ભક્તિનિધિ

કડવું – ૩૧

રાગ: ધન્યાશ્રી

ગાફલપણામાં ગુણ રખે ગણોજી, એહમાંહિ અર્થ1 બગડે આપણોજી ।

પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણોજી, ભાંગે કેમ ખરખરો એહ ખોટ તણોજી ॥૧॥

રાગ: ઢાળ

ખરખરો એહ ખોટતણો, ઘણો થાશે નર નિશ્ચે કરી ।

જે ગઈ વહી વાત હાથથી, તે પમાય કેમ પાછી ફરી ॥૨॥

પગ ન ચાલ્યા પ્રભુ પંથમાં, કરે ન થયું હરિનું કામ ।

જીભે ન જપ્યા જગદીશને, મુખે ગાયા નહિ ઘનશ્યામ ॥૩॥

નયણે ન નીરખ્યા નાથને, શ્રવણે ન સુણી હરિવાત ।

એ ખોટ્ય ભાંગે કેમ જુવો ખોળી, ચિત્તે ચિંતવી ચોરાશી જાત ॥૪॥

પશુ પંખી પન્નગનાં વળી, આવે તન અનંત ।

તેણે ભજાય નહિ ભગવાનને, એહ સમઝી લેવો સિદ્ધાંત ॥૫॥

માટે મનુષ્ય દેહ જેવા, એવા એકે કોઈ ન કહેવાય ।

તેહ સારુ સમઝી શાણા,2 નરતનના ગુણ ગાય ॥૬॥

એવા દેહને પામીને, પ્રસન્ન ન કર્યા પરબ્રહ્મને ।

તેને થાશે ઉરે ઓરતો,3 સમઝી લેજો સહુ મર્મને ॥૭॥

આવો સમાજ4 આવતો નથી, જુવો ચોરાશી દેહને ચિંતવી ।

તે તન ખોયું પશુ પાડમાં,5 કહો વાત શું સમજ્યા નવી ॥૮॥

મનષ્ય હોય તેને મનમાં, કરવો વિવેક વિચાર ।

માનવ દેહ મોંઘો ઘણું, નહિ અન્ય દેહને એ હાર ॥૯॥

માટે ભક્તિ ભજાવવી, મન વચન કર્મે કરી ।

નિષ્કુળાનંદ નરતનનું, નથી થાતું મળવું ફરી ॥૧૦॥

કડવું 🏠 home