કળશ ૮

વિશ્રામ ૪૪

પૂર્વછાયો

વર્ણિ કહે નૃપ સાંભળો, ચાલ્યા બોરુ થકી બળવંત;

એકાદશીએ સંધ્યા સમે, વરતાલ આવ્યા ભગવંત. ૧

ચોપાઈ

વરતાલ વિષે થઈ વાત, આવે છે સંઘ લઈ જગતાત;

સતસંગી ને સંતસમાજ, ગયા સામૈયું કરવાને કાજ. ૨

કરાવી અગણીત મશાલો, અન્યોઅન્ય કહે ચાલો ચાલો;

લીધા પુષ્પના તોરા ને હાર, લીધાં વાજિંત્ર વિવિધ પ્રકાર. ૩

પ્રભુને કર્યા જૈને પ્રણામ, પૂજ્યા પ્રેમથી શ્રીઘનશ્યામ;

હાર તોરા ચડાવ્યા હરીને, મળ્યા સર્વને સ્નેહ કરીને. ૪

આવ્યા મંદિર માંહી જીવન, કર્યાં દેવ તણાં દરશન;

થોડી વાર ઉભા રહિ ત્યાંય, ઉતર્યા હરિમંડપ માંય. ૫

બીજા સૌને જેને ઘટે જેમ, આપ્યા ઉતારા ઉત્તમ એમ;

એ જ અવસરે વટપુર થકી, મુક્તાનંદ આવ્યા તહાં નકી. ૬

મતવાદિઓને જિતિ આવ્યા, સારો સંદેશો ભૂપનો લાવ્યા;

પ્રભુને કહ્યું પ્રણમીને પાય, ભૂપ આપને મળવા ચહાય. ૭

વારે વારે કહ્યું મુજ કને, ક્યારે મળશે મહાપ્રભુ મને;

તેડાવ્યાનો કરે છે વિચાર, પેખ્યો ભૂપનો પૂરણ પ્યાર. ૮

મતવાદીને જીતિયા જેહ, જાણિ રાજી થયા પ્રભુ તેહ;

આપ્યો ઉરથી પ્રસાદિનો હાર, પ્રશંસા કરી વારમવાર. ૯

તેના મંડળના સહુ સંત, ભેટ્યા તેઓને શ્રીભગવંત;

એ જ એકાદશી તણી રાતે, વરતાલમાં સૌ જન જાતે. ૧૦

દીઠાં રુક્મિણી દ્વારિકાનાથ, ગોમતિ આદિ તીરથ સાથ;

જન જાગિયા જ્યારે પ્રભાત, કરિ તેહ પરસ્પર વાત. ૧૧

દ્વાદશી દિન શ્યામશરીર, ગયા ધારુ તળાવને તીર;

આંબાનું વન છે તેહ ઠામ, બેઠા સિંહાસને સુખધામ. ૧૨

શાર્દૂલવિક્રીડિત

આંબાનાં બહુ ઝાડઝુંડ ઝુકિયાં છે મોર બેઠો ઘણો,

કૂકૂકૂ સ્વર કોકિલા બહુ કરે તેવો મયૂરો તણો;

સૌખ્યે ત્યાં શુક સારિકા બહુ વસે વાયૂ ત્રિધા ત્યાં વહે,

શ્રીજી ધારુતળાવ નેણ નિરખી છે સારું સારૂં કહે. ૧૩

ઉપજાતિવૃત્ત

શ્રી અક્ષરાનંદ મુનીંદ્ર જેહ, ખોદાવિયું ખૂબ તળાવ તેહ;

નિહાળિને રાજિ થયા દયાળ, કહે પ્રભુજી વળિ તેહ કાળ. ૧૪

આ ખોદવાનું હજિ છે અધૂરું, હવે કરાવો મુનિ તેહ પૂરુ;

માંડ્યું મુનિએ સુણિને કરાવા, મહાપ્રભુને મુદ ઊપજાવા. ૧૫

પછી પ્રભૂ મંદિર સંચરીને, બેઠા સુશોભીત સભા ભરીને;

બોલ્યા હરી હાથ ઉંચા કરીને, સુણો તમે સ્વસ્થ ચિતે ઠરીને. ૧૬

શ્રીદ્વારિકાધીશ પ્રસન્ન થૈને, આવ્યા અહીં સર્વ સમાજ લૈને;

સદા અહીં તે કરશે નિવાસ, પ્રતાપ પૂરો કરશે પ્રકાશ. ૧૭

કહે જનો સત્ય કહી કથા તે, અમે કર્યાં દર્શન આજ રાતે;

તેનો અમે મર્મ કશો ન જાણ્યો, ભલે પ્રભુ શ્રીમુખથી વખાણ્યો. ૧૮

શ્રીજી કહે સૌ સુણજો સમાજ, કહું તમારા હિતને જ કાજ;

દ્વારામતી આ વરતાલ જાણો, એમાં નહીં સંશય કાંઈ આણો. ૧૯

શ્રીલક્ષ્મિનારાયણ દેવ જે છે, શ્રીદ્વારિકાધીશ સ્વરૂપ તે છે;

શ્રીગોમતીજી પણ દિવ્ય વેશે છે, આવિયાં તે અહિં જન્મ લેશે. ૨૦

તે જન્મ લૈને જળરૂપ થાશે, ત્યારે સદા સૌ જનને જણાશે;

તે માટે તેને વસવાનું ઠામ, કરો મળીને સહુ પૂર્ણકામ. ૨૧

જો કાલથી પૂનમ સુધિ થાય, તો કામ સંપૂરણ તે કરાય;

પ્રતીપદાને દિન જન્મ લેશે, તે ગોમતી તે સ્થળમાં રહેશે. ૨૨

બોલ્યા જનો હે હરિ મેઘશ્યામ, પ્રભાતથી તે કરશું જ કામ;

એવું કહી સર્વ ગયા ઉતારે, જાગ્યા થયો કાળ પ્રભાત જ્યારે. ૨૩

નિત્યક્રિયા તે કરિ સજ્જ થૈને, મંડ્યા સહૂ ધારુતળાવ જૈને;

મહાપ્રભુ તેહ તળાવ પાળે, બિરાજિયા જૈ વળિ તેહ કાળે. ૨૪

મંડ્યા હરિભક્ત તહાં હજારો, રીઝાવવા ધર્મ તણો દુલારો;

લૈ ટોપલા ગાળ ઉપાડિ જાય, પ્રત્યેક સાથે મમતે ભરાય. ૨૫

મટોડિ ત્યાં શ્રીહરિએ ઉપાડી, ઘણાક શ્રીમંત હતા અગાડી;

ઓઢેલ શેલાં વળિ શાલ જેણે, તેમાં ભરી લીધિ મટોડિ તેણે. ૨૬

વડોદરાના નર નારુપંત, મહીપતી ઉત્તમ દ્રવ્યવંત;

એવા હતા તે પણ તેહ ટાણે, તે કામમાં મંડિ પ્રમોદ આણે. ૨૭

ઉંચે સ્વરે સૌ જયકાર બોલે, આનંદ સૌને ઉપજયો અતોલે;

જૈ સર્વને દર્શન કૃષ્ણ દે છે, કૃપાનિ દૃષ્ટીથિ ખુશી કરે છે. ૨૮

ત્યાં એક ખોદી વળિ ખાડ એવી, જોતાં દિસે આકૃતિ વાવ્ય જેવી;

એવી રિતે કામ અનેક ઠામ, કરે જનો કૃષ્ણ પ્રસન્ન કામ. ૨૯

સારી રિતે પૂનમ સુધિ ત્યાંય, ચાલ્યું ઘણું કામ તળાવમાંય;

ત્યાં પુષ્પદોલોત્સવ દિન આવ્યો, ભલો સહૂના મન માંહિ ભાવ્યો. ૩૦

પ્રભાતમાં ઊઠિ કૃપાનિધાન, કરી લિધી નિત્ય ક્રિયા નિદાન;

સાથે લઈ વાડવ1 વેદજાણ, તળાવ ચાલ્યા વૃષવંશભાણ.2 ૩૧

સાથે લિધો સંત તણો સમાજ, સાથે લિધો પૂજન કૃત્ય સાજ;

જે ધર્મવંશી નર ત્યાં હતા તે, ચાલ્યા પ્રભૂ સાથ ખુશી થતા તે. ૩૨

આવ્યા હતા દર્શન કાજ જેહ, ગયા તળાવે જન સર્વ તેહ;

ગયા વળી ઉત્સવિયા સહૂ ત્યાં, વાજિંત્રવાળા જન તો બહૂ ત્યાં. ૩૩

જ્યાં વાવ્ય આકાર ખણેલ સારો, ઉભા તહાં જૈ વૃષનો દુલારો;

છે ખોદતા ત્યાં વળિ કૈક શાળા, કોદાળિ આદી લઇ પ્રેમવાળા. ૩૪

તેમાં હતા પાર્ષદ ભીમભાઈ, તેને કહે શ્રીહરિ સુખદાઇ;

તમે ખણો આ સ્થળ એક વાર, થશે તહાંથી જળ કેરિ ધાર. ૩૫

આજ્ઞા પ્રમાણે કર્યું એમ જ્યારે, જોરેથિ છૂટી જળધાર ત્યારે;

જાણે તહાંથી થઇ બાણગંગા,3 પ્રભુપ્રસન્નાર્થ પવિત્ર અંગા. ૩૬

દેખાઈ ત્યાં ગોમતિ મૂર્તિમાન, અત્યંત તે તેજ તણું નિધાન;

ગોપાળજી ને વળિ નંદરામ, મળી કર્યું પૂજન તેહ ઠામ. ૩૭

વિપ્રે કહી વેદવિધિ પ્રમાણે, તહાં કર્યું સ્થાપન તેહ ટાણે;

તે દેવિએ ત્યાં હરિકૃષ્ણ કેરી, ઉચ્ચારિ એ ઠામ સ્તુતી ઘણેરી. ૩૮

માલિની

  જય જય ભયહારી સર્વદા સૌખ્યકારી,

  વૃષકુળ તનુધારી મુક્તિદાતા મુરારી;

  અગણિત નરનારી આ સમામાં ઉદ્ધારી,

  વચન નિજ વિચારી શુદ્ધ લીધી અમારી. ૩૯

ઉપજાતિવૃત્ત

એવી રિતે ઊચરિ એહ ઠામ, પ્રેમે પ્રભૂને કરિને પ્રણામ;

નારી મટીને થઈ નીરરૂપ, ધારા વછૂટી બહુધા અનૂપ. ૪૦

શિરે હરીને અભિષેક કીધો, સ્વચિત્ત જાણે શુભ લાભ લીધો;

એવું વધ્યું ત્યાં જળ કેરું પૂર, જનો ગયા સૌ ડરિ ત્યાંથિ દૂર. ૪૧

શ્રીગોમતીનો શુભ જન્મ જાણી, જનો વદે સૌ જયકાર વાણી;

બહુ થયા બંદુકના બહાર, વાજિંત્ર વાજે વળિ ત્યાં અપાર. ૪૨

કોઈ જનો પુષ્પ વડે વધાવે, કોઈ જનો શ્રીફળ લૈ ચડાવે;

ત્યાં ઉત્સવો ઉત્સવિયા કરે છે, આનંદ ઝાઝો ઉરમાં ધરે છે. ૪૩

આકાશમાં દેવવિમાન છાયાં, રંભા4 મળી મંગળ ગીત ગાયાં;

રાજી થયા સૌ સુર ને સુરેશ, પુષ્પો તણી વૃષ્ટિ કરે વિશેષ. ૪૪

શ્રીજી બિરાજ્યા સર કેરિ પાળે, સિંહાસને વેદિ વિષે વિશાળે;

બેઠા સમીપે સહુ આવિ દાસ, બોલ્યા પ્રભુ તે જન સર્વ પાસ. ૪૫

આવ્યાં જુઓ ગોમતિ એહ ઠામ, તો ગોમતી આ સર કેરું નામ;

જે આવિને આ સરમાં નહાશે, તો ગોમતી તીર્થનું પુણ્ય થાશે. ૪૬

વૃત્તાલ દ્વારામતિથી વિશેષ, છે લક્ષ્મિનારાયણ દ્વારિકેશ;

આ ગોમતી ઉત્તમ તીર્થદેવી, આંહીં જ શંખાદિક છાપ લેવી. ૪૭

જે તપ્તમુદ્રા અહિં આવિ લેશે, દૂરે ડરીને જમડા રહેશે;

તેને જ સત્સંગિ ગણીશ મારો, માટે તમે સૌ જન છાપ ધારો. ૪૮

હુતાશનીની પડવે પ્રમાણો, તે ગોમતીનો દિનજન્મ જાણો;

તે વાસરે જે જન આંહિ આવે, પૂજા કરી ઉત્સવને કરાવે. ૪૯

સંતો તથા બ્રાહ્મણને જમાડે, તે પૂર્વનાં પાપ બધાં મટાડે;

પુત્રાદિ પામે ધન ધાન્ય પામે, અંતે વસે અક્ષર નામ ધામે. ૫૦

વૈકુંઠવર્ણી બટુ વાસુદેવ, તેને કહે શ્રીહરિ તર્તખેવ;

આપો તમે સૌ નર અંગ છાપ, જેથી ટળે ચિત્ત તણા ઉતાપ. ૫૧

તે વર્ણિયોએ પછિ છાપ દીધી, તે ધર્મવંશી નર સર્વ લીધી;

સંતે તથા સૌ સતસંગિયીએ, લીધી વળી સૌ વરણી જનોએ. ૫૨

ગંગાખ્ય માતા હરિભક્ત બાઈ, તેને કહે શ્રીહરિ સૌખ્યદાઈ;

દાદા દવેની જમના તનૂજા,5 છાપો તમે બાઈ જનોનિ ભૂજા. ૫૩

તે બે મળીને કૃત6 તેહ કામ, રાજી થયા તે થકિ મેઘશ્યામ;

વર્ણીન્દ્ર બોલ્યા વળિ વાસુદેવા, કહ્યું તમે હે હરિ છાપ લેવા. ૫૪

માટે કહ્યું તે કરશો ઉપાય, તો છાપ સૌથી સુગમ ધરાય;

જે ધામ કીધાં વળિ જેહ થાશે, જો છાપ સર્વ સ્થળમાં અપાશે. ૫૫

તો જેહને જ્યાં અનુકૂળ આવે, ત્યાં તે જઈને તવ છાપ લાવે;

કહે હરિ એમ કદી ન થાય, જ્યાં જે ક્રિયા યોગ્ય તહાં કરાય. ૫૬

જય દ્વારિકા ગોમતિ તીર્થ જ્યાં છે, છાપો તણો તો અધિકાર ત્યાં છે;

જે મારિ આજ્ઞા જ વિષે રહેશે, તે આવિને છાપ અહીં જ લેશે. ૫૭

તેને જ હું ભક્ત ગણીશ મારો, એ રીત બોલ્યા વૃષનો દુલારો;

વૃતાલના વાસિ કુબેરદાસ, તથા પગી જોબન તેહ પાસ. ૫૮

નારાયણાખ્યો ગિરિ સૌ મળી ત્યાં, દીધી રસોઈ હરિને વળી ત્યાં;

રસોઇ નારાયણ બાગ માંઈ, થૈ ધર્મવંશી જન કાજ ભાઈ. ૫૯

છે આમ્રની વાડિ તળાવ ઘાટે, કીધી રસોઈ તહિ સંત માટે;

સમસ્ત વિપ્રો અરથે રસોઈ, તહાં કરાવી શુભ ભૂમિ જોઈ. ૬૦

નારાયણાનંદ બટૂ મહાંત, તે આવિ બોલ્યા પ્રભુ પાસ શાંત;

છે જન્મદાડો બદરીશ કેરો, ઉત્સાહ છે સૌ જનને ઘણેરો. ૬૧

રંગે રમ્યાનો દિન આજ સારો, માટે પ્રભૂ મંદિરમાં પધારો;

સુણી ગયા મંદિરમાં ઉમંગે, રમ્યા સખા સંગ વિશેષ રંગે. ૬૨

પછી પ્રભૂ ગોમતિયે જઈને, નાયા સહૂ સાથે ખુશી થઈને;

પછીથિ નારાયણબાગ માંય, પધારિયા શ્રી વૃષવંશરાય. ૬૩

પછી અયોધ્યાખ્ય પ્રસાદ કેરી, નામે સુનંદા સુશિલા ઘણેરી;

વીર્જા રઘૂવીર તણી સુપત્ની, જે છે પ્રભૂને ભજવા પ્રયત્ની. ૬૪

રસોઈ તે બેય મળી બનાવી, જમ્યા પ્રભૂ ભાવ વિશેષ લાવી;

થયા દ્વિજોના પણ પાક સિદ્ધ, સંતો તણા પાક થયા પ્રસિદ્ધ. ૬૫

થૈ પંક્તિયો ગોમતિ કેરિ પાળે, આશ્ચર્ય પામી જન સૌ નિહાળે;

દીધી દ્વિજોને બહુ દક્ષિણાઓ, કૃતાર્થ તે વિપ્ર થયા ઘણાઓ. ૬૬

સાયં સમે મંદિર માંહિ જૈને, બેઠા સભામાં હરિ સ્વસ્થ થૈને;

પૂજા કરી સૌ સતસંગિવૃંદે, કરી સુ વાર્તા વૃષવંશચંદે. ૬૭

સત્સંગિના સંઘ કર્યા વિદાય, રહ્યા હરી શ્રીવરતાલ માંય;

શ્રીગોમતી સ્થાપન જેહ કીધ, સર્વત્ર તે વાત થઈ પ્રસિદ્ધ. ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃતપુર કૃત ગોમતી નિવેશ, રુકમણિ યુક્ત પ્રસિદ્ધ દ્વારિકેશ;

પુનિત ચરિત તે સુણે સુણાવે, ફરિ ભવ માંહિ કદાપિ તે ન આવે. ૬૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

ધારુતડાગેશ્રીગોમતી-પ્રતિષ્ઠાનિરૂપણનામ ચતુશ્ચત્વારિંશત્તમો વિશ્રામઃ ॥૪૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે