કળશ ૭

વિશ્રામ ૮૦

પૂર્વછાયો

ત્રિજે પોર પોઢિ ઉઠિયા, સુખસાગર શ્રીમહારાજ;

દર્શન કરવાને આવીયો, પુરનો સતસંગી સમાજ. ૧

ચોપાઈ

કહે હરિજન હે મહારાજ, સુણો અરજી અમારી આ આજ;

સારી રીતે સજો અસવારી, ગાજતે વાજતે ગિરધારી. ૨

પુરમાં ઘણે ઠામ પધારો, મહિમા એહ પુરનો વધારો;

હોળિકાનો છે આજ દહાડો, અતિ ઝાઝો ગુલાલ ઉડાડો. ૩

છબિ આપની જો નિરખાય, પુરના જનો પાવન થાય;

ત્યાં તો અસ્વાર પણ સહુ આવ્યા, ભક્તિનંદનને મન ભાવ્યા. ૪

રોઝે ઘોડે ચડ્યા મહારાજ, ચાલ્યો આગળ સર્વ સમાજ;

સૌએ ઝાલી ગુલાલની ઝોળી, જાણે રંગમાં હોય ઝબોળી. ૫

ચાલે ધીમે ધીમે અસવારી, કહે સૌ જન શોભે છે સારી;

ફાંટે ફાંટે ઉડાડે ગુલાલ, દિસે અવનિ ને આકાશ લાલ. ૬

વાજે ઢોલ ત્રાંસાં શરણાઈ, ગુલાલે તો બજાર છવાઈ;

એમ આખી બજારમાં ફરિયા, રાંગળીવડે જૈને ઉતરિયા. ૭

બેઠા મંચ ઉપર મહારાજ, બેઠો આગળ સર્વ સમાજ;

ગવૈયા મુનિએ કર્યું ગાન, સુણી રીઝિયા શ્રીભગવાન. ૮

પડી સાંજે ગાયો ગોડી રાગ, એમાં પણ અતિ જ્ઞાન વિરાગ;

પછી આરતિ ને ધુન્ય કરી, ભગાદોશી પ્રત્યે બોલ્યા હરી. ૯

તમે સંઘના જનને જમાડો, ઘાસ ચંદી બધે પહોંચાડો;

અમે તો હવે જાશું ઉતારે, સૌની સંભાળ લેવી તમારે. ૧૦

એમ કહી હરિ અસ્વાર થયા, દાદા ખાચરને ઘેર ગયા;

પછી પોઢી રહ્યા પ્રભુ રાતે, જાગ્યા જીવનપ્રાણ પ્રભાતે. ૧૧

નિત્યકર્મ કર્યું મુનિનાથે, લીધા અસ્વાર સૌ નિજ સાથે;

ગાજતે વાજતે ગિરધારી, સભા ભરવાને સ્થાને પધારી. ૧૨

બેઠા મંચ ઉપર મહારાજ, બેઠો આગળ સર્વ સમાજ;

ભગાભાઈ આદિક મળિ સંગ, દેગડાં ભરીને લાવ્યા રંગ. ૧૩

કોથળા ભરી લાવ્યા ગુલાલ, મુક્યો કૃષ્ણ પાસે તેહ કાળ;

તાંસળાં ભરિ ત્રિભુવનનાથે, નાખ્યો રંગ તે સર્વને માથે. ૧૪

સૌને રસબસ કીધા તે કાળ, પછી ઉપર નાખ્યો ગુલાલ;

ત્યાં તો વાજિંત્ર વાજે અપાર, બોલે સૌ જન જય જયકાર. ૧૫

એવી લીલા નિરખવાને કાજ, સુર સહિત આવ્યા સુરરાજ;

કરે ગગને રહી પુષ્પવૃષ્ટિ, ધન્ય ધન્ય કહે એહ સૃષ્ટિ. ૧૬

ધન્ય ધન્ય તે બોટાદ ગામ, મોટું તીર્થ થયું તે ઠામ;

જાત્રા કરવાનું આવશે જન, લીલા સંભારશે નિજ મન. ૧૭

સર્વ જનને લઈ નિજ સાથ, પછી નાવા પધારિયા નાથ;

