સ્નેહગીતા

કડવું ૧૫

અબળાનો આશય અલબેલે ઓળખીજી, વિયોગે વનિતા દીઠી અતિશય દુઃખીજી ।

પ્રમદાના પ્રાણ નહિ રહે મુજ પખીજી, કહું એને કાંઈક ધીરજ ધારે સખીજી ॥૧॥

ધીરજ ધારો કૃષ્ણ કહે, સહુ દેખતાં મ કરો શોર1

હેત રાખો હૈયા માંહે, બા’રે મ કરો બકોર ॥૨॥

મારે તમારે પ્રીત છે તે, છાનિ છપાડિને રાખિયે ।

લાજ જાય ને હાંસી થાયે, એવું ભેદ2 વિના કેમ ભાખીએ ॥૩॥

લોક મુજને એમ લેખે,3 છે બ્રહ્મચારી ભગવાન ।

આજ લાજ તે ખોઈ ખરી, મારું માડિયું4 તમે માન ॥૪॥

તમ સાથે મ સ્નેહ કીધો, તે તો હળવું થાવા હે સખી ।

પણ સ્ત્રી હોય આપ સ્વારથી, એમ સર્વે શાસ્ત્રમાં લખી ॥૫॥

પ્રીતનું આજ ફળ પ્રગટ્યું, મને છાનાને છતો5 કર્યો ।

સ્નેહ કરતાં તમ સાથે, અંતે અર્થ6 એ નીસર્યો ॥૬॥

હજી કહું છું જે કેણ7 માનો, અને જાઓ વળી ઘેર જુવતી ।

એક વાર આપણ મળશું, હૃદે રાખજો સ્નેહ સતી ॥૭॥

એમ ધીરજ દીધી વાત કીધી, તમે પ્યારી છો મને પ્રાણથી ।

તમ વિના ત્રિલોકમાંહિ, વા’લું તે મને કોઈ નથી ॥૮॥

હું તો વશ છઉં હેતને, સાચું કહું છું સુંદરી ।

હું છઉં જેનો તે છે મારે, એ તો વાત અંતે છે ખરી ॥૯॥

પ્રેમની દોરિયે પ્રમદા, હું તો બંધાણો બેઉ હાથજી ।

એમ કહિને ચાલિયા, નિષ્કુળાનંદનો નાથજી ॥૧૦॥ કડવું ॥૧૫॥

કડવું 🏠 home