કળશ ૮

વિશ્રામ ૩૯

પૂર્વછાયો

રાત રહ્યા રુડિ રીતથી, ગામ માલપરે મહારાજ;

ઉઠિ પ્રભાતે પરવર્યા, સુખસાગર સહિત સમાજ. ૧

ચોપાઈ

પહોંચ્યા પ્રભુ પાટણે ગામ, કાળુભાર નદી જેહ ઠામ;

શિવની દેરિ છે તટ સામે, રથ છોડ્યો જઈ તેહ ઠામે. ૨

કરી સ્નાન ક્રિયા સહુ સાથે, કરિ નિત્યક્રિયા મુનિનાથે;

ઢસે ગામ ગયા ગિરધારી, આવ્યાં નિર્ખવા બહુ નરનારી. ૩

જે જે ગામ સમીપ સિધાવે, ત્યાંના લોકો ત્યાં દર્શને આવે;

સુણે સ્વામિનારાયણ નામ, કરે આવિને પ્રેમે પ્રણામ. ૪

સંત તેઓને વાતો કરે છે, સુણિને જન આશ્રય લે છે;

જાણે પ્રગટ પ્રભુનો પ્રતાપ, વધે સત્સંગ એમ અમાપ. ૫

ઢસેથી ગયા મેથળી ગામ, બધી જાન સહિત ઘનશ્યામ;

અવિનાશિ ગયા ઇંગોરાળે, જેનાં ભાગ્ય ભલાં તેહ ભાળે. ૬

ગામથી જઈ પશ્ચિમ પાસ, થોડિ વાર કર્યો ત્યાં નિવાસ;

ત્યાંના ભક્ત આવ્યા તે ઠામ, નરનાથ સુણો તેનાં નામ. ૭

શેઠ સુંદરજી શેઠ લાલો, વૃષનંદન જેને વહાલો;

કાનજી ને કલો બે પટેલ, સતસંગી તે સારા થયેલ. ૮

સાખે હીરપરા સહુ જાણે, પ્રભુના ભક્ત પંચ પ્રમાણે;

મુખી જાગાણી નામ કુંવરજી, જેને પ્રભુ ભજવાનિ જ મરજી. ૯

એહ આદિક હરિજને આવી, પ્રભુને ભલી ભેટ ધરાવી;

કહ્યું રાત રહી આંહિ હરી, જવા નાથે ઉતાવળ કરી. ૧૦

એકલેરે ગયા અવિનાશ, ખળાવાડ દિઠી ગામ પાસ;

અન્ન પુષ્કળ જોઇ ઉચ્ચાર્યું, આંહીં તો અન્ન પાક્યું છે સારું. ૧૧

ગયા ક્રાંકશ શ્રીગિરધારી, વહે શેત્રુજી જ્યાં નદિ સારી;

સામે તીર ગયા ઘનશ્યામ, રથ છોડાવ્યો ત્યાં એક ઠામ. ૧૨

મળે ગાગડિયો જેહ સ્થાન, ત્યાંથિ દક્ષિણમાં કર્યું સ્નાન;

નાહ્યા સંત ને જાનના જન, કર્યું તે સ્થળ તીર્થ પાવન. ૧૩

કરિ નિત્યક્રિયા તેહ સ્થાને, ભાતું સૌને દીધું ભગવાને;

જમિ ભાતું ભલું જળ પીધું, પછિ ચાલવાનું મન કીધું. ૧૪

ત્યાં તો હરિજન દર્શને આવ્યા, શેલડીનાં ગાડાં ભરી લાવ્યા;

ત્રવાડી આવિયા રણછોડ, જેને કૃષ્ણ ભજ્યાનો છે કોડ. ૧૫

વશરામ પટેલ સાકરિયો, જેણે શિરસાટે સત્સંગ કરિયો;

વળિ આવિયા વેલો સુરાણી, જેની ભક્તિ ભલી વખણાણી. ૧૬

સ્નેહે આવિયા સોની સગાળ, જેને વાલા છે જનપ્રતિપાળ;

આવ્યા રાઠોડ આણંદ આપ, જપે જે હરિનામનો જાપ. ૧૭

ધરી શેલડિયો ભેટ જેહ, વહેંચી વાલે સર્વને તહ;

હરિભક્તોને દર્શન દૈને, પછિ શ્યામ ચાલ્યા સજ થૈને. ૧૮

દાદા ખાચરને રથમાંય, બેસાર્યા બહુનામિયે ત્યાંય;

ભગવાન છે ભક્ત આધીન, એવું દેખાડવા એહ દીન. ૧૯

બેઠા શ્રીહરિ સારથિ થઈ, હાંકે બળદને ચાબકો લઈ;

હાંક્યો અર્જુનનો રથ જેમ, દાદા ખાચરનો હાંક્યો તેમ. ૨૦

સંત હરિજન દર્શન કરે, છબિ જોઇને અંતરે ધરે;

જતાં સીમ કેરાળાની આવી, સારી શ્રીહરિયે તે શોભાવી. ૨૧

હરિજન દેવરાજ ધડૂક, પાડતા હતા ઘૌં તણો પોંક;

તેણે ઓળખ્યા અંતરજામી, લાવ્યા પોંક પુરો હર્ષ પામી. ૨૨

કૃપાનાથને અર્પણ કીધો, માવે સૌને મુઠી મુઠી દીધો;

ત્યાં તો ગામ વિષે થયું જાણ, જાન સાથે છે જીવનપ્રાણ. ૨૩

તેથી સૌ મળીને સામા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;

આવ્યા ભોજ ને વીરો ખુમાણ, આવિયા કાનો શેઠ સુજાણ. ૨૪

જસો ભક્ત ગોપાળ પટેલ, જેને પ્રભુપદ લગની લાગેલ;

સાખે તે કહિયે ચોરવડિયા, ભગવાન પટેલ દોમડિયા. ૨૫

એહ આદિક આવ્યા એ ઠામ, કર્યા પ્રેમે પ્રભુને પ્રણામ;

કહ્યું રાત રહો આંહિ આજે, પણ માન્યું નહીં મહારાજે. ૨૬

પછિ ઘી લાવી બળદોને પાયું, આપ્યું ભાતું જનોને સવાયું;

વિચર્યા ત્યાં થકી જગવંદ, ધાર ગામ ગયા ધર્માનંદ. ૨૭

ગામથી પૂર્વમાં શુભ ઠામે, રથ રાખ્યો ઉભો ઘનશ્યામે;

આવ્યા ગામના હરિજન ત્યાંય, તેનાં નામ કહું સુણો રાય. ૨૮

જેઠો લીંબો ઠુંમર કહેવાય, ડાહ્યો રંઘાણી સાખે લખાય;

સાખે મુંજપરો છે ગોપાળ, પ્રિય ચારેને કૃષ્ણ કૃપાળ. ૨૯

એહ આદિકે આવી એ ઠામ, કર્યા પ્રેમે પ્રભુને પ્રણામ;

કહ્યું સાંજ પડી ઘનશ્યામ, માટે રાત રહો એહ ઠામ. ૩૦

કહે કૃષ્ણ પીઠવડી અમે, ઉંટ મોકલ્યો છે પ્રાત સમે;

માટે જોતા હશે સહુ વાટ, રહિયે તો કરે તે ઉચાટ. ૩૧

પછિ ભક્તે મશાલો મગાવી, ઘણું તેલ પુરી પ્રગટાવી;

સહુ સાથે વળાવાને ગયા, તેથિ રાજી કૃપાનાથ થયા. ૩૨

થયું પીઠવડી માંહિ જાણ, પ્રભુ આવે છે પુરુષ પુરાણ;

સર્વ સત્સંગી એકઠા થયા, સૌને સારા સમાચાર કહ્યા. ૩૩

ભક્ત પીઠવડી તણા જેહ, તેનાં નામ કહું સુણો તેહ;

જોશી શીવો ને ગોવરધન, મોનજી દેવરામ જિવન. ૩૪

દેવકૃષ્ણ રાઘવજી એક, ઝિણા આદિક વિપ્ર અનેક;

હવે કાઠિ તણાં કહું નામ, જેને વાલા ઘણા ઘનશ્યામ. ૩૫

જીવો ચાંદુ ને કાંધો ખુમાણ, નાગપાળ ને પુજો સુજાણ;

સોની સામત ને સુત પુજો, જેને સત્સંગ મારગ સૂજ્યો. ૩૬

કોઠારી પ્રેમજી તથા વાલો, ધણી ધાર્યા જેણે ધર્મલાલો;

હીરો પુજા બે જાણો પટેલ, સારો અર્જુન પણ સમજેલ. ૩૭

વાઘો રામજી જાદવ જાણો, દેવરાજ ને ડાહ્યો પ્રમાણો;

પાંચો ઠાકરશી અને વસ્તો, જેણે જાણ્યો છે મોક્ષનો રસ્તો. ૩૮

પ્રભુ ભક્ત પટેલ જેરામ, તેના પુત્રનું અર્જુન નામ;

ગોવો દેવશિ ને ભગો જસો, જેના જીવમાં સત્સંગ ઠસ્યો. ૩૯

એ તો સર્વે સુવાગિયા સાખે, પ્રીતિ પ્રભુપદમાં બહુ રાખે;

ભગો મૂળો પટેલ કલ્યાણ, વળિ પ્રેમજી પોંકિયો જાણ. ૪૦

ખીમો ખુંટ ભગો રાજો કલો, હરજી લીંબો માલાણિ ભલો;

