કળશ ૮

વિશ્રામ ૫૦

પૂર્વછાયો

પાંડે અયોધ્યાપ્રસાદજી, રઘુવીરજી જેનું નામ;

આવ્યા ધવળપુરમાં મળી, કર્યા પ્રભુને દંડ પ્રણામ. ૧

ચોપાઈ

દેખી રાજિ થયા દીનનાથ, મુક્યા બેયને મસ્તકે હાથ;

શિક્ષાપત્રિયો બેય મગાવી, આપિ બેયને હેતે બોલાવી. ૨

કહ્યું પાઠ તમે નિત્ય કરજો, એમાં છે લખ્યું એમ આચરજો;

જે જે શિષ્ય તમારા ગણાય, વરતાવજો તેને સદાય. ૩

દાદા ખાચરને પછિ આપી, કહ્યું વર્તજો એમ સદાપી;

સર્વે લાગ્યા પ્રભુજિને પાય, કહ્યું વર્તશું એમ સદાય. ૪

રાધાકૃષ્ણની મૂર્તિયો જેહ, ગઢપુર થકી લાવિયા તેહ;

ગાંફના દેવકૃષ્ણજિ વ્યાસે, હાલ છત્રિ કરાવેલિ ભાસે. ૫

હતો ઓરડો ઉત્તમ ત્યાંય, મુકી મૂર્તિયો લાવી તે માંય;

મૂર્તિ જોવા આવ્યા મુનિનાથ, હેતે ફેરવ્યો ઉપર હાથ. ૬

રાજિ થૈ બોલ્યા વિશ્વવિહારી, મૂર્તિ છે ઘણિ ચમતકારી;

વધશે એનો પ્રૌઢ પ્રતાપ, કીધે દર્શન ટાળશે પાપ. ૭

ઉતારે આવિ ધર્મકુમારે, હરિભક્તોને કહિ તેહ વારે;

કંકોતરિયો ઘણીક લખાવી, દેશોદેશ વિષે મોકલાવી. ૮

ચાલે મંદિરનું નિત્ય કામ, પાસે બેસિ જુવે ઘનશ્યામ;

દિસે મંદિર ઉત્તર દ્વારે, ઓપે મેરુ શિખરને આકારે. ૯

થોડા દિવસ આડા રહ્યા જ્યારે, વાલે મનમાં વિચારિને ત્યારે;

ઉમરેઠવાસી હરિભાઈ, વેદપુરુષ તેડાવિયા ચહાઈ. ૧૦

તેણે મંડપ કુંડ કરાવ્યો, શુદ્ધ શાસ્ત્ર પ્રમાણે બતાવ્યો;

બીજા વિપ્ર ઘણાક તેડાવ્યા, તેઓને વરુણીમાં વરાવ્યા. ૧૧

વિપ્ર આવિયા જે વિદવાન, તેનાં નામ સુણો ધરિ કાન;

દવે નાગજી ઘોલેરાવાસી, વરુણીમાં વર્યા ગુણરાશી. ૧૨

વળી તેના હતા ત્રણ પુત્ર, વરુણીમાં વર્યા તેહ તત્ર;

વિરજી દેવેશ્વર અને ઘેલો, તેહ પ્રત્યેક શાસ્ત્ર ભણેલો. ૧૩

દેવેશ્વરનું આપું ઓળખાણ, તમે સાંભળો ભૂપ સુજાણ;

બાળાપણથિ તે વૈરાગ્યવંત, વિદ્યાવંત ને જ્ઞાનિ અત્યંત. ૧૪

શ્રીજિ ધામ ગયા પછિ એહ, ઇચ્છ્યા સંસાર તજવાને તેહ;

રઘુવીરજી આગળ તાતે, તેને સોંપ્યા જઈ ભલિ ભાતે. ૧૫

દીધી નૈષ્ઠિક દીક્ષા સ્વછંદ, નામ પાડિયું નિષ્કામાનંદ;

શિષ્ય નારાયણાનંદ કેરા, થૈને તે વખણાયા ઘણેરા. ૧૬

દેવી લક્ષ્મીનારાયણ પાસ, સદા વરતાલમાં કર્યો વાસ;

કથા ચાલતિ તે હવે કહું, સાંભળો ધરિને સ્નેહ બહુ. ૧૭

વરુણીમાં વર્યા બીજા જેહ, કહું નામ તેનાં સુણો તે;

ગાંફ ગામના રાવળ વસ્તો, જાણે વેદવિધાનનો રસ્તો. ૧૮

ભાઇજી મેઘજી અને જગો, પુજો નાગજી ને વ્યાસ ગગો;

પંડ્યા નાથજી હીરજી નામ, તથા ઓધવજી ગુણધામ. ૧૯

પરશોત્તમ ઠાકર જાણો, નામે બેચર બેય પ્રમાણો;

દેવકૃષ્ણ જગો બેય વ્યાસ, કરું શુક્લનાં નામ પ્રકાશ. ૨૦

નારાયણજિ અને હરિરામ, જગો શુક્લ તથા આશારામ;

પંડ્યા પીંપળિના લક્ષ્મીરામ, બીજા કેશવજી ગુણધામ. ૨૧

માવજી તથા જીવણ જાની, મે’તા ભાઇજી પણ બહુ જ્ઞાની;

ગામ પછિમના હરિજન, વિપ્ર જાદવ હરજીવન. ૨૨

જેઠો ઓધવજી રાજારામ, હવે રોઝકાનાં કહું નામ;

પુરાણી શિવશંકર બેય, એક ગોવિંદરામ કહેય. ૨૩

ત્રવાડી જયશંકર જગો, જાણે શાસ્ત્ર ઘણાં ભટ ગગો;

પંડ્યા વસ્તો રાઘવજી ભાણજી, પંડ્યા બેચર ને નારાયણજી. ૨૪

કૃષ્ણજી પરશોતમ મે’તા, રોઝકાના વાસી બ્રહ્મવેત્તા;

જોશિ ગામ ખડોળના જેહ, કૃષ્ણજી હરિ મેઘજી તેહ. ૨૫

હરિ રાવળ હરિના ઉપાસી, હવે ભડિયાદના કહું વાસી;

પરશોતમ ને મયારામ, જયશંકર જાદવ નામ. ૨૬

કહું ખરડના ભક્ત અખંડા, દવે બેચર ભીમજિ પંડ્યા;

ગામ ચોકડિના વિપ્ર ચારુ, રામેશ્વર નારાયણ અધ્યારુ. ૨૭

મહા ભક્ત મે’તા નંદરામ, રટે સ્વામિનારાયણ નામ;

અણિયાળિના જગજીવન, વજેરામ ભલા હરિજન. ૨૮

નારાયણ પરશોતમ પ્રીત, દમો રાઘવ બેય દીક્ષિત;

ગામ ઝીંઝરના હરિરામ, હંસરાજનું ભોળાદ ગામ. ૨૯

એહ આદિ વરુણિમાં વરિયા, જપ હોમ અનેક આદરિયા;

સ્થાપ્યા લક્ષ્મીનારાયણ જ્યારે, ક્રિયા જેવિ કરી હતિ ત્યારે. ૩૦

ક્રિયા એવિ જ સર્વે કરાવી, મૂર્તિ મંદિરમાં પધરાવી;

નામ મદનમોહન મહારાજ, ધાર્યું શ્રીજિયે જનહિત કાજ. ૩૧

તેમાં અદ્‌ભુત દેખાયું તેજ, જાણે શ્રીહરિ પ્રત્યક્ષ એ જ;

આરતી મહારાજે ઉતારી, સ્તુતિ સંતે મળીને ઉચ્ચારી. ૩૨

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, દેવ દુંદુભિ આકાશે ગાજે;

થાય બંદુક કેરા બહાર, થાય પુષ્પની વૃષ્ટિ અપાર. ૩૩

પુજાભાઈ આદિક હરિજને, ધરિ ભેટ ભૂષણ પટ ધને;

ભાલ દેશના ભક્ત અપાર, જે જે આવ્યાં હતાં નરનાર. ૩૪

સૌએ ભેટ ધરી ભલિ ભાતે, નહિ ખામિ રહી કોઈ વાતે;

હરિભક્તો પ્રત્યે મહારાજે, કહ્યું સાંભળતાં સૌ સમાજે. ૩૫

રૂપ મદનમોહન જાણો મારું, પૂજવાથિ આશા પુરનારું;

ધોલેરા પણ છે મુજ ધામ, જન જાત્રા કરે એહ ઠામ. ૩૬

મહિમા એનો મુનિવર જાણે, શતાનંદજિ સરખા વખાણે;

જપ તપ વ્રત જે આંહીં કરશે, તે તો માયાને પાર ઉતરશે. ૩૭

મોટાં ધામ થયાં અને થાશે, તેમાં આ પણ મોટું ગણાશે;

એવી વાત ઘણી ઘણિ કરી, સુણિ સૌ જને અંતરે ધરી. ૩૮

પછિ વિપ્ર તણી સર્વ નાત, જમાડી પ્રભુ ભલી ભાત;

સંત વર્ણિને ભોજન દીધું, દ્વિજોને દક્ષિણા દાન કીધું. ૩૯

નરસિંહ ચતુર્દશી આવી, રીઝ્યા ઉત્સવ એનો કરાવી;

પછિ પૂનમે પારણું કીધું, સભામાં બેસિ દર્શન દીધું. ૪૦

અદ્‌ભુતાનંદ નિષ્કુલાનન્દ, તેહ પ્રત્યે બોલ્યા જગવંદ;

તમે મંદિરનું બધું કામ, રહી પૂરું કરાવો આ ઠામ. ૪૧

કરી આજ્ઞા તે શીશ ચડાવી, લીધો લાવ પ્રભુને રિઝાવી;

ધોલેરા માંહિ ધર્મકુમાર, કર્યો એ રીતે જયજયકાર. ૪૨

ધન્ય ધોલેરાનાં હરિજન, જેણે અરપિયાં તન મન ધન;

ધન્ય ધન્ય તે ધોલેરા ધામ, કરિ લીલા ઘણી ઘનશ્યામ. ૪૩

ત્રીજે પો’રે ત્યાંથી વિદા થયા, પડવે દિન ગઢપુર ગયા;

કરે એવાં ચરિત્ર વિચિત્ર, ગાતાં સુણતાં થવાય પવિત્ર. ૪૪

પુષ્પિતાગ્રાવૃત્ત

ધવળપુર વિષે પધારિ પ્રીતે, કૃત હરિકૃષ્ણ ચરિત્ર રૂડિ રીતે;

મન ધરિ જન જે સુણે સનેહે, ભવજળ પાર પડે જ એહ દેહે. ૪૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિધવળપુરે મદનમોહનદેવપ્રતિષ્ઠાકરણનામ પંચાશત્તમો વિશ્રામઃ ॥૫૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે