કળશ ૭

વિશ્રામ ૯

પૂર્વછાયો

હરિ હતા હાથરોલિયે, અને ત્યાં જ હતા સઉ સંત;

ત્યાં જે જે લીલા કરી, કહું તે સુણો નૃપ ગુણવંત. ૧

ચોપાઈ

પછી શ્રીહરિ એક દહાડે, જમવા ગયા બારમુવાડે;

જતાં મારગે વનમાં વિચરતાં, એક સાધુ દીઠા તપ કરતા. ૨

અન્ન જળ ત્રણ દિવસ તજેલું, અતિશે તપ તીવ્ર સજેલું;

સાદ શ્રીહરિનો સુણ્યો જ્યારે, ધ્યાનમાંથી જાગ્યા તેહ ત્યારે. ૩

પ્રભુને કર્યો દંડ પ્રણામ, ત્યારે બોલિયા સુંદર શ્યામ;

આવું તપ કળિમાં ન આચરવું, નિજ કાયાનું રક્ષણ કરવું. ૪

ઉપજાતિ (તીવ્રતપનિષેધ વિષે)

મનુષ્યનો દેહ અમૂલ્ય એહ, ભક્તિ કર્યામાં ઉપયોગી તેહ;

તે દેહનું રક્ષણ નિત્ય કીજે, તપે કરીને નહિ ત્યાગિ દીજે. ૫

જો દેહનો ત્યાગ તપે કરે છે, તો આત્મઘાતી જન તે ઠરે છે;

પ્રભૂ રિઝાવા તપ કાજ જાય, એથી પ્રભુ તો ઉલટા રિસાય. ૬

જુદા જુદા છે જુગધર્મ જેહ, શાસ્ત્રો સુણીને સમઝો જ તેહ;

દેહાંત જે આ કળિમાં કરે છે, તે તો તપસ્વી નરકે ઠરે છે. ૭

કરે મહાપાપ કદાપિ કોય, દેહાંત જો વારણ1 તેનું હોય;

તે નિષ્કૃતિ2 આ કળિમાં ન કીજે, સચ્છાસ્ત્રથી તે સુણી મર્મ લીજે. ૮

સમાજથી ભિન્ન પડી ન જાવું, સૌથી તપસ્વી અતિશે ન થાવું;

દોડે વિશેષે સહુનાથિ જેહ, થાકી રહે અંતરિયાળ3 એહ. ૯

વિશેષ સૌથી તપ જે ચહાય, માંદો પડે કે તનને તજાય;

જમાય છે ભોજન ગ્રાસ ગ્રાસે, આખો મુખે મોદક કેમ માશે. ૧૦

સેના થકી આગળ કોઈ જાય, મરે અને મુરખમાં ગણાય;

લડે ચમૂમાં4 રહિ શત્રુ સામે, તે શૂરવિરો જશ પૂર્ણ પામે. ૧૧

જો સંત ઇચ્છો અમને રિઝાવા, સમાજથી ભિન્ન થશો ન આવા;

જો પોતપોતે મનને રિઝાવો, ભલે કરો તે તપ તીવ્ર આવો. ૧૨

વર્ણી કહે સાંભળ હે નરેશ, સમાજમાં છે સુખ તો વિશેષ;

સત્સંગ ઇચ્છે સનકાદિ જેવા, સદા કરે સંત તણી જ સેવા. ૧૩

શ્રી નૈમિષારણ્ય વિષે મુનિયો, સુણે મળી કુષ્ણકથા જુનીયો;

શ્રી શ્વેતદ્વીપાખ્ય નિવાસિ જેહ, વસે સદા સજ્જિ5 સમાજ તેહ. ૧૪

સમાજ જો શ્રીભરતે ન સેવ્યો, તેને પડ્યો ત્યાં મૃગદેહ લેવો;

સમાજ માંહી ન રહ્યા જ જેહ, ચળ્યા મુનિ સૌભરી આદિ તેહ. ૧૫

માટે કહે શાસ્ત્રપુરાણકાર, સત્સંગ કેરો મહિમા અપાર;

સંતો તણી તો સજિયે જ સેવા, સુજ્ઞાન વિજ્ઞાન વિશેષ લેવા. ૧૬

સૌનાથી પોતે અતિ શ્રેષ્ઠ થાવા, પ્રભુ વિષે પ્રેમ ઘણો જણાવા;

