સ્નેહગીતા

કડવું ૪

પ્રીત કરી પ્રમદા તે પરસ્પર પડીજી, જગના જીવન સંગે મોબત જડીજી ।

ચિત્તે રંગ ચટકી તે ચોળની1 ચડીજી, નિત્ય પ્રત્યે નવલો નેહ ઘડી ઘડીજી ॥૧॥

ઘડિયે ઘડિયે ઘણો ઘણો, સનેહ વાધ્યો શ્યામશું ।

વણ દીઠે વળી વિલપે વનિતા, રહે ઊદાસી ધન ધામશું ॥૨॥

અર્ધ ક્ષણ રહી ન શકે, વણ દિઠે વદન વ્રજરાજનું ।

શેરિયે શેરિયે શોધે સુંદરી, લેશ ન લાવે વળી લાજનું ॥૩॥

માંહો માંહી વળી પૂછે, બાઈ કૃષ્ણજી તે ક્યાં હશે ।

કોઈ બતાવો કાન મુજને, જોઉં મુખ કાંઈક લઈ મશે2 ॥૪॥

વન ભવન વાટ વીથિની, 3 વળી જુવે જમુના તીર ।

અણ દીઠે અલબેલડો, કોઈ ધરી ન શકે ધીર ॥૫॥

વણ દીઠે ઘડી વીતે વસમી, જુગ તુલ્ય પળ એક જાય ।

પ્રાણ ગતવત4 થઈ પડે, એમ ગરક5 સ્નેહમાંય ॥૬॥

એમ કરતાં આવિ અચાનક, જો દેખે દ્રગે દયાળને ।

પણ નાથ નયણે નીરખ્યા વિના, સ્નેહી ન કરે શરીર સંભાળને ॥૭॥

માંસ વિના શ્વાસ રહે, જન સ્નેહીના શરીરમાં ।

પ્રાણ જેના પડયા પરવશ, તેનાં નયણાં ભર્યાં રહે નીરમાં ॥૮॥

અતિ ઉદાસ નિઃશ્વાસ મૂકે, અને સૂકે નહિ નીર નયણે ।

હે સખા હે સુખકારી, એમ વદે વળી વળી વયણે6 ॥૯॥

પ્રીતની તો રીત એહવી, જેનું મન મોહનશું મળ્યું ।

નિષ્કુળાનંદ સ્નેહી જનનું, કારણ નવ જાયે કળ્યું ॥૧૦॥ કડવું ॥૪॥

કડવું 🏠 home