રુડો સાવલિયો મહામુક્ત, ચાર પુત્ર તેના હરિભક્ત. ૪૧

રાજો દેવજી કરશન કાનો, ભક્ત એકે નથી એમાં છાનો;

ભાયો સાવલિયો સુત નરસી, તેના પુત્ર આંબો ને ધરમશી. ૪૨

સાખે શીંગાળાનાં કહું નામ, ધનો બેચર ને વિશરામ;

વિશરામ તણો સુત વસ્તો, તે તો ધર્મને મારગે ધસ્તો. ૪૩

એહ આદિક ત્યાંના નિવાસી, મળ્યા નિર્ખવાને અવિનાશી;

પરગામથી આવેલા જેહ, તેનાં નામ કહું સુણો તેહ. ૪૪

બધા ગણતાં તો આવે ન પાર, કહું મોટા મોટા સરદાર;

સેંજળેશ સાદૂળે ખુમાણ, જેની ભક્તિનાં થાય વખાણ. ૪૫

જેણે કરવા પ્રભુને પ્રસન્ન, કર્યાં અર્પણ તન મન ધન;

જોતાં જેહનું ઉત્તમ જ્ઞાન, પડે ઝાંખા પ્રહ્‌લાદ સમાન. ૪૬

ત્રણ પુત્ર તેનાં કહું નામ, માણશીયો કાંથડ ને મેરામ;

શેલણે વાજસુર ખુમાણ, ભમોદ્રાના તો ઓઘડ જાણ. ૪૭

મોટા ભક્ત તે બે થયા કેવા, અંબરીશ ને જનકજિ જેવા;

એનો ભાળીને ઉત્તમ ભાવ, મન રીઝે મનોહર માવ. ૪૮

તેના દિલમાં દિસે નહીં દંભ, થયા બે સતસંગના થંભ;

પછિ તેનો થયો પરિવાર, ભલો તે પણ ભક્ત ઉદાર. ૪૯

ઝીંઝુડાના તો ખૂમાણ દાનો, વાઘો માતરો તે પણ ત્યાંનો;

કાઠિ હાથીયો પણ સાથ હતા, જોવા કૃષ્ણને આતુર થતા. ૫૦

વંડા ગામના ઉનડ ધીર, તેના પુત્ર મામૈયો હમીર;

એહ આદિક જે હતા આવ્યા, થયા સજ્જ સામૈયામાં જાવા. ૫૧

ચાલ્યા સામૈયે સૌ સજ થઈ, વાજાં વિવિધ પ્રકારનાં લઈ;

સરદારો થયા અસવાર, પ્રગટાવિ મશાલો અપાર. ૫૨

ઘણા હરિજન ચરણથિ ચાલે, હાથે પૂજાનો સામાન ઝાલે;

કોઈયે લીધા પુષ્પના હાર, લીધાં કોઇયે શ્રીફળ સાર. ૫૩

કોઈ તાલ મૃદંગ બજાવે, કોઈ ગરબી તાળિ પાડિ ગાવે;

દસરાની જેવી અસવારી, સામૈયું ચાલ્યું એ અનુસારી. ૫૪

વાટે દેવા મશાલીને તેલ, કુડલાં ધર્યાં ગાડે ભરેલ;

વસે વાણિયા ઝીંઝૂડે ગામ, કરે તેલ દીધાનું તે કામ. ૫૫

મોદી આંબો ને વીઠ્ઠલ બેય, લાધો સોરઠિયો તહાં છે;

સુત જાણો તેનો જિવરાજ, કરે તે પણ ત્યાં તેહ કાજ. ૫૬

એક રાઠોડ ભક્ત કલ્યાણ, રહે પીઠવડીમાં સુજાણ;

તેના પુત્ર ભલા ભગો લાધો, જેણે સ્નેહથી સત્સંગ સાધ્યો. ૫૭

કરે રાઠોડ જનનો સમાજ, દારૂખાનું છોડ્યા તણું કાજ;

તેમાં કલ્યાણ તો કાવ્ય કરે, કોઠિ દારુનિ કર માંહિ ધરે. ૫૮

પાંચ પીપરનો કુવો જ્યાંય, ગયું સામૈયું તે બધું ત્યાંય;

અવિનાશિ તણી અસવારી, ત્યાં તો જાન સહિત પધારી. ૫૯

ગંગા સાગરમાં મળે જેમ, મળી તે બેય અસ્વારી તેમ;

એહ શોભાની શી કહું વાત, શેષનાગ ન કહિ શકે ભ્રાત. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

મિલિત સુજનવૃંદ જેહ ઠામ, હરિવરને હરખી કરે પ્રણામ;

નિરધન જનને નિધાન1 જેમ, હરખ વધે મળવાથી થાય તેમ. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિઉત્તમરાજ-પીઠવડીપુરગમનનામૈકોનચત્વારિંશો વિશ્રામઃ ॥૩૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે