સ્નેહગીતા

કડવું ૨૩

બાઈ આપણશું એણે અતિશય હેત કર્યુંજી, ગોપી ને ગોવાળ હેતે સ્વધામ પરહર્યુંજી1

મેલી માન મોટપને મનુષ્યનું દેહ ધર્યુંજી, જોને બાઈ એનું આપણ થકી શું સર્યુંજી2 ॥૧॥

સર્યું નહિ કાંઈ શ્યામનું, આપણ માંયથી એક રતિ ।

કેવળ હેત એક કર્યું એણે, આપણે ન જાણ્યું મૂઢમતિ ॥૨॥

બાઈ ભવ બ્રહ્મા જેને ભજે, વળી નેતિ નેતિ નિગમ કહે ।

તેહને જાણ્યા જાર3 જુવતી, બીજું અજ્ઞ4 આપણથી કોણ છહે5 ॥૩॥

બાઈ ઈન્દ્ર આદિ અમર સર્વે, જેની અહોનિશ આજ્ઞા કરે6

વળી શશી સહિત સૂર્ય સદા, જેના વચનમાં ફેરા ફરે ॥૪॥

સરસ્વતી કહે ઊત્તમ કીર્તિ જેની, વળી નારદ ગુણ જેના ગાય છે ।

સહસ્ર ફણીમાં જુગલ જીભે, શેષ સમરે જેને સદાય છે ॥૫॥

સર્વે સુખનું એહ સદન સજની, અને પ્રીતનો વળી પૂંજ7 છે ।

પૂરણકામ ને ઠામ ઠર્યાનું, વળી ઓછપ એહમાં શું જ છે ॥૬॥

જેમ નદી સર ને કૂપ વાપી, ભરપૂર જો હોયે ભરી ।

પણ વારિધિ8 કોય વારિ વડે, સુખ ન માને સુંદરી ॥૭॥

તેમ સુખ સરવે સજની, રહ્યાં અલબેલાને આશરી ।

એવા જાણીને જુવતી, રતિ9 કૃષ્ણ સાથે નવ કરી ॥૮॥

જેમ મૂરખને કોઈ મિરાંથ મળે, પારસ કે ચિંતામણિ ।

શિલા10 સમ તેનું સુખ સમજે, જેને બાળક બુદ્ધિ છે ઘણી ॥૯॥

એમ થયું બાઈ આપણે, ઓળખી ન શક્યાં એહને ।

નિષ્કુળાનંદને નાથે સજની, તેહ સારુ દીધો છે છેહને11 ॥૧૦॥ કડવું ॥૨૩॥

કડવું 🏠 home