એકાંત બેસી તપ ઉગ્ર માંડે, કુસંગ થાતાં સતસંગ છાંડે. ૧૭

શ્રીજી ગયા આપ સ્વધામ જ્યારે, સૌથી વધૂ શોક જણાવી ત્યારે;

જેણે પિવા લોટ હંમેશ માંડ્યો, તેણે સમૂળી સતસંગ છાંડ્યો. ૧૮

શ્રીવાસુદેવાખ્ય સુબ્રહ્મચારી, તેને પૂછ્યો પ્રશ્ન જને વિચારી;

સત્સંગમાં કોણ સદા વસે છે? સત્સંગથી કોણ કદી ખસે છે? ૧૯

અથ ગતાગતભેદ:6

વદે સુવાણી સુણિ વાસુદેવ, વસે જ જે સન્ત સજે જ સેવ;

એ યોગમાંહિ નહિ માંગયોએ, તે તો હતો પિષ્ટ7 પિતો હતો તે. ૨૦

કહે અચિંત્યાખ સુણીજી રાય, હવે કહું શ્રીહરિની કથાય;

સાધુ સમીપે વનમાં વિચારી, કહ્યું હરિએ હિતકારિ ધારી. ૨૧

ચોપાઈ

એમ દૈ સંતને ઉપદેશ, પેંડા આપ્યા પોતે પરમેશ;

પેંડા તે જમીને પીધું નીર, ત્યારે રાજી થયા નરવીર. ૨૨

સંતમંડળમાં સંત રહ્યા, બારમુવાડે બળવંત ગયા;

બ્રહ્મચારીએ ત્યાં કાર્યો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૨૩

હાથરોલિયે શ્રીહરિ આવ્યા, ભાળી ભક્ત તણે મન ભાવ્યા;

સંઘ સુરતનો એવે ટાણે, આવ્યો દર્શન કરવા ડભાણે. ૨૪

બ્રહ્માનંદે કહ્યું કૃપા કરી, હાથરોલિયે આજ છે હરી;

થોડા દિવસમાં આવશે આંહીં, રહો ધૈર્ય ધરી મન માંહી. ૨૫

સંભળાવિયાં એવાં વચન, પણ દર્શનાતુર તેહ જન;

હાથરોલિયે જૈ હરિ પાસ, કર્યાં દર્શન થૈ પુરી આશ. ૨૬

બોલ્યા જાલમસિંહ તે ઠામ, ઘોડાસર વિચરો ઘનશ્યામ;

પાલખી એક આણી છે અમે, તેમાં આજ બિરાજોજી તમે. ૨૭

મારી પાલખી પાવન થાય, પરશે પ્રભુ આપના પાય;

પછી બેસીને પાલખીમાંય, ગયા સંત સહિત હરિ ત્યાંય. ૨૮

ઘોડાસરમાં પેઠા ઘનશ્યામ, ઘણી ત્યાં તો થઈ ધૂમધામ;

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, આગે ભૂપની અસ્વારી છાજે. ૨૯

રાયે પાલખી કંધે ઉપાડી, છડીદાર બોલે ત્યાં અગાડી;

આખા ગામમાં લૈ ગયા ફરવા, પુર પોતાનું પાવન કરવા. ૩૦

પ્રભુ દરબારમાં પધરાવ્યા, પછી પૂજાનો સામાન લાવ્યા;

રાયે પૂજા કરી બહુ પ્યારે, વળી વિનતિ કરી વારે વારે. ૩૧

કહ્યું જે મુજ લાયક કામ, હોય તે કહો સુંદરશ્યામ;

બોલ્યા ત્રિભુવનનો ધણિ ત્યારે, યજ્ઞ કરવો ડભાણ અમારે. ૩૨

પણ રાખે છે વેર વેરાગી, બીજા પણ જે અધર્મી અભાગી;

કરે કાંઈ ઉપદ્રવ ખરો, માટે આપ સહાયતા કરો. ૩૩

કરે રક્ષણ યજ્ઞનું કર્મ, ક્ષત્રિનો તે સનાતન ધર્મ;

સુણી ભૂપ કહે જોડી હાથ, ભીલ લાખ લાવું મુજ સાથ. ૩૪

આવે રાવણ જેવાની ફોજ, તોય મારું હું કરતાં રમોજ;8

સુણી બાલિયા સુંદરશ્યામ, ભીલ લાખ તણું નથી કામ. ૩૫

રાયધણજી આદિ રાયજાદા, કોઈ અસ્વાર ને કોઈ પ્યાદા;9

કચ્છ દેશ વિષે વસનારા, જે છે જુદ્ધકળા જાણનારા. ૩૬

ઝાલાવાડના ક્ષત્રિય ઝાલા, મહા જોરવાળા મતવાલા;

જેનું ગામ તાવી તલસાણું, નથી કોઈનું જગમાં અજાણ્યું. ૩૭

તથા મેંથાણના પુજાભાઈ, જેની બરછી બહુ વખણાઈ;

એવા આવેલા છે અમ સાથે, હથીયાર ભલાં ધરી હાથે. ૩૮

જ્યારે ખોખરા મેમદાવાદ, કર્યો વેરાગીયે વિખવાદ;

સલકીના દયાળજી પગી, અમ પાસે હતા તે અડગી. ૩૯

હાથરોલી તણા ભગુ ખાંટ, જેની કોઈ ન પકડે ફાંટ;10

ગામ ડાંગરાના અગરાજી, ત્યારે તે પણ પાસે હતાજી. ૪૦

જેણે હિમતે હાથ દેખાડ્યા, જુદ્ધ વેરાગીયોને નસાડ્યા;

તેહ ત્રણ જણને સાથે લેશું, પછી વેરાગીયો તે કરે શું. ૪૧

કહ્યું છે બ્રહ્માનંદને અમે, ઘણા કોળી તેડાવજો તમે;

બામણોલી ને વરતાલવાસી, આવશે એવા બીજા મેવાસી.11 ૪૨

કાઠિયાવાડના કાઠી શૂરા, આવશે તે પરાક્રમી પૂરા;

ત્યાંથી નીકળ્યા છે હાલહાલ, એ તો આવશે આજ કે કાલ. ૪૩

માટે થોડાક લૈ શૂરવીર, અમ સાથે ચાલો તમે ધીર;

પછી રાજાએ કીધી તૈયારી, સજી સારિ રીતે અસવારી. ૪૪

નૃપની જ્યાં નોબત ગડગડી, દશ હજાર કામઠી ચડી;

પાલખીમાં બેઠા પરમેશ, કરે અમર પોતે નરેશ. ૪૫

જ્યાં તે પાદર સુધી સિધાવ્યા, કાઠી કાઠિયાવાડથી આવ્યા;

મુખ્ય ગામનાં નામ ગણાવું, બધાં ગણતાં તો પાર ન લાવું. ૪૬

મુખ્ય તો ગઢપુરના નિવાસી, જેને આધીન છે અવિનાશી;

દાદો ખાચર ખાચર જીવો, મુળુ ખાચર પણ કુળદીવો. ૪૭

મોટા ભક્ત વળી નાંગમાલો, ઘેલા ધાધલને ધર્મ વાલો;

લલિતા ને જયા રાજબાઈ, અમુલાં ને અમર પણ ડાઈ. ૪૮

એહ આદિક બહુ નરનારી, આવ્યાં ગઢપુરથી રુચિ ધારી;

કરિયાણા ને કોટડા કેરા, વાંકિયાના આવ્યા ગરઢેરા. ૪૯

ભડલી ને ઇંતરિયું ગુંદાળું, ઝીંઝાવદર ગામ ખંભાળું;

કારિયાણી ને સારંગપુર, ખાંભડાના કાઠી પણ શુર. ૫૦

ગામ નાગડકું ને કુંડળ, આવ્યું બોટાદ બગડ સબળ;

વળી આવ્યા ગરાસિયા જેહ, તેનાં નામ ગણાવું હું તેહ. ૫૧

ગઢાળી તથા પીપળી તણા, આવ્યા ત્યાંના ગરાસિયા ઘણા;

જમનાવડ સોરઠ માંહી, આવ્યા ત્યાંના ગરાસિયા ચાહી. ૫૨

ધોલેરા કરમડ ભેંસજાળ, આવ્યા રોજકાના મહીપાળ;

ક્ષત્રિ ઝીંઝર ને જસકાના, આવ્યા વાગડથી મોટા નાના. ૫૩

ગંગા સાગરમાં મળે જેમ, મળ્યા સર્વ તે સૈન્યમાં તેમ;

ગંગા સાગરનો ઘૂઘવાટ, એવો અશ્વ તણો હહણાટ. ૫૪

ક્ષીરસાગરમાં શોભે શ્યામ, તેવા શોભે ત્યાં પૂરણકામ;

શોભે સાગરમાં રત્ન જેમ, શૂરા સ્વારીમાં શોભે છે તેમ. ૫૫

જેમ ઉછળ નીર તરંગ, તેમ ઉછળે ચપળ તુરંગ;12

જેવાં સિંધુમાં નાવ દેખાય, રથ પાલખી તેવા જણાય. ૫૬

જેવા સાગરમાં શોભે ગ્રાહ,13 એવા હાથિયો શોભે અથાહ;

જળમાં ફરે માછલાં જેમ, નાના મોટા ફરે ભીલ તેમ. ૫૭

ચંદ્ર દેખી નિધી ઉભરાય, તેમ સૌ હરિદર્શને ધાય;

વળે પાછા બીજા જાય પાસે, ભરતી ઓટની તુલ્ય ભાસે. ૫૮

હરિ હરખિયા કાઠિને જોઈ, કહે કાઠી જેવા નહીં કોઈ;

કાઠી માયાળુ ને કાઠી શૂરા, પ્રેમભક્તિ વિષે પણ પૂરા. ૫૯

પછી ત્યાં જોઈ વૃક્ષ વિશાળ, ઊતર્યા જઈ દીનદયાળ;

સભા ત્યાં તો સજી બહુ સારી, શોભે તે વચે શ્રીગિરધારી. ૬૦

એવામાં અમદાવાદ કેરો, આવ્યો સત્સંગિ સંઘ ઘણેરો;

વાજે તે વિષે તાલ મૃદંગ, ગાય ઉચ્છવિયા સઉમંગ. ૬૧

વાજે ત્રાંસાં ને ઢોલ અપાર, બોલે જન બહુ જયજયકાર;

કરું મુખ્યનાં નામ પ્રકાશ, દામોદર નથુ ભટ લાલદાસ. ૬૨

હીરો ભક્ત ને મોહનલાલ, જેને વાલા શ્રીકૃષ્ણ કૃપાળ;

ભક્ત ગોવિંદ ને વજેરામ, હરજીવન હીમતરામ. ૬૩

ક્ષત્રિ કુબેરસીંહ ચોપદાર, બીજા ભક્ત તણો નહીં પાર;

ગંગામાં આવ્યા જેતલપરથી, અવલોકવા કૃષ્ણ આદરથી. ૬૪

અશલાલી ને વેલાળ કેરા, મછિયાવના આવ્યા ઘણેરા;

વળી આવ્યા વડોદરાવાસી, નેણે નિર્ખવાને અવિનાશી. ૬૫

ઘણાં ગામ થકી સંઘ આવ્યા, ભારે ભારે ભલી ભેટ લાવ્યા;

પ્રણમ્યા પ્રભુને ધરી પ્રેમ, પુછે શ્રીપ્રભુ કુશળ ક્ષેમ.14 ૬૬

થયો આનંદ જે તેહ તકે, શેષ શારદા વરણી ન શકે;

ભુલ્યા સૌ ખાન પાનનું ભાન, જુવે ચંદ્રચકોર સમાન. ૬૭

જેવો આનંદ અક્ષરધામે, એથિ પણ અધિકો એહ ઠામે;

ઉપજ્યો જન સર્વને ઉર, પ્રગટ્યું અતિ પ્રેમનું પુર. ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

જનમન પ્રગટ્યો સુપ્રેમ એમ, કવિજન કોઈ કહી શકે જ કેમ;

અનુભવ કરતાં જણાય કાંઈ, પણ ન સમાય વિશેષ વાણિમાંઈ. ૬૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિઘોડાસર-વિચરણસંઘાગમનનામ નવમો વિશ્રામઃ ॥૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે