સ્નેહગીતા

કડવું ૩

સુખમય મૂર્તિ જોઈ જન ગોપીજી, રહી હરિ ચરણે તન મન સોંપીજી ।

અંતરની વૃત્તિ હરિમાં આરોપીજી, લોક કુટુંબની લજ્જા જેણે લોપીજી ॥૧॥

લોપી લજ્જા જેણે લોકની, અને સ્નેહવશ થઈ સુંદરી ।

સોબત કીધી શિશ સાટે, એવી અચળ પ્રીત હરિશું કરી ॥૨॥

હરતાં ફરતાં કામ કરતાં, કૃષ્ણ કૃષ્ણ કરે કામની1

પ્રીત વશ થઈ પ્રમદા, 2 જાતિ3 જાણે નહિ દિન જામની ॥૩॥

ખાતાં પીતાં બોલતાં, વળી સ્નેહમાં શુદ્ધ વિસરી ।

સૂતાં સૂતાં જાગે ઝબકી, ઊઠે કૃષ્ણ કૃષ્ણ મુખે કરી ॥૪॥

વાટે ઘાટે વન જાતાં, મન તન મોહન શું મળ્યું ।

લોક લાજ વેદવિધિ વિસરી, વળી ભાન તનનું તે ટળ્યું ॥૫॥

વળી શ્રવણમાં ભણકાર સુણે, જાણે નયણે નીરખું છું નાથજી ।

મુખવાણે વળી એમ જાણે, વાત કરું છું વાલા સાથજી ॥૬॥

અંગો અંગે એમ ગોપી, પરિપૂર્ણ થઈ પ્રીતમાં ।

સાધન તે હવે શું કરે, જેને કૃષ્ણ વિના ના’વે બીજું ચિત્તમાં ॥૭॥

મરજાદા મેલી થઈ ઘેલી, ઉન્મત્ત દશા આવી અંગે ।

તેણે કરી તન ત્રાસ4 ટળ્યો, મળ્યો પ્રાણ5 કૃષ્ણને સંગે ॥૮॥

આપ6 ગળ્યું મન મળ્યું, ટળ્યું કાયા કલેશનું કરવું ।

એક સ્નેહ માંહિ સર્વે આવ્યું, અન્ય ન રહ્યું આચરવું ॥૯॥

પ્રીતની રીત ને પ્રેમનું લક્ષણ, તે તો શિખવ્યું આવે નહિ ।

નિષ્કુળાનંદ ના’વે કહીએ, સ્નેહી જનનો સ્નેહ સહિ ॥૧૦॥ કડવું ॥૩॥

કડવું 🏠 home