કળશ ૮

વિશ્રામ ૫૫

પૂર્વછાયો

કૃપાનિધી કરમડ થકી, જવા વિચર્યા અમદાવાદ;

તે જોઈને રાજી થયા, નિજ અંતરે અવધપ્રસાદ. ૧

ચોપાઈ

ચાલ્યા કરમડથી કૃપાનાથ, ગયા શીયાણીયે સહુ સાથ;

માવો મેઘા પટેલને ઘેર, ઉતર્યા જઇને રુડિ પેર. ૨

ભટ શિવરામની દીકરી, બાઇ કુંવર્યે રસોઇ કરી;

તેનો ભાઈ મોરારજી નામ, તેણે પીરશું પ્રભુને તે ઠામ. ૩

જમ્યા જીવન જગતઆધાર, જેનો નિગમ ન પામે પાર;

રહ્યા પટેલને ઘેર રાત, પરવરિયા ઉઠીને પ્રભાત. ૪

ગયા તાવિયે ત્રિભુવનનાથ, મળ્યો ત્યાં સતસંગનો સાથ;

અખોભાઇ જેઠાભાઈ ભારો, પુજોભાઈ અદોભાઈ સારો. ૫

સૌએ સેવા સજી બહુ સારી, રહ્યા રાત તહાં ગિરધારી;

બીજે દિવસ ત્યાં સારંગપાણી, અદાભાઈ પ્રત્યે બોલ્યા વાણી. ૬

આજ વપન1 કરાવવું છેય, સારો વાળંદ તેડાવો તેય;

અદાભાઈએ તેડાવ્યો ત્યારે, વેલો વાળંદ આવ્યો તે વારે. ૭

બેઠા વપન કરાવાને શ્યામ, કોરે અસ્ત્રે કર્યું તેણે કામ;

અસ્ત્રો આકરો લાગ્યો અતીશે, નહિ સહન થયો જગદીશે. ૮

તજી તેહ બિજા બદલાવ્યા, એક એકથિ આકરા આવ્યા;

ફરે અસ્ત્રો તે જે સમે શીર, આવે નાથના નેણમાં નીર. ૯

હતા જાલમસિંહજિ પાસ, જેનો દેવળિયામાં નિવાસ;

કહ્યું તેણે કરીને પ્રણામ, સારો વાળંદ છે મુજ ગામ. ૧૦

થઈ અસ્વાર ત્યાં હું સિધાવું, તેને તરત અહીં તેડી લાવું;

એમ કહિને તરત ગયા ત્યાંય, વાલે વેલાને કીધો વિદાય. ૧૧

શાર્દૂલવિક્રીડિત

માથે અર્ધ દિસે હજામત કરી ત્યાં તેજ ભાસે ઘણું,

કેવી શ્રીહરિની છબી તહિં દિસે તે ભાવથી હું ભણું;

ગંગારૂપ દિસે શિખા અહિપતીની કંઠિ કંઠે કરી,

ચીખી ચંદ્રકળા શિરે ચળકતી શું નીલકંઠે ધરી. ૧૨

ચોપાઈ

પછિ સ્નાન કર્યું તહાં નાથે, ચાલ્યા ત્યાં થકી સંતની સાથે;

ચાલ્યા દેવળીયા ભણિ જ્યાંય, આવિ ડોળિ તલાવડી ત્યાંય. ૧૩

ત્યાં તો જાલમસિંહજી આવ્યા, એક વાળંદને સાથે લાવ્યા;

તેનિ કોથળિ તો તેહ રાયે, વળગાડિ હતી કંઠ માંયે. ૧૪

દીસે અસ્વાર તે તેહ ઠામ, ચાલે પેગડું ઝાલી હજામ;

તેને સંત ને હરિજને ભાળ્યા, ત્યારે પ્રેમના ગર્વ તે ટાળ્યા. ૧૫

મહીનાથ2 દિઠા નિરમાની, તે તો વાત નહીં કાંઈ નાની;

કદિ હાથમાં જેહ ન ઝાલી, તે તો કોથળિ કોટમાં ઘાલી. ૧૬

થઇ અસવાર દોડતા આવે, દોડતો સાથે વાળંદ લાવે;

સંત હરિજન ઉચર્યા એમ, ધન્ય ધન્ય અહો એનો પ્રેમ. ૧૭

પ્રભુને કર્યા તેણે પ્રણામ, કહ્યું નાથ આ આવ્યો હજામ;

લાવ્યા પાણી તણો ભરિ પ્યાલો, બેઠા વપન કરાવાને વાલો. ૧૮

બેઠા સંત સહુ આસ પાસે, બેઠા હરિજન દર્શન આશે;

મુક્તાનંદ કહે મહારાજ, કેવો વાળંદ આ કહો આજ. ૧૯

સુણિ બોલિયા શ્રીઘનશ્યામ, હતો વાળંદ જે તાવિ ગામ;

હતું જીવજોખમ તેહ વિષે, આમાં દેહનું જોખમ દીસે. ૨૦

સમઝ્યા સહુ વચનનો સાર, ઓલ્યાથી એહ સારો લગાર;

સુણો ભૂપ કહે વરણીજી, બનિ એવે સમે વાત બીજી. ૨૧

પૂર્ણાનંદ નિર્વિકારાનંદ, આવ્યા જ્યાં હતા સૌ મુનિવૃંદ;

નવ દીઠો ત્યાં બેસવા માગ, નવ દીઠો ત્યાં પેસવા લાગ. ૨૨

મનમાં આવિયું અભિમાન, કેમ બેસિયે છેવાડે સ્થાન;

આઘા જાય અને પાછા આવે, કોઇ સંત તેને ન બોલાવે. ૨૩

જોઇ સંતોને શ્રીજિ કહેય, જૂવો માનની મૂર્તિ આ બેય;

માન ખંડનની બહુ વાત, કહિ શ્રીજિ મુખે સાક્ષાત. ૨૪

માની ભક્ત મને નવ ગમે, માની જાય વહ્યો કોઈ સમે;

કામ ક્રોધ કદાપિ જિતાય, પણ માન થકી તો હરાય. ૨૫

માનિ ભક્તે સેવા ન સજાય, માનિથી નહિ આજ્ઞા મનાય;

માનિનું થાય જો અપમાન, સામો થાય તે શત્રુ સમાન. ૨૬

નિરમાનિ મને પ્રિય જેવો, માનિ ભક્ત નહીં પ્રિય તેવો;

એવી વાત કરી ભગવાન, કર્યું તેહ તળાવમાં સ્નાન. ૨૭

રહ્યા દેવળિયે જઇ રાત, સૌએ સેવા કરી ભલિ ભાત;

માવો ત્યાંથિ ગયા મછિયાવ, ત્યાંના ભક્તનો ભાળિને ભાવ. ૨૮

કર્યો ત્યાંથિ જઈને નિવાસ, અમદાવાદમાં અવિનાશ;

બદરીપતિનાં દરશન, કરિને જમ્યા થાળ જીવન. ૨૯

દિન આવ્યો પ્રબોધિનિ કેરો, સમૈયો તો ભરાયો ઘણેરો;

કર્યો ઉત્સવ તે રુડિ રીતે, પૂજ્યા શ્રીહરિને સૌએ પ્રીતે. ૩૦

પછિ સાંજે સભા સજિ શ્યામે, બેઠા પાંચસે સંત તે ઠામે;

માવે ખેશ મગાવ્યા અનેક, સર્વ સંતને આપ્યો અકેક. ૩૧

અતિ અંતરમાં ભાવ ધરી, પૂજા આનંદસ્વામિએ કરી;

એમ લીલા કરે અવિનાશી, વીતિ કાર્તિકી પૂરણમાસી. ૩૨

ચાલ્યા શ્રીપુરથી જગવંદ, ગયા જેતલપુર સુખકંદ;

સાથે લૈને ઘણા ઘણા સંત, ગયા ગામડિયે ગુણવંત. ૩૩

ત્યાંથિ ચાલ્યા હરી ધિમા ધીમા, આવિ ગામ કનીજનિ સીમા;

તહાં દીઠિ તળાવની પાળ, એક રાયણ વૃક્ષ વિશાળ. ૩૪

થોડિ વાર કર્યો ત્યાં વિરામ, ગયા મેમદાવાદમાં શ્યામ;

રહ્યા બેચરભાઈને ઘેર, સેવ્યા દુલ્લભરામે સુપેર. ૩૫

કર્યો સ્નેહે કરી તેણે થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;

જુનું મંદિર છે જેહ ઠામે, સભા ત્યાં સજિ સુંદરશ્યામે. ૩૬

કરિ સંપ વિષે ઘણિ વાત, સુણિ સર્વ થયા રળિયાત;

બીજે દિવસ મળી હરિજન, કહે ચાલો કરીને ભોજન. ૩૭

અતિ આગ્રહના શબ્દ ભાખ્યા, ત્યારે સંતોને જમવાને રાખ્યા;

ચાલ્યા ત્યાં થકિ શ્યામ સુજાણ, ઉતર્યા વડ હેઠ ડભાણ. ૩૮

સતસંગિયો સૌ મળિ આવ્યા, સિધુ સામાન તે સર્વ લાવ્યા;

