સ્નેહગીતા

કડવું ૫

સ્નેહને વશ સદાય છે શ્રીહરિજી, ભાવે આવે ભૂતળ ભૂધર દેહ ધરીજી ।

તે તો પ્રેમી જનને પ્રેમે કરીજી, ધન્ય ધન્ય પ્રેમે વ્રજ જુવતી ભરીજી ॥૧॥

ભરી પૂરણ પ્રેમમાં અંગે, અને રંગે રાતી1 રાજને ।

સ્નેહમાંયે ન સૂઝે કાંયે, તેણે ભૂલી ભવનના કાજને ॥૨॥

ખાન પાનની ખબર ભૂલી, વળી વસ્ત્ર પહેરવાં વિસરી ।

આભૂષણ અંગે ધરે અવળાં, એમ સૂધ ભૂલી સ્નેહે કરી ॥૩॥

પય2 જમાવે જળ પાત્રમાં, અને નીર ભરે ક્ષીર3 ઠામમાં ।

એમ સર્વે અંગે સૂધ વિસરી, વળી ચિત્ત ન રહે ધન ધામમાં ॥૪॥

સુત વિત્ત ને સગાં સંબંધી, વળી એ ઉપરથી મન ઊતર્યું ।

જેહ જુવે તે એમ જાણે, કહે મન ચિત્ત આનું ફર્યું ॥૫॥

વળી ગોરસ મથતાં ગોપિકા, અને જુવે વા’લાની વાટ રે ।

હમણાં આવે મને બોલાવે, એમ તલપે મોહન માટ રે ॥૬॥

કસણ4 તૂટે કેશ છૂટે, તેને નેક ન રહે સંભાળવા ।

વત્સ છોડાવે ધેનુને ધાવે, તેને ન જાયે વાળવા ॥૭॥

વળી અગ્નિ થકી અતિ ઊછળે, અને આવે ઊફાણે5 દૂધ ।

પણ હરિ હેતમાં ચિત્ત ચોરાણું, તેહની ન લહે6 કાંય સુધ7 ॥૮॥

લક્ષ8 લાગ્યો લાડીલાશું, અંતર મળ્યું અલબેલશું ।

રહી હેતે પ્રીતે હળી મળી, જેમ વૃક્ષ વીંટ્યું વેલ્યશું ॥૯॥

રાત્ય દિવસ રહે રાતી,9 અને માતી પ્રેમમાં પ્રમદા ।

નિષ્કુળાનંદ નાવે નવધા,10 સમતોલ સ્નેહને સદા ॥૧૦॥ કડવું ॥૫॥

કડવું 🏠 home