સ્નેહગીતા

કડવું ૨૫

અંતરજામીએ અંતરની જાણીજી, ઉદ્ધવ પ્રત્યે ઉચ્ચરિયા વાણીજી ।

સુણો શુભમતિ વાત ચિત્ત આણીજી, પ્રેમવશ પ્રમદા અમે ચાલ્યે અકળાણીજી ॥૧॥

અકળાણી અતિ અમ કાજે, વળી પ્રાણ ગતવત થઈ પડી ।

તે મુજ વિના એ માનિનીને, કેમ નિગમતી હશે ઘડી ॥૨॥

એટલા માટે ઉદ્ધવજી, તમે વ્રજ જઈ કરો વાતડી ।

સમઝાવજો તમે સહુ જનને, વળી રે’જો તિયાં પંચ રાતડી ॥૩॥

અધ્યાત્મ1 એને જ્ઞાન આપી, સમઝાવજો બહુ પેરજી2

એટલો પરમારથ કરો ઉદ્ધવ, તમે મનમાં આણી મે’રજી ॥૪॥

સર્વે પેરે સુજાણ છો, વળી ઘણું કહેવાનું કામ નથી ।

સમાસ કરજો સારી પેરે, કે’જો તત્ત્વને તમે કથી ॥૫॥

જેણી રીતે વળી જુવતી, અતિ સુખ પામે સુંદરી ।

ઉદ્ધવજી જઈ એટલું, વળી આવજો કારજ કરી ॥૬॥

સગુણ3 જાણી એણે સ્નેહ કીધો, નિર્ગુણ4 ન જાણ્યો નારીએ ।

તેણે એનું તન તપીયું, એને એમ સમઝાણું સખી સારીએ ॥૭॥

આવ્યા ગયા જાણ્યા અમને, એક પ્રેમના વશમાંય ।

તમો ગયે ગુણ થાશે ઘણો, વળી કસર નહિ રહે કાંય ॥૮॥

અમે ગયાનો અર્થ સરશે, પ્રતીત5 પડે છે તમ તણી ।

ઉદ્ધવ એમાં વિલંબ ન કીજે, જાઓ તમે વળી વ્રજ ભણી ॥૯॥

એવી રીતે ઉદ્ધવજીને, હેતેશું તે કહ્યું હરિ ।

નિષ્કુળાનંદના નાથની, પછી આજ્ઞા એહ શિર ધરી ॥૧૦॥ કડવું ॥૨૫॥

કડવું 🏠 home