સર્વને શ્યામે તેડાવ્યા;

સમૈયો તે થયો બહુ સારો, નહીં કોઈને વીસરનારો. ૭૬

સંઘ સૌ ગયા જ્યારે સ્વદેશ, ત્યારે પરવરિયા પરમેશ;

કડા ગામે ગયા કરતાર, ત્યાંથી છાલડીએ તેહ વાર. ૭૭

ગયા ડાભલે થૈને વસાઈ, ધેધુસણ ગયા જનસુખદાઈ;

મેઉ થઈને ગયા લાંઘણોજ, થયો હરખ ત્યાં જનને ઘણો જ. ૭૮

ભલા ભક્ત રામો ભાવસાર, બીજા પણ સતસંગી ઉદાર;

સામા આવીયા સામૈયું લૈને, પૂજ્યા શ્રીજીને બહુ માન દૈને. ૭૯

હનુમાનની જાયગા6 જેહ, જાણી ઉતરવા જોગ્ય તેહ;

સહુ શ્રીજીને ત્યાં તેડી ગયા, શ્રીજી જોઈને રાજી ન થયા. ૮૦

દીઠો ત્યાં સિદ્ધ બાવો અતીત, તેની રીત દીઠી વિપરીત;

જોયો ત્રીશ વરસનો જુવાન, તે તો બેઠો હતો તેહ સ્થાન. ૮૧

કંઠે રુદ્રાક્ષ અંગે ભભૂત, માથે ભગવું દીસે અવધૂત;

ઘણી બાઇયો બેઠેલી પાસે, કોઈ દોરા કે ચીઠીની7 આશે. ૮૨

ઘણા ચેલા કર્યા ગામમાંય, પ્રભુ જેવો તે થૈને પૂજાય;

એહ ગામનો મુખ્ય પટેલ, હતો તે પણ ચેલો થયેલ. ૮૩

તે તો એમ જાણે મનમાંઈ, આવો જોગી નથી બીજે ક્યાંઈ;

ચરણામૃત લે પગ ધોઈ, નવી નિત્ય જમાડે રસોઈ. ૮૪

હતી પુત્રી પટેલની એક, ગળી બાવાના જ્ઞાનમાં છેક;

તેહ ખવરાવે તો બાવો ખાય, જોઈ તાત તેનો રાજી થાય. ૮૫

બાવો પરચો તે ક્યારેક આલે, તેથી માનતા તેહની ચાલે;

અભિમાની થયો અતિ એથી, શ્રીજી સન્મુખ ઉઠ્યો ન તેથી. ૮૬

પગે લાગ્યો નહીં જોડી પાણિ,8 આંખો સાધુઓ ઉપર તાણી;

જોઈ એવું બોલ્યા જગરાય, અમે આંહીં ઉતારો ન થાય. ૮૭

પછી ત્યાંથી પ્રભુ પાછા ફરિયા, જૈને બીજી જગ્યામાં ઉતરિયા;

હરિભક્તોએ આપી રસોઈ, જમ્યા શ્રીજી મુની સહુ કોઈ. ૮૮

સભા સાંજે ભરી ભગવાને, ઘણા લોક આવ્યા તે સ્થાને;

બહુ આવ્યા તે બાવાના ચેલા, બાવે શીખવીને મોકલેલા. ૮૯

તેઓ આવીને ઉચર્યા એમ, તમે ઈશ્વર થૈ બેઠા કેમ;

કાંઈ પરચો દેખાડો જો અમને, અમે ઈશ્વર માનિયે તમને. ૯૦

હનુમાનની જગ્યામાં જે છે, બાવો ઈશ્વર જેવો તો એ છે;

કહે કૃષ્ણ સુણો સહુ ભાઈ, અમે પરચો ન આપીયે કાંઈ. ૯૧

પાળીયે ને પળાવિયે ધર્મ, કદી કરવા ન દૈયે કુકર્મ;

થોડા દિવસમાં લાગે છે અમને, બાવો પરચો દેખાડશે તમને. ૯૨

આ છે સાધુ જે સર્વ અમારા, મંત્ર જંત્ર ન જાણે બિચારા;

ધન નારીની પાસે ન ધસે, દેખી દુરથી વેગળા ખસે. ૯૩

મોક્ષ માટે કેવા ગુરુ કરવા, અને કેવા ગુરુ પરહરવા;

તેનાં લક્ષણ શાસ્ત્રે લખ્યાં છે, તે તો અમ દમ સત્ય કહ્યાં છે. ૯૪

ગુરુ પરચો દેખાડે તે સાચા, એવી ક્યાંઈ લખી નથી વાચા;9

બાજીગર10 બહુ પરચા દેખાડે, પણ મોક્ષે ન તે પહોંચાડે. ૯૫

ધર્મવાળા તે અમ કને આવો, બીજા બાવાની પાસે સિધાવો;

પ્રભુએ એવી બહુ કરી વાત, પછી પ્રગટીયું જ્યારે પ્રભાત. ૯૬

લોકો એવા સમાચાર લાવે, પુરો પરચો દેખાડીયો બાવે;

હતી પુત્રી પટેલની જેહ, બાવો લૈને જતો રહ્યો તેહ. ૯૭

ત્યારે સમજીયા સૌ જન મર્મ, કહે સારો તો સ્વામીનો ધર્મ;

જાણ્યા પ્રત્યક્ષ શ્રીપરમેશ, થયા આશ્રિત લોક વિશેષ. ૯૮

લાંઘણોજે કરી જે જેકાર, ગયા વડહમે વિશ્વઆધાર;

ત્યાંથી ડાંગરવે ગયા દેવ, ત્યાંથી ઝુલાસણે તતખેવ. ૯૯

પાનસર થઈને ગયા ઓળે, કરે દર્શન જન મળી ટોળે;

અડાલજ ગયા અંતરજામી, ત્યાંથી મોટેરે મુક્તના સ્વામી. ૧૦૦

પછી સાભ્રમતી ઉતરીને, ગયા શ્રીપુર સ્નેહ ધરીને;

આવ્યો સન્મુખ સત્સંગી સાથ, તેના નામ સુણો નરનાથ. ૧૦૧

લાલદાસ તથા હીરાચંદ, દામોદર સત્સંગી સ્વચ્છંદ;

કહુ કુબેરસિંહ ચોપદાર, એહ આદિ ઘણાં નરનાર. ૧૦૨

અતિ પ્રેમથી પૂજા કરીને, હાર તોરા ધરાવ્યા હરિને;

દરિયાપરે દરવાજે થૈને, ઉતર્યા નવાવાસમાં જૈને. ૧૦૩

પધરામણિયો નિત્ય થાય, સભા શોભિતી નિત્ય ભરાય;

નિત્ય આનંદનો ઘન11 વરસે, દિન સરસ દિવાળીથી દરસે. ૧૦૪

સત્સંગીને બહુ સુખ આપ્યું, કષ્ટ વિરહ વિજોગનું કાપ્યું;

કેટલાએક દિવસ રહ્યાજી, કર્યા સૌ સત્સંગીને રાજી. ૧૦૫

પુષ્પિતાગ્રાવૃત્ત

વિશળનગર આદિમાં વિરાજી, ગિરધર ગામ ઘણાં ઘણાં ફર્યાજી;

પરમપુરુષ શ્રીપુરે પધાર્યા, હરખ ઘણા હરિભક્તના વધાર્યા. ૧૦૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

આદ્રજગ્રામે સદ્‌ગુરુસ્થાપનનામ ચતુઃસપ્તતિતમો વિશ્રામઃ ॥૭૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે