સ્નેહગીતા

પદ ૩

રાગ: મેવાડો (‘અંતકાળે આવી રે સંભાળી લેજો’ એ ઢાળ)

મથુરા મ જાશો રે પ્રીતમ પાતળા રે,

   નાખિ અમને નોધારાં મારા નાથ ।

જરૂરને જાવું રે હોય તિયાં તમને રે,

   તો લેજો શ્યામળા અમને રે સાથ... મથુરા꠶ ॥૧॥

પ્રીત કરીને રે પિયુજી મા પરહરો રે,

   રાખો પ્રીતમ અમને રે પાસ ।

અળગાંને રે’તાં રે અધીર અતિ અમને રે,

   વણ દીઠે રહે અંતર ઉદાસ... મથુરા꠶ ॥૨॥

જેમ મણિ વિના ફણી1 રે અણ દીઠે આંધળો રે,

   વળી કોઈ લિયે લોભીનું ધન ।

વણ મૃત્યુએ મૃત્યુ તેને માનવું રે,

   જેનુ કાંઈ જાતું રહ્યું છે જીવન... મથુરા꠶ ॥૩॥

જળવાસી જીવ રે જ્વાળામાં જીવે નહિ રે,

   અમારે છે તમ વિના હરિ તેમ ।

નિષ્કુળાનંદના રે સ્વામીજી સુજાણ છો રે,

   અજાણ જે હોય તેને કે’વું એમ... મથુરા꠶ ॥૪॥ પદ ॥૪॥

કડવું 🏠 home