સ્નેહગીતા

કડવું ૧૭

એમ વળી વનિતા વિલખી1 પાછી વળીજી, ચરણ ન ચાલે ધરણિયે પડે ઢળીજી ।

અંબર2 આભૂષણ સંભાળવા સૂધ ટળીજી, વાયદો વાલાનો કોઈ ન શકી કળીજી ॥૧॥

કળી ન શકી જે કૃષ્ણે કહ્યું, તેને વિચારવા વનિતા મળી ।

શું કહ્યું બાઈ શ્યામળે, ક્યારે આવશે વ્રજમાં વળી ॥૨॥

અચેત હતી સહુ આપણે, પ્રીછ3 પડી નહિ તેહ પળમાં ।

કાંઈક કૂડું4 સાચું સજની, કહ્યું છબીલે છળમાં ॥૩॥

એણે કહ્યું એકવાર મળશું, એમાં કપટ કાંઈક છે સહિ ।

એકવાર તે કોણ જાણે કૈયે, એનો કાંઈ નિરધાર નહિ ॥૪॥

બાઈ જાતાં જાતાં જૂઠું બોલ્યા, અને કોલ બોલ કૂડાં કર્યા ।

નખશિખ લગી નાથ બાઈ, ઘણું છબિલોજી છળમાં ભર્યા ॥૫॥

હાથ ન આવે હવે હરિ, ખોઈ બેઠાં ખરી મીરાંથજી5

મણિ ચોરાણી મળે નહિ બાઈ, પિયુ ગયા પરને હાથજી ॥૬॥

શુકન જુવો સહુ મળીને, અલબેલોજી કૈયે આવશે ।

પોતે પધારશે પ્રેમશું કે, આપણને ત્યાં તેડાવશે ॥૭॥

એમ માંહો માંહિ મળી વળી, મનસૂબો કરે મનમાં ।

એમ વિલખી વિલખી વનિતા, પછી ભામિની ગઈ ભવનમાં ॥૮॥

તીયાં મહી માખણ દૂધ દેખી, ઘણો શોક કરી રુવે સુંદરી ।

હવે ગિરિધર વિના ઘરમાં, આ પીશે કોણ પ્રેમે કરી ॥૯॥

અંતર પ્રીત ને ઉપર કે’તાં, લાજ લોકની વળી લાવતાં ।

નિષ્કુળાનંદના નાથને બાઈ, કાંઈ મષ લઈને બોલાવતાં ॥૧૦॥ કડવું ॥૧૭॥

કડવું 🏠 home