બ્રહ્મચારિએ ત્યાં કર્યો થાળ, જમિ રાત રહ્યા ત્યાં દયાળ. ૩૯

પ્રભુ ચાલિયા પ્રાતસકાળે, વાલો વેગે આવ્યા વરતાલે;

રમાનાથનાં દર્શન કરી, હરિમંડપે ઊતર્યા હરી. ૪૦

બીજા સર્વને આપ્યા ઉતારા, જેને જેમ ઘટે તેમ સારા;

હરિજન ઘણા દર્શને આવે, જ્ઞાનવાત વાલો સંભળાવે. ૪૧

સૌને આનંદ થાય અપાર, એમ વીત્યા દિવસ ત્રણ ચાર;

અયોધ્યાવાસિ એ સમે આવ્યા, પરિવાર સાથે તેડિ લાવ્યા. ૪૨

રામપ્રતાપનો પરિવાર, તેનાં નામ સુણાવું આ ઠાર;

મોટા પુત્ર તેના નંદરામ, તેની પત્નિનું લક્ષમી નામ. ૪૩

નારાયણ રામશરણ બે પુત્ર, સારું શોભે તેનું ઘરસૂત્ર;

નંદરામ તણા સગા ભ્રાત, નામે ઠાકોરરામ વિખ્યાત. ૪૪

શિવકુંવર્ય તથા કઇલાસી, તેની પત્નિયો બેય સુવાસી;

રામસુખ તેહનો સુત જાણો, એ રીતે એનો વંશ પ્રમાણો. ૪૫

પુત્રિ રામપ્રતાપનિ એક, ધનુબા નામ જાણે વિવેક;

ઇચ્છારામનો કહું પરિવાર, વરીયાળિ જેની ઘરનાર. ૪૬

તેના પુત્ર ગોપાળજી આવ્યા, ત્રણ ભાઈને તે તેડિ લાવ્યા;

વૃંદાવનજિ અને સીતારામ, બદરીનાથ ત્રીજાનું નામ. ૪૭

ઇંદિરાવાસી ને ઇંદિરાસી, કમળા ત્રીજી સદગુણરાશી;

ત્રણ ભાઈનિ તે ભારજાઓ, વિવેકી સમજૂ વનિતાઓ. ૪૮

ઇચ્છારામનિ બેય દીકરી, નામ ફૂલશ્રી ને ફૂલઝરી;

મામા ગોપાળજી તણા જાણો, શિવદીનજિ નામ પ્રમાણો. ૪૯

વિશરામ ઘેલઈ ને સુબોધ, મામા શ્રીજિના તે ત્રણ જોદ્ધ;

વિશરામના પુત્રોનાં નામ, મંચ્છારામ તથા કન્હિરામ. ૫૦

ઘેલઇના તનુજ બેય જાણો, ગવરી તથા બદરી પ્રમાણો;

કહું સુબોધ કેરા કુંવર, જગન્નાથ અને વંસીધર. ૫૧

જાણો સીટન ત્રીજાનું નામ, આવ્યા તે સહુ વરતાલ ધામ;

કર્યાં શ્રીહરિનાં દરશન, થયાં તેથિ આનંદિત મન. ૫૨

શ્રીજિએ પણ સ્નેહ જણાવ્યો, જથાજોગ્ય ઉતારો અપાવ્યો;

નાવા ગોમતિયે જન જાય, જતાં આવતાં કીર્તન ગાય. ૫૩

શોભે અક્ષરધામ તે જેવું, ભાસે વરતાલ તે સમે તેવું;

લૈને વૃષકુળ સંત સમાજ, ગયા મેળાવ શ્રીમહારાજ. ૫૪

રસ્તે ક્યાંઇક કરતા મુકામ, પહોંચ્યા પ્રભુ ધોલેરે ધામ;

કરિ દેવનાં દર્શન ત્યાંય, ઉતર્યા હરિમંદિર માંય. ૫૫

કર્યો થોડા દિવસ ત્યાં નિવાસ, જગ્યા જે હતિ મંદિર પાસ;

ભળતી જાણિ કૃષ્ણને ભાવી, તથિ તે તો જગ્યા લેવરાવી. ૫૬

પછી ત્યાં થકિ સંચર્યા સ્વામી, બરવાળે ગયા બહુનામી;

હરી સાથે સખા અસવાર, નદિ ઉતાવળીનિ મોઝાર. ૫૭

જળ ભરતી હતી તહાં નારી, ઘોડાં પાવા રહ્યા ગિરધારી;

વસતાના તનુજ વશરામ, લુવાણા રહે બરવાળે ગામ. ૫૮

રાધા નામે તેની ઘરનાર, જળ ભરતી હતી તેહ ઠાર;

બિજિ સૂતાર ડાહ્યાનિ માય, જળ ભરતી હતી તેહ ત્યાંય. ૫૯

બેયે ભાળિયા શ્રીભગવાન, ભૂલિ ગૈ તેહ દેહનું ભાન;

નદી તીરે બેડાં મુક્યાં ખાલી, બેય શ્રીજિનિ પાછળ ચાલી. ૬૦

ગામ કુંડળ થૈને કૃપાળ, ગઢડે ગયા દીનદયાળ;

બેય બાઇયો ગઢપુર ગઈ, પ્રભુ માંઈ પ્રેમાતુર થઈ. ૬૧

બેઠા શ્રીજિ સભા સજિ ત્યાંય, બેઠિ બાઇયો બાઇયોમાંય;

સૂરા ખાચરે ત્યાં પછ્યો પ્રશ્ન, અહો સાંભળો હે હરિકૃષ્ણ. ૬૨

ભાગવત અમે સાંભળ્યું જ્યારે, ઉપજ્યું અતિ અચરજ ત્યારે;

ગોપિકાઓનો પ્રેમ અપાર, તજ્યા પુત્ર અને પરિવાર. ૬૩

ભુલિ દેહ તણું પણ ભાન, તેને લાગ્યું શ્રીકૃષ્ણથિ તાન;

હશે આજે કોઈ બાઈ એવી, કહિયે જેને ગોપિકા જેવી. ૬૪

સુણિ ઉચ્ચર્યા અંતરજામી, સરવેશ્વર સર્વજ્ઞ સ્વામી;

ગોપીયોથિ જેની અધિકાઈ, એવિ બાઇયો છે આજ ભાઈ. ૬૫

કહિ એમ કૃપા દૃષ્ટિ ધરી, બેય બાઈયોને ઉભી કરી;

પુછ્યાં તેઓનાં ગામ ને નામ, પુછ્યું આવ્યા તણું અહિં કામ. ૬૬

કહિ બાઈયોએ બધિ વાત, કહ્યાં નામ ને નાત ને જાત;

ભાળ્યા તમને અમે ભગવાન, તથિ ભૂલિ ગયાં તન ભાન. ૬૭

બેડાં મૂક્યાં નદી તણે તીર, આવ્યાં નિર્ખવા શ્યામ શરીર;

કહે રાધાને શ્રીહરિ ત્યારે, ત્રણ બાળકિયો છે તમારે. ૬૮

પાંચ માસનિ તે રોઇ મરશે, કોણ રક્ષણ તેહનું કરશે?

સુણિ બોલિયાં તે રાધાબાઈ, તમે રક્ષા કરી ગર્ભમાંઈ. ૬૯

તમે રક્ષણ કરશો જ તેમ, ચિંતા ચિત્તમાં રાખિયે કેમ?

વળિ તેને પુછે મહારાજ, તમે કેમ તજી લોકલાજ. ૭૦

કહે બાઇયો હે પ્રાણનાથ, તજ્યો છે અમે સર્વેનો સાથ;

તજ્યા ઘરધણિ ને ઘરબાર, તજ્યો સર્વ પ્રકાર સંસાર. ૭૧

કર્યું જીવિત પણ કુરબાન, લોકલાજ તો તૃણનિ સમાન;

તમે માથા થકી પ્રભુ મોંઘા, પ્રાણ સાટે મળો તોય સોંઘા. ૭૨

ત્યારે બોલ્યા હરિ તતખેવ, મને જો સમજો ઇષ્ટદેવ;

મારિ આજ્ઞાનો ભંગ ન કરો, નિજ ઘેર તમે પરવરો. ૭૩

સુણિ નેણમાં આવિયાં પાણી, બોલ્યાં ગદ્‌ગદ કંઠથિ વાણી;

વિના જળ મત્સ્ય જીવે ન જેમ, અમે તમ વિના જીવિયે કેમ. ૭૪

પછિ મૂર્તિ આગળ જ્યારે થઈ, ત્યારે બાઇયો બરવાળે ગઈ;

સુરાભક્ત આદી જન તેહ, અતિ આશ્ચર્ય પામિયા એહ. ૭૫

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રભુપદ પર પૂર્ણ પ્રેમવાળી, વ્રજજુવતીથિ વિશેષ ભક્ત ભાળી;

અગણિત જુવતી સુ એહ ટાણે, પ્રભુ ભજનારિ મહામુની વખાણે. ૭૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીવૃત્તાલયે-પ્રબોધિન્યુત્સવકરણનામ પંચપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે