કળશ ૮

વિશ્રામ ૪

પૂર્વછાયો

કૃપાનિધિ કારિયાણિયે, જમી ચાલીયા જગદાધાર;

સુંદરિયાણે સંચર્યા, આવ્યા હરિજન સામા અપાર. ૧

ચોપાઈ

વાજતે ગાજતે પધરાવ્યા, સૌને સારા ઉતારા અપાવ્યા;

ડોસા ખાચરનો દરબાર, ઉતર્યા પ્રભુ પ્રાણઆધાર. ૨

લીંબડો હતો ત્યાં ફળિયામાં, સભા ત્યાં સજી તેહ સમામાં;

બેઠા સંત તથા હરિજન, બોલે શ્રીહરિ મધુર વચન. ૩

ભગા શેઠનો સુત પીતાંબર, જેની સાત વરસની ઉમર;

તેણે કીધા આવીને પ્રણામ, જોઇ બોલિયા સુંદરશ્યામ. ૪

મન નિર્મળ છે અતિ આનું, નેણમાં ઝળકે નથી છાનું;

સતસંગી ઘણો સારો થાશે, ઘણા જન માંહિ મુખ્ય ગણાશે. ૫

એવામાં વના શેઠને ઘેર, કર્યો વર્ષિયે થાળ સુપેર;

વના શેઠે કહ્યું શીર નામી, ચાલો જમવાને અંતરજામી. ૬

પછી જમવા પધાર્યા જીવન, વના શેઠ તણે જ સદન;

મોજડીયો મુકી ફળિયામાં, અવિનાશી ગયા ઓરડામાં. ૭

ભગાશેઠ તનુજ પીતાંબરે, દીઠી મોજડી એ અવસરે;

જાણ્યું કોઇક આ લઇ જાશે, માટે રાખું હું સાચવી પાસે. ૮

પછી મોજડીયો તે ઉપાડી, નિજ અંગરખામાં સંતાડી;

જમી ઉઠિયા જીવન જ્યારે, લાગ્યા મોજડી શોધવા ત્યારે. ૯

ત્યારે પીતાંબરે કરી હાસ, મુકી મોજડી શ્રીહરિ પાસ;

જોઈ રાજી થયા મુનિનાથ, મુક્યો તેહને મસ્તકે હાથ. ૧૦

પછી જૈને તળાવની પાળે, સભા ત્યાં કરી દીનદયાળે;

બેઠા સત્સંગી ને બેઠા સંત, કરે પ્રશ્ન ઉત્તર ભગવંત. ૧૧

બ્રહ્મઆનંદની વૃષ્ટિ થાય, કાંઇ ઉપમા કહી નવ જાય;

દોઢ પોર રાત1 ગઈ તોય, ત્યાંથી ઉઠવા ઇચ્છે ન કોય. ૧૨

ત્રિભુવનપતિ બોલિયા ત્યારે, સુઓ સંતો જઈને ઉતારે;

હરિજન પણ ગામમાં જાઓ, અમ પાસે થોડાક રોકાઓ. ૧૩

અહિં વાય છે સારો પવન, અમે તો આંહિ કરશું શયન;

ચોકી પેરા તણો બંદોબસ્ત, તમે કરજો મળીને સમસ્ત. ૧૪

સુણી આજ્ઞા ચડાવીને માથે, કર્યું એ રીતે સૌ જન સાથે;

તહાં પોઢી રહ્યા પ્રભુ રાતે, પછી ઉઠીને ચાલ્યા પ્રભાતે. ૧૫

હરિભક્ત વળાવાને આવ્યા, ગાઉ સૂધિ તો સાથે સિધાવ્યા;

વળો એમ કહ્યું વારે વારે, સતસંગી વળ્યા સહુ ત્યારે. ૧૬

પ્રભુ વેજળકે રુડી પેર, ઉતર્યા ભીમ પંડ્યાને ઘેર;

હરિભક્ત રસોઇ કરાવી, જમ્યા સૌ મનમાં મુદ લાવી. ૧૭

પછી ધોળકે જઇ રહ્યા રાત, ત્યાંથી પરવર્યા ઉઠી પ્રભાત;

ચાલ્યા જેતલપર ઘનશ્યામ, આવ્યું ત્યાં વચમાં એક ગામ. ૧૮

હતા વાઢ2 ત્યાં શેલડી તણા, કોલ3 ફરતા હતા તહીં ઘણા;

સુરા ખાચરે જૈ જોયું ધારી, ધોળી શેલડીયો દિઠી સારી. ૧૯

એના અંતરમાં એમ આવ્યું, શેલડી શ્રીહરિને ધરાવું;

વાઢના પતિને કહિ વાત, હરિ આવ્યા છે આંહિ સાક્ષાત. ૨૦

તેનું સ્વામિનારાયણ નામ, કર્યો છે ઝાડ હેઠે વિરામ;

સંત હરિજન છે ઘણા સાથે, પ્રભુ રાજી થશે તમ માથે. ૨૧

આપો શેલડીયો મુલ લૈને, પ્રભુને હું ધરાવીશ જૈને;

વાઢવાળો બોલ્યો વેણ સારાં, ધન્ય ભાગ્ય છે આજ અમારાં. ૨૨

ક્યાંથી આંહિ આવે જગદીશ, ભેટ શેલડી હું જ કરીશ;

પછી શેલડીનું ગાડું ભર્યું, જૈને શ્રીહરિને ભેટ કર્યું. ૨૩

સાંઠા કૃષ્ણે કર્યા અંગિકાર, વેં’ચ્યા નિજજનને તેહ વાર;