ત્યાંથી પશ્ચિમમાં વાડી જેહ, કુવો તેમાં છે ઉત્તમ તેહ. ૧૮

તેમાં ઉતરીને નાયા નાથ, નાયો તે પછી ત્યાં સહુ સાથ;

ગંગા ગોમતી ને સરસ્વતી, આવ્યા ત્યાં સર્વ તીર્થના પતી. ૧૯

દિવ્ય દૃષ્ટિવાળા જન દેખે, પણ પ્રાકૃત જન નહિ પેખે;

કોરાં વસ્ત્ર ધરીને કૃપાળ, થયા અસ્વાર દીનદયાળ. ૨૦

વાજતે ગાજતે રુડી રીતે, ગયા પાકશાળા ભણી પ્રીતે;

પૂર્વદ્વારની ઓશરીમાંય, હતો ઢોલીયો ઢાળેલો ત્યાંય. ૨૧

બિરાજ્યા જઈ ત્યાં બળવંત, બેઠા આગળ હરિજન સંત;

બ્રહ્મચારીએ ત્યાં કર્યો થાળ, બેઠા જમવાને જનપ્રતિપાળ. ૨૨

રુડું પહેર્યું પીતાંબર અંગ, સારે પાટલે બેઠા શ્રીરંગ;

બીજા પાટલા પર મૂક્યો થાળ, તેમાં પિરસી રસોઈ રસાળ. ૨૩

જમ્યા જુક્તિથી શ્રીઅવિનાશ, મુખ ધોઈ લીધો મુખવાસ;

ત્યાં તો સંતની પંગત થઈ, પિરશું પ્રભુએ પોતે જઈ. ૨૪

લાડુ લ્યો એમ કરતાં ઉચ્ચાર, ફર્યા પંગતમાં બહુ વાર;

સંત પાર્ષદ સૌને જમાડ્યા, સખા સૌને સંતોષ પમાડ્યા. ૨૫

જમાડ્યા બીજા સૌ હરિજનને, કર્યાં મુદિત તે સર્વનાં મનને;

દાહા ખાચરનો દરબાર, જૈને પોઢિયા પ્રાણઆધાર. ૨૬

ત્રીજે પહોર ઉઠ્યા ઉછરંગે, બેઠા ઓશરી માંહિ પલંગે;

ત્યાં તો મલ્લ આવ્યા ગંગારામ, બોલ્યા પ્રેમ કરીને પ્રણામ. ૨૭

આપો આજ્ઞા તો અંતર ધરિયે, મલ્લકુસ્તી તણા ખેલ કરિયે;

આપી આજ્ઞા પ્રભુજીએ જ્યારે, ખૂબ ખેલ કર્યા તેણે ત્યારે. ૨૮

ખભા ઠોકીને બે જણા લડે, ગાજે બ્રહ્માંડ પડછંદા પડે;

રમ્યા બહુ હરિ રીઝાવા કાજ, જોઈ રાજિ થયા મહારાજ. ૨૯

માગી માગી કહ્યું ઘનશ્યામે, ગંગારામ બોલ્યા તેહ ઠામે;

મહારાજ માગું વરદાન, નિરંતર રહે આપનું ધ્યાન. ૩૦

દેશ કાળ ગમે તેવો હોય, મન ડગમગ થાય ન તોય;

માગું હેત સદા હરિજનમાં, બીજી ઇચ્છા નથી મારા મનમાં. ૩૧

એવું સાંભળિ દીનદયાળ, તથા અસ્તુ બોલ્યા તતકાળ;

પછી વસ્ત્ર પ્રસાદિનાં આપ્યાં, નિજચરણ બે છાતીમાં છાપ્યાં. ૩૨

દાહાભક્તે પછી તેહ ઠામ, પૂજ્યા પ્રેમથી શ્રીઘનશ્યામ;

રુડાં ચંદન પુષ્પ ચડાવ્યાં, વસ્ત્ર ભૂષણ ભાવે ધરાવ્યાં. ૩૩

આરતી રુડી રીતે ઉતારી, સ્તુતિ સ્નેહ સહિત ઉચ્ચારી;

તે પછી ભગા દોશીને ઘેર, કરિ પધરામણી રુડી પેર. ૩૪

શેઠ શ્રીજીને તેડવા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;

સંત હરિજન કીર્તન ગાય, તેની શોભા વરણવી ન જાય. ૩૫

ઘેર આવ્યા પ્રભુ એવી રીતે, શેઠે પૂજા કરી ઘણિ પ્રીતે;

પગ ધોઈ પાદોદક પીધું, ભાલ ચંદને ચર્ચિત કીધું. ૩૬

વસ્ત્ર ભૂષણ ભાવે ચડાવ્યાં, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવ્યાં;

આરતી અતિ હરખે ઉતારી, સ્તુતિ તે પછી શેઠે ઉચ્ચારી. ૩૭

ઈન્દ્રસભાનો રાગ

જય જય પ્રભુ જગદાધારા, દીનબંધુ ધર્મદુલારા. ટેક.

પ્રભુ અતિ ઐશ્વર્ય તમારું, ચિતમાં નિત્ય નિત્ય વિચારું;

તમે સકળ જગત સ્રજનારા, દીનબંધુ ધર્મદુલારા. ૩૮

રચી ભૂમિ સરસ શોભાતી, રચ્યાં પશુ પક્ષી જન જાતી;

રચ્યા સૂરજ શશિયર તારા, દીનબંધુ ધર્મદુલારા. ૩૯

સહસ્રાનન1 ગુણગણ2 ગાવે, ઉચ્ચરતાં અંત ન આવે;

વદશે શું વેદ બિચારા, દીનબંધુ ધર્મદુલારા. ૪૦

તમે પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, શુભ ધર્મમરમ સમજાવ્યો;

નવ જાણે લોક નઠારા, દીનબંધુ ધર્મદુલારા. ૪૧

હતો પિબેક પૂરો પાપી, તમે સદ્‌ગતિ તેને આપી;

તમે છો પ્રભુ અધમોદ્ધારા, દીનબંધુ ધર્મદુલારા. ૪૨

તમે જુગ ચારેના ધર્મો, વરતાવ્યા કરી શુભ કર્મો;

તમે સત્ર3 કર્યા બહુ સારા, દીનબંધુ ધર્મદુલારા. ૪૩

તમે ઘેર અમારે આવ્યા, મુનિમંડળ સાથે લાવ્યા;

કર્યા પાવન અમને પ્યારા, દીનબંધુ ધર્મદુલારા. ૪૪

છે અદ્‌ભુત શક્તિ તમારી, તમે છો પ્રભુ વિશ્વવિહારી;

અખિલેશ્વર ઇષ્ટ અમારા, દીનબંધુ ધર્મદુલારા. ૪૫

ચોપાઈ

સુણી રીઝિયા શ્રીભગવાન, કહ્યું માગો માગો વરદાન;

કહે શેઠ માગું સતસંગ, માગું તવ પદ પ્રેમ અભંગ.4 ૪૬

મારા વંશમાં જન થાય જેહ, ધર્મવંશી સાથે ધરે સ્નેહ;

ગણે આચાર્ય શ્રીજી સમાન, મને એ જ આપો વરદાન. ૪૭

એવા શબ્દ સુણીને દયાળ, તથા અસ્તુ બોલ્યા તતકાળ;

શેઠે સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં, પાળા સર્વને પણ પહોંચાડ્યાં. ૪૮

ભગો દોશી ભલા બુદ્ધિમાન, કેવું માગિ લીધું વરદાન;

પુત્ર પૌત્રાદિને સતસંગ, માગ્યો તે અતિ ઉત્તમ અંગ. ૪૯

ઉપજાતિ (સત્સંગી પુત્ર વિષે)

જો પુત્ર જેનો સતસંગિ થાય, પિતા દિલે શાંતિ સદા પમાય;

કુટુંબ આખું સતસંગિ હોય, તો તીર્થમાં વાસ સમાન સોય. ૫૦

જેનિ પ્રજા છે સતસંગવાળી, તે તો પિતા પૂરણ ભાગ્યશાળી;

શ્રીસ્વામિનારાયણનું જ નામ, કાને પડે ઉત્તમ એહ ધામ. ૫૧

સત્સંગ જેવો શુભ ધર્મ છોડી, જેણે બિજે મારગ બુદ્ધિ જોડી;

તે પુત્રને તો ગણવો ગમાર, ધિક્કાર ધિક્કાર હજારવાર. ૫૨

શ્રીજી તણી જ્યાં પ્રતિમા પુજાતી, કથા સદા કૃષ્ણ તણી કરાતી;

ત્યાં શુષ્કવેદાંત કથા કરાય, તે તીર્થમાં જેમ મશીદ થાય. ૫૩

ભલો પ્રભુનો બળિરાય ભક્ત, કુપુત્ર બાણાસુર તો અભક્ત;

પુલસ્ત પોતે શુભ વિપ્રવર્ણ, તેના થયા રાવણ કુંભકર્ણ. ૫૪

જોતાં પ્રજા થાય કુસંગિ જેની, તો તે પિતાને મન શાંતિ શેની;

જો વંશ એવો જ દિસે થનારો, તે વંશથી તો નિરવંશ સારો. ૫૫

કુસંગિ છે પુત્ર કળત્ર5 જેને, દિસે મહાદુઃખ સદૈવ તેને;

રુંધાઇ એવા ઘરમાં રહેવું, જણાય તે તો જમધામ જેવું. ૫૬

પિતા મરે પુત્ર કુસંગિ થાય, પિતા તણો ધર્મ નહીં પળાય;

તે શ્રાદ્ધ સારી સુત પિંડ દેય, તો તાત તે પિંડ કદી ન લેય. ૫૭

ચોપાઈ

ભગાભાઈએ ચિતમાં વિચાર્યું, માગ્યું વરદાન સર્વથી સારું;

એની બુદ્ધિ વિચક્ષણ6 બહુ, સુણિ એમ કહે જન સહુ. ૫૮

પ્રભુ ત્યાંથી ચાલ્યા રુડી પેર, પધરામણી થઈ ઘેર ઘેર;

કૃપાસિંધુ ફર્યા ઠામ ઠામ, પ્રસાદીનું કર્યું આખું ગામ. ૫૯

દાદા ખાચરનો દરબાર, બિરાજ્યા જઈ જગકરતાર;

સંત હરિજનની સભા થઈ, ગાયું સંતોએ વાજિંત્ર લઈ. ૬૦

પછી ગાવાનું બંધ કરાવી, શ્યામે જ્ઞાનની વાત સુણાવી;

આરતી ધુન્ય પણ તહાં કરી, વાળું કરવા પધારિયા હરી. ૬૧

પાકશાળામાં સૌને જમાડ્યા, ચંદી ઘાસ ઘોડાને પહોંચાડ્યા;

પછી પોઢી રહ્યા પ્રભુ રાતે, ઉઠ્યા બીજને દિવસ પ્રભાતે. ૬૨

કરી નિત્યક્રિયા મુનિનાથે, પછી સૌ જનને લઈ સાથે;

અશ્વ ઉપર અસ્વાર થૈને, બિરાજ્યા મંચ ઉપર જૈને. ૬૩

દેશ દેશના હરિજન જેહ, પુજા કરવાને આવિયા તેહ;

પૂરા પ્રેમથી પૂજન કરે, ભેટ ભગવાન આગળ ધરે. ૬૪

પછી સૌ જનને કહે માવો, પોત પોતાને ગામ સિધાવો;

ધર્મ પાળજો ધીરજ ધારી, વાત રાખજો મનમાં અમારી. ૬૫

હરિજનનું તો માહાત્મ્ય જાણી, સંપ રાખજો ઉત્સાહ અણી;

વળી કરીયે સમૈયો જ્યાં અમે, ત્યારે તે સ્થળે આવજો તમે. ૬૬

કહે સંતોને શ્રીઘનશ્યામ, ફરો જાઓ જુદે જુદે ગામ;

પોત પોતાનું મંડળ લૈને, ઉપદેશ કરો તહાં જૈને. ૬૭

મોનો પંડ્યો કહે મહારાજ, મારે ઘેર રસોઈ છે આજ;

માટે આજ્ઞા એવી કરો નાથ, સિધાવે જમીને સહુ સાથ. ૬૮

એવી આજ્ઞા કૃપાનાથે કીધી, જન સહુયે તે શિર ધરી લીધી;

પ્રભુયે કીરતન ગવરાવ્યાં, સુણી સૌ જનને મન ભાવ્યાં. ૬૯

પછી અશ્વે થઈ અસવાર, પેઠા પુર માંહિ પ્રાણઆધાર;

ભક્ત લાખેણો બોઘો લુહાર, એનો ઓરડો પૂરવ દ્વાર. ૭૦

જોયો ઓશરી માંહિ પલંગ, વિરાજ્યા પ્રભુ આણિ ઉમંગ;

મોનો પંડ્યો કહે મહારાજ, પધારો હવે ભોજન કાજ. ૭૧

જઈ ભોજન કરવાને સ્થાને, કર્યું ભોજન શ્રીભગવાને;

પછી સંતની પંગત થઈ, પીરશું પ્રભુયે તહાં જઈ. ૭૨

દાદા ખાચર આદિક જેહ, સતસંગી જમ્યા સહુ તેહ;

પછી ચાલવા કીધી તૈયારી, આવ્યા કાઠી સજી અસવારી. ૭૩

ગામના પરગામના જન, આવ્યા સૌ કરવા દરશન;

વાજે વાજિંત્ર વિવિધ પ્રકાર, બોલે સૌ જન જય જયકાર. ૭૪

તાજપરને ઝાંપે થઈ ગયા, શેંથળીનિ વાવ્યે ઉભા રહ્યા;

શિલા મોટી હતી એક સારી, બેઠા તે પર શ્રીગિરધારી. ૭૫

સંઘના જન દરશન કરે, આજ્ઞા લૈને સ્વદેશ વિચરે;

ગયા સમઢિયાળે ઘનશ્યામ, સૌને દર્શન દીધાં તે ઠામ. ૭૬

ત્યાંથી સંચર્યા સૌ જન સાથે, ગામ નાગલપર મુનિનાથ;

ભક્ત બોટાદના હતા જેહ, પાછા વાળતાં નવ વળે તેહ. ૭૭

વળો વળો કહે અવિનાશી, સર્વે સાંભળી થાય ઉદાસી;

વિજોગે ન ધરી શકે ધીર, આવે નેણમાં સર્વને નીર. ૭૮

બોલે ગદગદ કંઠે વચન, ક્યારે દેશો ફરી દરશન;

પ્રેમ બોટાદવાસીના જેવો, માગે મોટા મોટા મુનિ એવો. ૭૯

વાલે ધીરજ દૈ પાછા વાળ્યા, ત્યારે તે સહુ ઘર ભણી ચાલ્યા;

પ્રેમ ઉત્તમ એહનો જાણ્યો, પ્રભુયે પણ પૂરો વખાણ્યો. ૮૦

સંઘ ગઢપુરનો લેઈ સાથ, ત્યાંથી ગઢડે ગયા મુનિનાથ;

લીલા બોટાદમાં કરી જેહ, સર્વે સત્સંગિ સંભારે તેહ. ૮૧

જાતાં વળતાં બોટાદ મોઝાર, વિચર્યા છે પ્રભુ ઘણી વાર;

ગામ બોટાદની રજ જે છે, પ્રભુજીની ચરણરજ તે છે. ૮૨

મહિમા પ્રભુનો મન ધરશે, જાત્રા બોટાદની તે તો કરશે;

લીલા બોટાદની સુણે જેય, પળમાં થાય પાવન તેહ. ૮૩

સતસંગમાં દૃઢ મતિ થાય, તેથી પાપ તેનાં બળિ જાય;

શ્રોતા સૌ અતિ આનંદ પામી, બોલો જય સહજાનંદસ્વામી. ૮૪

પુષ્પિતાગ્રાવૃત્ત

ધરમ તનુજનાં ચરિત્ર જેહ, શ્રવણ કર્યાથિ કરે પવિત્ર તેહ;

નરતન ધરિને સુણે ન કાને, નર નહિ તેહ સદા પશુ સમાને. ૮૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

બોટાદપુરે હુતાશન્યુત્સવવર્ણનનામાશીતિતમો વિશ્રામઃ ॥૮૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે