ભક્તિનિધિ

કડવું – ૪૪

રાગ: ધન્યાશ્રી

ભક્તિનિધિ આ ગ્રંથ જે ગાશેજી, ભક્તિનો ભેદ તેને જણાશેજી ।

સમજીને પછી ભક્ત ભલો થાશેજી, ત્યારે બીજાં બંધનથી મુકાશેજી ॥૧॥

રાગ: ઢાળ

મુકાશે બીજાં બંધનથી, રહેશે રાચી1 સાચી ભલી ભક્તિયે ।

ખરા ખોટાની ખબર ખરી, પડશે પોતાને તહિયે ॥૨॥

વિધવિધે2 વિચારશે, ધારશે ભક્તિ મન દૃઢ કરી ।

ભક્તિ વિના કોઈ ભલું કરવા, ભાળશે નહિ ભવમાં ફરી ॥૩॥

સહુથી સરસ સમજશે, ભક્તિ અતિ ભગવાનની ।

તેને તોલ3 તપાસતાં, નહિ જડે જોડ એ સમાનની ॥૪॥

એવાને ભક્તિ અતિ ભાવશે, ગાવશે ગુણ ભક્તિ તણા ।

જાણશે પોતાના જીવમાં, જે ભક્તિથી ઉદ્ધર્યા ઘણા ॥૫॥

મોટે મોટે4 વળી મહિમા, ભાખ્યો ભક્તિનો ભારે બહુ ।

તે ભક્તિ પ્રભુ પ્રગટની, સમજુ સમજી લિયો સહુ ॥૬॥

બીજી ભક્તિ જન બહુ કરે, તેમાં રહે ગમતું મનનું ।

પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં, રહે ગમતું ભગવાનનું ॥૭॥

માટે કોઈને એ કરતાં, ભાવ થાતો નથી ભીંતરમાં ।

પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં, ઘણું આદરી બેઠાં ઘરોઘરમાં ॥૮॥

જિયાં આવ્યું જેને બેસતું, તિયાં ભળી થયા ભગત ।

એવે ભક્તે આ બ્રહ્માંડ ભરિયું, એ પણ જાણવી વિગત ॥૯॥

સાચી ભક્તિ શ્રીહરિ સંબંધી, વર્ણવી વારમવાર ।

નિષ્કુળાનંદ હવે નહિ કહે, સહુ સમજજો નિરધાર ॥૧૦॥

કડવું 🏠 home