ત્યાંથી ચાલિયા સૌ જન સાથ, ગયા જેતલપુર જગનાથ. ૨૪

રહ્યા શ્રીહરિ ત્યાં જઇ રાત, સેવ્યા ભક્તજને ભલી ભાત;

ગંગામાએ કર્યો તહાં થાળ, જમ્યા જીવન જન પ્રતિપાળ. ૨૫

બીજે દિવસ તળાવની પાળે, સભા સારી સજી વૃષલાલે;

મેમદાવાદના તેહ ઠામ, આવતા હતા દુર્લ્લભરામ. ૨૬

હતા ઘોડી ઉપર અસવાર, પ્રભુ પાસે જવાનો છે પ્યાર;

ઘોડી જાવા લાગી ગામ ભણી, ખેંચે દુર્લ્લભરામ તો ઘણી. ૨૭

એવું જોઇને સુંદરશ્યામ, સભાજનને કહે તેહ ઠામ;

જુવો ભક્તો તમાસો આ કેવો, દેવા યોગ્ય છે દૃષ્ટાંત જેવો. ૨૮

દ્વિજને આવવું છે તો આંહીં, ઘોડી લૈ જાય છે ગામ માંહી;

બળ દુર્લ્લભરામમાં હશે, તો તે આ સભા પાસ આવશે. ૨૯

ઘોડીનું બળ ઝાઝું જણાશે, તો તે ગામ ભણી લઈ જાશે;

તેમ જે બળીયો જીવ હશે, તે તો અક્ષરધામમાં જશે. ૩૦

બળ ઓછું હશે જેહમાંઇ, માયા ખેંચી જશે તેને ક્યાંઈ;

પછી જોરથી દુર્લ્લભરામ, આવ્યા જ્યાં હતા શ્રીઘનશ્યામ. ૩૧

પ્રણમ્યા પ્રભુને પગે જ્યારે, ધન્ય ધન્ય બોલ્યા હરિ ત્યારે;

કહ્યું એવી જ રીતે સદાઈ, માયાને તમે જીતજો ભાઇ. ૩૨

વળી બોલિયા શ્રીહરિ વાત, તમે સાંભળો સૌ જનજાત;

પ્રભુને છે તો એવો વિચાર, સૌને ઉતારવા ભવપાર. ૩૩

પણ જીવના અવળા સ્વભાવ, તેથી બુડી મરે છતાં નાવ;

કહું છું તેનું દૃષ્ટાંત એક, સર્વ સાંભળો રાખી વિવેક. ૩૪

એક વાદી4 હતો નદી તીર, નદીમાં પુર આવેલું નીર;

લીધો સર્પનો કંડીયો માથે, હતું બકરું તે ઉપાડ્યું હાથે. ૩૫

ખભે માંકડાને તો બેસાર્યું, ત્રણેને પાર લઇ જવા ધાર્યું;

જ્યારે કેડ સમે જળે આવ્યો, મર્કટે5 ત્યાં સ્વભાવ જણાવ્યો. ૩૬

ઢાંકણું કંડીયાનું ઉઘાડ્યું, ત્યારે સર્પ સ્વરૂપ દેખાડ્યું;

વશ્ય જાતિસ્વભાવને થઈ, પડ્યો મર્કટ ઊપર જઈ. ૩૭

માંકડાંની મતિ પણ જુદી, પડ્યો પાણી વિષે જઈ કુદી;

બકરું પણ તે બુદ્ધિહીન, ન રહ્યું જ વાદીને આધીન. ૩૮

જોરે કુદી પડ્યું જળમાંઇ, ગયાં તે રીતે ત્રણે તણાઇ;

વાદીયે તો લેવા માંડ્યાં સાથે, પણ એકે રહ્યું નહિ હાથે. ૩૯

ગયાં તેને સ્વભાવે તણાઇ, તેમાં વાદીનો વાંક શો ભાઇ;

તેમ જીવને ભવજળપાર, તારવાનો પ્રભુનો વિચાર. ૪૦

પણ પોતપોતાને સ્વભાવે, જીવ સંસારમાં ઝંપલાવે;

એવી વાત ઘણી ઘણી કરી, હરિભક્તોયે હૈયામાં ધરી. ૪૧

ગઢડાનો નાથો ભાવસાર, હતો હાસ્યવાણી બોલનાર;

તેણે કૌતકી6 વાણી કરીને, ઘણી વાર હસાવ્યા હરિને. ૪૨

એમ કરતાં ગઈ મધ્યરાત, પછી પોઢી રહ્યા જગતાત;

પોઢ્યા સંત જઇને ઉતારે, વળી સર્વ તે ઉઠ્યા સવારે. ૪૩

પૂર્વછાયો

જેતલપુરમાં જગપતિ, વસ્યા બેય દિવસ નિશિ વાસ;

સુખ દીધાં સતસંગિને, કર્યા જ્ઞાનનો અધિક પ્રકાશ. ૪૪

ચોપાઈ

સુખ સત્સંગિને દીધું જેહ, મુખે વર્ણન થાય ન તેહ;

પછી ત્યાંથી પ્રભુજી સિધાવ્યા, મેમદાવાદમાં હરિ આવ્યા. ૪૫

ત્યાંથી વાલો આવ્યા વરતાલ, ધર્મરક્ષક ધર્મનો લાલ;

ઉતર્યા હરિમંડપ માંય, બીજા સર્વે ઘટે જેમ જ્યાંય. ૪૬

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃષસુત ઉપદેશ નિત્ય દે છે, નિજજનનાં મન શુદ્ધ તે કરે છે;

અતિશય હરિ છે દયાળુ એવા, નહિ નહિ કોઈ કૃપાળુ કૃષ્ણ જેવા. ૪૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિ વૃત્તાલયઆગમનનામ ચતુર્થો વિશ્રામઃ ॥૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે