સ્નેહગીતા

કડવું ૪૧

શ્રીહરિ કહે ઉદ્ધવ એહ સત્ય છેજી, મુજ સાથે સુંદરીને અતિશે આરત1 છેજી ।

દેહ ગેહ સુખથી એહ વનિતા વિરક્ત છેજી, અચળ અડગ એની મુજ વિષે મત2 છેજી ॥૧॥

મત એની મુજમાંહિ છે, તેણે કરી તનસુખ ત્યાગ છે ।

વન જઈ શું કરે વનિતા, એને વણ લીધો વૈરાગ્ય છે ॥૨॥

કામ ક્રોધ ને લોભ મોહ, તે તો વિરહ વહ્નિએ બળિયા ।

આતુરતાના અનિલે3 કરીને, તન વિકાર તેહના ટળિયા ॥૩॥

એકાદશ ઇંદ્રિય એની, ઉદ્ધવ આવી એહને મનમાં ।

સંસાર સંકલ્પ ના’વે સ્વપને, રહે સદાયે બૂડી પ્રેમમાં ॥૪॥

પ્રીત વશ છે પ્રાણ એના, જેની ચિત્તવૃત્તિ મુજમાં મળી ।

સ્નેહ મુજ સાથે કરતાં, તેણે બીજી વાસના ગઈ બળી ॥૫॥

ઇચ્છા નથી કોઈ એને અંતરે, મુજ ચરણ વિના ચૌદલોકની ।

ચતુરધાની4 એણે ચાહના મૂકી, રાખી ભક્તિ એણે રોકની5 ॥૬॥

મુજ વિયોગે વિલખી વિલખી, તજ્યાં સુખ સર્વે તનથી ।

ઉદ્ધવજી એવા જન જેવું, વા’લું તે મુજને કોઈ નથી ॥૭॥

હું જ છઉં પ્રાણ પ્રેમીના, અને પ્રેમી જ મારું તન6

ઉદ્ધવજી એમાં અસત્ય નથી, સત્ય માનજે તું મન ॥૮॥

મને પ્યાર છે પ્રેમીનો, હું તો પ્રેમીજનને પૂઠે7 ફરું ।

સ્નેહ સાંકળે સાંકળ્યો8 હું, જે જે જન કહે તેતે કરું ॥૯॥

પ્રેમીનું પણ9 પાળવાને, મ્હારું પણ મેલ્યું પ્રેમી પાસળે ।

નિષ્કુળાનંદનો નાથ કહે છે, એમ ઉદ્ધવની આગળે ॥૧૦॥ કડવું ॥૪૧॥

કડવું 🏠 home