કળશ ૮

વિશ્રામ ૫૮

પૂર્વછાયો

વર્ણિ કહે વસુધેશને, સુણો જીરણ ગઢ મહિમાય;

રાધારમણ દેવ સ્થાપિયા, હવે કહું છું તે કથાય. ૧

ચોપાઈ

હરિનવમી ચોરાશિયા કેરિ, કરિ વરતાલમાં રંગલેરી;1

પછિ ગઢપુરમાં રહિ શ્યામ, જુવે ચાલતું મંદિર કામ. ૨

સુખશજ્યાંનું છે જહાં સ્થાન, તહાં પોઢતા શ્રીભગવાન;

જેઠો રત્નો બે શિલ્પિ સુજાણ, જેનાં વિશ્વમાં થાય વખાણ. ૩

તેઓને હરિ જેમ બતાવે, તેવી કોરણી બેય બનાવે;

વાસુદેવ નારાયણ કેરો, ઓરડો જે પવિત્ર ઘણેરો. ૪

તેનિ ઓસરિ પશ્ચિમ પાસ, જેમાં આવે વિશેષ ઉજાસ;

તહાં બેસિ નારાયણભાઈ, ઓપે મૂર્તિ કરી ચતુરાઈ. ૫

મુરતી ગોપિનાથજી કેરી, ઘાટમાં દિસે સરસ ઘણેરી;

મહારાજ તહાં ઘણું રહે, મુરતી ઓપનારને2 કહે. ૬

ગોપીનાથની મૂરતિ જેહ, કરો માપિને મુજ સમ તેહ;

ઉંચિ જાડિ ને આકારવાળી, કરો તે મુજ અંગ નિહાળી. ૭

સુણિને તે નારાયણભાઈ, ચલાવે નિજની ચતુરાઈ;

મહારાજનાં અંગ પ્રમાણે, કરિ મૂર્તિ તે સૌ જન જાણે. ૮

એક અવસરે મંદિરમાંય, વિરાજ્યા હરિ શજ્યા છે જ્યાંય;

ધર્મવંશિ તહાં મળિ આવ્યા, નમ્યા તે હરિને મન ભાવ્યા. ૯

પ્રણમી બોલ્યા રામપ્રતાપ, સુણો અરજ કૃપાનાથ આપ;

મુજ પુત્ર નામે નંદરામ, રામશરણ તેના સુત નામ. ૧૦

નારાયણપ્રસાદ બીજા છે, જનોઈ દેવા જોગ્ય થયા છે;

માટે મુહુરત ઉત્તમ જોઈ, આપો બેયને આપ જનોઈ. ૧૧

સુણિ શ્રીજિના મનમાં તે ભાવ્યું, જોશિ પાસે મુરત જોવરાવ્યું;

કૃપાનાથે રુડું કામ કીધું, બેય બાળને ઉપવીત દીધું. ૧૨

એવામાં જુનાગઢનિ મોઝાર, થયું મંદિર કાંઇ તૈયાર;

મોટા સંત તથા હરિજન, મળ્યા કરવા વિચાર તે મન. ૧૩

બ્રહ્માનંદ ગુણાતીતાનંદ, ઝીણોભાઈ જે સદગુણવૃંદ;

ગગોભાઇ ને ઉમેદસંગ, દાદાભાઈ એ સહિત ઉમંગ. ૧૪

અંબારામ ને માણેકલાલ, રૂપશંકર બુદ્ધિ વિશાળ;

જટાશંકર શિવશંકર, આવ્યા અમરજિ ઉમંગભર. ૧૫

દાસ રંગિલ માધવરાય, વૃંદાવન પણ આવિયા ત્યાંય;

દાસ ભૂખણ હીમતરામ, દાસ દયાળ ને દેવરામ. ૧૬

કાનજી ભિમજી દુર્ગાદાસ, બોલ્યા એક બિજા તણિ પાસ;

થયું મંદિર તો મને પ્યારું, હવે શ્રીજિ પધારે તો સારું. ૧૭

પ્રતિમાની પ્રતિષ્ઠા તે કરે, જોઈ હરિજનનાં મન ઠરે;

લખ્યો દુર્ગપુરે એક પત્ર, ગગાભાઈને મોકલ્યા તત્ર. ૧૮

તેણે જૈને દુરગપુર ધામ, પ્રેમે કીધા પ્રભુને પ્રણામ;

આપિ કાગળ આનંદકાર, કહ્યા મુખથી વળિ સમાચાર. ૧૯

પત્ર સૌ જનને સંભળાવ્યો, સૌને હૈયે હરખ ઉપજાવ્યો;

રામચંદ્ર જોશીને બોલાવી, શુદ્ધ માસ તિથી જોવરાવી. ૨૦

બીજ વૈશાખ વદ ગુરુવારી, જોશિયે કહિ તે તિથિ સારી;

જુનાગઢથિ જે આવેલો પત્ર, લખ્યો ઉત્તર તેહનો તત્ર. ૨૧

પતિષ્ઠાનિ લખી તિથિ વાર, લખ્યું સામાન કરજો તૈયાર;

થોડા દિવસમાં આવશું અમે, તેનિ ચિંતા ન રાખશો તમે. ૨૨

એવો કાગળ દૈ કરમાંય, ગગાભાઈને કીધા વિદાય;

પછિ તેણે જુનેગઢ જૈને, સમાચાર કહ્યા પત્ર દૈને. ૨૩

બ્રહ્માનંદ આદિક મળી સહુ, કરવા માંડ્યો સામાન બહુ;

નાતે નાગર જે પાંચિબાઈ, તેને એમ કહે ઝિણોભાઈ. ૨૪

જે જે જોઇયે તે માલ મગાવો, વડિ પાપડ સેવો કરાવો;

ત્યારે તે પાંચિબાઈ કહે છે, આખા ગામે જે બાઇયો રહે છે. ૨૫

નારાયણ દવેનો પરિવાર, એવા કામમાં છે હુશિયાર;

નરસી મહેતા પીપલાણે, તેના કુળની સ્ત્રિયો પણ જાણે. ૨૬

ધોરાજીમાં છે માવજિભાઈ, તેના ઘરનિ સ્ત્રિયો પણ ડાઈ;

એહ આદિક બાઇયો આવે, વડી પાપડ આદિ કરાવે. ૨૭

પછિ તે બાઇયોને તેડાવી, અતિ આનંદથી એહ આવી;

માંડ્યો તે કરવાને સામાન, પાડ્યાં સારાં સારાં પકવાન. ૨૮

ઝિણાભાઇ આદિક મળિ સહુ, લખિ કંકોતરી ગામ બહ;

તે સમે જુનેગઢ જવા કાજે, માંડિ તૈયારિ શ્રીમહારાજે. ૨૯

દાદા ખાચર સહપરિવાર, થયા તે તો જવાને તૈયાર;

જીવો ખાચર કુટુંબ સહીત, થયા તૈયાર તે રુડિ રીત. ૩૦

ધર્મવંશિ સરવ નરનારી, તેઓએ પણ કીધિ તૈયારી;

સંત વર્ણિ તથા સર્વ પાળા, હરિભક્ત સહુ ધર્મવાળા. ૩૧

પરગામિ કાઠી સરદાર, તેડાવ્યા ગઢપુરનિ મોઝાર;

ગામ કુંડળ ને કારિયાણી, તેડ્યા સારંગપુર થકી જાણી. ૩૨

ઝીંઝાવદર બોટાદ લોયા, એહ આદિક જે મુખ્ય જોયા;

આવ્યા સૌ સરદાર ઉમંગે, જુનેગઢ જવા શ્રીહરિ સંગે. ૩૩

નારાયણજિભાઈ બોલ્યા ત્યારે, તહાં આવ્યાનિ ઇચ્છા છે મારે;

સુણિ બોલિયા ધર્મદુલારો, ગોપીનાથનિ મૂર્તિ સુધારો. ૩૪

જેવા અવયવ દેખો અમારા, કરો મૂર્તિના એ અનુસારા;

ધરજો મનમાં મારું ધ્યાન, કરી મૂર્તિ તે ધ્યેય સમાન. ૩૫

રાજિ કરશો એ કામથિ અમને, થશે તીર્થ તણું ફળ તમને;

એમ શાંત કરી સુખકારી, શ્યામ ચાલ્યા સજી અસવારી. ૩૬

વાલો વાંકિયે જૈ રહ્યા રાત, પછિ પરવર્યા ઊઠી પ્રભાત;

જુનેગઢ ગયા જગજીવન, આવ્યા સામૈયું લૈ હરિજન. ૩૭

બાબિ3 નવાબ બહાદુરખાન, તેણે જાણ્યું આવ્યા ભગવાન;

ત્યારે ડંકા નિશાન સહીત, પાયગા4 મોકલી ધરિ પ્રીત. ૩૮

બ્રહ્માનંદાદિ સંત સમસ્ત, ઝીણાભાઈ પ્રમુખ્ય ગૃહસ્થ;

સામા મેતા મુસદિયે આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા. ૩૯

પ્રભુને કર્યા સૌએ પ્રણામ, હાર તોરા ધરાવ્યા તે ઠામ;

પુરમાં પેઠા વિશ્વવિહારી, કેવિ શ્યામનિ શોભે સવારી. ૪૦

ઘોડિયે ચડ્યા ધર્મકુમાર, સાથે કાઠિ ઘણા અસવાર;

તેના હાથમાં બરછીયો ઝળકે, જાણે મેઘમાં વીજળી ચળકે. ૪૧

વાંસે ઢળકે5 મોટી મોટિ ઢાલ, જાણે ચંદ્રના બિંબ વિશાળ;

કૈકની તો મોટી મુછો કેવી, તેમાં લીંબુ ઠરી રહે તેવી. ૪૨

માથે પાઘડાં શોભે છે કેવાં, ઇંડા શિખર ઉપર હોય જેવાં;

ધજા હોય દેવળશીશ જેમ, છોગાં ફરકે મોટાં મોટાં તેમ. ૪૩

સખા વચ્ચે શોભે જગવંદ, જેમ તારામંડળ માંહિ ચંદ;

લોકો દર્શન કરવાને ધાય, ઠામ ઠામ ઘણી ભિડ થાય. ૪૪

નિરખી હરખે નરનાર, બોલે શ્રીહરિનો જયકાર;

સંત હરિજન કીર્તન ગાય, તેનિ શોભા વરણવી ન જાય. ૪૫

મહાપૂરણ તેજ પ્રકાશે, જેને જોતાં જ ઈશ્વર ભાસે;

પ્રભુજી ગયા મંદિર પાસ, ઝીણાભાઇનો ત્યાં છે આવાસ. ૪૬

કર્યો ઉતારો જૈ હરિ ત્યાંય, જન બીજા જેને ઘટે જ્યાંય;

પુરના જન કરિને પ્રણામ, ગયા પોતપોતા તણે ઠામ. ૪૭

સંઘ સઘળી જમ્યો રુડિ રીત, સભા સાંઝે સજી ધરિ પ્રીત;

પેખવા પ્રભુજીનો પ્રતાપ, આવ્યા બહાદુરખાનજી આપ. ૪૮

પ્રભુને કરિ પ્રેમે પ્રણામ, ઉચ્ચર્યા કર જોડિને આમ;

મુજ લાયક કામ કહેજો , જોઇયે વસ્તુ તે મંગાવિ લેજો. ૪૯

આપ જેવાનિ આશિષ થકી, જાણું છું રાજ્ય પામ્યો છું નકી;

એવું કહિને સિધાવિયા તેહ, ધન્ય ધન્ય અધિપતિ એહ. ૫૦

ગુણાતીત મુનિ બ્રહ્મ હાથ, ઝાલિ મંદિરમાં ગયા નાથ;

રચના જોઇ મંદિર તણી, રિઝ્યા કોટિ બ્રહ્માંડનો ધણી. ૫૧

બેય સદ્‌ગુરુને તેહ વાર, આપ્યા ઉરથી પ્રસાદિના હાર;

પછિ મંદિર માંહિથી જૈને, જોયો જજ્ઞમંડપ રાજિ થૈને. ૫૨

વિપ્ર આવ્યા હતા વિદવાન, તેણે જે જે બતાવ્યું વિધાન;

પ્રભુએ તેને અનુસરી, પ્રતિષ્ઠા પ્રતિમાઓનિ કરી. ૫૩

શોભે ધામ શિખર ત્રણ વાળું, ઉત્તરાભિમુખે તે રુપાળું;

રણછોડજિ ત્રીકમ રાય, સ્થાપ્યા તે વચલા ખંડમાંય. ૫૪

પૂર્વ ખંડમાં રાધારમણ, ભાંગે દર્શને ભવનું ભ્રમણ;

ખંડ પશ્ચિમમાં સિદ્ધેશ્વર, તે તો મૂર્તિ દિસે મનોહર. ૫૫

શોભે પાર્વતિ તે સ્થળમાંય, નંદીકેશ્વર પણ દીસે ત્યાંય;

વળી પૂર્વમુખે કોળિમાંય,6 સ્થાપ્યા હનુમાનજી પણ ત્યાંય. ૫૬

સતસંગિનું રક્ષણ કરવા, માને તેનું સંકટ હરવા;

વળી મંદિરમંડપ બહાર, દેરી છે એક પશ્ચિમ ઠાર. ૫૭

શિવનું બાણ7 થાપ્યું તે ઠામ, તેનું કાશિ વિશ્વેશ્વર નામ;

સાલ ચોરાશિયા તણિ જાણો, વદિ વૈશાખી બીજ પ્રમાણો. ૫૮

પ્રતિષ્ઠા તે કરી ગુરુવારે, સવાપો’ર ચડ્યો દિન જ્યારે;

થયો ઉત્સવ સરસ એ ટાણે, જોઇ સુર નર સર્વ વખાણે. ૫૯

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, દિવિ8 દેવનાં દુંદુભિ ગાજે;

આરતી મહારાજે ઉતારી, સ્તુતિ સંત સહુએ ઉચ્ચારી. ૬૦

બોલે જન સહુ જયજયકાર, થયો આનંદ અપરમપાર;

દ્વિજને દક્ષિણા બહુ દીધી, કૃપાનાથે કૃપા ઘણિ કીધી. ૬૧

કરનાર મંદિર તણું કામ, જે જે શિલ્પિ હતા તેહ ઠામ;

આપ્યા ઇત્યાદિને શિરપાવ,9 ઢળ્યા અઢળક નટવર નાવ. ૬૨

નાત ચોરાશિના વિપ્ર જેહ, મહારાજે જમીડિયા તેહ;

સંત વર્ણિ આદિકને જમાડ્યા, જન સૌને સંતોષ પમાડ્યા. ૬૩

વર્ણિ વાસુદેવાનંદ નામ, પૂજા કરવાને રાખ્યા તે ઠામ;

આનંદાનંદને તેહ સાથે, રાખ્યા પૂજામાં નટવર નાથે. ૬૪

સ્વામિ ગુણાતીતાનંદ પાસ, બોલ્યા એવિ રીતે અવિનાશ;

તમે આંહિ થઈને મહાંત, રહો જ્યાં સુધિ થાય દેહાંત. ૬૫

ઝીણાભાઇ આદિને એ સ્થાને, ભલામણ દીધિ શ્રીભગવાને;

આવ્યો એકાદશી દિન જ્યારે, નારાયણધરે જૈ નાહ્યા ત્યારે. ૬૬

આવિ મંદિરમાં સભા ભરે, હરિની પૂજા હરિજન કરે;

વસ્ત્ર ભૂષણાદિ ભેટ ધારે, આરતિ અતિ હેતે ઉતારે. ૬૭

જીર્ણગઢ તીર્થનો મહિમાય, કહ્યો વિસ્તાર વૃષકુળરાય;

હરિલીલા કલ્પતરુ માંહી, તમે સાંભળ્યો છે ચિત્ત ચાહી. ૬૮

માટે એટલું કહું છું આ ઠામ, અતિ પ્યારું પ્રભુને એ ધામ;

આવી જાત્રા કરે જન જેહ, પામે ચારે પદારથ તેહ. ૬૯

દ્વાદશી દિન પારણાં કરી, ચાલ્યા સંઘ સહિત પછિ હરી;

ગયા ગિરધર ગઢપુર ગામ, જેને માન્યું છે અક્ષરધામ. ૭૦

પુષ્પિતાગ્રાવૃત્ત

જિરણદુરગ જૈ જગન્નિવાસ, શુભ પ્રતિમા પધરાવિ સ્વપ્રકાશ;

પુનિત ચરિત તે સુણે સુણાવે, પ્રભુપદ પ્રીતિ અખંડ ચિત્ત આવે. ૭૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીજીર્ણદુર્ગે રણછોડજી-ત્રિકમજીસ્થાપનનામાષ્ટપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે