ભક્તિનિધિ

કડવું – ૩૯

રાગ: ધન્યાશ્રી

મન બુદ્ધિના માપમાં ના’વેજી, એવું અતિ સુખ હરિભક્તિથી આવેજી ।

જેહ સુખને શુકજી જેવા ગાવેજી, તે ભક્તિ પ્રભુ પ્રગટની કા’વેજી ॥૧॥

રાગ: ઢાળ

ભક્તિ પ્રભુ પ્રગટની, જે જે કરી છે હરિજને ।

તે તેને પળ પાકી ગઈ, સહુ વિચારી જુવો મને ॥૨॥

કુબજાએ કટોરો ભરી કરી, ચરચ્યું હરિને અંગે ચંદન ।

તેણે કરી તન ટેડાઈ1 ટળી, વળી પામી સુખસદન2 ॥૩॥

સઈ3 સુદામા માળીનું, સમાપર4 સરી ગયું કામ ।

તે પ્રગટ પ્રભુને પૂજતાં, પામી ગયા હરિનું ધામ ॥૪॥

વિદુર ભાજીને ભોજને, જમાડિયા જગજીવન ।

તે જમી પ્રભુ પ્રસન્ન થયા, એવું પરોક્ષશું સાધન ॥૫॥

સુદામે ભક્તે શ્રીહરિને, ત્રણ મૂઠી આપિયા તાંદુલ ।

તેણે દારિદ્ર દૂર ગયું, થયું અતિ સુખ અતુલ5 ॥૬॥

પંચાલિયે6 પાત7 પાત્રમાંથી, શોધી જમાડિયા હરિ આપ ।

તેણે મટ્યું કષ્ટ મોટું અતિ, તે તો પ્રગટને પ્રતાપ ॥૭॥

વળી ચીર ચીરીને ચિંથરી,8 આપી હરિ કરે બાંધવા કાજ ।

તેણે કરીને દ્રૌપદીની, રૂડી રાખી હરિએ લાજ ॥૮॥

એમ પ્રગટના પ્રસંગથી, જે જે સર્યાં જનનાં કામ ।

તેવું ન સરે તપાસિયું, મર કરે હૈયે કોઈ હામ9 ॥૯॥

વારે વારે કહ્યો વર્ણવી, અતિ ભારે ભક્તિમાંહી ભાર ।

નિષ્કુળાનંદ તે ભગતિ, પ્રભુ પ્રગટની નિરધાર ॥૧૦॥

કડવું 🏠 home