ભક્તિનિધિ

કડવું – ૩૬

રાગ: ધન્યાશ્રી

ફૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી ।

ભૂલ્યો ન ભમે ભક્તિની ભ્રાંતેજી,1 નક્કી વાત ન બેસે નિરાંતેજી ॥૧॥

રાગ: ઢાળ

નિરાંત નહિ નક્કી વાત વિના, રહે અંતરે અતિ ઉતાપ ।

ઉર વિકાર વિરમ્યા વિના, નવ મનાય આપ નિષ્પાપ ॥૨॥

દાસપણામાં જે દોષ છે, તે દૃગ આગળ દેખે વળી ।

માટે મોટપ્ય માને નહિ, સમઝે છે રીત એ સઘળી ॥૩॥

ખોટ્ય મોટી એ ખોવા સારુ, કરે ભક્તિ હરિની ભાવે ભરી ।

જાણે ભક્તિ વિના ભાંગશે નહિ, ખોટ એહ ખરાખરી ॥૪॥

માટે અતિ આગ્રહ કરી, હરિભક્તિ કરે ભરપૂર ।

ભક્તિમાં જેથી ભંગ પડે, તેથી રહે સદા દૂર ॥૫॥

જાણે જે ઉદ્યમે2 જન્મોજન્મનું, દારિદ્ર્ય દૂર થાય ।

તે ઉદ્યમની આડી3 કરે, તેથી વેરી કોણ કે’વાય ॥૬॥

તેમ ભક્તિ થકી ભવદુઃખ ભાગે, જાગે ભાગ્ય મોટું જાણવું ।

તે વિમુખની વાત સાંભળી, અંગે આળસ નવ આણવું ॥૭॥

જેમ સહુ સહુને સ્વારથે, સાચું રળે4 છે સરવે ।

તેમ હરિભક્તને, કસર ન રાખવી ભક્તિ કરવે ॥૮॥

મોટી કમાણી જાણી જન, તન મને રે’વું તતપર ।

બની વાત જાય બગડી, જો ચૂકિયે આ અવસર ॥૯॥

જે તકે જે કામ નીપજે, તે વણ તકે નવ થાય ।

નિષ્કુળાનંદ નિશ્ચે કહે, એ પણ સમજવું મનમાંય ॥૧૦॥

કડવું 🏠 home