કળશ ૯

વિશ્રામ ૧૦

પૂર્વછાયો

શ્રીહરિએ સહુ સ્વજનને, પુછિ કર્યો નક્કી નિરધાર;

સાહેબને મળવા જવું, કોણ કોણ મળિ કેઇ વાર. ૧

ચોપાઈ

મળિ સૌ જને એમ ઠરાવ્યું, પાછલે પોજાર મળવાને જાવું;

ત્રીજો પોજાર થયો પછિ જ્યારે, ચાલ્યા શ્રીહરિ મળવાને ત્યારે. ૨

મેનામાં મહારાજ બિરાજ્યા, રથમાં બેય આચાર્ય છાજ્યા;

નિત્યાનંદ ને ગોપાળાનંદ, શુકાનંદ આદિ મુનિવૃંદ. ૩

તેઓ પણ એક ગાડીમાં બેઠા, કોઇ પાર્ષદ ચાલતા હેઠા;

દાદો ને સુરો ખાચર જેહ, થયા અશ્વિએ1 અસ્વાર તેહ. ૪

ચાલ્યા મળવાને પુરુષ પુરાણ, કર્યું આગળથી તહાં જાણ;

ત્યારે સાહેબે કરીને વિવેક, સામી મોકલી પલટણ એક. ૫

તેણે દીધું રુડી રિતે માન, ગયા બંગલે શ્રી ભગવાન;

સામાં આવિયા સાહેબ મળી, તેનાં નામ સુણો કહું વળી. ૬

સર માલ્કમ સાહેબ જેહ, મુંબઈના ગવર્નર તેહ;

કારભારી તેના જે પ્રમાણો, તે તો ટામસ વિલિયમ જાણો. ૭

બ્લેન સાહેબ પોલીટીકાલ, તે તો ત્રણેની બુદ્ધિ વિશાળ;

બીજા સાહેબ છ હતા સંગે, મળ્યો સૌ હરિને તે ઉમંગે. ૮

હેતે ઝાલ્યો ગવર્નરે હાથ, બંગલામાં ગયા સહુ સાથ;

ખુરશી એક ઉત્તમ હતી, પધરાવ્યા ત્યાં સંતના પતી. ૯

હતા શ્રીજીની સાથે પધાર્યા, તહાં ખુરશિયે સૌને બેસાર્યા;

સામી ખુશિયોની હતિ હાર, બેઠા સાહેબ સૌ સરદાર. ૧૦

પછિ માલકમે કરિ પ્રેમ, પુછ્યા કૃષ્ણને કુશળ ક્ષેમ;

ભલે આવ્યા કહ્યું વળિ તમે, તસદી આપિ આપને અમે. ૧૧

સુણિ શ્રીહરિ બોલિયા એમ, પેખ્યો આપનો પૂરણ પ્રેમ;

આવ્યા આપ તણા ત્રણ પત્ર, તેથી આવ્યા છૈયે અમે અત્ર. ૧૨

મળિ આનંદ પામિયા તમને, શ્રમ કાંઇ પડ્યો નથિ અમને;

વળિ સાહેબે પુછ્યું વિચારી, કહો જન્મભૂમિ ક્યાં તમારી. ૧૩

કોણ માત પિતા કોણ નાત, ભ્રાત કેટલા તે કહો વાત;

સુણિ બોલિયા શ્રીઅક્ષરેશ, જન્મભૂમિ તો કૌશલ દેશ. ૧૪

અમે સરવરિયા દ્વિજ છૈયે, કહું બીજું તે સાંભળિ લૈયે;

માતા ભક્તિ અને ધર્મ તાત, એક જ્યેષ્ઠ કનિષ્ઠ બે ભ્રાત. ૧૫

ભાઈ રામપ્રતાપના જેહ, સુત અવધપ્રસાદ આ તેહ;

નાનાભાઇ ઇચ્છારામ ધીર, તેના પુત્ર આ છે રઘુવીર. ૧૬

તે બે પુત્ર મેં દત્તક લીધા, મારી ગાદિના વારસ કીધા;

કહે સાહેબ સાંભળો પ્યારા, તમે પરણેલ છો કે કુંવારા? ૧૭

જન્મભૂમિથિ ક્યારે સિધાવ્યા, અને આ દેશમાં ક્યારે આવ્યા?

કહે કૃષ્ણ વરસ અગ્યારે, અમે જન્મભૂમિ તજી ત્યારે. ૧૮

બદરીનાથ ને જગન્નાથ, ગયા તીરથમાં વિના સાથ;

સેતુબંધ રામેશ્વર ગયા, વિષ્ણુકાંચિ વિષે પણ રહ્યા. ૧૯

ત્યાંથી પંઢરપુરમાં સિધાવ્યા, પછી નાશક ત્રંબક આવ્યા;

આવ્યા સૂરત થૈ ગુજરાત, કાઠિયાવાડ જોઈ વિખ્યાત. ૨૦

છપનામાં2 જોયો દેશ એહ,3 રહ્યા સૌનો નિહાળિને નેહ;

કર્યો ગઢપુર માંહિ નિવાસ, ત્યાંના રાજા અમારા છે દાસ. ૨૧

કહે સાહેબ ધર્મ તમારો, અમે સાંભળ્યો છે બહુ સારો;

તમે શાસ્ત્ર કર્યું હોય જેહ, આપો અમને કૃપા કરી એહ. ૨૨

એવું સાંભળી સહિત વિવેક, શિક્ષાપત્રિ આપી એને એક;

સાહેબે લઈ માથે ચડાવી, કહ્યું જે અમે જોશું વંચાવી. ૨૩

પછિ પૂજાનો સામાન લાવ્યા, હાર તોરા હરીને ચડાવ્યા;

ચર્ચ્યું અત્તર શ્યામને અંગે, શાલ જોટો ઓઢાડ્યો ઉમંગે. ૨૪

પછિ જે જે હતા હરિ સાથે, તેને અર્ચિયા તે નરનાથે;

પ્રભુ પાસે માગ્યું શિર નામી, સુણો આપ નારાયણસ્વામી. ૨૫

અમારું ને અમારા શત્રુનું, ભલું કરજો મનુષ્ય સહુનું;

સુણી બોલિયા શ્રીગિરધારી, ધન્ય ધન્ય છે બુદ્ધિ તમારી. ૨૬

તમે સર્વનું ઇચ્છો છો સારું, માટે સારું થશે જ તમારું;

પછી હરિએ જવા રજા માગી, બોલ્યા સાહેબ તે પગે લાગી. ૨૭

થોડા દિવસ વસો આંહિ વાસ, જોઇએ તે માગો અમ પાસ;

હોય કોઇ વિઘનકારી તમને, તો તે વાત જાહેર કરો અમને. ૨૮

બોલ્યા શ્રીહરિ તે સમા માંઇ, અમારે નથિ જોઇતું કાંઇ;

જન સર્વ છે સ્નેહિ અમારા, નથિ કોઈ વિઘન કરનારા. ૨૯

ઉતાવળ છે જવાનિ અમારે, માટે તાણ ન કરવિ તમારે;

દાદા ખાચર બેઠા છે જેહ, ઘોડો આપે છે આપને તેહ. ૩૦

દે છે ભેટ નથી જોતું મૂલ, માટે આપ કરો તે કબૂલ;

સુણી બોલિયા સાહેબ તેહ, શિક્ષાપત્રી દિધી તમે જેહ. ૩૧

માનું છું લાખ ઘોડા પ્રમાણ, નથી જોઇતો એહ કેકાણ;4

દાદા ખાચરને વળિ કહ્યું, ભાગ્યશાળિ તમે પણ બહુ. ૩૨

મોટા સંત વસે તમ ઘેર, તેનિ સેવા સજો છો સુપેર;

વાતચીત ઘણી એવિ રીતે, પ્રભુ સાથે કરી તેણે પ્રીતે. ૩૩

રજા લૈને ઉઠ્યા પ્રભુ જ્યારે, જન સકળ ઉભા થયા ત્યારે;

સાહેબે હરિનો ઝાલ્યો હાથ, વળાવાને આવ્યા સહુ સાથ. ૩૪

બેઠા મેનામાં શ્રીહરિ જ્યારે, વળ્યા વંદીને સાહેબ ત્યારે;

અવિનાશિ ઉતારે સિધાવ્યા, તહાં સત્સંગિ સૌ મળિ આવ્યા. ૩૫

પલંગે બેઠા શ્રીમહારાજ, બેઠો આગળ સર્વ સમાજ;

નિત્યાનંદ બોલ્યા જોડિ હાથ, પુછું પ્રશ્ન સુણો સંતનાથ. ૩૬

અંગરેજ તણું રાજ જેહ, રહેશે ક્યાં લગી કહો તેહ;

કહે કૃષ્ણ સુણ મુનિરાજ, અંગરેજ તણું જેહ રાજ. ૩૭

હરિઇચ્છાથિ આવ્યું છે આંહીં, નથિ સંશય એ વિષે કાંહી;

થયા દેશિ રાજા જ્યારે એવા, સાધુ પીડા પામ્યા તમ જેવા. ૩૮

ધર્મિ વાંક વગરના પીડાય, રાજા કોઇ ન કરતા સહાય;

ન્યાય કોઇ પ્રજાને ન મળતો, રાંકની5 રાવ6 કા7 ન સાંભળતો. ૩૯

સંત પુરુષ તણો જે પોકાર, સાંભળ્યો જગ-સર્જનહાર;

ત્યારે રાજા આવ્યો અંગરેજ, અતિ ન્યાયી નરેશ છે એ જ. ૪૦

ચક્રવર્તિ ભરત ખંડ તણો, થશે એ જ જોરાવર ઘણો;

જ્યારે સાધુને તે પીડા કરશે, ન્યાય મુકી અન્યાય આદરશે. ૪૧

જોર પામી જુલમગાર થાશે, ત્યારે તેનું નકી રાજ જાશે;

સુણિ બોલિયા સત્સંગિ એમ, અંગરેજ રાજા રહો ક્ષેમ. ૪૨

પછી ત્યાં થકિ શ્રીગિરધારી, કરિ ચાલવા કેરિ તૈયારી;

હરિભક્તે કરી ઘણિ તાણ, રહો બે દિન શ્યામ સુજાણ. ૪૩

કહે કૃષ્ણ છે કામ અમારે, માટે તાણ ન કરવિ તમારે;

પછિ તૈયાર સૌને કરાવ્યા, તંબુ પાડિ ગાડામાં ભરાવ્યા. ૪૪

ત્યાંથિ સંચર્યા શ્રીહરિ જ્યારે, અસવારિ સારી સજિ ત્યારે;

સતસંગી વળાવવા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા. ૪૫

જેવિ રીત્યે આવ્યા હતા હરિ, તેવિ રીતે ચાલ્યા પાછા ફરી;

ચૌટા વચ્ચે થઈ જેમ છાજે, આવ્યા ઉત્તરાદે દરવાજે. ૪૬

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિવર કૃત રાજકોટમાંય, સુભગ ચરિત્ર શિખે સુણે જ ગાય;

પ્રભુપદ અતિ પ્રેમ તેથિ લાગે, ભવભય ભીતિ સમસ્ત તેનિ ભાગે. ૪૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિરાજકોટપુરે ગવર્નરસાહેબમીલનનામ દસમો વિશ્રામઃ ॥૧૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે