ભક્તિનિધિ

પદ – ૫

રાગ: બિહાગડો

સરલ વરતવે છે સારું રે મનવા... સરલ,

  માની એટલું વચન મારું રે મનવા૦ ટેક.

મન કર્મ વચને માનને રે મેલી, કાઢ્ય અભિમાન બા’રું;

હાથ જોડી હાજી હાજી કરતાં, કેદી ન બગડે તે તારું રે; મનવા૦ ॥૧॥

આકડ નર1 લાકડ2 સૂકા સમ, એને વળવા ઉધારું3

તેને તાપ આપી અતિ તીખો, સમું કરે છે સુતારું4 રે; મનવા૦ ॥૨॥

આંકડો5 વાંકડો વીંછીના સરખો, એવો ન રાખવો વારું ।

દેખી દૃગે કોઈ દયા ન આણે, પડે માથામાં પેજારું6 રે; મનવા૦ ॥૩॥

હેતનાં વચન ધારી લૈયે હૈયે, શું કહિયે વાતો હજારું ।

નિષ્કુળાનંદ નિજ કારજ કરવા, રાખિયે નહિ અંધારું રે; મનવા૦ ॥૪॥ પદ ॥૫॥

 

કડવું - ૨૧

રાગ: ધન્યાશ્રી

નથી અંધારું નાથને ઘેરજી, એ પણ વિચારવું વારમવારજી ।

સમજીને સરલ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મે’રજી7 ॥૧॥

રાગ: ઢાળ

મે’ર કરે મોટી અતિ, જો ઘણું રહિયે ગર્જવાન ।

ઉન્મત્તાઈ8 અળગી કરી, ધારી રહિયે નર નિર્માન ॥૨॥

અવળાઈ કાંઈ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ ।

અંતર ખોલી9 ખરું કરવું, પોત10 વિના ન તરે પાષાણ ॥૩॥

માટે જે કામ જેથી નીપજે, તે બીજે ન થાય મળે જો કોટ11

તેને આગળ આધિન રહેતાં, ખરી ભાંગી જાય ખોટ ॥૪॥

જેમ અન્ન અંબુ12 હોય એક ઘરે, બીજે જડે નહિ જગમાંઈ ।

એથી રાખિયે અણ મળતું, તો સુખ ન પામિયે ક્યાંઈ ॥૫॥

માટે સર્વે સુખ શ્રી હરિમાં રહ્યાં, તે વિના નથી ત્રિલોકમાં ।

એમ સમુ13 જે નવ સમઝે, તે નર વરતે કધ્રોકમાં14 ॥૬॥

જે ખરા ખપની ખોટવાળા, તે સુખાળા શું થાય છે? ।

અતિ અનુપમ અવસરમાં, મોટી ખોટને ખાય છે ॥૭॥

અમળતી અતિ વારતા, તે મેળવી હરિ કરી મે’ર ।

એહ વારતાની વિગતી કરી, નથી પ્રીછતા15 કોઈ પેર16 ॥૮॥

જેમ અજાણ નરને એક છે, પથ્થર પારસ એક પાડ17

બાવના ચંદન બરોબરી, વળી જાણે છે બીજાં ઝાડ ॥૯॥

પણ પુરુષોત્તમ પ્રગટનું મળવું, તે છે મોઘાં મૂલનું ।

નિષ્કુળાનંદ નર સમઝી, લેવું સુખ અતુલનું18 ॥૧૦

કડવું 🏠 home