કળશ ૯

વિશ્રામ ૯

પૂર્વછાયો

સાહેબ શાણા ગવર્નર, સામે મોકલ્યા એક સરદાર;

સાથે સેના ચતુરંગિની, વળિ દેશિ રાજાઓ અપાર. ૧

ચોપાઈ

દેશિ રાજાના ડંકા નિશાન, અંગરેજિ વાજાં ગુણવાન;

સાથે પલટણ શોભતિ સારી, એવી સામિ આવી અસવારી. ૨

પ્રભુને આવિ કીધા પ્રણામ, ભલે આવ્યા કહ્યું ઘનશ્યામ;

ગામના સરવે સતસંગી, પ્રણમ્યા પ્રભુપાયે ઉમંગી. ૩

હાર તોરા હરીને ધરાવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા;

વાજાંવાળા ને પલટણ છાજે, પછી રાજાનિ અસ્વારિ રાજે. ૪

મુનિમંડળ કીર્તન ગાય, તેની શોભા વરણવી ન જાય;

બેઠા આચાર્ય બે રથમાંય, પછિ પાર્ષદો ચાલે છે ત્યાંય. ૫

છડિદાર બોલે જયકાર, સખા કાઠિ સાથે અસવાર;

મેનામાં બેઠા દેવ મુરારી, કરે ચમર મુકુંદ બ્રહ્મચારી. ૬

ગાડિયો માંહિ સદ્‌ગુરુ સંત, શોભે અસ્વારિ એહ અત્યંત;

ઉત્તરાભિમુખે દરવાજો, રાજકોટ તણો અતિ છાજ્યો. ૭

તહાં કીધો પ્રભુએ પ્રવેશ, મળ્યાં દર્શને લોક વિશેષ;

નજરે નિરખી ગિરધારી, થયાં રાજી બહૂ નરનારી. ૮

એમ ચાલતાં સહિત સમાજે, ગયા દક્ષણાદે દરવાજે;

કહે વર્ણિ સુણો તમે રાય, લોધિકાના અભેસિંહે જ્યાંય. ૯

હાલ છત્રિ કરાવિ છે સારી, ઉતર્યા તહાં દેવ મુરારી;

મોટો તંબુ હતો મધ્યમાંય, ઉતર્યા ત્રિભુવનપતિ ત્યાંય. ૧૦

ફરતા તંબુઓ આસપાસ, કર્યો બીજાયે તેમાં નિવાસ;

પ્રણમીને બીજા જન ગયા, સતસંગિ તો સેવામાં રહ્યા. ૧૧

ઉકો વાલો માંડણ શિલ્પકાર, ભલા ગોવિંદ ભક્ત ઉદાર;

એહ આદિ મળી હરિજન, અતિ આનંદ આણિને મન. ૧૨

સીધું સામાન તેઓએ લાવી, સૌને કાજે રસોઈ કરાવી;

મોટી ચંદની બાંધેલિ હતી, સભા ત્યાં ભરિ સંતના પતી. ૧૩

બેઠા આચાર્ય બેઠા ગૃહસ્થ, બેઠા સન્મુખ સંત સમસ્ત;

મોકલ્યો સાહેબે જમાદાર, કહ્યું શ્રીજીને તેણે તે વાર. ૧૪

જે જે જોઇયે તેહ સામાન, અમને કહો કરુણાનિધાન;

ચોકિદાર ચોકી પેરા માંહી, કહો તેટલા મોકલું આંહીં. ૧૫

સુણિ બોલિયા શ્રીહરિ તેહ, સીધું સામાન જોઇયે જેહ;

તે તો સેવક લાવ્યા અમારા, રાજકોટમાં જે રહેનારા. ૧૬

અમારે નથિ જોઇતું કાંઈ, ચોકી પેરાનો ખપ નથી આંહીં;

અમ સાથે છે કાઠિયો જેહ, સહુ સૌનું સંભાળશે તેહ. ૧૭

સાધુને પત્ર તુંબી ને માળા, તેને જોઇયે નહિ ચોકિવાળા;

નથી જોખમ જેને લગાર, તેને કોઇ નથી લુંટનાર. ૧૮

ઉપજાતિવૃત્ત (ત્યાગી નિર્ભય છે તે વિષે)

છે પાત્ર ને તુંબડિ જેહ પાસ, તેને દિસે ચોર તણો ન ત્રાસ;

માયા તણો સંગ્રહ હોય જેને, છે ચોરનો ત્રાસ સદૈવ તેને. ૧૯

છે જ્ઞાનરૂપી ધન સંત કેરું, જેનું દિસે મૂલ અતી ઘણેરું;

જે સંતનું તે ધન ચોરિ જાય, તે ચોર તો સંતસમાન થાય. ૨૦

જો સંતનું અંચળ ચોરિ જાય, તો કોઈનાથી ન ધરી શકાય;

સંત તણો સાથુ1 ન કોઈ ચાખે, તો સંત કેની શિદ બીક રાખે. ૨૧

સર્વે મુડી મોકલિ સત્યઘેર,2 ચાલ્યા પ્રવાસે ધનહીન પેર;3

પછી ગમે ત્યાં જ કરે મુકામ, વળાવિયાનૂં નહિ કાંઇ કામ. ૨૨

જે સંત થૈ જોખમ પાસ રાખે, તે સંત સાચો નહિ શાસ્ત્ર ભાખે;

તે સંત તો હોય ગૃહસ્થ જેવો, તેને નહીં સદ્‌ગુરુ જાણિ સેવો. ૨૩

સ્ત્રીદ્રવ્યથી જે અળગા રહે છે, ચિત્તે નહીં વસ્તુ કશી ચહે છે;

તેને નહીં કોઇની ઓશિયાળ,4 તેને ન લાગે ડર કોઇ કાળ. ૨૪

વિશેષ જાણ્યું તન નાશવંત, એવા દિસે સદ્‌ગુરુ જે મહાંત;

ઝાડી વિષે વાસ વસે કદાપી, શા કારણે ત્રાસ ધરે તથાપી? ૨૫

આત્મા તણો તો નહિ નાશ થાય, આત્માનિ ચોરી ન કરી શકાય;

આત્મસ્વરૂપે વરતે જ જેહ, કોઈ થકી દીલ ડરે ન તેહ. ૨૬

શત્રૂ તથા મિત્ર સમાન જાણે, સુખે દુઃખે જે સમતા પ્રમાણે;

જેને નહીં રંચક રાગ દ્વેષ, તેને દિલે શો ડર હોય લેશ. ૨૭

ચોપાઈ

માટે આ સંત છે સહુ એવા, નથિ એનિ પાસે ચોરિ લેવા;

નથિ ચોકિ પેરા તણું કામ, કહો સાહેબને જૈ સલામ. ૨૮

જમાદારે જઈ એમ કહ્યું, મન સાહેબનું રાજિ થયું;

પછિ થૈ ત્યાં રસોઈ તૈયાર, જમ્યા શ્રીજી ને સંત ઉદાર. ૨૯

જમ્યા આચાર્ય બે હતા જેહ, જમ્યા કાઠિ ગરાશિયા તેહ;

પછિ આરતિ ને ધુન કરી, જ્ઞાનવાત ત્યાં ઉચ્ચર્યા હરી. ૩૦

પછી પોઢિ રહ્યા પરમેશ, જાગ્યા જ્યારે રહી રાત લેશ;

દંતધાવન આદિક કર્યું, પછિ સ્નાન વિધાન આદર્યું. ૩૧

નિત્યકર્મ કરીને કૃપાળ, જમ્યા ધર્મવંશીકૃત થાળ;

જમ્યા સંત ને કાઠિ ઉમંગે, પછિ બેઠા પ્રભૂજિ પલંગે. ૩૨

નિજ મંત્રિ બોલાવિયા ચાર, તેનાં નામ કહું છું આ ઠાર;

દેવો ભીમ પાળા અનુચર,5 હરજી તથા લાધો ઠક્કર. ૩૩

તેઓ પ્રત્યે બોલ્યા અવિનાશ, તમે જાઓ શ્રીસાહેબ પાસ;

અમારા નારાયણ જઈ કહો, પછિ એટલું પૂછીને લહો. ૩૪

અમે મળવાને આવિયે ક્યારે, કેવિ ઇચ્છા છે ઉરમાં તમારે;

કચેરી થાય રાજાનિ જ્યારે, કહો તો અમે આવિયે ત્યારે. ૩૫

કહો તો આવિ મળિયે એકાંતે, વાતચીત તો થાય નિરાંતે;

સુણિ ચારે જણા તે સિધાવ્યા, શબ્દ સાહેબને તે સુણાવ્યા. ૩૬

બોલ્યા તેહ ગવર્નર ત્યારે, આવે ઇચ્છામાં ત્યારે પધારે;

નથિ બીજા રાજાઓનું કામ, મારે સ્વામિને કરવા પ્રણામ. ૩૭

ભેટવાનો અમારે છે ભાવ, નથિ દેખાડવાનો દેખાવ;

ઝાઝે માણસે ગડબડ ધારું, થોડાં માણસ આવે તો સારું. ૩૮

સુણિ એવું વળ્યા જણ ચાર, કહ્યા શ્રીજીને જૈ સમાચાર;

સુણિ સાહેબનો બહુ સ્નેહ, અતિ રાજી થયા પ્રભુ એહ. ૩૯

પુષ્પિતાગ્રાવૃત્તવૃત્ત

દિવસ ચડત હોય જેહ કેરો, ઉર ઉપજે સુવિચાર તો ઘણેરો;

જનિત યવનજાતિ અંગરેજ,6 પ્રગટ પ્રભૂ પર પ્રેમવંત તે જ. ૪૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિરાજકોટવિચરણનામ નવમો વિશ્રામઃ ॥૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે